હિમાચલ પ્રદેશ : ઉત્તર ભારતમાં હિમાલયના ઢોળાવ પર આવેલું રાજ્ય. તેનું ‘હિમાચલ’ નામ હિમાલય ગિરિમાળા સાથે સંકળાયેલું છે. રાજ્યનો ઈશાન ભાગ હિમાચ્છાદિત ગિરિમાળાઓથી સુશોભિત છે. ઊંચાં શિખરો, હરિયાળા ઢોળાવો, ઊંડાં કોતરો અને ખીણપ્રદેશો, સરોવરો, નદીનાળાં, જળધોધ, જંગલો, પ્રાણીઓ, પક્ષીઓ વગેરે તેને કુદરતે બક્ષેલી સમૃદ્ધિ છે.

હિમાચલ પ્રદેશ
તેની ઉત્તર સીમાએ જમ્મુ અને કાશ્મીર; પશ્ચિમ અને દક્ષિણમાં પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ તથા ઉત્તરાખંડ રાજ્યની સીમાઓ પ્રસરેલી છે. તેની પૂર્વમાં ચીન (તિબેટ પ્રદેશ) સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે. આ આંતરરાષ્ટ્રીય ભૂમિસીમાને લીધે આ રાજ્યનું વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્ત્વ વધી જાય છે. આ રાજ્ય આશરે 30° 23´ ઉ.થી 33° 13´ ઉ. અક્ષાંશવૃત્તો તેમજ 75° 36´ પૂ.થી 79° 0´ પૂ. રેખાંશવૃત્તો વચ્ચે વિસ્તરેલું છે. લગભગ 55,673 ચોકિમી. ક્ષેત્રફળને આવરતું આ રાજ્ય બાર જિલ્લાઓમાં વહેંચાયેલું છે અને તેનું પાટનગર સિમલા છે.
પ્રાકૃતિક રચના તથા જળપરિવાહ : રાજ્યના નૈર્ઋત્ય ખૂણાના થોડાક પ્રદેશો નીચા છે, પણ જેમ જેમ ઉત્તર દિશા અને ઈશાન ખૂણા તરફ જઈએ તેમ તેમ તેમની ઊંચાઈમાં વધારો થતો જાય છે. અહીં સમુદ્રસપાટીથી આશરે 250 મી.થી લઈને લગભગ 7000 મી. સુધીની ઊંચાઈ ધરાવતાં ભૂમિસ્વરૂપો દેખાય છે.
લઘુ હિમાલયનો દક્ષિણ ભાગ પીર પંજાલ હારમાળા તરીકે ઓળખાય છે. તેની રચના સામાન્ય રીતે જ્વાળામુખી ખડકો દ્વારા થયેલી છે અને તેની સરેરાશ ઊંચાઈ 4000થી 5000 મી.ની છે. જમ્મુ-કાશ્મીરમાંથી આવતી આ હારમાળા હિમાચલ પ્રદેશના ઈશાન ખૂણામાં વાયવ્યથી અગ્નિ તરફ દેવ ટિબ્બા (Deo Tibba) સુધી લંબાય છે. આગળ જતાં તે હિમાલયની હારમાળામાં એકરૂપ થઈ જાય છે. લાહુલમાં કેયલાન્ગ (Keylang) પાસેના શિખરની ઊંચાઈ 6517 મી.ની છે. પીર પંજાલ હારમાળાનાં ઊંચાં શિખરો પરથી અનેક હિમનદીઓ ઉદભવે છે. તેમાં બડા શિગરી (Bara Shigri) એ સૌથી મોટી હિમનદી છે.
પીર પંજાલ હારમાળાની સમાંતરે નૈર્ઋત્યમાં ધૌલાધાર (Dhauladhar) હારમાળા લંબાયેલી છે. તે પૂર્વમાં આવેલી બાસ્પા ખીણથી દક્ષિણના સિંધુગંગાના ‘જળવિભાજક પ્રદેશ’(watershed)માં પૂરી થાય છે. આ બંને હારમાળાઓ રાજ્યની આકર્ષક કુલુ ખીણને વીંટળાઈ વળેલી છે. ધૌલાધાર હારમાળાનાં કેટલાંક ઊંચાં શિખરો હિમાચ્છાદિત રહે છે. અહીં સિમલા, ધરમસાલા, ડેલહાઉસી, ચૈલ (Chail), કસૌલી, મનાલી, મંડી, પાલમપુર, સોલન (Solan) જેવાં ઊંચાં ગિરિમથકો આવેલાં છે. સ્પિતી પ્રદેશમાં શિલ્લા (Shilla) નામનું હિમાચ્છાદિત શિખર 7025 મી.ની ઊંચાઈ ધરાવે છે. આ હારમાળામાં સતલજ અને બિયાસ નદીઓએ ઊંડાં કોતરોની રચના કરી છે. ધૌલાધાર હારમાળાની સમાંતરે નૈર્ઋત્યમાં શિવાલિકની ટેકરીઓ આવેલી છે, જ્યાં ટેકરીઓની વચ્ચે વચ્ચે દૂન (dun) સમાન ખીણો પથરાયેલી છે.

લાહુલ અને સ્પિતી : આ વિસ્તારને તેનું આગવું સૌંદર્ય છે. ત્યાં જુયલાંગ ખાતે બૌદ્ધ મઠો આવેલા છે.
આ રાજ્યમાં સતલજ, બિયાસ, રાવી, ચિનાબ તથા યમુના મુખ્ય નદીઓ છે. તેને અનેક ઉપનદીઓ મળે છે. સતલજ એ રાજ્યની મોટી નદી છે, જે રાજ્યના દક્ષિણ ભાગમાં પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. પંજાબની સીમા પર તેની ઉપર ભાકરા બંધ બાંધવામાં આવ્યો છે, જેને લીધે ગોવિન્દસાગર નામના વિશાળ જળાશયની રચના થઈ છે. રાવી નદી ચમ્બામાં આવેલા બારા બન્ગાહાલ(Bara Bangahal)ના હિમાચ્છાદિત શિખર પરથી તેમજ બિયાસ નદી રોહતાંગ પાસેના હિમાચ્છાદિત સરોવરમાંથી ઉદભવે છે. બિયાસની ઉપનદી પાર્વતી પીર પંજાલ હારમાળામાંથી નીકળે છે. હિમાલય અને પીર પંજાલ હારમાળા વચ્ચે લાહુલની ઊંચી ખીણ આવેલી છે, જેમાં ચંદ્રા અને ભાગા નદીઓ વહે છે. તેમનો સંગમ થતાં તે ‘ચંદ્રભાગા’ કે ‘ચિનાબ’ નામે ઓળખાય છે.
