ગારડી, દીપચંદ
January, 2025
ગારડી, દીપચંદ (જ. 25 એપ્રિલ 1915, પડધરી, સૌરાષ્ટ્ર; અ. 6 જાન્યુઆરી 2014, મુંબઈ) : પ્રસિદ્ધ દાનવીર, અગ્રણી સમાજસેવક અને માનવતાપ્રેમી વ્યક્તિત્વના ધની. એમના પિતાનું નામ સવરાજભાઈ, માતાનું નામ કપૂરબહેન. માત્ર ચાર વર્ષ અને બે મહિનાની વયે દીપચંદભાઈએ પિતાની છત્રછાયા ગુમાવતાં ઊંડો આઘાત લાગ્યો. એ સમયે માતા કપૂરબહેનની ઉંમર માત્ર વીસ વર્ષની હતી. એમણે એકલે હાથે પરિવારનું પોષણ કર્યું. આર્થિક ભીંસ અને તંગી હોવા છતાં કપૂરબહેન કોઈને ફરિયાદ કરતાં નહીં, બલ્કે લોકોને નાનીમોટી સહાય કરતાં રહેતાં. દીપચંદભાઈ અગિયાર વર્ષના હતા, ત્યારે મૂળી ગામમાં આવેલા પોતાના કુળદેવતા માંડવરાય દાદાને પ્રાર્થના કરતા કે હું એક હજાર રૂપિયા જેટલું દાન કરી શકું એવી સ્થિતિ મને આપજે.

દીપચંદ ગારડી
દીપચંદભાઈએ પડધરીમાં પ્રાથમિક શિક્ષણ કર્યા બાદ વિશેષ અભ્યાસ માટે વાંકાનેર ગયા. 1933માં દીપચંદભાઈ મુંબઈ આવ્યા અને મહાવીર જૈન વિદ્યાલયના કાર્યનિષ્ઠ મંત્રી શ્રી મોતીચંદ કાપડિયાને મળ્યા. અહીં એમણે લોન વિદ્યાર્થી તરીકે પ્રવેશ લીધો અને આ સ્વાભિમાની યુવાને નોકરી કરતા રહીને વિદ્યાલયની લોન પરત કરી. ચિત્તમાં એક જ વાત ઘૂમતી કે મારો જન્મ લેવા માટે નહીં, પણ દેવા માટે થયો છે.
રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ કૉલેજમાંથી બી.એસસી. પસાર કર્યું. ગવર્નમેન્ટ લૉ કૉલેજમાંથી એલ.એલબી. થયા. અભ્યાસકાળ દરમિયાન એક કાયદાની ફર્મમાં પાર્ટટાઇમ જૉબ સાથે જમીનની દલાલીનું કામ કરતા હતા. ધીમે ધીમે પ્રોપર્ટી મોર્ગેજનું કામ શીખ્યા અને પછી તો આ કાર્યમાં એવા નિપુણ બન્યા કે સતત પ્રગતિ કરવા લાગ્યા.
1942માં વકીલ તરીકે બે વર્ષ પ્રૅક્ટિસ કર્યા બાદ ઇંગ્લૅન્ડ જઈને બૅરિસ્ટર-ઍટ-લૉની પદવી મેળવી. આ સમયગાળા દરમિયાન વકીલાતમાંથી જે કંઈ કમાણી થતી, તે સઘળી જમીન ખરીદીમાં રોકતા ગયા અને એમાંથી સારું એવું દ્રવ્ય ઉપાર્જન થયું. પરંતુ મનમાં એક જ વિચાર કે મોટી મોટી અદાલતોમાં કેસ લડીને મારે કમાણી કરવી નથી, પણ મળેલા શિક્ષણનો, બૅરિસ્ટરની પદવીનો અને પ્રાપ્ત સંપત્તિનો ઉપયોગ સમાજની કચડાયેલી અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને માટે કરવો છે. 49 વર્ષે જનસેવા માટે વકીલાતને તિલાંજલિ આપીને આજીવન સેવાનો માર્ગ સ્વીકાર્યો.
