સૌર અભિબિંદુ (Gegen schein) :

January, 2009

સૌર અભિબિંદુ (Gegen schein) : અંધારા આકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં અને ક્રાંતિતલ(ecliptic plane)માં આવેલ, ઝાંખો પ્રકાશ ધરાવતો વિસ્તાર. અલબત્ત આ વિસ્તાર અત્યંત અંધારા આકાશમાં જ ધ્યાનપૂર્વક આકાશનું નિરીક્ષણ કરતાં જોઈ શકાય છે.

સૂર્ય ફરતી કક્ષામાં ઘૂમતા ગ્રહોનું સરેરાશ સમતલ જે ક્રાંતિતલ છે (પૃથ્વી આ સમતલની જ કક્ષામાં ઘૂમે છે). તેમાં અગણિત સંખ્યામાં ઝીણા ધૂલીય રજકણો હોય છે. આ રજકણો સૂર્યપ્રકાશનું વિખેરણ કરે છે અને તેને કારણે મોડી સાંજે અને વહેલા પરોઢિયે સૂર્યની ઉપર એક ‘પ્રકાશસ્તંભ’ જેવી રચના સર્જાય છે, જેને ‘ક્રાંતિતલપ્રકાશ’ કહેવાય છે. મધ્યરાત્રિએ, આ રજકણો દ્વારા સૂર્યપ્રકાશના થતા વિખેરણને કારણે જ સૂર્યથી વિરુદ્ધ દિશામાં આ સૌર અભિબિંદુનો પ્રકાશ સર્જાય છે; અલબત્ત, ક્રાંતિતલપ્રકાશ કરતાં તે ઘણો ઝાંખો હોય છે.

જ્યોતીન્દ્ર ન. દેસાઈ