ભરૂચ (જિલ્લો) : ગુજરાત રાજ્યની દક્ષિણે કાઠિયાવાડ દ્વીપકલ્પના ભાગ રૂપે આવેલો જિલ્લો અને જિલ્લામથક.

ભૌગોલિક સ્થાન : તે 21 30´ થી 22 00´ ઉત્તર રેખાંશ અને 72 45 થી 73 15´ પૂર્વ રેખાંશની વચ્ચેનો 6,509 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો સમુદ્રસપાટીથી આશરે 15 મીટર જેટલી ઊંચાઈએ આવેલો છે. તેની ઉત્તરે ખંભાતનો અખાત, ઈશાને વડોદરા જિલ્લો, પૂર્વે નર્મદા જિલ્લો, દક્ષિણે સૂરત જિલ્લો જ્યારે પશ્ચિમે અરબ સાગરના ભાગ રૂપે ખંભાતના અખાતનો જળવિસ્તાર સીમા રૂપે આવેલો છે. આ સમુદ્ર કિનારાની લંબાઈ અંદાજે 127 કિમી. જેટલી છે.

ભરૂચ જિલ્લો

ભૂપૃષ્ઠ : આ જિલ્લાનો કિનારા તરફનો 40% જેટલો પશ્ચિમ વિભાગ નદીજન્ય કાંપનાં ફળદ્રૂપ મેદાનોથી બનેલો છે. જ્યારે નર્મદા જિલ્લા તરફનો પૂર્વ ભાગ પહાડી છે. આ પહાડી વિભાગ સાતપુડા અને સહ્યાદ્રિ હારમાળાઓ વચ્ચે સરહદ રચે છે. અહીં આવેલી ટેકરીઓ સ્થાન ભેદે 70-80 મીટર 300 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. આ જિલ્લાનું ભૂપૃષ્ઠ જોઈએ તો તે દરિયાઈ જળઘસારાની અસર પામેલો કળણભૂમિ વિભાગ, ઢાઢર, નર્મદા અને કીમ નદીઓથી બનેલો કાંપજન્ય મેદાની વિભાગ, નર્મદા કીમ પ્રદેશનું મેદાન અને પૂર્વે રાજપીપળા ટેકરીઓનો તળેટીનો પટ્ટો આવેલો છે.

નદીનાળ વિસ્તાર, નર્મદા નદી

આ જિલ્લાના જળસ્રોતમાં ઢાઢર, રુપાખડી, ભુખી, વાંડખાડી, કીમ, ટોકરી, કરજણ, નર્મદા, ભાણ, ભાદરનો સમાવેશ થાય છે. તેમનાં નદીમુખ નદીનાળથી બનેલાં છે. દક્ષિણ ભારતની નદીઓમાં ફક્ત નર્મદા નદીનો ´નદીનાળ´ (Estuary) વિસ્તાર સૌથી મોટો છે. આ એકમાત્ર નર્મદા નદી જ જળવ્યવહાર માટે ઉપયોગી છે. આ નદી ખંભાતના અખાતને જ્યાં મળે છે ત્યાં તેનું દરિયા નજીકનું મુખ લગભગ 21 કિમી. જેટલું પહોળું છે. મધ્યપ્રદેશના મૈકલ ટેકરીમાં આવેલ અમરકટંકથી ઉદગમ પામતી આ નદીનો પ્રવાહપથ આશરે 1,333 કિમી. છે, પરંતુ ગુજરાતમાં તે 150 કિમી. લંબાઈનું વહનક્ષેત્ર ધરાવે છે. આ નદી ત્રણ રાજ્યોની સીમા રચે છે : ગુજરાત, મહારાષ્ટ્ર, અને મધ્યપ્રદેશ. આ નદી જિલ્લાની અને ગુજરાત રાજ્યની મુખ્ય નદી છે. જિલ્લા પૂરતી આ નદીની લંબાઈ આશરે 46 કિમી. છે. જ્યારે જિલ્લાની ઉત્તરે ઢાઢર નદી પણ નર્મદાને સમાંતર વહે છે. જિલ્લાની દક્ષિણ સીમાએ અંકલેશ્વર તાલુકા અને સૂરતના ઓલપાડ તાલુકા વચ્ચે કીમ નદી વહે છે. દક્ષિણ ગુજરાતનું કાંપનું મેદાન આ નદીઓથી રચાયેલું છે. કરજણ નદીની કુલ લંબાઈ 74 કિમી. છે. જે નર્મદાની શાખાનદી તરીકે ઓળખાય છે. જિલ્લામાં શાખા–પ્રશાખા નદીઓની સંખ્યા 18 જેટલી છે. જિલ્લામાં આશરે 80 તળાવો આવેલાં છે. જેમાં બારેમાસ પાણી ધરાવતાં તળાવોની સંખ્યા 60 છે. નર્મદાના મુખભાગ વચ્ચે વિશાળ કદનો અલિયાબેટ છે, જે નિક્ષેપજન્ય છે. આ સિવાય નાના નાના ઘણા ટાપુઓ રચાયેલા છે.