રાજ્યમાં કુલુનગરથી 45 કિમી. દૂર આવેલા મણિકરણ ક્ષેત્રમાં ગરમ પાણીના સંખ્યાબંધ ઝરા જોવા મળે છે. એવી જ રીતે કોટગઢથી લગભગ 50 કિમી. દૂર તત્તાપાણી (Tattapani) (કદાચ તપ્તપાણીનું અપભ્રંશ) ખાતે અને મનાલીથી લગભગ 3 કિમી. દૂર વશિષ્ઠ (Bashisht) ખાતે પણ ગરમ પાણીના ઝરા આવેલા છે. આ બધા ઝરાના પાણીમાં ગંધકનું તત્ત્વ ઓગળેલું જણાય છે. વળી હિમાચલ પ્રદેશમાં પૉન્ગ ડૅમ (Pong dam) (7000 હે.), રેણુકા, રેવલસર, ખજિયાર, ગોવિન્દસાગર (ભાકરા બંધ) વગેરે મોટાં જળાશયો છે.
આબોહવા : આ રાજ્ય સમશીતોષ્ણ કટિબંધમાં ઊંચાઈ પર આવેલું છે. આ રાજ્યના નૈર્ઋત્ય ખૂણાના ભાગો નીચા છે, જ્યાં સપાટ પ્રદેશો તથા ખીણો વિસ્તરેલી છે. અહીં ઉનાળામાં સરેરાશ તાપમાન 40° સે. જેટલું રહે છે. પહાડી પ્રદેશોમાં ઊંચાઈમાં વધારો થતાં તાપમાન ઘટતું જાય છે. ધૌલાધાર હારમાળા તથા લાહુલ અને સ્પિતી પ્રદેશનાં અતિ ઊંચાં પહાડી શિખરો કાયમ માટે હિમાચ્છાદિત રહે છે. ‘આલ્પાઇન’ પ્રકારના હિમ-ક્ષેત્રનું તાપમાન અતિશય શીત એટલે કે –20° સે. સુધી પહોંચી જાય છે તેમજ ઊંચા પહાડી ઢોળાવો તથા ખીણપ્રદેશોમાં પણ હિમ છવાઈ જાય છે.
આ રાજ્યમાં મોટા ભાગનો વરસાદ જૂનથી સપ્ટેમ્બર માસ સુધીમાં પડી જાય છે. રાજ્યના સરેરાશ વરસાદનું પ્રમાણ 1600 મિમી. જેટલું છે. આમ છતાં લાહુલ અને સ્પિતી જિલ્લામાં ઊંચાં આલ્પાઇન ક્ષેત્રો સાવ ઓછો વરસાદ મેળવે છે; જ્યારે રાજ્યના કાંગરા, મંડી, ચમ્બા, કુલુ, સિમલા, સોલન, સિરમૌર વગેરે જિલ્લાઓ વધુ વરસાદ મેળવે છે. સિમલાનાં જાન્યુઆરી અને જુલાઈનાં સરેરાશ તાપમાન અનુક્રમે 5.5° સે. અને 18.1° સે. જેટલાં રહે છે, જ્યારે તેના કુલ વાર્ષિક વરસાદનું પ્રમાણ 1958 મિમી. જેટલું હોય છે. શિયાળામાં 2000 મી.ની ઊંચાઈએ ભારે હિમવર્ષા થાય છે. એવી જ રીતે મનાલીમાં લઘુતમ તાપમાન –4° સે. અને મહત્તમ તાપમાન 30° સે. જેટલું રહે છે. અહીં ડિસેમ્બરથી માર્ચ સુધી હિમ પડે છે. તેના વાર્ષિક વરસાદનું પ્રમાણ લગભગ 1080 મિમી. જેટલું હોય છે. લાહુલ અને સ્પિતીમાં શિયાળામાં અત્યંત શુષ્ક અને શીત પવનો ફૂંકાય છે. કોઈક વાર પશ્ચિમ તરફથી ચક્રવાત આવતાં ગાજવીજ, વરસાદ, હિમવર્ષા અને હિમઆંધીનો પ્રકોપ છવાઈ જાય છે.
કુદરતી વનસ્પતિ અને પ્રાણીજીવન : હિમાચલ પ્રદેશમાં પ્રવર્તતી આબોહવાકીય પરિસ્થિતિ મુજબ ત્યાંનું વનસ્પતિજીવન પાંગરેલું છે. રાજ્યમાં ઊંચાઈ અનુસાર વનસ્પતિમાં વૈવિધ્ય જોવા મળે છે. રાજ્યના આશરે 37,033 ચોકિમી. વિસ્તારમાં જંગલો છવાયેલાં છે. આ પૈકી ઉછેર કરવામાં આવેલાં જંગલોનો વિસ્તાર 20,675 ચોકિમી. જેટલો છે. રાજ્યના નૈર્ઋત્ય ખૂણાના ઓછી ઊંચાઈના ભાગો શુષ્ક ઝાંખરાળાં જંગલો(dry scrub forest)થી આચ્છાદિત છે, જ્યારે વિશેષ ઊંચાઈના પહાડી ઢોળાવો પર આલ્પાઇન ઘાસનાં મેદાનો પથરાયેલાં છે. આ બંને વિભાગોની વચ્ચેનાં પહાડી ક્ષેત્રો અને ખીણપ્રદેશોમાં મિશ્ર પાનખર-જંગલો જોવા મળે છે. આ જંગલોમાં મુખ્યત્વે પોચું લાકડું આપતાં દેવદાર, ચીડ (pine), ચિલ (chil), બાંજ (ઑક, oak), કાઇલ (kail), સ્પ્રૂસ (spruce), ફર (fir) જેવાં વૃક્ષો થાય છે. આ ઉપરાંત વૉલનટ, ચેસ્ટનટ, વાંસ, જુનિપર (juniper), રહોડૉડેન્ડ્રૉન (rhododendron) તથા બીજી અનેક જાતિનાં વૃક્ષો પણ અહીં જોવા મળે છે. અહીંનું રાજ્યઘોષિત વૃક્ષ દેવદાર (cedrus deodar) છે.

કુલુ ખીણ – આ ખીણપ્રદેશ પૃથ્વી પરનું અપ્રતિમ સૌંદર્ય ધરાવે છે.
