પટેલ, પન્નાલાલ નાનાલાલ (. 7 મે 1912, માંડલી, જિ. ડુંગરપુર, રાજસ્થાન; . 6 એપ્રિલ 1989, અમદાવાદ) : જ્ઞાનપીઠ પુરસ્કાર-વિજેતા. અગ્રણી ગુજરાતી નવલકથાકાર, ઉપરાંત વાર્તાકાર, નાટ્યલેખક અને સંસ્મરણાત્મક ગદ્યના લેખક. માતા હીરાબા. પિતા ધાર્મિક પુસ્તકોના વાચક ઉપરાંત કથાકાર અને કથાગાયક. બાળક પન્નાલાલે મીઠી હલકે ગાયેલા ભજનથી પ્રસન્ન થઈને ઈડરના રાજા એમની સાથે લઈ ગયા ને ત્યાંની કેસરી બોર્ડિંગમાં રહીને અભ્યાસ કરવાની સગવડ આપી.

પન્નાલાલ નાનાલાલ પટેલ

ઈડરની શાળામાં ઉમાશંકર જોશી સહાધ્યાયી. આઠમા ધોરણ પછી, આર્થિક અગવડે અભ્યાસ છોડી અમદાવાદ જઈને મિલમાં નોકરી લીધી. થોડોક વખત પછી વતન માંડલી જઈને ખેતીકામ. ત્યાંથી ફરી અમદાવાદ આવી નોકરી. એ પણ છોડીને ડુંગરપુરમાં કાપડની દુકાન. એ ન ચાલતાં, વળી અમદાવાદમાં ઇલેક્ટ્રિસિટી કંપનીમાં ઑઇલમૅન અને મીટરરીડરની નોકરી. દરમિયાન 1936માં ગુજરાતી સાહિત્ય પરિષદના અમદાવાદ-અધિવેશનમાં મુંબઈથી આવેલા ઉમાશંકરની મુલાકાત થતાં એમના પ્રોત્સાહનથી અને સુન્દરમના માર્ગદર્શનમાં સાહિત્ય-લેખનનો આરંભ. 1936માં લખેલી પહેલી વાર્તા ‘શેઠની શારદા’ મેઘાણીએ ‘ફૂલછાબ’માં પ્રગટ કરી. એ પછી ઉત્તરોત્તર વાર્તાલેખન-પ્રકાશન. તે સાથે નવલકથાલેખન પણ. એમની પહેલી નવલકથા ‘વળામણાં’ (1940) વાંચીને આકર્ષાયેલા મેઘાણીએ ‘ફૂલછાબ’ માટે નિમંત્રણ આપતાં, 22 દિવસોમાં લખેલી, ‘મળેલા જીવ’(1941)થી સર્જક તરીકે વધુ ધ્યાનપાત્ર બન્યા. એ નવલકથા પરથી ફિલ્મ બનાવવા માગતી કંપનીના નિમંત્રણથી પટકથાલેખન માટે માંડલીથી મુંબઈ. ત્યાંનાં વર્ષોમાં વધુ સાહિત્યસંપર્કો અને શહેરી જીવનની નવલકથાઓનું લેખન. ફરી વતનમાં. ત્યાં વિખ્યાત નવલકથા ‘માનવીની ભવાઈ’(1947)નું સર્જન. ક્ષયમાં સપડાતાં 1947માં મુંબઈ. 1949માં શ્રીઅરવિંદ અને માતાજીના સાન્નિધ્યમાં થોડોક વખત પુદુચેરીમાં રહ્યા. ફરી માંડલી. 1950માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ક્ષયે ઊથલો મારતાં સોનગઢની હૉસ્પિટલમાં. એ પછી 1958થી અમદાવાદમાં કાયમી નિવાસ. 1980માં સાહિત્ય-પરિષદના વડોદરા-અધિવેશનમાં સર્જન-વિભાગના પ્રમુખ. 1985માં જ્ઞાનપીઠ પુરસ્કાર.