અલિયાબેટ, નર્મદા નદી

આબોહવા : જિલ્લાની આબોહવા ઉનાળામાં ગરમ અને શિયાળામાં અંશતઃ ઠંડી રહે છે. સમુદ્ર કિનારાથી અંતરિયાળ ભાગમાં આબોહવા પ્રમાણમાં વિષમ રહે છે. જેમાં અંકલેશ્વર, આમોદ અને ભરૂચ તાલુકાનો સમાવેશ થાય છે; જ્યારે જંબુસર, વાગરા, વાલિયા અને કાંસોટ પ્રમાણમાં સમોષ્ણ રહે છે. ઉનાળો એપ્રિલથી જૂન માસ ગણાય છે. મહત્તમ 44 સે. જ્યારે લઘુતમ 18 સે. રહે છે. મે માસમાં મહત્તમ તાપમાન 40 સે.થી 45 સે. પહોંચી જાય છે. શિયાળો નવેમ્બરથી ફેબ્રુઆરી માસ સુધી ગણાય છે. શિયાળાનું મહત્તમ તાપમાન 32 સે. જ્યારે લઘુતમ તાપમાન 15 સે. રહે છે. જિલ્લાના મધ્યભાગની આબોહવા વિષમ, જ્યારે કિનારા નજીકના પ્રદેશની આબોહવા સમોષ્ણ રહે છે. વર્ષાઋતુ જુલાઈથી સપ્ટેમ્બર માસ ગણાય છે. જિલ્લાનો સરેરાશ વાર્ષિક વરસાદ 796 કિમી. ગણાય છે. દહેજમાં 700 મિમી., ભરૂચમાં 900 મિમી., વાલિયામાં 1,150 મિમી. જેટલો વરસાદ પડે છે. મોસમનો આશરે 50% વરસાદ જુલાઈ માસ દરમિયાન પડી જાય છે.

જંગલો : આ જિલ્લામાં ઉષ્ણકટિબંધીય સૂકાં પાનખર જંગલો આવેલાં છે. કુલ જંગલવિસ્તાર આશરે 1,450 ચો.કિમી. છે. આ જિલ્લામાં રતનપુર આરક્ષિત જંગલ આવેલું છે. આ સિવાય બિનવર્ગીકૃત અને ખાનગી જંગલો પણ આવેલાં છે. હજીરા ખાતે મૅન્ગ્રોવ જંગલો પણ આવેલાં છે. જિલ્લાના કુલ વિસ્તારના 25% વિસ્તારમાં જંગલો આવેલાં છે. શૂલપાણેશ્વર વન્ય અભયારણ્ય આવેલ છે.

નર્મદા નદીના કિનારે વૈવિધ્યસભર વનસ્પતિ અને પ્રાણીસંપત્તિ આવેલી છે. પર્ણપાતી જંગલોનું પ્રમાણ અધિક છે. જેમાં મુખ્યત્વે સાગ, શીમળો, સાદડ, મોદડ, કાકડ, વાંસ, આમળાં, બહેડાં, ટીમરું, ખાખરો, બીલી, ધાવડો, ગરમાળો, કમરખ, આમલી, ખેર, મહુડો, રાયણ અને આંબા જેવાં વૃક્ષો જોવા મળે છે. બાવળ, બોરડી જેવી કાંટાળી વનસ્પતિ પણ જોવા મળે છે. વન્ય ઔષધિમાં ચણોઠી, રોહિસા, કલમ, બોર, કરમદાં, આસન, મરડાશિંગી વગેરે હોય છે. 1970થી રેલ-સડક માર્ગોની ધારે, નહેરોને કાંઠે વનીકરણ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. વન્ય પ્રાણીઓમાં દીપડો, હરણ, શિયાળ, જરખ, રીંછ જંગલી બિલાડી, જંગલી કૂતરા, લોંકડી, નોળિયા વગેરે જોવા મળે છે. જંગલ વિસ્તાર વધે તે માટે વનવિભાગ વિનામૂલ્યે વૃક્ષારોપણ માટે રોપાઓ પણ આપે છે.

અર્થતંત્ર : આ જિલ્લામાં જોવા મળતી જમીનોમાં (1) ઝઘડિયા, વાલિયા તાલુકાઓમાં પૂર્વ તરફના પ્રદેશોની જમીનો પહાડી છે. (2) જંબુસર, વાગરા, હાંસોટ તાલુકાઓમાં કથ્થઈ તેમજ ક્ષારીય પડતર જમીનો છે. (3) ભરૂચ, અંકલેશ્વર, વાગરા અને જંબુસર તાલુકાઓમાં જમીનો મધ્યમ કાળી, રેતાળ, ગોરાડુ પ્રકારની છે. નર્મદા નદીના ઉત્તર ભાગમાં ભરૂચની આજુબાજુ પશ્ચિમ તથા વડોદરા જિલ્લાની નજીક કાળી ફળદ્રૂપ જમીનો છે. (4) ઢાઢર અને કીમ વચ્ચે વાકળ પ્રદેશની જમીનો ફળદ્રૂપ અને ગોરાડુ જમીન અને કાનમ પ્રદેશની કાળી જમીનો જોવા મળે છે. આ મેદાન પ્રમાણમાં વધુ પહોળાઈ ધરાવે છે. (5) જ્યારે જંબુસર તાલુકાની જમીન બાગાયતી ખેતી માટે સાનુકૂળ છે.

આમ વૈવિધ્ય પ્રકારની જમીનોને કારણે ખેત-પ્રવૃત્તિ પ્રમાણમાં વધુ વિકસેલી છે. અહીંના મુખ્ય ધાન્ય પાકોમાં ઘઉં, ડાંગર, જુવાર, બાજરી, મકાઈ છે. કઠોળમાં તુવેર, મગ, અડદ અને ચણાની ખેતી જોવા મળે છે. જ્યારે રોકડિયા પાકોમાં કપાસ, મગફળી (ઉત્તમ કક્ષાનાં) તથા તલ, એરંડા, શેરડીનો સમાવેશ કરી શકાય. આ સિવાય શાકભાજી અને ફળો(કેળાં, કેરી)ની ખેતી લેવાય છે.