સાદાં કપડાં, સાદું ભોજન અને સાદું જીવન એ જ એમનો મંત્ર. એમના રૂમમાં ક્યારેય એ.સી. ન હોય, નેવું વર્ષની વય વટાવ્યા પછી પણ થાક્યા વિના લાંબા પ્રવાસો કરતા હતા. ક્રમશ: એમની પ્રવૃત્તિનો વ્યાપ કાશ્મીરથી કન્યાકુમારી અને પશ્ચિમથી પૂર્વ તરફના દેશના સમગ્ર વિસ્તારમાં ફેલાતો ગયો. એમની દાનની પ્રવૃત્તિ મુખ્યત્વે જીવદયા, સમાજસેવા અને કેળવણીના ક્ષેત્રમાં સ્પર્શતી હતી. ગાંધીજીની ટ્રસ્ટીશિપની ભાવના એમણે પોતાના જીવનમાં સાકાર કરી હતી. એમણે પાંચસો કરતાં વધુ શાળા, કૉલેજો, યુનિવર્સિટીઓ, છાત્રાલયો, ધર્મશાળાઓ, પાંજરાપોળો, જીવદયાની સંસ્થાઓ, હૉસ્પિટલો અને અનાથાશ્રમના નિર્માણમાં મુખ્ય આર્થિક સહયોગ આપ્યો.
ગુજરાત પાંજરાપોળ મહાજનના પ્રમુખ તરીકે પાંજરાપોળને પગભર કરવામાં સફળતા મેળવી. ગુજરાત પર જ્યારે જ્યારે દુષ્કાળ જેવી પ્રાકૃતિક આપદાઓ આવી છે, ત્યારે ત્યારે દીપચંદભાઈએ માનવ અને પશુધનનું રક્ષણ કરવા માટે ઉદારતાથી સખાવત કરી. આ ઉપરાંત ગૌમૂત્રનો ઉપયોગ કરી બનાવવામાં આવતી ઔષધિઓના ઉત્પાદનને તેમણે પ્રોત્સાહન આપ્યું. નિરક્ષરતા નિવારણ, દેરાસર કે દવાખાનાંઓની સ્થાપના કે તેનો વિસ્તાર જેવા કોઈ પણ સમાજઉપયોગી કાર્યો માટે તેઓ છૂટથી દાન આપતા હતા. સમગ્ર દેશમાં તેમના દાનનો પ્રવાહ વહેતો રહે તે માટે તેમણે શ્રી દીપચંદ એસ. ગારડી ચૅરિટેબલ ટ્રસ્ટ અને શ્રી દીપચંદ ગારડી રુરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટની સ્થાપના કરી. સાધનશુદ્ધિથી ધન મેળવવાના તથા સમાજસેવા માટે તે ઉદારતાથી આપવાના તેઓ આગ્રહી રહ્યા.
એમને સૌથી વધુ રુચિ જીવદયામાં. વર્ષો સુધી કીડીના દર પાસે લોટ નાખવા જતા. અભયદાનને મહાદાન માનતા દીપચંદભાઈ એમ કહેતા, ‘કતલખાને થતી પ્રાણીહત્યા મને ધ્રુજાવી નાખે છે. કોઈ આપણને ખીલી મારે તો આપણને કેવું થાય.’ આથી પ્રાણીઓને માટે એમણે અહર્નિશ ચિંતા કરી.
એક વાર સરકારે પાંજરાપોળ હસ્તકની વધારાની જમીનો જપ્ત કરવાની નીતિ અમલમાં મૂકી. એક પાંજરાપોળ પાસે મોટું બીડ હતું. એમાં એ જમીન જાય નહીં તે માટે પોતાના ખર્ચે ત્રીસેક હજાર વૃક્ષો રોપાવ્યાં, સાથોસાથ બાજરો અને જુવાર પણ વાવી દીધાં. આ બાજરો અને જુવાર બજારમાં વેચવાને બદલે પશુઓના પૌષ્ટિક ખોરાક માટે ઉપયોગમાં લીધાં. પશુઓને લીલું ઘાસ ખવડાવવાની વ્યવસ્થા ઊભી કરી. વૃક્ષોમાંથી તેલ અને ખોળ મળવા લાગ્યાં. ગૌમૂત્ર અને આયુર્વેદિક ઔષધો તૈયાર કરવાની વ્યવસ્થા કરી. અમુક રોપાઓ અને છોડવાઓ જુદા જુદા ખેડૂતો વેચાતા લઈ જવા માંડ્યા અને પોતાનાં ખેતરોમાં વાવેતર કરીને ઉત્પાદન વધારી શક્યા. વળી વાવેતરનું ઉત્પાદન વધે તે માટે પાણી જરૂરી બને, આને માટે પાતાળકૂવા તૈયાર કરવામાં મદદ આપી. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદ થયો નહીં. સરકાર દુષ્કાળ સમયનું આયોજન કરે તે પહેલાં પ્રાણીઓની સતત ચિંતા કરનારા દીપચંદભાઈ સ્વયં ઘાસચારાની વ્યવસ્થા ગોઠવી દેતા હતા.