આશરે 1000થી 2000 મી.ની ઊંચાઈએ ચીડ જેવાં વૃક્ષો જોવા મળે છે. તે પોચું ઇમારતી લાકડું તથા બેરજો (resin) જેવી પેદાશો આપે છે. ધરમસાલા, કાંગરા, કુલુ તથા સિમલાના ડુંગરોના નીચા ભાગો તેમજ ગિરી અને ટોન્સ નદીઓના ખીણપ્રદેશો આ પ્રકારનાં વૃક્ષોથી આચ્છાદિત છે. વળી ચોમાસામાં આશરે 2000થી 3000 મી.ની ઊંચાઈએ હિમાચ્છાદન પામતાં ક્ષેત્રો જેવાં કે મનાલી, લાકર મન્ડી (Lakar Mandi), ખજિયાર, બાસ્પા અને અન્યત્ર દેવદારનાં વૃક્ષો વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. વળી ચમ્બા, કુલુ, સિમલા, કિનૌર વગેરેના પ્રદેશોમાં હિમાલયન સિડાર(Himalayan Cedar)નાં વૃક્ષો થાય છે, જે દેવદાર વૃક્ષનો જ એક પ્રકાર છે. કિનૌરમાં થતાં ચિલ્ગોઝા પાઇન (Chilgoza pine) સૂકાં કોચલાવાળાં ફળો આપે છે. આ ઉપરાંત કિનૌરની બાસ્પા ખીણમાં છૂટાંછવાયાં સિદ્રસ લેબાની (Cedrus Lebani) નામનાં વિશિષ્ટ વૃક્ષો થાય છે. તેમના થડનો ઘેરાવો આશરે 11 મી. જેટલો હોય છે. કુલુમાં 4000થી 5000 મી.ની ઊંચાઈએ ઘાસના વિસ્તારો પ્રસરેલા છે.
રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ વન્યપ્રાણીજીવન ખૂબ જ સમૃદ્ધ અને વૈવિધ્યસભર છે. સરકાર દ્વારા પ્રસ્થાપિત અને સંચાલિત બે રાષ્ટ્રીય ઉદ્યાનો (N.P.) ઉપરાંત 32 જેટલાં વન્યજીવ-અભયારણ્યો(wildlife sanctuaries)માં વિહરતાં વિવિધ જાતનાં પ્રાણીઓ અને પક્ષીઓને રક્ષણ પૂરું પાડવામાં આવે છે. અહીં રાજ્યઘોષિત પ્રાણી તરીકે હિમાલયન કસ્તૂરીમૃગ (Himalayan Musk Deer) તેમજ રાજ્યઘોષિત પક્ષી તરીકે હિમાલયન મોનાલ-(વનમોરનો પ્રકાર) (Himalayan Monal)ની વરણી કરવામાં આવી છે. તેમાં ખાસ કરીને ચીર (cheer), પશ્ચિમી ટ્રેગોપાન (western tragopan) તથા સફેદ કલગીવાળું કાલીજ (white crested kaleej) મુખ્ય છે.
આ રાજ્યમાં બદામી તથા કાળું રીંછ, હિમાલયન તાહર (Himalayan Tahr), હિમાલયન માર્મોટ (Himalayan Marmot), આઇબેક્સ (Ibex), સાબર, ભસતું હરણ, જંગલી બિલાડો, તાડવનિયર (Palm Civet), માર્ટેન (Marten), ભારતીય મુંટજેક (Indian Muntjac), સેરો (Serow), જંગલી સૂવર, રાતું શિયાળ, વરુ, સસલાં, ખિસકોલીઓ, જંગલી કૂતરાઓ ગોરલ (Ghoral) વગેરે પ્રાણીઓ જોવા મળે છે. આ ઉપરાંત સ્થળચર અને જળચર પક્ષીઓની અનેક જાતો અહીં થાય છે.
હિમાચલ પ્રદેશમાં જૈવ-તક્નીકી (Bio Technology)-વિષયક એક અલગ વિભાગ પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. તેના પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયું છે. તેમાં વનસ્પતિના જીનવિષયક સંસાધનોનું વૈવિધ્ય (Diversity of Plant Genetic Resources), સૂક્ષ્મ જૈવિક સંસાધનો (Microbial Resources) તેમજ ઔષધીય તથા સુગંધ આપતી વનસ્પતિને લગતી બાબતોનો સમાવેશ થાય છે.
આ જૈવ-તક્નીકીના વિકાસ, શિક્ષણ અને તાલીમની વ્યવસ્થા અહીં ઊભી કરાઈ છે. વળી સોલન જિલ્લામાં ‘જૈવ-તક્નીકી પાર્ક’ પ્રસ્થાપિત કરવામાં આવનાર છે. આ પાર્કમાં ખાસ કરીને ઔષધીય અને સુગંધિત વનસ્પતિની ખેતીને તથા તેના ઉત્પાદનનું બજાર મેળવવા માટેની બાબતોને પ્રાથમિકતા આપવામાં આવનાર છે.
ખેતી તથા પશુપાલન : રાજ્યના મોટા ભાગના વિસ્તારોની જમીનો પહાડી અને અસમતળ છે. આ રાજ્યમાં ખેતીલાયક સપાટ જમીનોનું પ્રમાણ ઓછું છે. ખાસ કરીને અહીં નદીખીણોમાં અથવા તો આછા પહાડી ઢોળાવોને કાપીને સીડીદાર ખેતરોમાં ખેતી કરવામાં આવે છે. આ રાજ્યના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે અને રાજ્યના અર્થતંત્રમાં ખેતી ખૂબ મોટો અને અગત્યનો ભાગ ભજવે છે. રાજ્યની કુલ કાર્યશીલ વસ્તીના આશરે 71% લોકો ખેતીપ્રવૃત્તિ દ્વારા સીધી રીતે રોજગારી મેળવે છે. આ રાજ્યનો આશરે 80% ભૂમિવિસ્તાર વરસાદ મેળવે છે અને તેના વાવેતર-વિસ્તારનું પ્રમાણ લગભગ 5.83 લાખ હેક્ટર જેટલું છે. તેના કુલ વાવેતર-વિસ્તાર પૈકીના 26% ભૂમિવિસ્તારમાં સિંચાઈની સગવડો ઉપલબ્ધ છે.
રાજ્ય સરકારે પીવાના પાણી માટે ‘વાશ પરિયોજના’ (Wash Project) હાથ ધરી છે.
હિમાચલ પ્રદેશમાં મકાઈ, ડાંગર, ઘઉં, જવ, શાકભાજી અને ફળફળાદિ અગત્યના કૃષિપાકો છે. વળી અલ્પ પ્રમાણમાં કેટલાંક હલકાં ધાન્યોનું ઉત્પાદન પણ લેવાય છે. કુલુ ખીણનાં જાણીતાં સફરજન ભારતભરમાં પહોંચાડવામાં આવે છે. આ ઉપરાંત આ રાજ્ય બટાટા, આદું, સોયાબીન, તેલીબિયાં, કઠોળ અને શાકભાજીનાં રોગમુક્ત બિયારણો પણ અન્ય પ્રદેશોને પૂરાં પાડે છે.