કપાસનું ઉત્પાદન કરતો કાનમ પ્રદેશ, ભરૂચ

ખેતીની સાથે પશુપાલન પ્રવૃત્તિને પણ પ્રોત્સાહન મળ્યું છે પાલતુ પ્રાણીઓ પૈકી ગાય, ભેંસ, બળદ, ઘેટાં, બકરાં તેમજ મરઘા ઉછેરનું પણ પ્રમાણ વધ્યું છે. સરકાર તરફથી પશુ-ચિકિત્સાલયો, કૃત્રિમ ગર્ભાધાન કેન્દ્રો ઊભાં કરવામાં આવ્યાં છે. નદીકાંઠે અને દરિયાકિનારે મત્સ્ય-કેન્દ્રો આવેલાં છે. નદીકાંઠાના વિસ્તારમાં તેમજ ગામ-તળાવોમાં મીઠા પાણીના મત્સ્ય પકડવાની પ્રવૃત્તિ  વિકસી છે. દરિયાકિનારાના વિસ્તારમાં મસ્ત્ય સહકારી મંડળીઓ કાર્યરત છે. સરકાર તરફથી આ પ્રવૃત્તિને વિકસાવવા માછીમારોને આર્થિક સહાય પણ અપાય છે. માછીમારોનાં વહાણોને સંદેશાવ્યવહારનાં સાધનોથી સાંકળી લેવામાં આવ્યાં છે. દરિયાકિનારે શીતાગારો પણ ઊભાં કરવામાં આવ્યાં છે જેથી માછલાંનો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય.

ખનિજપેદાશો, ઉદ્યોગો, વેપાર : આ જિલ્લામાં અકીક, ફ્લોરાઇટ, કૅલ્સાઇટ, રેતી, ઇલ્મેનાઇટ, બેન્ટોનાઇટ, લિગ્નાઇટ, ખનિજતેલ, કુદરતી વાયુ, ચૂનાખડકો તેમજ બૅસાલ્ટ મળે છે. ચિરોડી અને ડૉલોમાઇટ પણ થોડા પ્રમાણમાં મળે છે. લિગ્નાઇટ, ખનિજતેલ અને કુદરતી વાયુ અહીંની મુખ્ય પેદાશો છે. આ ઉપરાંત અહીં સાદી માટી, મરડિયો તથા રેતી પણ મળી આવે છે.

કાપડ-ઉદ્યોગ ભરૂચનો ઘણો પ્રાચીન ઉદ્યોગ છે. અહીં થતા કપાસના વિપુલ ઉત્પાદનને કારણે ભરૂચ, જંબુસર અને અંકલેશ્વર ખાતે ઘણી સંખ્યામાં જિનિંગ-પ્રેસિંગ મિલો આવેલી છે. ભરૂચ, અંકલેશ્વર, પાનોલી, રાજપીપળા, પાલેજ, જંબુસર, વાગરા અને વાલિયા તાલુકાઓમાં ઔદ્યોગિક વસાહતો સ્થપાઈ છે. જિલ્લામાં રસાયણો અને રાસાયણિક પેદાશો, ઊન-રેશમ અને કૃત્રિમ રેસાઓનો કાપડ-ઉદ્યોગ, ધાતુઓના તેમ જ ધાતુસંલગ્ન ઔદ્યોગિક એકમો તથા રબર, પ્લાસ્ટિક અને ખનિજ-પેદાશોના; યાંત્રિક ઓજારો, યંત્રસામગ્રી અને ખાદ્યપેદાશોના એકમો વિકસ્યા છે.

ગુજરાત નર્મદાવૅલી ફર્ટિલાઇઝર્સ, ભરૂચ

ગુજરાત નર્મદાવૅલી ફર્ટિલાઇઝર્સ, ભરૂચ; નર્મદા સિમેન્ટ, ગુજરાત નર્મદા ઑટો લિ. કંપની, વાલિયા; ઇલેક્ટ્રૉનિક્સ ઑટોમૅટિક એક્સચેન્જ, રૂપનગર-વાલિયા; મીઠાનું કારખાનું, દહેજ; અતુલ સાથેના સહયોગમાં ગુજરાત ઍરોમૅટિક્મ; એશિયન પેઇન્ટ્સ, અંકલેશ્વર; ગુજરાત ઇન્સેક્ટિસાઇડ્ઝ, નર્મદાવૅલી કેમિકલ ઇન્ડસ્ટ્રી, રાજપીપળા; ગુજરાત કેબલ્સ ઍન્ડ એનેમલ્ડ પ્રોડક્ટ્સ; ગુજરાત લેધર ઇન્ડસ્ટ્રીઝ; ફૈઝલ ફૅબ્રિક્સ; જિલ્લા સહકારી ડેરી જેવા ઉદ્યોગો આ જિલ્લાના મુખ્ય ઉદ્યોગો તરીકે વિશેષ ઉલ્લેખનીય છે. આ ઉપરાંત અહીં હાથવણાટ, દરજીકામ, સુથારીકામ, ભરતકામ, છાપકામ, રંગકામ, ચર્મકારીગરી જેવા કારીગર-સંચાલિત નાના પાયા પરના કુટિર-ઉદ્યોગો પણ ચાલે છે.

આ જિલ્લામાં લાકડાં, ખાદ્યતેલો, ખાદ્યાન્ન, ખાંડ, કઠોળ, મગફળી, ગોળ, રસાયણો, સિમેન્ટ, બાંધકામ-નિર્માણ-સામગ્રી, કપાસ, સૂતર, રૂની ગાંસડીઓ, કાપડ, હાથસાળનું કાપડ, નાયલૉન-રેસા, તિજોરીઓ, ચપ્પાં, હોઝિયરી, કાગળ, કાર્બન, કાથો, માછલીઓ વગેરેનો વેપાર ચાલે છે. અહીંનાં લગભગ બધાં જ મુખ્ય શહેરોમાં બૅંકો તથા કૃષિ ક્રૅડિટ સોસાયટીઓની સુવિધા છે.