પન્નાલાલની નવલકથાઓમાં ગ્રામજીવન એના વાસ્તવિક, સાચા રૂપમાં આલેખાતું થયું. ઉદારતાથી કુટિલતા સુધીના વિવિધ માનવભાવોને એમણે વાર્તાની સહજ ગૂંથણીમાં ઉપસાવ્યા છે. માનવસંબંધોના આલેખનમાં પ્રણયસંબંધ – એના મુગ્ધ રંગીન રૂપથી માંડીને એની દારુણ વેદના સુધીનાં રૂપોમાં એમની નવલકથાઓના કેન્દ્રસ્થાને રહ્યો છે. એમની શહેરી જીવનને આલેખતી નવલકથાઓમાં પણ કેન્દ્રીય કથાસૂત્ર પ્રેમસંબંધ રહે છે. કથાકારની કોઠાસૂઝે એમની નવલકથાઓને રસપ્રદ બનાવી છે તેમજ કળાત્મક સંકુલતા પણ આપી છે.

એમની પ્રથમ પ્રકાશિત નવલકથા ‘વળામણાં’માં, ગામનો મુત્સદ્દી મુખી વિષમ સામાજિક પરિસ્થિતિમાં મુકાયેલી એક યુવતીને શહેરમાં લઈ જઈ, વેચી દઈને કમાઈ લેવાની પેરવી કરે છે પણ ધીમે ધીમે વાત્સલ્ય જાગતાં પાછો ફરીને એનો કોયડો ઉકેલી દે છે  એવા કથાતંતુનું આલેખન રસપ્રદ કૌશલથી થયેલું છે. માનવીય સંવેદનાને ઓળખવાની ને એને પાત્રોમાં મૂર્તિમંત કરી આપવાની પન્નાલાલની કોઠાસૂઝ આ પ્રારંભિક કૃતિમાં પણ દેખાય છે.

‘મળેલા જીવ’ સાદ્યંત ઊર્મિકથા છે. પહેલી જ નજરનો ઉત્કટ ને અલ્લડ પ્રેમ પછી સામાજિક વિષમતાનાં પડળોમાં ઊંડે ઊતરતો, પ્રજળતો જાય છે ને અંતે અવશ કરુણતા આગળ આવીને અટકે છે. એવી કથા કાનજી-જીવીનાં લોકપ્રિય બનેલાં પાત્રોથી આલેખાઈ છે. એમાં ગ્રામજીવનની સામાજિકતાનું પણ એક ભાતીગળ છતાં નક્કર રૂપ ઊપસે છે. ગુજરાતી ભાષાની ઉત્કૃષ્ટ નવલકથાઓમાંની એક અને પન્નાલાલની સર્વોત્તમ ગણાયેલી નવલકથા ‘માનવીની ભવાઈ’ છપ્પનિયા દુકાળની વિષમ પરિસ્થિતિના પરિવેશમાં ખેડુસમાજની અનેકવિધ માનસિક અને સામાજિક સંબંધ-ભૂમિકાઓનું બૃહત ચિત્ર આલેખે છે. નવલકથાના મુખ્ય કથાસૂત્ર તરીકે નિરૂપાયેલી કાળુ-રાજુની પ્રેમકથા, આદર્શના આલેખનની કોઈ સભાનતા વિના જ, માનવીય પ્રેમનું એક કરુણ-ઉજ્જ્વળ દૃષ્ટાન્ત ઉપસાવે છે. એ દૃષ્ટિએ આ નવલકથા વિશ્વજનીન ભૂમિકા પર સ્થપાય છે. લોકસમાજના વિવિધરંગી ને સંકુલ આલેખનની રીતે એ નોંધપાત્ર જાનપદી નવલકથા બને છે. કાળુ-રાજુની તથા એ પછીની પેઢીની કથા ‘ભાંગ્યાના ભેરુ’ (1957) તથા ‘ઘમ્મર વલોણું’ ભાગ 1-2 (1968) નવલકથાઓમાં વિસ્તરે છે. પન્નાલાલની સર્જકતાનો સ્પર્શ એ પછીની અનેક સામાજિક અને પૌરાણિક નવલકથાઓમાં અનુભવાય છે. કથન-કૌશલ તો પન્નાલાલની હંમેશની નોંધપાત્ર વિશેષતા રહી છે.

