અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે.

ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´  પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે 38,000 ચો.કિમી. છે. આ પ્રદેશની ઉત્તરે ચીનહસ્તક રહેલો ચીનનો સ્વાયત્ત પ્રદેશ, પૂર્વે પણ ચીનના શીનજેંગ ઉઇગર (xinjiang Uyghur) સ્વાયત્ત પ્રદેશ, જ્યારે પશ્ચિમે અને દક્ષિણે ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ આવેલો છે.

1947 પહેલાનું લદ્દાખ                 જમ્મુ-કાશ્મીર – પાકિસ્તાન હસ્તક કાશ્મીર અને ચીન હસ્તક અક્સાઈ ચીન

ભૂપૃષ્ઠ : આ પ્રદેશ સમુદ્રસપાટીથી આશરે 5,180 મીટર ઊંચાઈએ આવેલો છે. તિબેટના ઉચ્ચપ્રદેશમાં આવેલો પ્રદેશ જે સંપૂર્ણ વસ્તીવિહીન સમતળ ક્ષારીય રણ છે. આ સમતળ પ્રદેશની પશ્ચિમે અને નૈર્ઋત્યે કારાકોરમ પર્વતીય હારમાળા, ઉત્તરે અને વાયવ્યે કુનલુન પર્વતની હારમાળાની તળેટીનો ભાગ ખૂબ જ ઊબડખાબડવાળો છે. જ્યારે પૂર્વે નાનાં નાનાં ખારા પાણીનાં સરોવરો આવેલાં છે. જેના માટે તેનાં આંતરિક ઝરણાંઓની રચના જવાબદાર છે. અહીં આવેલી કુનલુન હારમાળાને ઓળંગવાનો કોઈ રસ્તો જ નથી. આ વિસ્તારમાં ફક્ત કુદરતનું જ પ્રભુત્વ છે. એક ઊબડખાબડવાળો માર્ગ આવેલો છે જેને ઓળંગવો દુષ્કર છે તે માર્ગ ‘હિંદુટસા ઘાટ’ તરીકે ઓળખાય છે. આ વિસ્તારમાં અનેક ઝરણાંઓ દ્વારા નીચાં મેદાનો રચાયેલાં છે. આ નીચાં મેદાનોમાં પંકભૂમિ અથવા નાનાં સરોવરો રચાયેલાં છે. જેનું પાણી ખારું હોય છે આથી તે ‘Soda Lakes’ તરીકે પણ ઓળખાય છે. આ વિસ્તારમાં આવેલું મોટું ક્ષારીય સરોવર Surigh Yilganing Kol, Tso Tang, Aksai Chin Lake, Hongshan Lake વગેરે. અકસાઈ ચીનના વધુ ઉત્તર તરફ Soda plains એટલે કે ક્ષારીય સમતળ પ્રદેશ આવેલો છે. જે અકસાઈ ચીનની મોટી નદી કાશ્ગર(Kashgar) પાસે છે. કુનલુનની હિમનદીઓ પીગળતાં કાશ્ગર નદીમાં પાણી વહેતું રહે છે.

સોડા લેક

કુનલુન પર્વત

હિંદુટસા ઘાટ

Soda plains (સોડા – સમતળ પ્રદેશ

અકસાઈ ચીનના પશ્ચિમ ભાગમાં મુખ્ય નદી તારિમ નદી (Tarim River) છે. આ ભાગમાં બાષ્પીભવનની પ્રક્રિયા ખૂબ ઓછી થાય છે. મોસમી પવનોના માર્ગમાં અવરોધરૂપ બનતી હિમાલય અને કારાકોરમ પર્વતીય હારમાળાઓને કારણે અહીં વરસાદ પડે છે. ભારત અને ચીન વચ્ચે કાશ્મીરના વિવાદ માટે આ કારાકોરમ પર્વતીય હારમાળાનો ફાંટો મહત્ત્વનો છે.

કારાકાશ નદી

તારિમ નદી

કારાકોરમ પર્વતીય હારમાળા

આબોહવા : અહીંની આબોહવા ઠંડી અને સૂકી છે. અહીં વરસાદ નહીંવત્ કે બિલકુલ પડતો જ નથી. ઉનાળાના જુલાઈ અને ઑગસ્ટ માસમાં ગરમી અનુભવાય છે. આ પ્રદેશની ઊંચાઈ, શુષ્કતા, અલિપ્તતા અને વસ્તીવિહીન જે તેની લાક્ષણિકતા છે. આ પ્રદેશ ઉજ્જડ અને મોટે ભાગે વસ્તીવિહીન છે. અકસાઈ ચીનના પૂર્વના ભાગમાં આંતરિક નાનાં ઝરણાંઓને કારણે નાનાં નાનાં ખારા પાણીનાં સરોવરો રચાય છે.