પરિવહન : આ જિલ્લામાં 263 કિમી. લંબાઈના રેલમાર્ગો અને તેના પર 47 જેટલાં રેલમથકો છે. આ પૈકી 48.56 કિમી. લંબાઈનો બ્રૉડગેજ રેલમાર્ગ છે. ભરૂચ અને દહેજ મહત્ત્વનાં બંદરો છે. ભરૂચ બંદર કાંપથી પુરાતું ગયું છે. જિલ્લામાં 2,845 કિમી. લંબાઈના સડકમાર્ગો છે. તે પૈકી 44 કિમી.ના રાષ્ટ્રીય ધોરી માર્ગો, 457 કિમી.ના રાજ્યમાર્ગો, 616 કિમી.ના જિલ્લામાર્ગો, 799 કિમી.ના તાલુકામાર્ગો તેમજ 929 કિમી.ના ગ્રામીણ માર્ગો છે. નગરો ઉપરાંત અહીંનાં 663 વસ્તીવાળાં ગામડાં પૈકી 600 ગામડાંઓને રાજ્ય-પરિવહનની બસોથી સાંકળી લેવામાં આવેલાં છે.

પ્રવાસન : (1) ભરૂચ : આ શહેર ઘણા દૂરના ભૂતકાળથી અસ્તિત્વ ધરાવતું હોવાનું મનાય છે. ટૉલેમીના સમયમાં પણ તે ભારતમાં પશ્ચિમ કિનારા પરનું મુખ્ય બંદર હતું. ત્યાંથી પરદેશો સાથે આયાત-નિકાસને અનુલક્ષીને ધમધોકાર વેપાર ચાલતો હતો. અણહિલવાડના રજપૂત રાજાઓના શાસન હેઠળ તેનો વિકાસ થયેલો. તેમના પતન બાદ તે અમદાવાદના મુસ્લિમ શાસન હેઠળ આવેલું. 1536, 1546 અને 1614માં પોર્ટુગીઝોએ અહીં લૂંટ ચલાવેલી. 1573માં અકબરે તેનો કબજો લીધેલો. 1616માં અને 1617માં અહીં અનુક્રમે બ્રિટિશ અને ડચ ફૅક્ટરીઓ નંખાયેલી. 1675 અને 1686માં મરાઠાઓએ ભરૂચમાં લૂંટ ચલાવેલી. ઔરંગઝેબે તેને ફરતો કોટ બનાવરાવેલો અને તેને સૂકાબાદ (સૂકું નગર) નામ આપેલું. 1772માં તે અંગ્રેજોના અંકુશ હેઠળ આવેલું, પરંતુ સિંધિયા શાસકોએ લઈ લીધેલું, 1803માં ફરીથી તે બ્રિટિશ શાસન હેઠળ ગયેલું. સિદ્ધરાજ જયસિંહે અહીં નગર અને નદી વચ્ચે પૂર્વ-પશ્ચિમ જતી મજબૂત પથ્થરની દીવાલ તૈયાર કરાવેલી, જેનું સમારકામ ગુજરાતના સુલતાન બહાદુરશાહે કરાવેલું. તે હજી આજે પણ જોવા મળે છે. (2) શુકલતીર્થ : નર્મદા નદી પર આવેલા હિન્દુઓના મહત્વના ગણાતા આ યાત્રાધામમાં દર વર્ષની કાર્તિક પૂર્ણિમાને દિવસે મોટો મેળો ભરાય છે, જેમાં 20થી 25 હજાર જેટલા યાત્રાળુઓ આવે છે. (3) કાવી :  માન્યતા મુજબ પ્રાચીન સમયમાં અહીં કપિલ મુનિનો આશ્રમ હતો. એમ પણ કહેવાય છે કે આ સ્થળે કનકાવતી બંદર હતું. શક્ય છે કે કાવી નામ કનકાવતીમાંથી થયું હોય. આજે તે જૈનોનું યાત્રાસ્થળ છે. 17મી સદીનાં સાસુ-વહુનાં જૈન દહેરાં અહીં આવેલાં છે. તે પુરાતત્ત્વીય ર્દષ્ટિએ સ્મારક સમાં છે. (4) ઝઘડિયા : આ નગરમાં ઋષભદેવનું જૈન મંદિર આવેલું છે, મૂર્તિના નીચેના ભાગમાં કોતર્યા મુજબ 1064ના ડિસેમ્બરમાં (સંવત 1120ના માગશર સુદ ચૌદશે) તેની પ્રતિષ્ઠા થયેલી, પરંતુ તે પછી લાંબો સમય આ મૂર્તિ ગુમ થઈ ગયેલી, જે છેક 1864માં નજીકના લિમોદ્રા ગામેથી ખેતરમાંથી દાટેલી મળી આવેલી. રાજપીપળાના તત્કાલીન શાસકે ઝઘડિયા ખાતે મંદિર બંધાવી 1872ના ફેબ્રુઆરીમાં (સંવત 1928ની મહા વદ પાંચમે) તેની પુન:પ્રતિષ્ઠા કરેલી છે.

(5) રામપુરા : નર્મદાકાંઠે આવેલા આ સ્થળનું મહત્ત્વ અહીંના એક ખેતરમાંથી મળી આવેલી રણછોડજીની વિશિષ્ટ પ્રકારની મૂર્તિને કારણે વધેલું છે. આ મૂર્તિ દશ અવતારોનો ખ્યાલ આપતી હોવાથી વિરલ ગણાય છે. આ મૂર્તિની અહીં મંદિર બંધાવીને તેમાં પ્રતિષ્ઠા કરેલી છે.

(6) ભાગાતળાવ (ભાગાત્રાવ) : ભરૂચ જિલ્લામાં કીમ નદીના મુખપ્રદેશમાં જેતપુર નજીક ભાગાતળાવનો ટીંબો આવેલો છે. રાજપીપળાની અકીકયુક્ત ટેકરીઓમાં જવાનું અહીંથી વધુ સરળ પડે છે. ડૉ. રમણલાલ મહેતા અને રંગનાથ રાવને હડપ્પા સંસ્કૃતિની અંતિમ કક્ષાના તેમજ તે પછીના કાળના અવશેષો પણ અહીંથી મળી આવેલા. આ સ્થળ હડપ્પા સંસ્કૃતિનું ગુજરાતમાં છેક દક્ષિણે આવેલું મથક ગણાય છે. આ સંસ્કૃતિનો સમય
ઈ. સ. પૂ. 2400થી 1900નો મુકાયો છે, જ્યારે ઉત્તરકાલીન હડપ્પા સંસ્કૃતિ ઈ. સ. પૂ. 1900થી 1600 દરમિયાન અવનતિ પામેલ છે.