આ બધી સેવાભાવના દર્શાવતી વખતે તેઓ એટલું જ કહેતા કે, ‘જરા વિચાર કરો કે આપણા શરીરના અવયવો સ્વાર્થી નથી હોતા, જો હૃદય સ્વાર્થી બની જઈને લોહીને ચારે બાજુ નહીં મોકલે, તો હૃદય બંધ પડી જાય. શરીરનાં દરેક અંગોને પરસ્પર પ્રત્યે પ્રેમ છે. પોતાને પ્રાપ્ત થયેલી ચીજ બીજાને આપવાની ક્રિયા જેમ શરીરમાં, તેમ સમાજમાં પણ ચાલતી રહેવી જોઈએ. પ્રાપ્ત થયેલી ચીજ પોતાની પાસે સંગ્રહી ન રાખતાં તેને વહેંચી દેવામાં જ લાભ છે.’ આવી ઉત્કૃષ્ટ હતી એમની દાનભાવના અને જીવનસાધના.
દીપચંદભાઈએ રોજના એક હજારનું દાન આપીને પ્રારંભ કર્યો, પછી એક લાખ અને ત્રણ લાખનું અને એ પછી એથીય વધુ રકમનું દાન કરતા હતા. મહારાષ્ટ્રમાં સોલાપુરમાં એક અંગ્રેજી માધ્યમની કન્યાશાળા ‘વાત્સલ્યધામ’ શરૂ કરી. એમાં રૂપજીવિની તરીકે જીવન ગુજારતી સ્ત્રીઓની પુત્રીઓને ભણાવવાની વ્યવસ્થા હતી. 330 છોકરીઓને રહેવાની, અભ્યાસની અને એમની પૂરેપૂરી સંભાળ લેવાય. વળી કેટલીક બાલિકાઓ એઇડ્ઝના રોગથી પીડાતી હતી. એમને પણ અલાયદી સઘળી સગવડ મળે. પોતે જ્યાં દાન આપે, એ કૉલેજ સાથે શરત કરે કે મારી આ દીકરીઓ માટે તમારે થોડી બેઠકો અલાયદી રાખવી.
દીપચંદભાઈના ઘરમાં જે કોઈ ઘર-ઘાટી કામ કરતા હોય, એ ઘાટીના ગામમાં કોઈ સ્કૂલની જરૂર હોય, દવાખાનાની જરૂર હોય કે કૉમ્યુનિટી હૉલની જરૂર હોય, તો તેઓ એને માટે દાન આપતા. દાન આપ્યા પછી એ સ્કૂલ, દવાખાનું કે હૉલને નામ આપવાનું થાય, તો એ ક્યારેય પોતાનું નામ ન આપે, પરંતુ પોતાના ઘરના ઘાટીનું નામ આપે. અર્જુન અને ગણપત જેવા એમના ઘરના સેવકોના નામે એમણે એમના ગામમાં નિશાળો બંધાવી હતી.
અનેક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓને એમણે કરોડોનાં દાન આપ્યાં, પણ નિયમ એવો કે ક્યારેય સંસ્થાના વહીવટમાં પડવું નહીં. વહીવટમાં પડીએ તો હોદ્દાનો અહમ્ જાગે, જ્યારે મનમાં તો એ વલણ રહેવું જોઈએ કે બધું જ કર્યું હોવા છતાં આપણે કશું કર્યું નથી ! સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે ભાવનગર યુનિવર્સિટી જેવી યુનિવર્સિટીઓને આર્થિક મુશ્કેલીમાંથી બહાર લાવ્યા અને આગવો દરજ્જો અપાવ્યો.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના પૂર્વવિદ્યાર્થી તરીકે માતૃસંસ્થાનું ઋણ ચૂકવવાની ભાવનાથી ઈ. સ. 1992માં વિદ્યાલયના પ્રમુખ તરીકેની જવાબદારી એમણે સ્વીકારી.