આ પ્રદેશ અતિશય ઠંડો છે. સરેરાશ તાપમાન આશરે 14 સે. રહે છે. શિયાળો અતિશય ઠંડો અને સતત ઠંડા પવન ફૂંકાતા રહેતા હોવાથી આ વિસ્તારમાં કોઈ વસાહત જોવા મળતી નથી. શિયાળામાં તાપમાન 0 કરતા પણ નીચું ચાલ્યું જાય છે. ઉનાળો પ્રમાણમાં હૂંફાળો રહે છે. રાત્રે તાપમાન સામાન્ય કરતાં નીચું રહે છે. આ પ્રદેશમાં ફક્ત ઉનાળામાં નહીંવત્ વરસાદ પડતો હોવાથી પ્રદેશ શુષ્ક જોવા મળે છે.

યારેટા વનસ્પતિ

આ પ્રદેશની ભૂમિ ક્ષારીય સમતળ છે. કેટલીક જગ્યાએ રેતીના ઢૂવા જોવા મળે છે અને વાતાવરણમાં ભેજ નહીંવત્ હોવાથી વનસ્પતિની શક્યતાઓ નથી. અહીં ‘યારેટા’ (yareta) એટલે કે મખમલી જેવી વનસ્પતિ ઊગી નીકળે છે. આ પ્રદેશના દક્ષિણ ભાગમાં ટૂંકું ઘાસ ઊગી નીકળે છે. અહીંના ઠંડા રણપ્રદેશમાં કોઈક જગ્યાએ તિબેટિયન ચિરુ અને જંગલી યાક, મસ્ક હરણ, ઘૂડખર (Kiang) હોય છે.

ઘૂડખર (Kiang)

જંગલી યાક

અર્થતંત્ર : આ પ્રદેશ ભારત અને ચીન વચ્ચેનો વિવાદાસ્પદ હોવા છતાં ચીનનું પ્રભુત્વ હોવાથી તે આ ક્ષારીય ભૂમિ ઉપર ચીન સંશોધન અને શોધખોળ કરે છે. આ પ્રદેશમાં ખેતી શક્ય નથી, આથી ચીને ખનનપ્રવૃત્તિને પ્રોત્સાહન આપ્યું છે. આ પ્રદેશમાં વિપુલ પ્રમાણમાં ખનિજ સંપત્તિ ભંડારાયેલી છે. ખાસ કરીને સીસું, જસત. અહીં આવેલ હુઓસહાયોન (Huoshaoyun) પર્વતીય હારમાળામાં સીસું અને જસતની ખાણ મહત્ત્વની છે. 2010માં ચીને ભૂસ્તરીય સર્વે કરીને નોંધ લીધી હતી કે એશિયામાં સીસું અને જસતનો વિપુલ ભંડાર અહીં સંગ્રહાયેલો છે. આ ખનિજનો જથ્થો આશરે 18.87 મિલિયન ટન હોવાનો અંદાજ છે. આ પર્વતીય ક્ષેત્રમાં અન્ય ખનીજ મેળવવા 2017માં ઘનિષ્ટ સંશોધન શરૂ કર્યું હતું. આ પ્રદેશનો વિકાસ કરવા ચીને પાકા રસ્તાઓ નિર્માણ કરવા માંડ્યા છે. 1950માં ભારતે આ વિસ્તારમાં મીઠાની ખાણ માટે સંશોધનનો પ્રારંભ કર્યો હતો.

ધોરીમાર્ગ નં. G695

પરિવહન : આ શુષ્ક, ઠંડા અને વસ્તીવિહીન પ્રદેશમાં ખનીજસંપત્તિને લક્ષમાં રાખીને ચીને તિબેટ અને શીનજેંગ (Xinjiang)પ્રદેશને સાંકળતો ચીનના રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 219 નિર્માણ કર્યો છે. આ બંને પ્રદેશો વચ્ચે રેલમાર્ગ નાંખવાનો પ્રારંભ કર્યો છે. આ સિવાય  અહીં બીજો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 695નું નિર્માણ કાર્ય શરૂ કર્યું છે.