આ રાજ્ય સફરજન ઉપરાંત બબુપોચા (pear), ચેસ્ટનટ, જરદાલુ (apricot), પ્લમ (plum), પીચ (peach), કેરી, લીચી (litchi), સ્ટ્રૉબેરી (strawberries), ચેરી (cherries), જામફળ, દ્રાક્ષ તથા અન્ય ફળોનું પણ ઉત્પાદન તથા તેમની નિકાસ કરે છે. કોટગઢ ફળફળાદિનું મોટું બજાર ધરાવે છે. આ પ્રદેશનાં જરદાલુ વખણાય છે. આ ઉપરાંત અહીં થતી અંગૂરી દ્રાક્ષમાંથી ખાસ પ્રકારનો દારૂ બને છે.
રાજ્ય સરકાર વારંવાર ફળોની ખેતીને પ્રોત્સાહન આપતી પરિયોજનાઓ જાહેર કરીને તેની પાછળ સારો એવો ખર્ચ પણ કરે છે. ફળ-ઉદ્યોગમાં વૈવિધ્યીકરણ લાવવાના હેતુથી ફળોની નવી નવી જાતો ઉગાડવામાં આવે છે. વધુમાં ફળ-ઉદ્યોગના સંપૂર્ણ વિકાસમાં તક્નીકી મિશન (technology mission)ને સામેલ કરવામાં આવ્યું છે.
અહીંનાં શાકભાજી અને ફળો દિલ્હી ઉપરાંત ઉત્તરપ્રદેશ તથા પંજાબનાં શહેરોનાં બજારોમાં નિકાસ કરવામાં આવે છે. આ ઉપરાંત આ રાજ્યમાં મધ, બિલાડીના ટૉપ (મશરૂમ), હૉપ્સ (hops) તેમજ ફૂલોનું ઉત્પાદન થાય છે.
આશરે 4000થી 5000 મી.ની ઊંચાઈના ડુંગરાળ ભાગો ખડકો તથા બરફ ધરાવે છે. ત્યાં કેટલીક જગ્યાએ ઘાસનાં ઝુંડ ઊગી નીકળેલાં જોવા મળે છે. આ ઘાસ પોષક હોય છે અને તેના પર ઉનાળામાં ઘેટાંબકરાં, પશુઓ તથા થોડાક ઘોડાઓને ચરાવવામાં આવે છે.
આ રાજ્યમાં મધમાખીઉછેર-કેન્દ્રો, ઘેટાંસંવર્ધન-કેન્દ્ર તથા મત્સ્યસંવર્ધન-કેન્દ્ર આવેલાં છે. વળી કુલુ ઘાટી તથા અન્યત્ર ઊનની કંતાઈનું કાર્ય સતત ચાલતું રહે છે. પશમીના ઊનમાંથી બનેલી શાલ તથા અહીંના ઊનના બનેલા કામળા પણ વખણાય છે. વળી માથે બાંધવાના રેશમના ભરત ભરેલા રૂમાલની પણ ભારે માંગ રહે છે.
ખનિજ, શક્તિ સંસાધનો અને ઉદ્યોગો : આ રાજ્યના ભૂસ્તરમાં ચૂનાખડક, ક્વાર્ટ્ઝાઇટ, સોનું, પાઇરાઇટ્સ (pyrites), તાંબું, અબરખ, બેરાઇટ (bayrites), ચિરોડી, સિંધાલૂણ (rock salt), (ખનિજ) તેલ અને કુદરતી વાયુ જેવાં ખનિજો હોવાનું જણાઈ આવ્યું છે, પણ હાલના તબક્કે તેમનું ખાસ ઉત્ખનનકાર્ય થતું નથી. કાંગરાના જ્વાળામુખી-મંદિરમાં જમીનની બારીક તિરાડોમાંથી સતત ઝમતા કુદરતી વાયુ દ્વારા અખંડ દીપજ્યોત જલતી રહે છે, જે અહીંની જમીનમાં ખનિજતેલ/કુદરતી વાયુની અનામતો હોવાની બાબતને છતી કરે છે.
વળી આ રાજ્યમાંથી પસાર થતી નદીઓ ઉપર બંધ બાંધવામાં આવ્યા છે. તેમાંથી જળવિદ્યુત મેળવાય છે, જે સમગ્ર દેશની કુલ જળવિદ્યુત ઉત્પાદનક્ષમતાના 25% જેટલી થવા જાય છે. હિમાચલ પ્રદેશની સરકારે કેટલીક જળવિદ્યુત પરિયોજનાઓ માટે ખર્ચ પણ કર્યો છે. વળી 10મી પંચવર્ષીય યોજના દરમિયાન 2773 મે.વૉ. તથા 11મી પંચવર્ષીય યોજના દરમિયાન 7755 મે.વૉ.ના ઉત્પાદનનો લક્ષાંક સિદ્ધ કરવાનું આયોજન છે. તાજેતરમાં નાથ્પા-ઝાક્રી (Nathpa-Zhakri) (1500 મે.વૉ.) તથા ચામેરા-2 (Chamera-II) (300 મે.વૉ.) પરિયોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. હાલમાં સાત જળવિદ્યુત પરિયોજનાઓ અમલમાં છે અને તેમાં ઉહાલ-3 (Uhal-III) (100 મે.વૉ.), કાશાન્ગ-1 (Kashang-I) (66 મે.વૉ.) અને ગાન્વી-2 (Ganvi-II) (10 મે.વૉ.)નો સમાવેશ થાય છે. વળી આ યોજનાઓની સાથે સાથે વિદ્યુતશક્તિની પ્રેષણપદ્ધતિ તથા વિતરણપદ્ધતિ અંગેની પરિયોજનાઓ પણ તૈયાર કરવામાં આવી છે.
આ રાજ્યમાં પરંપરાગત હસ્તકળા કારીગરીની ચીજવસ્તુઓ બનાવતા ગૃહઉદ્યોગો પ્રસ્થાપિત થયેલા છે. સિમલા અને અન્ય શહેરોનાં બજારોમાં તેમજ મેળાઓમાં અહીં બનતી પેદાશોનું વેચાણ કરવામાં આવે છે.
છેલ્લાં થોડાંક વર્ષોમાં આ રાજ્યે ઔદ્યોગિક ક્ષેત્રે ઘણી આગેકૂચ કરી છે. તે 196 જેટલા મોટા અને મધ્યમ પાયાના ઔદ્યોગિક એકમો ધરાવે છે. આ ઉપરાંત અહીં લગભગ 30,839 જેટલા નાના પાયાના ઔદ્યોગિક એકમો છે. આ રાજ્યમાં નવા નવા ઔદ્યોગિક એકમો પ્રસ્થાપિત કરવાના આયોજન માટેની અનેક દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે.
