માંડવી (તાલુકો) સૂરત : ગુજરાત રાજ્યના સૂરત જિલ્લાનો તાલુકો અને તાલુકામથક.
ભૌગોલિક સ્થાન : તે 21 15´ ઉ. અ. અને 73 15´ પૂ. રે. ની આજુબાજુ આવેલ છે. સમુદ્રસપાટીથી આશરે 50 મીટર ઊંચાઈએ આવેલો છે. તાલુકામથકથી સમુદ્રકિનારો આશરે 113 કિમી. દૂર છે. આ તાલુકાનું ક્ષેત્રફળ આશરે 763 ચો.કિમી. છે. આ તાલુકાની ઉત્તરે માંગરોળ તાલુકો, ઈશાને ઉમરપાડા તાલુકો, નૈર્ઋત્યે અને પશ્ચિમે કામરેજ તાલુકો, દક્ષિણે બારડોલી તાલુકો અને અગ્નિએ તાપી જિલ્લો સીમા રૂપે આવેલો છે. તાલુકાના દક્ષિણ ભાગમાંથી તાપી નદી પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. તાલુકામાં તાપી નદીનો વહનમાર્ગ આશરે 50 કિમી. છે.
આબોહવા : આ તાલુકો સમુદ્રકિનારાથી નજીક આવેલો હોવાથી ઉનાળામાં ગરમીની તીવ્રતા વધુ અનુભવાતી નથી. વનસ્પતિનું પ્રમાણ વધુ હોવાથી ઊંચું તાપમાન અનુભવાતું નથી. અહીં ગુરુતમ તાપમાન 42થી 43 સે. રહે છે. જ્યારે લઘુતમ તાપમાન 12 સે.થી 14 સે. રહે છે. નીચા અક્ષાંશીય સ્થાન અને સમુદ્રકિનારાને લીધે શિયાળાની તીવ્રતા વધુ હોતી નથી. વાર્ષિક વરસાદ આશરે 1700 મિમી. જેટલો પડતો હોય છે.
વનસ્પતિ : આ તાલુકામાં સૌથી મહત્ત્વનું વૃક્ષ સાગ છે. આ ઉપરાંત વાંસ, સીસમ, શીમળો, સાદડ, શિરસ, હળદરવો, રાયણ, આંબા જેવાં વૃક્ષો જોવા મળે છે. અહીં કેટલાંક વન્ય પશુઓમાં કાળિયાર, ચૌસીગોં, નીલગાય, શિયાળ, વાંદરા, વરુ જેવાં પ્રાણીઓ પણ છે.

સાગના વૃક્ષો, માંડવી, સૂરત
જમીન – ખેતી : આ તાલુકામાં કાંપની અને કાળી જમીન આવેલી છે. આ જમીનો દળદાર કે છીછરી, માટીવાળી કે આછી માટીવાળી જોવા મળે છે. આ જમીનમાં 45 ટકા માટી, 20 ટકા રેતી અને 7થી 8 ટકા સેન્દ્રિય દ્રવ્ય રહેલાં છે. આ જમીનમાં કપાસ, ડાંગર, શેરડી, બાજરી, જુવારની ખેતી થાય છે. કઠોળમાં ચણા અને વાલ મુખ્ય છે. આ સિવાય કેળાં, કેરી જેવાં ફળાઉ વૃક્ષોની બાગાયતી ખેતી થાય છે. અહીં શાકભાજીની પણ વિવિધતા રહેલી છે.
આ તાલુકામાં વસવાટ કરતા લોકો વેપાર, ખેતી, ખેતમજૂરી અને પશુપાલન પ્રવૃત્તિમાં રોકાયેલા હોય છે.
પરિવહન : આ તાલુકામાં રેલમાર્ગ પસાર થતો નથી. રાજ્ય ધોરી માર્ગો નં. 5, 65, 88, 165 પસાર થાય છે. નજીકનું હવાઈ મથક સૂરત છે. રાજ્યની પરિવહનની બસો, ખાનગી બસો, ઑટોરિક્ષા જોવા મળે છે.
વસ્તી : આ તાલુકાની વસ્તી (2025 મુજબ) આશરે 1,95,949 છે. સેક્સ રેશિયો આશરે દર 1000 પુરુષોએ 996 મહિલાઓ છે. સાક્ષરતાનું પ્રમાણ 63.40% જેટલું છે. તાલુકામાં ગામડાની સંખ્યા 150 છે. ગ્રામ્ય વિસ્તાર 755.65 ચો.કિમી. જ્યારે શહેરી વિસ્તાર 7.56 ચો.કિમી. છે. આશરે 77% આદિવાસીઓ અને પછાત જાતિનું પ્રમાણ 0.97% છે. જિલ્લાના દરેક ગામમાં પૂર્વપ્રાથમિક શાળા, પ્રાથમિક શાળા, આરોગ્યકેન્દ્રો અને રાજ્યપરિવહનની બસોની સુવિધા રહેલી છે.
માંડવી શહેર : માંડવી તાલુકાનું તાલુકામથક અને શહેર છે.
તે 21 25´ ઉ. અ. અને 73 30´ પૂ. રે. પર સ્થિત છે. આ શહેર તાપી નદીના કિનારે વસ્યું છે. તે સમુદ્રસપાટીથી આશરે 55 મીટરની ઊંચાઈ ધરાવે છે.
અર્થતંત્ર : અહીં નાના પાયાના ઉદ્યોગો જોવા મળે છે. જેમાં સુથારી અને લુહારી કામ કરનારા લોકોનું પ્રમાણ અધિક છે. આદિવાસીઓનું પ્રમાણ અધિક હોવાથી નાના પાયાના હસ્તકલાઉદ્યોગ જોવા મળે છે. પરંપરાગત જહાજ બનાવવાના એકમોમાં સંકળાયેલા છે. સુતરાઉ કાપડની વિવિધ ચીજો બનાવવાના તેમજ ખાદ્ય પ્રક્રમણના એકમો આવેલા છે. મીઠા પાણીના મત્સ્ય અને ખારા પાણીના મત્સ્ય પકડવાની પ્રવૃત્તિ પણ જોવા મળે છે. સૂરતના હીરાઉદ્યોગમાં પણ લોકો રોકાયેલા છે.