વસ્તી : આ પ્રદેશની ઊંચાઈ, વિષમ આબોહવા, શુષ્ક પ્રદેશ, ક્ષારીય ભૂમિ, વરસાદ વિહીન પરિસ્થિતિને કારણે અહીં વસ્તી નહીંવત્ હોવાનું મનાય છે.  ઈ. સ. 1860ના સમયગાળામાં વણજારા લોકો અથવા યાત્રાળુઓ આ માર્ગે પ્રવાસ કરતા હતા. તે સમયે અહીં કાયમી વસાહત ન હતી, પરંતુ વર્તમાન સમયમાં ચીન દ્વારા ખનીજ મેળવવા માટે હંગામી વસાહતો ઊભી કરાઈ છે, પરંતુ વસ્તીનો ચોક્કસ આંકડો ઉપલબ્ધ નથી.

ઇતિહાસ : અકસાઈ ચીનનો સૌપ્રથમ ઉલ્લેખ મુહમ્મદ અમીને (Muhammad Amin) કર્યો હતો. 1854માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા મધ્ય એશિયાના સંશોધન માટે યારકાન્ડી (Yarkandi) શહેરના માર્ગદર્શક માટે શેલાન્ગીનવેટ ભાઈઓ(Schlagintwet Brothers)ને નિયુક્ત કર્યા હતા. અમીને સૌપ્રથમ વાર અકસાઈ ચીનનો અર્થ જણાવ્યો હતો કે ‘વિશાળ સફેદ રેતીનું રણ’ (The Great White Sand Desert) પરંતુ ભાષાશાસ્ત્રી જ્યોર્જ વાન ડ્રાઇમે (Geouge Van Driem) જણાવ્યું હતું કે અકસાઈ ચૉલ જેનો અર્થ ‘સફેદ રણનું કોતર’ (White Ravine desert) અથવા ‘સફેદ રણની ખીણ કે બખોલ’ (White Coomb Desert) થાય છે. એ જ રીતે ‘સફેદ પથ્થરનું રણ’ (White Stone Desert) પણ થાય છે. Chol – ચૉલ એટલે રણ થાય છે. અંગ્રેજીમાં Chin તરીકે ઉલ્લેખ થયો છે, જ્યારે યારકાન્ડી ઉયગર ભાષામાં  Aksaiનો અર્થ પૂર્વ થાય છે. કેટલાક લોકોએ તેનો ઘાટ (Pass) તરીકે પણ ઉલ્લેખ કર્યો છે. 1895માં બ્રિટિશ રાજદૂતે કાશ્ગર (Kashgar) શહેર વિશે ચીનના તાઓટાઇને કહ્યું હતું કે અકસાઈ ચીન એ ન સમજી શકાય એવી ઊંચાઈએ આવેલી સમતળ ભૂમિ છે. (Loose name for an ill defined elevated tableland).

બ્રિટિશરોએ સર્વે ઑફ ઇન્ડિયા દ્વારા 1888માં કાશ્મીરની સીમાના સંદર્ભમાં નકશો તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ આ નકશામાં માલુબીટીંગ, રસકામ, અકટાઘ અને કારાકાશ નદીના સંદર્ભમાં કોઈ ચોક્કસ સીમા નક્કી થઈ શકી ન હતી. આ વિસ્તાર 5000 મીટર ઊંચાઈ ધરાવતો હોવાથી એવું માનવામાં આવ્યું હતું કે અહીં માનવી વસવાટ કરશે નહીં એટલે તે સમયે તેનું મહત્ત્વ ઓછું આંકવામાં આવ્યું હતું. આજે તો લશ્કરી દૃષ્ટિએ તેનું વ્યૂહાત્મક મહત્ત્વ વધી ગયું છે. તારિમ બેસિન(Tarim Basin)થી તિબેટ સુધી માર્ગ નિર્માણ કરાયો હોવાથી વાહનોની અવરજવર વધી ગઈ છે.