એમની અન્ય સામાજિક નવલકથાઓમાં કથાવસ્તુની દૃષ્ટિએ ગ્રામજીવનને આલેખતી અને શહેરી જીવનને આલેખતી, એવા બે સ્પષ્ટ ભેદ પડે છે. પરંતુ એમાંની પાત્ર-પરિસ્થિતિઓ અને સમસ્યાઓ પ્રેમ અને લગ્નસંબંધોને લગતી વિશેષ છે. લગ્નપૂર્વેનો પ્રેમ, પ્રેમ એક સાથે ને લગ્ન અન્યની સાથે, કુંવારું માતૃત્વ કે વિધવાનું માતૃત્વ, પ્રેમ અને લગ્નજીવનની વચ્ચે અંતરાયરૂપ બનતાં અન્ય પાત્રો કે સામાજિક રૂઢિઓ  એવા એવા કથાઘટક-અંશો ગૂંથીને પન્નાલાલે પોતાના કથાકારકૌશલને રંજનલક્ષિતા તરફ પણ વાળ્યું છે ને સાથે સાથે જીવન-નિરીક્ષણની પોતાની સૂઝને પણ પ્રયોજી છે. એવી એમની અનેક નવલકથાઓમાં, ગ્રામજીવનને આલેખતી નવલકથાઓ પૈકી થોડેઘણે અંશે નોંધપાત્ર છે  જાનપદી પરિવેશમાં પ્રેમ અને લગ્નસંબંધની સાથે ગાંધીવાદી સત્યાગ્રહને પણ આલેખતી ‘નાછૂટકે’ (1955); ઈર્ષ્યાપ્રેરી સ્ત્રીના વૈરાગ્નિએ ઊભી કરેલી અન્યના લગ્નજીવનની ગૂંચને નિરૂપતી ‘મનખાવતાર’ (1961); નાના ભાઈની પ્રેમિકા ને વિવાહિતા સાથે મોટા ભાઈનાં લગ્ન થતાં સરજાતી સમસ્યાને આલેખતી ને ભૂતપ્રેતના તત્ત્વને સામેલ કરતી ‘કરોળિયાનું જાળું’ (1963); એક પુરુષ અને બે સ્ત્રીઓ વચ્ચેના પ્રણયત્રિકોણની વિલક્ષણતાને આલેખતી ‘મીણમાટીનાં માનવી’ (1966); એક મોભાદાર વિધવાના માતૃત્વને વ્યક્તિગત સંવેદનાના અને સામાજિક સ્થિતિના પરિવેશમાં આલેખતી, પોતાની એ જ નામની ટૂંકી વાર્તાને વિસ્તારીને લખેલી ‘કંકુ’ (1970).

શહેરી જીવનની કથાઓમાં પન્નાલાલના સઘન અનુભવ કરતાં નિરીક્ષણનું અને સર્જક-સંવેદના કરતાં રંજનલક્ષિતાનું પ્રાધાન્ય રહ્યું છે.  સૌથી પહેલાં લખેલી પણ પછી પ્રકાશિત થયેલી ‘ભીરુ સાથી’ (1943) લગ્નપૂર્વેના અન્ય પુરુષ સાથેના પ્રેમની લગ્નજીવન પર થતી અસરને આલેખે છે; ‘યૌવન’ (1944) અને ‘સુરભિ’ (1945) ફિલ્મી કથાઓને આધારે લખાયેલી મનોરંજનાત્મક નવલકથાઓ છે; ‘નવું લોહી’ (1958) વર્તમાન રાજકારણ અને અરવિંદદર્શનને પણ આલેખતી, પ્રેમના આદર્શીકૃત રૂપની ઉદ્દેશલક્ષી કથા છે; ‘પડઘા-પડછાયા’(1960)માં રાજવી પુત્ર અને ધનિક યુવતી વચ્ચેના પ્રેમની વાર્તા છે; ‘અમે બે બહેનો’ (ભાગ 1-2) (1962) બે યુવતીઓના એક પુરુષ સાથેના સૂક્ષ્મ પ્રેમસંબંધને અરવિંદદર્શનના તંતુએ આલેખે છે; ‘આંધી આષાઢની’ (ભાગ 1-2) (1964) અપ્રતીતિકર અકસ્માતોથી ચાલતી, શિક્ષિત કુંવારી માતાના જીવનની સમસ્યાને વિવિધ કથાપ્રસંગોમાં વિસ્તારે છે. આ સિવાયની, ગ્રામ અને શહેરી જીવનની પ્રેમવિષયક એમની બીજી નવલકથાઓ છે : ‘ફકીરો’ (1955), ‘વળી વતનમાં’ (1966), ‘પ્રણયનાં જૂજવાં પોત’ (1969), ‘અજવાળી રાત અમાસની’ (1971), ‘અલ્લડ છોકરી’ (1972), ‘એક અનોખી પ્રીત’ (1972), ‘એકલો’ (1973), ‘નથી પરણ્યાં, નથી કુંવારાં’ (1974) અને ‘પગેરું’ (1981).