જિલ્લાનાં અન્ય જોવાલાયક સ્થળો પૈકી કબીરવડ, કતપોર, ઝાડેશ્વર, ગરુડેશ્વર, ગંધાર, દેવમોગરા, ભાડભૂત, રતનપુર, જંબુસર, સુરપાણ અને ત્રિવેણીસંગમ (ચાંદોદ) મુખ્ય છે. નર્મદા નદી પરનો સુરપાણનો ધોધ આરસપહાણના ખડકોમાંથી વહે છે. જિલ્લામાં શુક્લતીર્થનો, ભાડભૂત ખાતે ભારેશ્વરનો અને કદોડ ખાતે  કોટેશ્વરનો મેળો ભરાય છે, આ ઉપરાંત જળાશયો તેમજ કેટલીક ટેકરીઓ પર આદિવાસીઓના મેળા પણ ભરાય છે.

વસ્તી : આ જિલ્લાની વસ્તી (2025 મુજબ) આશરે 15,50,822 છે. સાક્ષરતાનું પ્રમાણ આશરે 85% છે. જ્યારે સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 924 મહિલાઓ છે. પછાત જાતિ અને આદિવાસી જાતિનું પ્રમાણ અનુક્રમે 4.01% અને 31.48% છે. આ જિલ્લામાં હિન્દુ, મુસ્લિમ અને ક્રિશ્ચિયનોની વસ્તી અનુક્રમે 76.61%, 22.15% અને 0.61% છે. અન્ય ધર્મીઓનું પ્રમાણ 0.63% છે. અહીં મુખ્ય ચાર ભાષા બોલાય છે. ગુજરાતી 90.01%, હિન્દી 6.3%, ઉર્દૂ 0.57% અને અન્ય આદિવાસી બોલનારાઓની સંખ્યા 1.99% છે. આ જિલ્લાના બધા જ તાલુકાઓમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે. જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમા હૉસ્પિટલો, નાનાં દવાખાનાં, પ્રાથમિક સારવાર કેન્દ્રો, કુટુંબનિયોજન કેન્દ્રો, પ્રસૂતિગૃહો, બાળકલ્યાણ કેન્દ્રો પણ આવેલાં છે.

વહીવટી સરળતા માટે આ જિલ્લાને આઠ તાલુકાઓમાં વિભાજિત કરેલ છે. જિલ્લામાં આઠ નગરો અને 663 ગામડાંઓ આવેલાં છે. તે પૈકી 10 ગામ 5000થી વધુ વસ્તીવાળાં છે.

ઇતિહાસ : જિલ્લાનું પ્રાચીન નામ ભરુકચ્છ હોવાનું જાણવા મળે છે. ‘ભરુ’ શબ્દ પ્રાચીન બોલીનો દેશ્ય શબ્દ છે. તેની સાથે ‘ભરુ’ નામના રાજાનું નામ જોડાયેલું હોવાનો પણ એક મત છે. આ શબ્દ ઑસ્ટ્રો-એશિયાટિક મૂળ સૂચવે છે. તેના પરથી દેશવાચક ‘ભારુકચ્છ’ નામ પ્રચલિત થયેલું. ઈ. સ.ની છઠ્ઠી સદીના ગ્રંથ ‘આવશ્યક ચૂર્ણિ’માં ભરુકચ્છનો ‘આહાર’  (વહીવટી એકમ) તરીકે ઉલ્લેખ મળે છે.

પેરિપ્લસમાં તથા ટૉલેમીના ભૌગોલિક અહેવાલમાં ભરૂચનો ‘બારુગાઝા’ કે ‘બારીગાઝા’ તરીકે; સ્ટ્રૅબોએ ‘બારગોસા’ તરીકે; આરબ મુસાફરોએ ‘બરૌઝ’ (Baraus), ‘બરૂચ’, ‘બરુચી’ કે ‘બરહુ’ તરીકે; અલબિરૂનીએ ‘બિહરોજ’ તરીકે; જ્યારે ફારસી અને ઉર્દૂમાં ‘ભલોચ’ તરીકે ઉલ્લેખ કરેલો જોવા મળે છે. સાતમી સદીના હર્ષવર્ધનના સમકાલીન હ્યુ-એન-સંગે ‘પો-લુ-ક-છે-પો’ તરીકે તેનું નામ જણાવ્યું છે. મરાઠા શાસકોએ ‘ભડોચ’ અને અંગ્રેજોએ ‘બ્રૉચ’, ‘ભડુચ’, ‘ભડોચ’ જેવાં નામોથી તેની નોંધ લીધી છે.

હેડંબાની પુત્રી હાટિકાના આમંત્રણથી ભૃગુઋષિ તેમના 18,000 શિષ્યો સહિત અહીંના વનમાં વસેલા. સ્કંદપુરાણના રેવાખંડમાં જણાવ્યા મુજબ નંદન સંવત્સરના માઘ માસની સુદ પાંચમે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રનો ચંદ્ર અને કુંભ રાશિનો સૂર્ય હતો ત્યારે કૂર્મની પીઠ પર વિશ્વકર્માનું સ્મરણ કરીને ભૃગુઋષિએ આ નગર વસાવેલું; તે પરથી તે ભૃગુકચ્છ નામથી ઓળખાય છે. જૈનોના પ્રભાવકચરિતમાં ભૃગુક્ષેત્ર અને ભૃગુપુર નામો મળે છે.

