સારાભાઈ, સરલાદેવી (જ. 11 જાન્યુઆરી, 1894, રાજકોટ; અ. 11 જાન્યુઆરી 1975) : ગાંધીવિચારોથી પ્રભાવિત સન્નારી અને સારાભાઈ પરિવારનાં મોભી. તેમનાં માતાનું નામ જડાવબા અને પિતાનું નામ હરિલાલ ગોસલિયા. તેમનું મૂળ નામ રેવા હતું. રેવા દસ વર્ષનાં થયાં ત્યારે જડાવબાનું અવસાન થતાં ઘર અને બહેનોની સંભાળ લેવાની જવાબદારી રેવાના શિરે આવી પડી.
પિતા હરિલાલ ગોસલિયા વકીલ, ડિસ્ટ્રિક્ટ જજ તથા દેશી રાજ્યોમાં ઍડમિનિસ્ટ્રેટર હતા. તેમનાં માતા જડાવબા સેવાભાવી તથા ધાર્મિક સ્વભાવનાં હતાં. તેઓ ઢૂંઢિયા સ્થાનકવાસી જૈન હતાં. રેવાનું જીવનઘડતર સાદગીપૂર્ણ રીતે થયું હતું. રેવાનું શિક્ષણ ધોરણ દસ સુધીનું હતું. 1910માં પંદર વર્ષની ઉંમરે રેવાનાં લગ્ન અમદાવાદના શ્રીમંત અંબાલાલ સારાભાઈ સાથે થયાં હતાં. લગ્ન બાદ તેમનું નામ સરલાદેવી રાખવામાં આવ્યું હતું. અંબાલાલભાઈ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન હતા.
સરલાદેવીને આઠ સંતાનો હતાં. મોટી દીકરી સમાજસેવિકા મૃદુલાબહેન, વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈ, સુહૃદયભાઈ, ગૌતમભાઈ, ભારતીબહેન, લીનાબહેન, ગિરાબહેન અને ગીતાબહેન હતાં. તેઓ પોતાનાં સંતાનો માટે ઘરે શિક્ષકો રાખી શિક્ષણ આપતાં. સરલાદેવી મૉન્ટેસોરી શિક્ષણથી પ્રભાવિત હતાં. ભાવનગરમાં ઈ. સ. 1926માં મળેલા મૉન્ટેસોરી અધિવેશનમાં તેઓ પ્રમુખ હતાં. આ અધિવેશનમાં મૉન્ટેસોરી સંઘની સ્થાપના કરવામાં આવી. તેનાં પણ તેઓ પ્રમુખ નિમાયાં હતાં. આ સંઘને પાછળથી નૂતન બાલમંદિર સંઘ નામ આપવામાં આવ્યું હતું. બાળકો માટે ચાલતી ગૃહશાળાના શિક્ષકોની નિયત સમયે શિક્ષકસભા રાખી, પોતાનાં સંતાનોનાં અભ્યાસ અને પ્રગતિ વિશે પૂછપરછ કરી માહિતી મેળવતાં. પોતાનાં સંતાનોને માતૃભાષા ગુજરાતી સહિત સંસ્કૃત, હિંદી, અંગ્રેજી, ઉર્દૂ વગેરે ભાષાઓ શીખવવાનાં તેઓ હિમાયતી હતાં.
ઈ. સ. 1930થી તેઓ જાહેર સેવા અને સ્વતંત્રતાની ચળવળમાં સક્રિય થયાં. શરૂઆતમાં ગુજરાત પિકેટિંગ મંડળની જવાબદારી સ્વીકારી. સૌરાષ્ટ્રના રાણપુરમાં આઝાદીના આંદોલનમાં ભાગ લેતી મહિલાઓ પર પોલીસે જુલમ ગુજાર્યો, ત્યારે તેની તપાસ સમિતિનાં અધ્યક્ષ તરીકે કામ કર્યું. ગુજરાત પ્રાંતિક કૉંગ્રેસ સમિતિને સરકારે ગેરકાયદેસર જાહેર કરી, ત્યારે તેનું કાર્ય દિલ્હી દરવાજા બહાર એક ઝાડ નીચે શરૂ કર્યું. સરલાદેવીએ ત્યાં જ ધ્વજ ફરકાવી સરઘસ કાઢ્યું. આ માટે તેમની ધરપકડ થઈ.
ધરાસણા અને દાંડીમાં ઘવાયેલા સ્વાતંત્ર્યસૈનિકોની સારવાર માટે તેમણે મિરજાપુરના બંગલે પોતાની દેખરેખ હેઠળ એક હૉસ્પિટલ શરૂ કરી. બીજે વર્ષે ધોળકામાં ભાષણ કરવા જતાં તેમની ધરપકડ થઈ હતી. તેમની દીકરી મૃદુલાબહેનને સ્વતંત્રતાની લડતમાં ભાગ લેવાને કારણે પુણેની જેલમાં રાખવામાં આવ્યાં હતાં.
ઈ. સ. 1946માં ગાંધીજીના નિમંત્રણથી તેમણે કસ્તૂરબા નિધિના પ્રતિનિધિની જવાબદારી સંભાળી. ગામડે ગામડે પ્રચાર અને કેન્દ્રોની રચનાર્થે મુસાફરી કરી. કોબામાં કસ્તૂરબા વિદ્યાલયની સ્થાપના કરી. ઈ. સ. 1946થી 1964 સુધી તેઓ કસ્તૂરબાનિધિની પ્રવૃત્તિમાં વ્યસ્ત રહ્યાં.
તેઓ દેશના જગવિખ્યાત વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈના વિકાસમાં અને પુત્રી મૃદુલાબહેનનાં સેવાકાર્યોમાં સતત પ્રોત્સાહન અને માર્ગદર્શન આપતાં. ગર્ભશ્રીમંત હોવા છતાં સાદાઈ, કરુણા, સમાજસેવા, રાષ્ટ્રજીવન વગેરે વિવિધ ક્ષેત્રે લોકસેવા કરીને તેમણે સમાજમાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
સરલાદેવીને બાળપણમાં મળેલા સાદાઈ તથા ત્યાગના સંસ્કારો અમદાવાદમાં ગાંધીજીના સંપર્કથી વિકસ્યા. તે સાથે તેઓ વિનમ્રતા તથા નિષ્ઠાથી વિવિધ કક્ષાના રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય મહેમાનોની સરભરા સુંદર રીતે કરી સદભાવના પ્રાપ્ત કરી જીવન જીવી ગયાં.
કનુભાઈ શાહ