આજે આ રાજ્યમાં મુખ્યત્વે રસાયણો અને રાસાયણિક પેદાશોને લગતા ઉદ્યોગોનું પ્રમાણ અગ્રસ્થાને છે. આ ઉપરાંત કાપડ, વીજાણુ (electronics); લોહપોલાદ અને તેની પેદાશો; સિમેન્ટ, પીણાં તથા પ્લાસ્ટિકની ચીજવસ્તુઓના ઉત્પાદનને લગતા અન્ય ઉદ્યોગો છે.
NASSCOMના સહયોગથી રાજ્ય સરકારે ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજી (IT) ક્ષેત્રે વિકાસ સાધ્યો છે. આ વિષય એક ઉદ્યોગનો દરજ્જો ધરાવે છે. તેની નીતિ (policy) પ્રમાણે તેને સંબંધિત બધી જ સેવાઓ તેમજ શિક્ષણને લગતી સંસ્થાઓનો તેમાં સમાવેશ થાય છે. વળી રાજ્ય સરકારે તેની ઇન્ટરનેટ સેવાઓ વિકસાવી છે અને ‘વેબસાઇટ’ પણ શરૂ કરી છે. તેનું મુખ્ય મથક સિમલા છે અને તેની સાથે દરેક જિલ્લામથકોને સાંકળવામાં આવ્યાં છે.
પરિવહન અને પ્રવાસન : પરિવહન, એ આ પહાડી રાજ્યના લોકોની જીવાદોરી સમાન છે. પરિવહન સેવાઓથી માનવી તેમજ જીવનજરૂરી ચીજવસ્તુઓની હેરફેર શક્ય બને છે. વળી પ્રવાસન-પ્રવૃત્તિ તેમજ ઉત્પાદક વિસ્તારો સાથે બજારનું જોડાણ પણ પરિવહન-સેવાઓ પર અવલંબિત છે. આ પહાડી રાજ્ય, દેશના અન્ય ભાગોથી અલિપ્ત ન પડી જાય તે માટે તેનાં મુખ્ય શહેરોને દેશના અન્ય ભાગો સાથે સાંકળતી પરિવહન-સેવાઓ ઉપલબ્ધ છે. આ રાજ્ય સારા રાષ્ટ્રીય ધોરી માર્ગો ઉપરાંત અન્ય સડકમાર્ગો ધરાવે છે. આ સિવાય અહીં મર્યાદિત પ્રમાણમાં હવાઈ સેવાઓ પણ ચાલે છે. વળી દિલ્હીથી આ રાજ્યનાં મુખ્ય સ્થળોને જોડતી સુયોજિત બસસેવાઓ પણ ઉપલબ્ધ છે.
આ રાજ્યમાં આજે બધા થઈને આશરે 23,788 કિમી. લંબાઈના સડકમાર્ગો છે. તે પૈકીના આઠ ધોરી માર્ગોની લંબાઈ 1235 કિમી. જેટલી થવા જાય છે. વળી અહીં લગભગ 269 કિમી. લંબાઈના બે સાંકડા રેલમાર્ગો (પઠાણકોટથી જોગીન્દરનગર સુધી તેમજ કાલ્કાથી સિમલા સુધી) છે. આ ઉપરાંત આ રાજ્યમાં સિમલા, કુલુ ખીણ (ભુંતાર) તથા કાંગરા (ગગ્ગલ) ખાતે હવાઈ મથકો આવેલાં છે. આમ સડક તથા હવાઈ માર્ગે દેશવિદેશના અનેક પ્રવાસીઓની બારેમાસ અવરજવર ચાલુ રહે છે.
હિમાચલ પ્રદેશમાં સિમલા, મનાલી, સોલન, પાલમપુર, નાહાન (Nahan) મંડી, કસૌલી, ધરમશાળા, ડેલહાઉસી, ચૈલ, મશોબ્રા વગેરે અનેક ગિરિમથકો અને પ્રવાસીધામો આવેલાં છે, જ્યાં ઊંચાઈને લીધે ઉનાળામાં વાતાવરણ ખુશનુમા રહે છે. આથી ખાસ કરીને ઉનાળામાં અહીં હવા ખાવા તથા આનંદપ્રમોદ માટે દેશવિદેશના પર્યટકોનો ભારે ધસારો રહે છે.

કેયલૉંગ મઠ
આ રાજ્ય હરિયાળી ઘાટીઓ, સંખ્યાબંધ દેવસ્થાનો અને મૂર્તિઓ, મહેલો, કિલ્લાઓ, આવાસો, ગુફાઓ વગેરેનો – ભારતીય શિલ્પ-સ્થાપત્યનો પ્રાચીન વારસો ધરાવે છે. આ રાજ્યમાં શૈવ તથા વૈષ્ણવ-મંદિરો ઉપરાંત અલ્પ સંખ્યામાં બૌદ્ધ મઠો અને શીખ ગુરુદ્વારાઓ જોવા મળે છે. જોકે અહીં હિન્દુ, બૌદ્ધ, શીખ અને ઇસ્લામ ધર્મ પાળતા લોકો વસે છે. પર્યટકોને રહેવા-જમવા માટે મધ્યમ દરથી માંડીને અદ્યતન ત્રિતારક તથા પંચતારક હોટલો, વિહાર કરવા માટે સુંદર બાગબગીચા, ખરીદી કરવા માટે ‘મોલ’ (Mall) વગેરે આવેલાં છે.
વસ્તી અને વસાહતો : પહાડી ઢોળાવો, ખીણો, કોતરો વગેરેને લીધે ખેતીલાયક સપાટ જમીનોનું પ્રમાણ ઓછું છે. રાજ્યનો કુલ ભૌગોલિક વિસ્તાર લગભગ 55,673 ચોકિમી. છે, પણ પ્રતિકૂળ ભૌગોલિક પરિસ્થિતિને લીધે તેનો આશરે 18,973 ચોકિમી. વિસ્તાર બિનવસવાટી રહ્યો છે. આજે આ રાજ્ય આશરે 60,77,900 (2001) જેટલી વસ્તી ધરાવે છે. આ રાજ્યમાં પ્રદેશે પ્રદેશે વસ્તીવિતરણ અને વસ્તીગીચતાના પ્રમાણમાં અત્યંત અસમાનતા જોવા મળે છે. તેના કુલ ભૌગોલિક વિસ્તારના સંદર્ભમાં જોઈએ તો અહીં દર ચોકિમી.એ સરેરાશ 109 વ્યક્તિઓ વસવાટ કરે છે, એમ કહી શકાય. વળી રાજ્યની મોટા ભાગની વસ્તી ગામડાંમાં વસે છે અને તેની તુલનામાં શહેરોમાં વસતા લોકોનું પ્રમાણ લગભગ 9.79% જેટલું છે. તેના બાર જિલ્લાઓ પૈકીના કાંગરા, મંડી તથા સિમલા જિલ્લાઓ વધુ વસ્તી ધરાવે છે, જ્યારે કિનૌર જિલ્લામાં વસ્તીનું પ્રમાણ સૌથી ઓછું છે. આ રાજ્યના અર્ધ-વિચરતી જાતિના ગડ્ડી (Gaddis) લોકો પીર પંજાલ તથા ધૌલાધાર હારમાળાઓના હિમાચ્છાદિત ઢોળાવો પર તેમજ બિયાસ ખીણના ઉપરવાસમાં વસે છે. ખીણના તળપ્રદેશમાં તેમનાં સ્થાયી ગામડાં છે, જ્યાં તેઓ ખેતી કરે છે. તેમનાં સ્ત્રી-બાળકો પણ ગામડાંમાં જ રહે છે, જ્યારે પુરુષો ઉનાળા દરમિયાન તેમનાં ઘેટાંબકરાં સાથે ઊંચાઈ પર આવેલાં ઘાસનાં મેદાનોમાં ચાલ્યા જાય છે. શિયાળો આવતાં તેઓ તળેટીમાં સ્થળાંતર કરે છે. આ સિવાય કાશ્મીરમાંથી કેટલાક ગુજ્જર લોકોએ ચંબા અને કુલુ ખીણમાં સ્થળાંતર કર્યું છે. તેઓ મુસ્લિમો છે અને અહીંના ઊંચા ડુંગરાળ ભાગોમાં તેમની ભેંસોનાં ધણ ચરાવે છે.