તે સમયે લદ્દાખના પ્રદેશ ઉપર શીખ રાજા ગુલાબ સિંગે 1842માં પ્રભુત્વ મેળવ્યું હતું. 1846માં બ્રિટિશરોએ આ વિસ્તાર જીતી લીધો અને તેને જમ્મુ-કાશ્મીર સાથે ભેળવી દીધો હતો. બ્રિટિશ અધિકારી એલેક્ઝાન્ડર કનીગહામે જમ્મુ-કાશ્મીર લદ્દાખની સીમા નિર્ધારિત કરવા ચીન અને તિબેટના અધિકારીઓને આમંત્રિત કર્યા હતા, પરંતુ તેઓએ કોઈ રસ દાખવ્યો ન હતો. બ્રિટિશ અધિકારી વિલિયમ જ્હોન્સને 1865માં  પુનઃ તિબેટ, ભારત અને ચીન વચ્ચે સીમા નિર્ધારિત કરવા પ્રયત્ન કર્યો હતો. નકશામાં જે રેખા દર્શાવાઈ હતી તે ‘જ્હોન્સન લાઇન’ તરીકે ઓળખાઈ હતી. તે વખતે ચીનના શીનજેંગ (Xinjing) વિસ્તાર પર કોઈનું પ્રભુત્વ ન હતું. આ રેખાની સમજૂતી કાશ્મીરના મહારાજાને આપી હતી. 1878ના ગાળામાં ચીને શીનજેંગ (Xinjing) પર પ્રભુત્વ સ્થાપ્યું હતું. 1897ના ગાળામાં બ્રિટિશ લશ્કરી અધિકારી સર જ્હોન આર્ડાઘે (Sir John Ardagh) સીમા સંદર્ભ માટે પુનઃ પ્રયત્ન કર્યો હતો. આ સુધારાવધારા સાથે રજૂ કરાયેલી સીમારેખા ‘જ્હોન્સન–આર્ડાઘ રેખા’ (Johonson–Ardagh Line) તરીકે ઓળખાઈ હતી. બ્રિટિશ સરકાર તરફથી જે સીમારેખા સુધારાવધારા સાથે રજૂ કરાઈ હતી તે મેકાર્ટની – મૅકડોનાલ્ડ રેખા (Macartney–MacDonald Line) તરીકે જાણીતી બની હતી. આ સીમારેખા માટે પણ ચીને વિરોધ દર્શાવ્યો હતો. ત્યારબાદ બ્રિટિશ ઇન્ડિયાના મુખ્ય અધિકારી હૅનરી મેકમેહોને (Henry McMahon) સીમાંકન માટે સીમલા ખાતે કૉન્ફરન્સ ગોઠવી હતી. આ સમજૂતી તિબેટ અને બ્રિટન (ભારત) વચ્ચે થઈ હતી. જે મેકમેહોન રેખા તરીકે ઓળખાઈ હતી. 1908 સુધી જ્હોન્સન-આર્ડાઘ અને મેકાર્ટની – મેકડોનાલ્ડ રેખાઓનો ઉપયોગ બ્રિટિશ નકશામાં થયો હતો. 1911માં શીનહે (xinhay) ચળવળ પડી ભાંગતાં ચીનનું પ્રભુત્વ પ્રથમ વિશ્વયુદ્ધના અંત સુધી ઘટી ગયું હતું. બ્રિટિશ અધિકારીઓ નકશાઓમાં જ્હોન્સન રેખાને આધાર માનતા હતા. પરંતુ તેઓ જે તે પ્રદેશની પરિસ્થિતિથી અજાણ હતા. નકશામાં જ્હોન્સન રેખા કારાકોરમની દક્ષિણે દર્શાવાઈ હતી. બ્રિટિશ સરકારે નકશામાં નવા ફેરફારોની નોંધ લીધી ન હતી. 1911 પછી ચીનીની રાજકીય પરિસ્થિતિ બદલાતી જતી હતી. 1917માં પ્રજાસત્તાક ચીને જ્હોન્સન લાઇનનો આધાર લઈને તેમના પ્રગટ થયેલા નકશાઓમાં ‘અકસાઈ ચીન’ને પોતાનો હોવાનો દાવો રજૂ કર્યો હતો. આ અકસાઈ ચીનના સંદર્ભમાં ચીનની સરકારે ‘Postal Atlas of China’માં કુનલુન પર્વતીય હારમાળાને પોતાના વિસ્તારમાં દર્શાવેલી હતી. 1940–41ના ગાળામાં બ્રિટિશ અધિકારીઓએ આ સંદર્ભમાં ચીનની સરકાર કે તિબેટિયન સરકાર સાથે કોઈ ચર્ચા કરી ન હતી. ભારત સ્વતંત્ર થયા પછી પણ આ સીમા વિશે કોઈ સીમાંકન થયું ન હતું. ભારત સ્વતંત્ર થયા પછી પણ અક્સાઈ ચીનના પશ્ચિમ વિભાગની સીમા માટે જ્હોન્સન રેખાને લક્ષમાં રાખી હતી. જેમાં અકસાઈ ચીનનો સમાવેશ ભારતમાં કર્યો હતો. ભારતે પોતાના વિસ્તારનો દાવો કારાકોરમ ઘાટ, કારાકોરમ પર્વતીય હારમાળા અને અકસાઈ ચીનના ક્ષારીય સપાટ પ્રદેશ સુધી તેમજ કુનલુન પર્વતો અને કારકાશ નદી અને યારકાન્ડા નદીના જળવિભાજકનો પણ સમાવેશ કર્યો હતો. 1954માં ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ભારતના બધા જ સીમાવર્તી વિસ્તારોના નકશા તૈયાર કરવા જણાવ્યું હતું જેમાં સીમાંકન થયા ન હતા તેવા અકસાઈ ચીનના વિસ્તારની છણાવટ કરવા જણાવ્યું હતું. પંરતુ 1950માં ચીને આ વસ્તીવિહિન અને શુષ્ક પ્રદેશમાં 1200 કિમી. લાંબા રસ્તાનું નિર્માણ કર્યું હતું જે શીનજેંગ (Xinjiang) અને પશ્ચિમ તિબેટને સાંકળતો હતો. આ માર્ગમાં 179 કિમી. લાંબા રસ્તા માટે ભારતે પોતાનો દાવો કર્યો હતો કે જે ભારતના અકસાઈ ચીન (લદ્દાખ)માંથી પસાર થતો હતો. ચીનને આ માર્ગ દ્વારા કારાકોરમ સુધી જવા સરળ પડતું હતું. પરંતુ તે સમયે રસ્તા નિર્માણ કરવા ભારત માટે દુષ્કર હતું. 1957 સુધી ભારતે આ સંદર્ભમાં કંઈ વિચાર્યું જ ન હતું. આની ગંભીરતા જણાતાં ભારતે તેનો વિરોધ કરતાં 1962મા ચીન-ભારત (Sino–Indian) યુદ્ધ થયું હતું. વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ જણાવ્યું હતું કે સૈકાઓથી અક્સાઈ ચીન જે ભારતના લદ્દાખ પ્રદેશનો જ ભાગ છે. માટે અહીં કોઈ પોતાનો હક્ક ઊભો કરી શકે નહીં.