ઈ. સ. પૂ. 5મી સદી દરમિયાન અવંતિના પ્રદ્યોતનું અહીં શાસન હતું. ઈ. સ. પૂ. ‘ભૃગુકચ્છજાતક’ જેવી બૌદ્ધ જાતકકથાઓમાં પણ તેનો ઉલ્લેખ મળે છે. ઈ. સ. પૂ. 322ના અરસામાં તે ચંદ્રગુપ્ત મૌર્યના શાસન હેઠળ હતું. મિનેન્દર તથા ઍપોલોડોટસના સિક્કાઓ ભરૂચમાં ચલણ તરીકે પ્રચલિત હતા. ઈ. સ.ના પ્રારંભમાં નભોવાહન કે નહપાનનું અહીં શાસન હતું. પહેલી સદીમાં તે અહીંનું પ્રમુખ બંદર હતું. રોમન સામ્રાજ્ય સાથે તેનો બહોળો વેપાર ચાલતો હતો. જૈનોનાં અશ્વાવબોધતીર્થ તથા શકુનિકાવિહાર જેવાં તીર્થસ્થળો અહીં હતાં. મહાભારતના પ્રક્ષિપ્ત ભાગમાં ભૃગુકચ્છ અને તેના કાપડનો ઉલ્લેખ મળે છે. ક્ષત્રપ રાજા રુદ્રદામા(ઈ. સ. 150)ના ગિરનારના શિલાલેખમાં પણ ભૃગુકચ્છનો ઉલ્લેખ છે.

ભરૂચનો વેપાર રોમન સામ્રાજ્ય, ઈરાન તથા તેના અખાતનાં બંદરો દ્વારા પશ્ચિમ એશિયાના દેશો સાથે બહોળા પ્રમાણમાં ચાલતો હતો. ભરૂચથી કપડવંજ–ભીલસા–સાંચી થઈને પાટલીપુત્ર જતો એક ધોરી માર્ગ હતો; બીજો એક માર્ગ રાજસ્થાનમાં થઈને વાયવ્ય ભારત તથા કાબુલને જોડતો હતો. નાસિક મારફતે દક્ષિણાપથનાં અગ્રગણ્ય નગરો પણ ભરૂચ સાથે વેપારથી જોડાયેલાં હતાં. શકુનિકાવિહારની કથા ભરૂચ અને લંકા વચ્ચેના સાંસ્કૃતિક અને વેપારી સંબંધોનું સૂચન કરે છે. ભરૂચની રાજકુમારીએ ભરૂચમાં શકુનિકાવિહાર બંધાવ્યાની અનુશ્રુતિ પ્રચલિત છે. ધરસેન ચોથાનું ઈ. સ. 648નું દાનશાસન તથા શીલાદિત્ય ત્રીજાનું 676નું દાનશાસન ભરૂચ મૈત્રકોના શાસન હેઠળ રહ્યું હોવાનું સૂચવે છે. તે પૂર્વે 5મી સદીના અંતમાં અહીં ત્રૈકૂટકોનું શાસન હતું. તે પછી મહાસામંત સંગમસિંહનું અને 580થી 735 સુધી ગુર્જર નૃપતિવંશનું શાસન હતું. 735 પછી અહીં ચાહમાન વંશની સત્તા પ્રસરી હતી. તેઓ પ્રતિહારોના તાબેદાર હોવાનું જણાય છે. 788માં મૈત્રક વંશના પતન બાદ અહીં રાષ્ટ્રકૂટ વંશનું શાસન થોડો વખત રહેલું. ચીની મુસાફરે (ઈ. સ. 726) અહીં 10 મઠો, 10 દેવાલયો અને 300 બૌદ્ધ સાધુઓ હોવાનો ઉલ્લેખ કરેલો છે. ચાલુક્ય પુલકેશી બીજાના પુત્ર વિક્રમાદિત્યના નાના ભાઈ ધરાશ્રય જયસિંહે દક્ષિણ ગુજરાતનો વહીવટ સંભાળ્યો હતો. રાષ્ટકૂટો દ્વારા ચાલુક્ય શાસનનો અંત આવેલો. દંતીદુર્ગ તેનો સ્થાપક હતો. તેના વંશજોએ લાટદેશના શાસક તરીકે 967 સુધી અહીં રાજ્ય કરેલું. ત્યારબાદ ભરૂચ સોલંકી વંશના સીધા શાસન નીચે 1300 સુધી રહેલું. કર્ણદેવ, સિદ્ધરાજ વગેરે સોલંકી રાજાઓએ ભરૂચ બંદરથી આકર્ષાઈને અહીંના સ્થાનિક રાજવંશને હરાવીને તે કબજે કર્યું હતું. મૈત્રક અને ગુર્જર વંશના શાસન દરમિયાન બગદાદના આરબ શાસકોએ ભરૂચ પર આક્રમણ કર્યું હતું અને વલભીના મૈત્રક વંશનો અંત આવ્યો હતો.