તબો મઠમાં સાધકો
આ રાજ્યમાં હિન્દી તથા પહાડી ભાષાઓ બોલાય છે. આ રાજ્યના લોકો શિક્ષણ પ્રત્યે વધુ અભિમુખ હોય તેવું જણાય છે. અહીં એકંદરે શિક્ષણ-સંસ્થાઓનું પ્રમાણ ઘણું સારું છે. રાજ્યમાં શિક્ષણનું પ્રમાણ લગભગ 77% જેટલું છે. અહીં અનેક પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ માટેની વ્યવસ્થા છે. વળી મનાલીમાં પર્વતારોહણ તાલીમ સંસ્થા છે. ચૈલ (Chail) દુનિયામાં સૌથી વધુ ઊંચે સ્થળે (2444 મી. ઊંચાઈએ) આવેલું ક્રિકેટમેદાન ધરાવે છે.
કુલુ ઘાટીના નિવાસીઓ ઘાટીલા, ગૌર વર્ણવાળા, આનંદી, મિલનસાર તેમજ ખૂબ મહેનતુ અને સમૃદ્ધ છે. સ્ત્રી-પુરુષોનો પહેરવેશ જોઈએ તો પુરુષો માથે કુલુ ટોપી અને શરીરે પહોળાં કપડાં પહેરે છે તથા કપડાં પર પટ્ટો ધારણ કરે છે; જ્યારે સ્ત્રીઓ ઊનના લાંબા ઝભ્ભા પહેરે છે અને આ ઝભ્ભાને ઊનના પટ્ટાથી બાંધે છે. વળી સ્ત્રીઓ ચાંદીનાં કલાત્મક ઘરેણાં ધારણ કરે છે. કાશ્મીરના કેટલાક મુસ્લિમ ગુજ્જર પશુપાલકોએ રાજ્યની ચંબા અને કુલુ ખીણોમાં આવીને વસવાટ કર્યો છે. આ સિવાય કુલુ ઘાટીમાં વિચરતી જાતિના ગડ્ડી લોકોની વસ્તી પણ છે. વળી હવે મોટી સંખ્યામાં તિબેટી શરણાર્થીઓએ પણ અહીં સ્થળાંતર કર્યું છે. ધરમશાળામાં ઘણા તિબેટી શરણાર્થીઓ વસે છે. અહીં તિબેટી ધાર્મિક પરંપરા અને સ્થાપત્યનું પ્રચલન અને પ્રવર્તન વિશેષ જોવા મળે છે. લાહુલ અને સ્પિતીમાં આવેલા કેયલૉંગ (Keylong)ની આસપાસના લોકો લામા સંપ્રદાયના તાંત્રિક બૌદ્ધ ધર્મને અનુસરે છે, જ્યારે સતલજ અને બાસ્પા ખીણોમાં કિનૌર લોકો વસે છે. તેઓની રહેણીકરણી રંગીલી છે.
આ રાજ્યમાં ઋતુઓ પ્રમાણે બૈશાખી, માઘી, વસંતપંચમી, શિવરાત્રી, હોળી, દશેરા, ફુલેચ (પુષ્પોનો ઉત્સવ), સિમલાનો ગ્રીષ્મ-ઉત્સવ, લાહુલ ઉત્સવ જેવા લોકોત્સવો તેમજ મેળાઓની ઉજવણી કરવામાં આવે છે. ચમ્બાની ઘાટીમાં ભરાતો દશેરાનો મેળો (મંજર ઉત્સવ) તેમજ કુલુ ઘાટીમાં કુલુ નગરના રઘુનાથજી મંદિરનો દશેરાનો મેળો – આ બે મેળાઓ પ્રખ્યાત છે. આ ઉપરાંત ત્રિલોકીનાથ (વર્ષાઋતુ), રેવાલસર (વૈશાખી પૂર્ણિમા), જ્વાલામુખી (ગ્રીષ્મમેળો), હિડિમ્બાદેવી (ગ્રીષ્મ ઋતુનો મેળો), બૈજનાથ જ્યોતિર્લિંગ (શિવરાત્રિ), ભાગસુનાથ (શિવરાત્રિ) વગેરે સ્થળોએ મેળાઓ ભરાય છે. ભારતમાં સ્નાનનો મહિમા અપરંપાર છે. અખંડ દીપજ્યોતિ ધરાવતું જ્વાલામુખી સ્થાન ભારતની 51 શક્તિપીઠોમાંનું એક ગણાય છે. લાહુલ અને સ્પિતીમાં ત્રિલોકીનાથનું સુવિખ્યાત બૌદ્ધતીર્થ આવેલું છે, જ્યાં હજારો બૌદ્ધ યાત્રિકો આવે છે.

બૈજનાથ જ્યોતિર્લિંગ
હિમાચલ પ્રદેશમાં રાક્ષસ-નૃત્યનું પ્રચલન વિશેષ છે. ઉત્સવો, મેળાઓ તથા સામાજિક પ્રસંગોમાં ગીતસંગીત સાથે આવાં નૃત્યો પ્રયોજાય છે. તેમાં કોયાન્ગ (Koyang), જતારુ કાયાન્ગ, ચોહરા (Chohara), શન્દ (Shand), શબુ (Shabu), લાન્ગ-દર-મા (Lang-dar-ma) વગેરે મુખ્ય છે. વળી અહીં રણશિંગું, કર્ણ (Karna), તૂરી, કિન્દારી (Kindari), ઝાંઝ અને ઘડિયાળ જેવાં વાજિંત્રો વગાડવામાં આવે છે. આ રાજ્ય તેની કાંગરા-શૈલીની પ્રખ્યાત ચિત્રકલા માટે વિખ્યાત છે.