વિષયવસ્તુ અને પ્રકારની દૃષ્ટિએ થોડીક જુદી પડતી નવલકથાઓમાં રાજ્યના વારસદાર માટેની કુટિલ નીતિઓને વિષય કરતી ‘પાછલે બારણે’ (1947), મધ્યયુગીન ઇતિહાસના વસ્તુ પર રચાયેલી ‘ગલાલસિંગ’ (1972), અરવિંદદર્શનના પ્રભાવે અધ્યાત્મકેન્દ્રી ચમત્કારોને આલેખતી ‘તાગ’ (1979), જાસૂસકથા ‘અંગારો’ (1981), ચરિત્રકથાઓ ‘પરમ વૈષ્ણવ નરસિંહ’ (1983) તથા રવિશંકર મહારાજવિષયક ‘જેણે જીવી જાણ્યું’ (1984), હાસ્ય-રમૂજની નવલકથાઓ ‘નગદનારાયણ’ (1967) અને ‘મરકટલાલ’ (1973) વગેરેને ગણાવી શકાય.

ઉત્તરકાળમાં પન્નાલાલે પૌરાણિક વિષયવસ્તુને લઈને નવલકથાઓ લખી હતી : ‘પાર્થને કહો ચડાવે બાણ’ (ભાગ 1થી 5) (1974), ‘રામે સીતાને માર્યાં જો!’ (ભાગ 1થી 4) (1976), ‘કૃષ્ણજીવનલીલા’ (ભાગ 1થી 5) (1977), ‘શિવપાર્વતી’ (ભાગ 1થી 6) (1979), ‘ભીષ્મની બાણશય્યા’ (ભાગ 1થી 3) (1980), ‘કચ-દેવયાની’ (1981), ‘દેવયાની-યયાતિ’ (ભાગ 1-2) (1982), ‘સત્યભામાનો માનુષી પ્રણય’ (1984), ‘(માનવદેહે) કામદેવ-રતિ’ (1984), ‘(મહાભારતનો પ્રથમ પ્રણય) ભીમ-હિડિમ્બા’ (1984), ‘અર્જુનનો વનવાસ કે પ્રણયપ્રવાસ’ (1984), ‘પ્રદ્યુમ્ન-પ્રભાવતી’ (1984), ‘શ્રીકૃષ્ણની આઠ પટરાણીઓ’ (1984), ‘શિખંડી  સ્ત્રી કે પુરુષ ?’ (1984), ‘રેવતીઘેલા બળદેવજી’ (1984), ‘સહદેવ  ભાનુમતીનો પ્રણય’ (1984), ‘કુબ્જા અને શ્રીકૃષ્ણ’ (1984), ‘(નરમાં નારી) ઇલ-ઇલા’ (1986), ‘(અમરલોક-મૃત્યુલોકનું સહજીવન) ઉર્વશી-પુરૂરવા’ (1986). રામાયણ, મહાભારત અને ભાગવતને આધારે લખાયેલી આ કથાઓ અને કથામાળાઓને પન્નાલાલે પોતે નવાં અર્થઘટનોને લક્ષતાં પુન:સર્જનો તરીકે પણ ઓળખાવી છે. ‘શિવ-પાર્વતી’માં તો મૂળ કથાનું અરવિંદદર્શનના અનુસંધાનમાં નવ-અર્થઘટન કર્યું છે. આમ છતાં મોટા ભાગે આ બધી કથાઓમાં પુન:કથન વિશેષ છે. પન્નાલાલની રસાળ કથનશૈલીનો એને લાભ મળ્યો છે, પણ આ બધી કૃતિઓ નવલકથાઓ કરતાં કથાઓ વધારે લાગે છે. પન્નાલાલના જાણીતા સર્જક-ઉન્મેષોનું પ્રમાણ એમાં ઓછું જણાશે.