1397થી 1572 સુધી ભરૂચ અમદાવાદના સુલતાનોની સત્તા નીચે રહેલું. આ દરમિયાન 1534માં હુમાયૂંએ ગુજરાત જીતી લેતાં ભરૂચ મુઘલ સત્તા હેઠળ આવ્યું હતું. 1536 અને 1546માં પોર્ટુગીઝોએ ભરૂચ પર હુમલો કરી તેને લૂંટ્યું હતું. 1573માં તે અકબરના શાસન હેઠળ આવ્યું. 1614માં ફરીથી પોર્ટુગીઝોએ, તથા 1675 અને 1686માં મરાઠાઓએ ભરૂચને લૂંટ્યું હતું. 1735 સુધી તે મુઘલ શાસન તળે રહેલું. મુઘલ સત્તા નબળી પડતાં ભરૂચનો સૂબેદાર સ્વતંત્ર નવાબ બનેલો. આ નવાબી શાસન 1736થી 1772 સુધી રહેલું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આ નવાબને હરાવી કાયમ માટે તે હસ્તગત કર્યું. ભરૂચની તેમની આવકમાંથી તેઓ અમુક રકમ ગાયકવાડને ખંડણી તરીકે આપતા હતા. દામાજીરાવ બીજા તેને જીતીને રાજધાની બનાવવા માગતા હતા, પણ તેમની આ મુરાદ બર આવેલી નહિ. 1778માં ભરૂચ ગ્વાલિયરના સિંધિયાની હકૂમત હેઠળ આવેલું. 1803માં અંગ્રેજોએ ફરીથી ભરૂચનો કબજો લીધો હતો. ત્યારથી ભરૂચની જાહોજલાલી ઓસરવા માંડેલી. સ્ટીમરો અને રેલસુવિધા થતાં ભરૂચનું મહત્ત્વ ઘટતું ગયું. 1860–64ના અમેરિકન આંતરવિગ્રહ દરમિયાન રૂની તેજીને કારણે ભરૂચે સમૃદ્ધિનો અનુભવ કર્યો હતો, પણ તે ક્ષણજીવી હતો. ભરૂચથી રૂ, કપાસિયા અને અનાજની નિકાસ થતી હતી. યંત્રયુગના આગમનને કારણે જૂનો કાપડ-ઉદ્યોગ નષ્ટ થતો જતો હતો. લૅન્ડને અને રણછોડભાઈએ ભરૂચમાં મિલઉદ્યોગ સ્થાપવા પ્રયત્ન કરેલો, પણ તેમાં સફળતા મળી ન હતી. 1868માં ભરૂચમાં ઔદ્યોગિક પ્રદર્શન ભરાયું હતું.

1849માં અહીં સર્વપ્રથમ અંગ્રેજી શાળા શરૂ થઈ હતી. 1-9-1927માં ભરૂચમાં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કરાયું હતું. ભરૂચ જિલ્લામાં 1-4-1944માં તે દાખલ કરાયું હતું. ભરૂચમાં બીજી કેળવણી પરિષદ પણ ભરાઈ હતી. આજે તો અહીં ઘણી શિક્ષણ-સંસ્થાઓ વિકસી છે. 1930–47 દરમિયાન કનૈયાલાલ મુનશી, છોટુભાઈ અને અંબુભાઈ પુરાણી, છોટે સરદાર ડૉ. ચંદુલાલ દેસાઈ, ચંદ્રશંકર ભટ્ટ વગેરેએ આઝાદીની લડતમાં તેમજ 1942ની ‘હિંદ છોડો’ ચળવળમાં આગળ પડતો ભાગ ભજવેલો. 1942ની લોકક્રાંતિમાં તેમણે સરકારને હંફાવી હતી. પોતાની જાહેર કારકિર્દી ભરૂચથી શરૂ કરનાર દિનકરરાય દેસાઈ મુંબઈ રાજ્યના કેળવણીપ્રધાન બનેલા. આજે તો ભરૂચનું બંદર નર્મદાના કાંપથી પુરાઈ ગયું છે. જોકે ઔદ્યોગિક વિકાસને કારણે તે હવે વિકાસના પંથે છે.

ભરૂચ (શહેર) : આ શહેર 21 7´ ઉ. અ. અને 72 97´ પૂ. રે. પર સ્થિત છે. તે સમુદ્રસપાટીથી સરેરાશ 15 મીટર ઊંચાઈ ધરાવે છે. નર્મદા નદીકિનારે આવેલું શહેરી બંદર છે. નર્મદા નદીના કાંપમાટીના પુરાણને કારણે બંદર નષ્ટપ્રાય થઈ ચૂક્યું છે, પરંતુ નજીકમાં દહેજ બંદરનો વિકાસ કરવામાં આવ્યો છે.

અહીંની આબોહવા ઉષ્ણકટિબંધીય સવાના પ્રકારની છે. અરબસાગરને કારણે આબોહવા પ્રમાણમાં સમધાત રહે છે. ઉનાળો મોટે ભાગે માર્ચથી જૂન સુધીનો ગણાય છે. જેમાં એપ્રિલ અને મે માસમાં ઉનાળો આકરો અનુભવાય છે. સરેરાશ તાપમાન 40 સે. જેટલું રહે છે. વર્ષાઋતુનો પ્રારંભ જૂન માસમાં થાય છે. વરસાદ મોટે ભાગે સપ્ટેમ્બર માસ સુધી અનુભવાતો રહે છે. વરસાદ આશરે 800 મિમી. જેટલો પડે છે. આ સમયગાળામાં તાપમાન આશરે 32 સે. જેટલું રહે છે. ઑક્ટોબરથી ફેબ્રુઆરીના અંત સુધી શિયાળાનો અનુભવ થાય છે. આ ગાળામાં સરેરાશ તાપમાન 23 સે. જેટલું રહે છે. ભૂતકાળમાં અતિવૃષ્ટિને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારમાં પૂરને કારણે પારાવાર નુકસાન પહોંચ્યું હતું, પરંતુ અત્યારે નર્મદા ડૅમ – સરદાર સરોવર પ્રકલ્પને કારણે પૂર ઉપર અંકુશ આવ્યો છે.