સિમલા : સમુદ્રસપાટીથી આશરે 2130 મી.ની ઊંચાઈએ આવેલા આ ગિરિમથક તથા પ્રવાસધામનો ઉત્તરોત્તર વિકાસ થતો રહ્યો છે. બ્રિટિશકાળમાં તે દેશનું ઉનાળુ પાટનગર હતું અને સ્વાતંત્ર્ય પછી પણ તે પંજાબહસ્તક રહ્યું હતું. તે પછી હિમાચલ પ્રદેશ રાજ્યનું પાટનગર બનેલું છે. આ નગર 2130 મી. ઊંચી અર્ધ ચંદ્રાકાર પહાડી પર પથરાઈને વસેલું છે. આ પહાડી પર માલ રોડ આવેલો છે. આજે માલ રોડ પર ક્રાઇસ્ટ ચર્ચ, ગોર્ટન કૅસલ, વાયસરીગલ લૉજ વગેરે જૂનાં અંગ્રેજ સ્થાપત્યશૈલીનાં મકાનો છે. આમ અત્યારે પણ સિમલાએ એની આ અસલ અંગ્રેજિયત જાળવી રાખી છે.

સિમલા ગિરિનગર
‘સિમલા’ નામ ત્યાંની અધિષ્ઠાત્રી દેવી ‘શ્યામલા’ (કાલિકાદેવીનું બીજું નામ)ના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ નગર વિશાળ ઉદ્યાનો અને પુષ્પકુંજોની સમૃદ્ધિથી સુશોભિત છે; એટલું જ નહિ, ચીડ (pine) અને દેવદારનાં વૃક્ષોથી ઘેરાયેલું છે. ગ્રીષ્મ ઋતુમાં તો તે દેશવિદેશના પર્યટકોથી ઊભરાઈ જાય છે. વળી શરદઋતુમાં પણ ઠીક ઠીક પ્રમાણમાં પર્યટકો આવતા હોય છે. તેની અતિ આધુનિક સુવિધાઓ અનેક વૈભવી પરિવારોને વિશેષ આકર્ષે છે.
આજે અહીં અનેક સરકારી કચેરીઓ આવેલી છે. આ વિશાળ ગિરિમથકમાં આવાસ અને ભોજનની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે. તે અનેક અતિથિગૃહો, વિશ્રામગૃહો, ત્રિતારક અને પંચતારક હોટલો, આધુનિક શૉપિંગ સેન્ટરો, વ્યાપારી સંકુલો અને મોટાં બજારો ધરાવે છે. તે હવાઈ મથક ઉપરાંત પહાડી સડકમાર્ગોનું મોટું કેન્દ્ર છે. ચંડીગઢ થઈને અહીં અનેક બસો આવે છે. તે રેલમાર્ગે કાલકા સાથે અને શેષ ભારત સાથે જોડાયેલું છે. વળી તે રાજ્યની શહેરી વસાહતો સાથે સીધા બસવ્યવહારથી પણ સંકળાયેલું છે.
સિમલામાં રાષ્ટ્રપતિ-નિવાસ (બ્રિટિશ વાઇસરૉયનું જૂનું મકાન), સંગ્રહાલય, જખ્ખુ મંદિર વગેરે જોવાલાયક સ્થળો છે. વળી સિમલાની આસપાસ તારાદેવી, કુફ્રી, નાલેન્દ્રા, ફાગુ, ચૈલ, કસૌલી, નરકન્ડા, રોહરૂ, રેણુકા તાલ વગેરે દર્શનીય સ્થળો છે.
ધરમશાળા : કાંગરા ઘાટીનું આ સુપ્રસિદ્ધ ગિરિમથક છે. તે બ્રિટિશ સમયથી વિકાસ પામેલું છે. તે ધૌલાધાર પર્વત પર લગભગ 1250 મી.થી 2000 મી.ની ઊંચાઈ સુધી મુખ્ય બે વિભાગોમાં વસેલું છે. નીચલું ધરમશાળા અને ઉપલું ધરમશાળા. તિબેટમાંથી અહીં આવીને વસેલા દલાઈ લામાએ વિશ્વમાં તેનું મહત્ત્વ વધારી દીધું છે. આ નગરમાં બૌદ્ધ સંસ્કૃતિ અને ધર્મનો પ્રભાવ જોઈ શકાય છે. અહીં નીચેની ધરમશાળાના કોટવાલી બજારથી જમણી બાજુના રસ્તેથી મેકલોડગંજ જતાં તિબેટી હૉસ્પિટલ પાસે આ પુસ્તકાલય આવેલું છે. તેનું નામ ‘Library of Tibetan works & Archives’ છે. વળી ધરમશાળામાં બજાર, હૉસ્પિટલ, સર્કિટ હાઉસ, પર્યટક-નિવાસ તેમજ અનેક હોટલો આવેલી છે. તેની આસપાસનાં ક્ષેત્રોમાં જ્વાલામુખી, બૈજનાથ જ્યોતિર્લિંગ, પાલમપુર, મસરુર, ભાગસુ નાગ મંડી વગેરે દર્શનીય સ્થળો છે.

મનાલીનો હિમાચ્છાદિત પ્રદેશ
મનાલી : મનાલી ગિરિમાળાઓથી ઘેરાયેલું અને વનરાજિથી છવાયેલું મનોરમ્ય નગર તથા પ્રવાસધામ છે. તે કુલુ ઘાટીની સર્વોચ્ચ ઊંચાઈએ આવેલું છે. અહીં ગ્રીષ્મ અને શરદઋતુમાં દેશવિદેશના સહેલાણીઓનો મેળો જામે છે, જેથી આવાસવ્યવસ્થા ઘણી મોંઘી અને દુર્લભ બની જાય છે. જોકે અહીં અનેક લૉજ, અતિથિગૃહો, વિશ્રામગૃહો, હોટલો અને ઍલ્યુમિનિયમ કુટિરો આવાસની અને ભોજનની સારી વ્યવસ્થા પૂરી પાડે છે. મનાલીથી નજીકમાં હિડિમ્બાદેવીનું મંદિર તથા વશિષ્ઠ-કુંડ દર્શનીય સ્થાનો છે.
આ ઉપરાંત આ રાજ્યમાં કુલુ નગર, ચંબા, મંડી, બિલાસપુર, હમીરપુર, કેયલૉંગ, નાહાન, સોલન, ઉના વગેરે જિલ્લામથક સ્વરૂપની અન્ય શહેરી વસાહતો છે.
