ચિટનીસ, એકનાથ વસંત

June, 2025

ચિટનીસ, એકનાથ વસંત (. 25 જુલાઈ 1925, કોલ્હાપુર–મહારાષ્ટ્ર;) : અંતરિક્ષક્ષેત્રે સંશોધક વિજ્ઞાની તેમજ અનેકવિધ ભારતીય રાષ્ટ્રીય પ્રકલ્પો અને સંસ્થાઓને ગતિશીલ ઊર્જા પ્રદાન કરનાર સર્જનશીલ વ્યવસ્થાપક.

એકનાથ વસંત ચિટનીસ

તેમના પિતાશ્રી વસંત ચિટનીસ પુણેની સૈન્યછાવણીમાં ડૉક્ટર તરીકે ફરજ બજાવતા હોવાથી તેમનો ઉછેર પુણેમાં થયો. નાનપણમાં જ તેમણે માતુશ્રી માલતીતાઈનું છત્ર ગુમાવ્યું અને દાદીમા લક્ષ્મીતાઈની નિશ્રામાં તેમનો ઉછેર થયો. આ સમયે આખો દેશ આઝાદી મેળવવા માટે ઝઝૂમતો હતો. આઝાદી અને દેશપ્રેમનું શિક્ષણ તેમને પિતા તરફથી મળ્યું. તેમનું શાળેય શિક્ષણ તેમજ કૉલેજ શિક્ષણ સાંસ્કૃતિક નગર પુણે ખાતે થયું. પહેલાં રસાયણશાસ્ત્ર અને પછી ભૌતિકશાસ્ત્રમાં પદવી મેળવીને રેડિયોસંચારક્ષેત્રે અભ્યાસક્ર્મ પૂર્ણ કર્યો. એકનાથ ચિટનીસે ઇલેક્ટ્રૉનિક્સ વિષયમાં પણ  અનુસ્નાતક પદવી મેળવી. ત્યારબાદ ડૉ. વિક્રમ સારાભાઈ સ્થાપિત ભૌતિકીય સંશોધન પ્રયોગશાળા – અમદાવાદ ખાતે સંશોધનનો પ્રારંભ કર્યો. પ્રો. ચિટનીસે 1950-60ના દશક દરમિયાન બ્રહ્માંડ કિરણો (Cosmic Rays) અંગે સંશોધન કર્યું અને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. આ દરમિયાન તામિલનાડુના કોડાઈકેનાલ ખાતે કરવામાં આવેલો વરસાદ અંગેનો વિશેષ અભ્યાસનો પણ તેમાં સમાવેશ થાય છે. ત્યારબાદ ત્રણ વર્ષ અમેરિકાની MIT (મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજી) ખાતે સંશોધન કાર્યમાં વ્યસ્ત રહ્યા. 1960-70ના દશકામાં તેઓએ  અંતરિક્ષ સંશોધન અને ક્ષ-કિરણો વિષય પર સંશોધનમાં  ધ્યાન કેન્દ્રિત કર્યું. આ માટે તેમણે સાઉંડિંગ રૉકેટ પરનાં ઉપકરણોનો ઉપયોગ કર્યો હતો.

1962માં ભારત સરકારે અંતરિક્ષ સંશોધન માટે ડૉ. વિક્રમ સારાભાઈની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સમિતિનું (INCOSPAR)  ગઠન કર્યું. પ્રો. ચિટનીસ આ સમિતિના સદસ્ય-સચિવ હતા. 1969માં આ સમિતિનું ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઇસરો) તરીકે રૂપાંતર કરવામાં આવ્યું. આમ ભારતીય અંતરિક્ષ સંશોધન કાર્યક્ર્મમાં તેઓ શરૂઆતથી જ સહભાગી રહ્યા. અંતરિક્ષ વિષયે આંતરરાષ્ટ્રીય શિખર પરિષદમાં ભારતનું યશસ્વી પ્રતિનિધિત્વ પ્રો. ચિટનીસે  કર્યું હતું. ડૉ. એ પી જે અબ્દુલ કલામને ભારતીય અંતરિક્ષ કાર્યક્રમમાં સામેલ કરીને  નાસા પ્રશિક્ષણ માટે મોકલવાની ભલામણ પણ તેમણે જ કરી હતી. આ તેમની દીર્ઘદૃષ્ટિનો પરિચય આપે છે. થુમ્બા – કેરળ અને શ્રીહરિકોટા – આંધ્રપ્રદેશ ખાતે પ્રો. ચિટનીસના અભ્યાસના ફળરૂપે અનુક્રમે ઇક્વેટોરિયલ રૉકેટ (સાઉંડિંગ રૉકેટ) (TERLS) અને ઉપગ્રહ પ્રક્ષેપણયાન (SDSC) માટે પ્રક્ષેપણસ્થળો  નક્કી કરવામાં આવ્યાં.

ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થાના અમદાવાદ ખાતેના અંતરિક્ષ ઉપયોગ કેન્દ્રના સંચાલનમાં પ્રો. ઈ. વી.  ચીટનીસે નોંધપાત્ર યોગદાન આપ્યું તેમજ તેના નિદેશક રૂપે 1981થી 1985 દરમિયાન તેની ધુરા સંભાળી. આ પદ પરથી સેવાનિવૃત્ત થયા પછી બે વર્ષ સુધી તેમણે સલાહકાર તરીકે કેન્દ્રને વિશેષ સેવા આપી.  ખેતી, હવામાન, આરોગ્ય, શિક્ષણ, દૂરસંચાર, મનોરંજન જેવાં વિવિધ ક્ષેત્રોએ અંતરિક્ષ ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરવા માટે 1970ના દશકમાં નાસાના સહકારથી ઇસરોએ ‘સાઇટ’ (Satellite Instructional Television Experiment) નામનો બહુ ઉપયોગી પ્રકલ્પ હાથ ધર્યો. આ મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પની ડિઝાઇનમાં અને તેના અમલમાં પ્રો. ચિટનીસનું ચાવીરૂપ યોગદાન રહ્યું છે. આ પ્રકલ્પ અંતર્ગત 1975-76 દરમિયાન દેશનાં વિવિધ રાજ્યોમાં 2900 અને ગુજરાતના ખેડા જિલ્લામાં ટેલિવિઝન કાર્યક્રમ એક જ સમયે દર્શાવવામાં આવ્યા હતા. ટેલિવિઝન કાર્યક્ર્મ ફક્ત મનોરંજનનું માધ્યમ ન રહેતાં આ માધ્યમનો  રાષ્ટ્રીય સ્તરે સર્વાંગી ઉપયોગ સિદ્ધ કરવામાં તેમનું યોગદાન વિશેષ ઉલ્લેખનીય છે. અંતરિક્ષક્ષેત્રે અત્યંત યશસ્વી એવા  ‘ઇન્સેટ’ ઉપગ્રહશ્રેણી પ્રકલ્પની સંરચનામાં પણ તેમનું નોંધનીય યોગદાન રહ્યું છે. દૂરદર્શનના ‘કન્ટ્રીવાઇડ ક્લાસરૂમ’ જેવા શૈક્ષણિક કાર્યક્રમના અમલમાં પ્રો. ચિટનીસનો સિંહફાળો હતો તેમજ દૂરદર્શનના શૈક્ષણિક કાર્યક્રમના સંયોજનમાં તેમણે પથદર્શન કર્યું. શિક્ષણ તેમજ અન્ય ક્ષેત્રોમાં અંતરિક્ષ ટૅક્નૉલૉજીના ઉપયોગ અંગે તેઓની દૃષ્ટિ ઐતિહાસિક અને નોંધપાત્ર રહી. રાષ્ટ્રીય ભૌતિકશાસ્ત્ર પ્રયોગશાળા, રાષ્ટ્રીય સમુદ્રવિજ્ઞાન સંસ્થા જેવી રાષ્ટ્રીય સ્તરની વિજ્ઞાન સંશોધન સંસ્થાઓથી  માંડીને  ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિદ્યાપીઠ, યશવંતરાવ ચવાણ મુક્ત વિદ્યાપીઠ, ભારતીય ચિત્રપટ અને દૂરદર્શન સંસ્થા જેવી ગુણવત્તાસભર શૈક્ષણિક સંસ્થાઓની વ્યવસ્થાપન સમિતિમાં એમણે પાયાનું કામ કર્યું છે. ઇસરોમાંથી સેવાનિવૃત્તિ પછી અનેક વર્ષો સુધી સાવિત્રીબાઈ ફુલે પુણે વિદ્યાપીઠના વ્યવસ્થાપન, પત્રકારત્વ, માસ કૉમ્યુનિકેશન જેવા વિવિધ વિષયોના અભ્યાસક્રમ નિર્માણ અને તેના અમલીકરણમાં પ્રો. ચિટનીસનું  સક્રિય માર્ગદર્શન – અધ્યાપન પણ રહ્યું. 2008માં તેઓ પ્રતિષ્ઠિત સંસ્થા પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે સર્વાનુમતે પસંદ થયા હતા.

વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી ક્ષેત્રે મૌલિક યોગદાન બદલ 1985ના વર્ષમાં ભારત સરકારે પ્રો.ચીટનીસને ભારતનો ત્રીજા ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘પદ્મભૂષણ’ અર્પણ કરીને તેમનું ગૌરવ વધાર્યું. વિજ્ઞાન અને સમાજના અન્યોન્ય સંબંધ પર આધારિત કાર્ય બદલ 2016માં વિદ્યાપીઠ અનુદાન આયોગ – હરિ ઓમ્ આશ્રમ પ્રેરિત વરિષ્ઠ વિજ્ઞાની વિશેષ પારિતોષિકથી તેમને નવાજવામાં આવ્યા. અંતરિક્ષક્ષેત્રે સંશોધકવિજ્ઞાની તેમજ અનેકવિધ ભારતીય રાષ્ટ્રીય પ્રકલ્પો અને સંસ્થાઓને ગતિશીલ ઊર્જા પ્રદાન કરનાર સર્જનશીલ વ્યવસ્થાપક પ્રો. ઈ. વી. ચિટનીસનું સન્માન 2025માં સાવિત્રીબાઈ ફુલે પુણે વિદ્યાપીઠ તરફથી જીવન સાધના ગૌરવ પુરસ્કાર અર્પણ કરીને કરવામાં આવ્યું. આ ઉપરાંત ફાય ફાઉન્ડેશનનું સન્માન, ઍસ્ટ્રૉનૉમિકલ સોસાયટી ઑફ ઇન્ડિયાનું આર્યભટ પારિતોષિક, દૂરસંપર્ક ક્ષેત્રે અસામાન્ય કામગીરી બદલ ભારતીય અંતરિક્ષ સંસ્થાના વિશેષ પદક જેવાં અનેક સન્માનોથી તેમને બિરદાવ્યા છે.

વરિષ્ઠ વિજ્ઞાની પ્રો. એકનાથ ચિટનીસના સુપુત્ર ડૉ. ચેતન ચિટનીસ પણ વિજ્ઞાન સંશોધન ક્ષેત્રે રમમાણ છે. મલેરિયા અંગેના તેમના સંશોધન માટે ભારત સરકાર તરફથી 2025માં તેમને  ‘પદ્મશ્રી’ સન્માનથી નવાજવામાં આવ્યા છે.

  ચિંતન ભટ્ટ