અર્થતંત્ર : ભરૂચ શહેરની સમૃદ્ધિનું કારણ નર્મદા નદી છે. ગુજરાતમાં અછતગ્રસ્ત વિસ્તારમાં પાણી પહોંચાડતી આ એકમાત્ર નદી છે. આથી તો તેને ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખવામાં આવે છે. અહીં ખેતી અને તેને આધારિત અનેક વાણિજ્ય પ્રવૃત્તિ વિકસેલી છે. અનેક ગામો માટે વેપાર-વણજનું કેન્દ્ર બન્યું છે. ભરૂચ જિલ્લામાં કપાસ, મગફળી મુખ્ય પાકો પર આધારિત અનેક નાનામોટા ઔદ્યોગિક એકમો કાર્યરત છે. મોટે ભાગે અહીં ટેક્સટાઇલ મિલો, રસાયણ એકમો, ડેરી પેદાશોના એકમો કાર્યરત છે. આ શહેરમાં વીડિયોકોન, રિલાયન્સ, વેલ્સ્પન જેવી મોટી કંપનીઓ સ્થપાયેલી છે. આ જિલ્લામાં વર્ષોથી જાણીતો બનેલો કાનમ પ્રદેશ જ્યાં મહત્તમ કપાસનું ઉત્પાદન મેળવાતું હોવાથી અનેક ફૅક્ટરીઓ સ્થપાયેલી છે. આજના આધુનિક ભરૂચ શહેરમાં ફર્ટિલાઇઝર, રંગ, રસાયણો બનાવવાના એકમો ઊભા થયા છે. દહેજ ખાતે ગુજરાતનું સૌથી મોટું આયાતી પ્રવાહી કુદરતી વાયુ સંગ્રહ કરતું બંદર બન્યું છે. GNFC Ltdનું એકમ ઊભું કરવામાં આવ્યું છે. વિદેશી કંપનીઓ જેવી કે ટોરેન્ટ ગ્રૂપ, પેપ્સી કંપની, હિટાચી, હેબુચ કલર, ઝાયડસ, કેડિલા, ચાઇના લાઇટ ઍન્ડ પાવર, ટાટા ગ્રૂપ, આદિત્ય બિરલા, લુપીન, NTPC, ONGC, GAIL, L&T, એલાયન્સ ટાવર ગ્રૂપ જેવી અનેક કંપનીઓ સ્થપાઈ છે.

ગોલ્ડન બ્રિજ, ભરૂચ

પરિવહન : આ શહેર ભારતનાં મોટા ભાગનાં શહેરોથી સંકળાયેલ છે. NH નં. 48 જે મુંબઈ-દિલ્હીને સાંકળે છે. તે અહીંથી પસાર થાય છે. અને દિલ્હી-મુંબઈને જોડતા બ્રૉડગેજ રેલમાર્ગનું મહત્ત્વનું જંકશન છે. આશરે 135 વર્ષ જુનો ‘ગોલ્ડન બ્રિજ’ જે ભરૂચ અને અંકલેશ્વરને સાંકળે છે. તેનું ભૂ-રાજકીય મહત્ત્વ બ્રિટિશરોના સમયમાં વધુ હતું. આજે પરિવહન માટે આ પુલના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકાયો છે. આ શહેરને સાંકળતા બીજા નવા ત્રણ પુલ નિર્માણ કરાયા છે. અહીં ખાનગી બસો અને ગુજરાત રાજ્ય પરિવહનની બસોની ઉત્તમ સુવિધા છે. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતનાં મોટા ભાગનાં શહેરોને સાંકળતી રેલવે અહીંથી પસાર થાય છે. આ શહેરની નજીક આવેલાં હવાઈ મથક સૂરત અને વડોદરા છે. દહેજ અને ઘોઘા વચ્ચેની રો-રો ફેરી સર્વિસનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

દહેજ અને ઘોઘા વચ્ચેની રો-રો ફેરી સર્વિસ

ભૂપૃષ્ઠ – વસ્તી – શિક્ષણ : આ શહેરનો વિસ્તાર 43.80 ચો.કિમી. છે. 2025 મુજબ શહેરની વસ્તી આશરે 2,44,000 જ્યારે બૃહદ શહેરની વસ્તી 3.24,000 છે. સાક્ષરતાનું પ્રમાણ 97.06 છે. આ શહેરમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની અનેક શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. ગુજરાતી બોર્ડ, CBSE બોર્ડ, ICSE બોર્ડ,  દ્વારા શાળાઓમાં શિક્ષણ અપાય છે. આદિત્ય બિરલા સ્કૂલ, ક્વીન ઑફ એન્જલ્સ કૉન્વેન્ટ સ્કૂલ, ભારતીય વિદ્યાભવન્સ નર્મદા વિદ્યાલય, DPS વગેરે આવેલી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હેઠળ કૉલેજો કાર્યરત છે. જેમાં નર્મદા કૉલેજ ઑફ સાયન્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, નર્મદા કૉલેજ ઑફ કમ્પ્યૂટર ઍપ્લિકેશન આવેલી છે. આ સિવાય ગુજરાત ટૅકનિકલ યુનિવર્સિટી, મેડિકલ કૉલેજો, ઍગ્રિકલ્ચર કૉલેજ, ફાર્મસી કૉલેજ પણ આવેલી છે.

જોવાલાયક સ્થળો : ભૃગુઋષિ મંદિર, નવનાથ, દશ્વમેઘ ઘાટ, નર્મદા નદીકિનારે આવેલા ઘાટ અને મંદિરો, આશ્રમો, ગોલ્ડન બ્રિજ, સોનેરી મહેલ, સિદ્ધરાજ જયસિંહનો કિલ્લો, ગુરુદ્વાર ચાદરસાહેબ, જૈન અને બૌદ્ધ ધર્મનાં અનેક સ્થાપત્યો આવેલાં છે. નર્મદાકિનારે અનેક ઉત્સવો-મેળા ઊજવાય છે. નર્મદા નદીની પરિક્રમા કરનારા યાત્રીઓ ભરૂચ શહેરથી પ્રારંભ કરે છે. જામા મસ્જિદ અને સ્વામિનારાયણ મંદિર પણ આવેલ છે.

ભરૂચ જિલ્લાની નજીક આવેલા નર્મદા જિલ્લામાં જોવાલાયક સ્થળોમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી, ગરુડેશ્વર, શૂલપાણેશ્વર વન્ય પ્રાણી અભયારણ્ય, રાજપીપળા, સરદાર સરોવર ડૅમ છે. જ્યારે વડોદરા જિલ્લામાં આવેલ કાયાવરણ, નારેશ્વર, ચાંદોદ, કુબેરભંડારીનું ધાર્મિક મહત્ત્વ વધુ છે જે નર્મદા નદીને કિનારે આવેલાં છે.

શિવપ્રદાસ રાજગોર

નીતિન કોઠારી