ટૂંકી વાર્તાથી લેખન-આરંભ કરનાર પન્નાલાલ નવલકથાઓ તરફ જ વધુ ઝૂક્યા ને સર્જક તરીકે એમાં વધારે ખ્યાત થયા. જોકે એમણે પાંચ-સો જેટલી વાર્તાઓ સમાવતા વીસેક વાર્તાસંગ્રહો આપ્યા છે : ‘સુખદુખનાં સાથી’ (1940), ‘જિંદગીના ખેલ’ (1941), ‘જીવો દાંડ’ (1941), ‘લખચોરાસી’ (1944), ‘પાનેતરના રંગ’ (1946), ‘અજબ માનવી’ (1947), ‘સાચાં શમણાં’ (1949), ‘વાત્રકને કાંઠે’ (1952), ‘ઓરતા’ (1954), ‘પારેવડાં’ (1956), ‘મનના મોરલા’ (1958), ‘કડવો ઘૂંટડો’ (1958), ‘તિલોત્તમા’ (1960), ‘દિલની વાત’ (1962), ‘ધરતી-આભનાં છેટાં’ (1962), ‘ત્યાગી-અનુરાગી’ (1963), ‘દિલાસો’ (1964), ‘ચીતરેલી દીવાલો’ (1965), ‘મોરલીના મૂગા સૂર’ (1966), ‘માળો’ (1967), ‘રંગમિનારા’ (1967), ‘વટનો કટકો’ (1969), ‘અણવર’ (1970), ‘કોઈ દેશી કોઈ પરદેશી’ (1971), ‘આસમાની નજર’ (1972), ‘બિન્ની’ (1973), ‘છણકો’ (1975), ‘ઘરનું ઘર’ (1979), ‘નરાટો’ (1981). આ વાર્તાસંગ્રહોમાંથી ત્રણ વાર્તાસંપાદનો થયાં છે : ‘પન્નાલાલની શ્રેષ્ઠ વાર્તાઓ’ (1958), ‘પન્નાલાલનો વાર્તાવૈભવ’ (1963), ‘વીણેલી નવલિકાઓ’ (1973). લાંબા કથાપટ ઉપર પન્નાલાલની સર્જકતા વધુ મોકળાશથી ને વધુ અસરકારક રીતે પ્રવર્તતી રહી છે. માનવ-મનનાં સંચલનોને પકડવા-આલેખવાની કથાકાર તરીકેની સૂઝે એમની પાસેથી કેટલીક સ્મરણીય વાર્તાઓ સંપડાવી છે : ‘ઓરતા’, ‘એળે નહીં તો બેળે’, ‘કંકુ’, ‘સાચાં શમણાં’, ‘વાત્રકને કાંઠે’, ‘સાચી ગજિયાણીનું કાપડું’, ‘પીઠીનું પડીકું’, ‘મા’, ‘નૅશનલ સેવિંગ’, ‘લાડુનું જમણ’, ‘ધરતી-આભનાં છેટાં’, ‘લાઇનદોરી’, ‘તિલોત્તમા’, ‘રંગવાર્તા’ જેવી દસ-પંદર વાર્તાઓ ગુજરાતીની નોંધપાત્ર વાર્તા-કૃતિઓમાં સ્થાન પામે એવી જરૂર છે. પ્રેમ, લગ્નજીવનની મૂંઝવણો ને સમસ્યાઓ, જાનપદી પરિસ્થિતિ-વિશેષો અને વાતાવરણ, ભાષાની લાક્ષણિક રસપ્રદતા અને વ્યંજકતા  એમની નવલકથાઓની જેમ આ વાર્તાઓની વિશેષતાઓ છે. પાત્રના આંતરજગતનાં સંચલનો આલેખવાની સૂઝને લીધે પણ પન્નાલાલની કેટલીક વાર્તાઓ સવિશેષ ધ્યાનપાત્ર બનેલી છે.

