અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને ‘સિદ્ધિવિનિશ્ર્ચય’. તેના ઉપર તેમણે પોતે જ ટીકાઓ લખી છે. વળી તેમણે ઉમાસ્વાતિના ‘તત્ત્વાર્થસૂત્ર’ ઉપર ‘રાજવાર્તિક’ નામની અને આચાર્ય સમન્તભદ્રની ‘આપ્તમીમાંસા’ ઉપર ‘અષ્ટશતી’ નામની ટીકા લખી છે. તેમના આ બધા ગ્રંથો પ્રકાશિત છે. તેમના ગ્રંથોમાં ખાસ તો બૌદ્ધ ધર્મકીર્તિનું તીવ્ર અને તીક્ષ્ણ ખંડન છે.

નગીનભાઈ જીવણલાલ શાહ