ઇતિહાસ : વેદોમાં ‘દાસ’ તરીકેનું જેમનું વર્ણન કરેલું છે તેવા ભારતના મૂળનિવાસીઓ અહીં પ્રાચીન સમયમાં વસવાટ કરતા હતા. સંગીત, નૃત્ય વગેરે કલાઓમાં નિપુણ એવા કિન્નરો અને ગાંધર્વો પણ આ ભૂમિપ્રદેશમાં વસવાટ કરતા હતા. શાસ્ત્રોમાં જેમનું વર્ણન કરેલું છે, તેવા કિન્નર લોકોની સાથે આ લોકો મળતા આવે છે. આર્યો અહીં આવ્યા ત્યારે અહીંના મૂળનિવાસીઓનો તેમની સાથે સંપર્ક થયો. આમ થતાં આ બંને લોકોની રહેણીકરણી પર પરસ્પર પ્રભાવ પડ્યો અને સંસ્કૃતિનું મિશ્રણ થયું.
જૂના સમયમાં આ પ્રદેશમાં ઠેર ઠેર ‘જનપદ’ નામે ઓળખાતી સ્વાયત્ત ગ્રામીણ વસાહતો હતી. આ પછી આ પ્રદેશ ઉત્તરોત્તર મૌર્ય, કુશાણ, ગુપ્ત વગેરે સામ્રાજ્યોની અસર હેઠળ આવ્યો અને અહીં નાનાં નાનાં રાજ્યો પ્રસ્થાપિત થયાં. 19મી સદીમાં પંજાબના રાજા રણજિતસિંહ તથા નેપાળના ગુરખા રાજા વચ્ચે આ પ્રદેશ પર કબજો જમાવવા માટેની રસાકસી થઈ, જેમાં રાજા રણજિતસિંહનો વિજય થયો. આ સમયમાં અહીંના કાંગરા રાજ્યના વીરરાજા સંસારચંદ્ર થઈ ગયા. તેમણે અહીંની કાંગરા શૈલીની વિખ્યાત ચિત્રકલાને ઉત્તેજન આપ્યું. આ પ્રદેશનું પહાડી નૈસર્ગિક સૌંદર્ય, સંસ્કૃત સાહિત્ય અને લોકોમાં શ્રીકૃષ્ણ પ્રત્યેની અનન્ય ભક્તિ – એ આ ચિત્રકલાને જન્મ આપનારાં મુખ્ય પરિબળો મનાય છે. કાંગરાના ચિત્રકારોએ રાધાકૃષ્ણના સનાતન પ્રેમના તથા શિવપાર્વતીના પ્રણયના પ્રસંગોને તેમની ચિત્રશૈલીમાં વાચા આપી છે. વળી જયદેવના ‘ગીતગોવિન્દ’ તથા શ્રીમદભાગવત પુરાણના પ્રસંગોને આ પ્રકારની ચિત્રશૈલીમાં અભિવ્યક્ત કર્યા છે. વળી આ કલાકારોએ રાગરાગિણીનાં ચિત્રોનું પણ સર્જન કર્યું છે. આ પ્રકારની ચિત્રકલાના નમૂના સિમલા કાંગડા તથા ચમ્બા નગરનાં સંગ્રહાલયોમાં જોવા મળે છે. 19મી સદીના અંતમાં આ પ્રકારની ચિત્રશૈલીનો કોઈ કારણસર અંત આવ્યો.
ભારતમાં બ્રિટિશ શાસન ચાલતું હતું ત્યારે આ અંગ્રેજ રાજ્યકર્તાઓએ દર વર્ષે ઉનાળામાં દિલ્હીથી હિન્દ સરકારની કચેરીઓ સિમલા લઈ જતા હતા. આ સમયે પંજાબની સરકાર પણ ઉનાળો ગાળવા લાહોરથી સિમલા જતી હતી. હવે આ ગિરિમથક પ્રવાસધામ બન્યું છે અને બારેમાસ સહેલાણીઓથી ઊભરાઈ જાય છે. ઈ. સ. 1931માં અહીં ગાંધીજી અને વાઇસરૉય લૉર્ડ ઇરવિન વચ્ચે મંત્રણાઓ થઈ હતી, જે પછી કરારમાં પરિણમી હતી. તેવી જ રીતે ઈ. સ. 1946માં બ્રિટિશ સરકારે મોકલેલ કૅબિનેટ મિશન સાથેની ભારતીય નેતાઓની સત્તાની ફેરબદલી અંગેની વાટાઘાટો પણ સિમલા ખાતે થઈ હતી. વળી ભારત–પાકિસ્તાન વચ્ચેની શિખર-મંત્રણાઓ ગોઠવવા માટે તેમજ કરાર માટે પણ સિમલાની પસંદગી કરવામાં આવી હતી.
ભારતને સ્વતંત્રતા મળી, તેના પછી આ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું છે. આ પહેલાં ચંબા, મંડી, સુકેત, બુશહર, સીરમુર, જુબ્બલ વગેરે છૂટાંછવાયાં રજવાડાંને એકત્ર કરીને તેને ‘ક’ વર્ગનું રાજ્ય બનાવવામાં આવ્યું હતું. સમય જતાં તેમાં બિલાસપુર રાજ્ય ભળી ગયું. આ પછી રાજ્યોનું પુનર્ગઠન કરવામાં આવ્યું, ત્યારે ‘ક’ વર્ગનાં રાજ્યો નાબૂદ કરવામાં આવ્યાં અને આમ હિમાચલ પ્રદેશ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો. ભાષાવાર રાજ્યરચના અંગેની લોકોની માગણી બળવત્તર બની અને પડોશના પંજાબ રાજ્યનું પંજાબી અને હિન્દી ભાષાના ધોરણે પંજાબ અને હરિયાણા – એમ બે અલગ અલગ રાજ્યોમાં વિભાજન કરવામાં આવ્યું.
એ સમયે જૂના પંજાબના સિમલા, કાંગરા, કુલુ, લાહુલ અને સ્પિતી, ગુરુદાસપુર તથા હોશિયારપુર જિલ્લાના કેટલાક ભાગો કે જેમનો ભાષાના ધોરણ પર પંજાબ કે હરિયાણા રાજ્યોમાં સમાવેશ થઈ શકે તેમ ન હતો, તેથી કેટલાક ભાગોને હિમાચલ પ્રદેશ સાથે સાંકળી દેવામાં આવ્યા. ઈ. સ. 1971ના આરંભે હિમાચલ પ્રદેશને ભારતનું અઢારમું રાજ્ય જાહેર કરવામાં આવ્યું.
બિજલ શંકરભાઈ પરમાર