હસ્તકલાઉદ્યોગ, માંડવી
માંડવી શહેરમાંથી રાજ્યના ધોરી માર્ગો પસાર થાય છે. રાજ્ય, જિલ્લા અને તાલુકા માર્ગોના માળખાએ માંડવીના વિકાસમાં આગવો ફાળો આપ્યો છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 8 પર આવેલું કીમ તેમ જ સૂરત જિલ્લાના અન્ય તાલુકા સાથે માંડવી સંકળાયેલું હોવાથી અહીં પરિવહનનાં સાધનોની સુવિધા સારી છે. માંડવીની નજીકનાં રેલવેસ્ટેશનોમાં મહત્ત્વનું સૂરત છે જે 56 કિમી. દૂર છે. આ સિવાય કીમ 44 કિમી., માધી 17 કિમી., બારડોલી 25 કિમી. દૂર આવેલાં છે. આ શહેરની નજીકમાં આવેલું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક સૂરત છે.
વસ્તી : આ શહેરની વસ્તી (2025 મુજબ) આશરે 26,400 છે. આ શહેર તાપી નદીથી બે ભાગમાં વહેંચાયેલું છે. ડાબી બાજુનો ભાગ નવા બજાર અને જમણી બાજુનો ભાગ જૂના બજાર તરીકે ઓળખાય છે. તાપી નદીના ડાબા કિનારે આવેલો શહેરનો ભાગ પ્રમાણમાં વિકસિત છે. આસપાસનાં ગામોનું કેન્દ્ર હોવાને કારણે અહીં દરેક જાતની વસ્તુઓને ખરીદનાર અને વેચનાર મળી રહે છે. અહીં આરોગ્યકેન્દ્ર, પૂર્વપ્રાથમિક શાળાથી આર્ટ્સ – કૉમર્સ, BBA, MBA, ફાઇન આર્ટ્સ કૉલેજો જેવી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. સિનેમા થિયેટર, શૉપિંગ સેન્ટરો, રેસ્ટોરન્ટ વગેરે જોવા મળે છે. આ ભાગમાં આવેલ દયા પાર્ક સોસાયટી અને ‘PN Park’ સોસાયટી તે માંડવીની લાક્ષણિકતા છે. જ્યારે જમણી બાજુના ભાગમાં આદિવાસીઓની વસાહત ખેતીની ભૂમિ, પડતર જમીન અને નાની ટેકરીઓ આવેલી હોવાથી વિકાસ પ્રમાણમાં ઓછો જોવા મળે છે. માંડવી ખાતે આવેલી પ્રિયદર્શિની કૉલેજ ઑફ ફાઇન આર્ટ્સ જેને ગુજરાત સરકાર તરફથી 100% ગ્રાન્ટ મળે છે. ગુજરાતમાં ફાઇન આર્ટ્સમાં આ કૉલેજ નં. 1 ગણાય છે. આદિવાસીઓની પરંપરાગત ચિત્રકલાને અહીં પ્રોત્સાહન આપવામાં આવે છે.

કાકરાપાર અણુવિદ્યુત મથક, માંડવી, સૂરત
નજીકમાં આવેલાં જોવાલાયક સ્થળો : તાપી નદીના કિનારે આવેલો ગાર્ડન, જેતપુર કેવડી ખાતે આવેલ ઇકૉ ટૂરિઝમ સેન્ટર, દત્ત મંદિર, રામેશ્વર મહાદેવ મંદિર, કાકરાપાર અણુવિદ્યુત મથક, જળવિદ્યુત મથક, છોટા ઉદેપુર જિલ્લામાં આવેલાં ઇકો ટૂરિઝમ સેન્ટરો પણ જોવાલાયક છે.

શ્રી પ્રેમશંકર ભટ્ટ ‘ડાંગના ગાંધીજી’
માંડવીના સ્વાતંત્ર્યસેનાની અને સામાજિક કાર્યકર શ્રી પ્રેમશંકર ભટ્ટ કે જેઓ ‘માંડવીના પુત્ર’ તરીકે જાણીતા બન્યા હતા. આદિવાસી બાળકોના વિકાસ માટે તેઓએ સ્વાયત્ત સંસ્થા ઊભી કરી જે ‘દક્ષિણ ગુજરાત આદિવાસી સેવામંડળ’ છે. ગાંધીજીની વિચારસરણી અને પ્રામાણિકતાને વરેલા શ્રી પ્રેમશંકર ભટ્ટ કે જેઓ ‘ડાંગના ગાંધીજી’ તરીકે પણ ઓળખાયેલા. જ્યારે તેમનાં પુત્રી ઊર્મિલા ભટ્ટ ‘શ્વેત સાધ્વી મધર ટેરેસા’ તરીકે જાણીતા બન્યાં હતાં. તેમના કારણે જ આ આદિવાસી વિસ્તારમાં બાળકો શિક્ષણ પ્રત્યે પ્રેરાયાં હતાં. તેઓ આદિવાસીઓનાં શિક્ષણ- પ્રણેતા બન્યાં હતાં.
નીતિન કોઠારી