નાટ્યલેખક તરીકે પન્નાલાલે એકાંકી તથા અનેકાંકી નાટકો લખ્યાં છે, કેટલાંક નાટકો રૂપાંતરિત પણ છે. ‘જમાઈરાજ’ (1952) સંગ્રહનાં પાંચ નાટકોને લેખકે એકાંકી કહ્યાં છે. એમાં પહેલી કૃતિ ‘જમાઈરાજ’ પાંચ જેટલા પ્રવેશોમાં, 100થી વધારે પૃષ્ઠોમાં વિસ્તરતી લાંબી – દીર્ઘ નાટક જેવી – કૃતિ છે; બાકીનાંમાં ત્રણ એકાંકીઓ ‘વૈતરણી’, ‘દેવદ્વારે’ તથા ‘ચિત્રગુપ્તને ચોપડે’ લગભગ એકસરખા, પારલૌકિક વિશ્વના કથાવસ્તુને આલેખે છે. એમની એ જ નામની વાર્તા પરથી કરેલું એકાંકી ‘એળે નહીં તો બેળે’ ગ્રામજીવનની એક લાક્ષણિક ઘટનાને આલેખતું રસપ્રદ નાટક છે. એ જ રીતે ‘કંકણ’ (1968), એમની ‘ફકીરો’ નામની નવલકથાનું અને ‘અલ્લડ છોકરી’ (1971) એ જ નામની નવલકથાનું નાટ્યરૂપાંતર છે. ‘ભણે નરસૈંયો’ (1977) અને ‘ઢોલિયા સાગ-સીસમના’ (1963) એમનાં ત્રિઅંકી નાટકો છે. ‘ચાંદો શે શામળો ?’ (1960) હાવર્ડ રિચાર્ડસન અને વિલિયમ બર્નીની ‘બ્લૅક ઑવ્ ધ મૂન’ નાટ્યકૃતિ પર આધારિત છે. ‘કાનન’ બર્ટોલ્ડ બ્રેખ્તના ‘એ ગુડ વુમન’નું તથા ‘સપનાનાં સાથી’ (1967) જૉન સ્ટાઇનબેકના ‘ઑવ્ માઇસ ઍન્ડ મેન’નું રૂપાંતર છે. મૂળ નાટકોની માર્મિકતા ને વ્યંજના આ કૃતિઓમાં પૂરાં ઊતર્યાં નથી. ‘સ્વપ્ન’ (1968) શ્રીઅરવિંદની એક વાર્તાનું નાટ્યરૂપ છે.

પન્નાલાલે પોતાના કિશોરજીવન સુધીની આત્મકથાનું આલેખન ‘અલપઝલપ’(1973)માં કર્યું છે. ‘જિંદગી સંજીવની’(1986)માં નવલકથા રૂપે, એમના 1948 સુધીના જીવનના કેટલાક અંશો આલેખાયા છે. એમણે થોડાં કાવ્યો પણ આપ્યાં છે.

આ ઉપરાંત ‘વાર્તાકલ્લોલિની’ ભાગ 1-2 (1972, 1973), ‘બાલકિલ્લોલ’ ભાગ 1થી 10 (1972), ‘ઋષિકુળની કથાઓ’ ભાગ 1થી 4 (1973), ‘દેવનો દીધેલ’ ભાગ 1થી 5 (1975), ‘મહાભારત કિશોરકથા’ (1976), ‘રામાયણ કિશોરકથા’ (1980), ‘શ્રીકૃષ્ણ કિશોરકથા’ (1980), ‘સત્યયુગની કથાઓ’ ભાગ 1થી 5 (1981) એમનાં બાલકિશોરસાહિત્યનાં પુસ્તકો છે; ‘પૂર્ણ યોગનું આચમન’ (1978), ‘લોકગુંજન’ (1984) એમના સંપાદનગ્રંથો છે અને ‘અલકમલક’ (1986), ‘સર્જનની સુવર્ણ સ્મરણિકા’ (1968) એમનાં પ્રકીર્ણ પુસ્તકો છે.

રમણ સોની