જ્હોન્સન–આર્ડાઘ રેખા’

બ્રિટિશ ઇન્ડિયાના મુખ્ય અધિકારી હૅનરી મેકમેહોને (Henry McMohan)

તે સમયે ચીનના વડાપ્રધાન ઝહોઉ અન્લાઈએ (Zhou Enlai) દલીલ કરી હતી કે પશ્ચિમની સીમાનું મકારટની-મેકડોનાલ્ડ રેખા (Macartney – McDonald Line) નિર્ધારિત કરતી વખતે અમને તેની જાણ કરાઈ જ નથી. એટલે અક્સાઈ ચીનનો વિસ્તાર અમારો જ છે. 2000માં સૌપ્રથમ વાર ‘Google Earth’ સેટેલાઇટ ફોટા દ્વારા જાણવા મળ્યું હતું કે પૂર્વ અકસાઈ ચીન અને તિબેટ પાસે હુન્ગીયાંગટાન (Hungyangtan) શહેરનું નિર્માણ કર્યું છે. જ્યાં સંદેશાવ્યવહારને લગતા ટાવર, લાલ છાપરાવાળી વસાહત અને આછા લીલા રંગની ટ્રકો જોવા મળી હતી. ત્યાં લશ્કરીમથકો પણ ઊભાં કરેલાં જોવા મળ્યાં હતાં. આમ તે સમયે ભારતની જાગૃતિના અભાવને કારણે આજે અકસાઈ ચીનનો વિસ્તાર ચીન હસ્તક રહ્યો છે.

મેકમેહોન રેખા

અકસાઈ ચીન પાસેના પેગોંગ સરોવર (ભારતની સીમા) પાસે બંને દેશના સૈનિકો વચ્ચે 2017, 2019, 2020નાં વર્ષોમાં નાનીમોટી અથડામણ થઈ હતી. આ અથડામણમાં કોઈ સૈનિક મૃત્યુ પામ્યો હોય તેવી નોંધ લેવાઈ નથી.

નીતિન કોઠારી