એમના મનમાં ગુજરાતમાં મેડિકલ કૉલેજ કરવાની ઇચ્છા હતી, પણ તે સફળ થઈ નહીં. ઉજ્જૈનમાં એકસો કરોડના ખર્ચે મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલ બંધાવી અને ત્યાં રોજના 2500 દર્દીઓને વિનામૂલ્યે સઘળી સુવિધા અને સારવાર આપવાનું આયોજન કર્યું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે સોમનાથ યુનિવર્સિટીને માતબર રકમનું દાન કર્યું. એકસો કરતાં વધુ પાંજરાપોળો અને પચાસથી વધુ છાત્રાલયોનું નિર્માણ કર્યું. આમાંથી અડધાં છાત્રાલયો તો પછાત વર્ગનાં કે આદિવાસી-વનવાસી બાળકો માટેનાં નિવાસસ્થાનો બન્યાં. શારીરિક અને માનસિક વિકલાંગો માટેની અનેક શાળાઓને એમણે મદદ કરી. હૉસ્પિટલ અને કૉમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉપરાંત કૅન્સર, હૃદયરોગ કે થેલેસેમિયા જેવા રોગોના પચીસ હજાર દર્દીઓને તેઓ આર્થિક સહાય કરતા હતા.
પૂર, વાવાઝોડું, ભૂકંપ કે દુષ્કાળ જેવી આફત આવે એટલે સહુ દીપચંદભાઈ પાસે દોડી જાય. એ પછી મચ્છુ ડૅમની હોનારત હોય કે લાતૂર કે ઓડિશાનો ભૂકંપ હોય, આવા એક ભૂકંપ સમયે એમણે 400 જેટલી શાળાઓ ઊભી કરીને વિક્રમ સર્જ્યો હતો.
દીપચંદભાઈએ અનેક ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક અને આધ્યાત્મિક સંસ્થાઓના મોવડી તરીકે મહત્ત્વની કામગીરી બજાવી હતી. જેમાં ઑલ ઇન્ડિયા જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ, ઋતુંભરા વિશ્વ વિદ્યાપીઠ (મુંબઈ), ગુજરાત મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ફેડરેશન, પી.એન.આર. સોસાયટી ફોર રિલીફ ઍન્ડ રિહેબિલિટેશન ઑવ્ ડિસેબલ્ડ (ગુજરાત), ભગવાન મહાવીર મેમોરિયલ સમિતિ (નવી દિલ્હી), શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ, અહિંસા રિસર્ચ ફાઉન્ડેશન, ચેન્નાઈ (તમિલનાડુ) જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેઓ ફાધર એગ્નેલ ટૅકનિકલ ઇન્સ્ટિટ્યૂટ, મુંબઈ; ઇન્ટરનેશનલ જૈન કૉંગ્રેસ, દિલ્હી; અહિંસા ઇન્ટરનેશન, શેઠ આણંદજી કલ્યાણજી પેઢી, હરકિસનદાસ હૉસ્પિટલ, મુંબઈ, ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ જૈનોલૉજી જેવી અનેક સંસ્થાઓની ગવર્નિંગ બૉડીના સભ્ય અથવા ટ્રસ્ટી હતા. શ્રી દીપચંદભાઈને 19 ઑગસ્ટ, 2014ના રોજ રાજીવ ગાંધી ઍવૉર્ડ મળ્યો હતો અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 12 જાન્યુઆરી, 2005ના રોજ ગુજરાત ગરિમા ઍવૉર્ડ, ઉપરાષ્ટ્રપતિ શ્રી ભૈરવસિંહ શેખાવતની ઉપસ્થિતિમાં પ્રાપ્ત થયો હતો. માનવતાપ્રેમી સેવાભાવી, વર્તમાન યુગના ભામાશા, સંસ્થાઓના સર્જક અને એને આત્મનિર્ભર બનાવવાની સૂઝ ધરાવનાર દીર્ઘદ્રષ્ટા દીપચંદભાઈ ગારડીનું ૯૯મા વર્ષે અવસાન થયું.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે
કુમારપાળ દેસાઈ