સાંગાણી, દામુ (જ. 20 નવેમ્બર, 1912, સડોદર, જામનગર; અ. 17 એપ્રિલ, 1975, રાજકોટ) : હાસ્ય નાટકોને કારણે અતિ પ્રસિદ્ધ, ભજવણીના સીમાસ્તંભો મુકરર કરનાર નાટ્યકાર. તેઓ દશા સોરઠિયા વણિક ત્રાતિના હતાં. સહજ, સરળ, દૈનિક જીવનની વિષમતાઓ, ગૂંચ, ગોટાળા એમનાં નાટ્યવસ્તુ તરીકે જોવા મળે છે.

સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી રંગભૂમિ જેમ બ્રોકર, શિવકુમાર જોશી, મડિયા દ્વારા સામાજિક, મનોવૈજ્ઞાનિક, ગ્રામજીવનનાં અને શહેરી જીવનનાં નાટકો આપે છે તેમ, યશવન્ત પંડ્યા આદિ નાટ્યકારો બાળનાટકો, પુરાણ આધારિત કે પ્રહસનાત્મક નાટકો આપે છે. ચં. ચી. મહેતા પૌરાણિક, ઐતિહાસિક, ગ્રામજીવન આધારિત, સ્વાતંત્ર્યઆંદોલનનાં વસ્તુને લઈને તેમજ ચરિત્રપ્રધાન નાટકો લઈને મોખરે રહે છે.

દામુ સાંગાણી

એમણે 14 જેટલી હાસ્ય નવલકથા, 12 હાસ્ય નવલિકાઓ અને 25 જેટલાં હાસ્યરસિક નાટકોનું સર્જન કરેલું. 1940થી 1975ના ગાળામાં સૌરાષ્ટ્ર-ગુજરાતની ભાગ્યે જ કોઈ નાટ્યસ્પર્ધા હશે જેમાં દામુ સાંગાણીનાં નાટકો ભજવાયાં ન હોય. ભાગ્યે જ એવો કોઈ દિગ્ગજ અભિનેતા હશે જેણે હાઈસ્કૂલ કે કૉલેજ કક્ષાએ દામુભાઈના નાટકમાં કામ નહિ કર્યું હોય. આપણી નાટ્યવિવેચનામાં અને સાહિત્યિક પારિતોષિકોમાં આમ છતાં, દામુ સાંગાણીનું નામ બહુ જૂજ અપવાદો સિવાય ભાગ્યે જ જોવા મળે છે.

જીવનના કડવા-મીઠા અનુભવો, વ્યક્તિગત ગેરસમજોથી થતી ફજેતીઓ, સારું કરવા છતાં છબરડો થઈ જાય તેવા અનુભવોથી હસતાં પાત્રો દામુભાઈની વિશેષતા છે.

1972ના માર્ચની 31મીએ ગુજરાત સરકાર દ્વારા એમનું બહુમાન થયું હતું. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી યોજિત આ સન્માન સમારંભ હતો. એમનાં બહુ ચર્ચિત, વિજેતા નીવડેલાં અને ભજવાયેલાં નાટકોમાં ‘ડાર્લિંગ નહીં જોઈએ’, ‘કુંવારાએ કરી લીલા’, ‘ઘર છોડી ભાગ્યાં’, ‘છતમાં છકી ગયાં’, ‘રેખાએ રંગ રાખ્યો’, ‘જૂઠાંનો મેળો’, ‘લાવ, લાવ ને લાવ’, ‘ભોગ મારા તમે મળ્યા’, ‘ગળે પડ્યા’, ‘ટાળો ટાળો તોય ગોટાળો’, ‘માન માન મારું માન’, ‘દસમો ગ્રહ’, ‘અમે એવા નથી’, ‘ઘરના જ ફરી ગયા’ વગેરેનો સમાવેશ થાય છે.

એમનાં અન્ય નાટકોમાં ‘હું ઘેર નહિ આવું’, ‘શું હતા અને શું થઈ ગયા’, ‘સસરો વેચવો છે’ જેવાં ઉલ્લેખનીય નાટકો છે. ‘નટીશૂન્ય પ્રહસનો’, ‘નટીશૂન્ય એકાંકી’, ‘નટશૂન્ય પ્રહસનો’, ‘પાંચ પ્રહસન’, ‘અદલાબદલી’, ‘આવ્યા એવા ગયા’, ‘હાસ્યરસિક નાટિકાઓ’, ‘અભિનવ એકાંકી’ જાણીતા નાટ્યસંચયો છે.

એમની જાણીતી હાસ્યપ્રધાન નવલકથાઓ પણ જે તે સમયે ખૂબ વંચાયેલી અને પ્રશંસાયેલી છે. જેમાં, ‘મારે નથી પરણવું’, ‘મોટા ઘરનો જમાઈ’, ‘હું એક મુરતિયો’, ‘પસંદગીનો પતિ’, ‘રેતીમાં વહાણ’, ‘લાગી મને લગની’, ‘ધોળે દિવસે તારા’ મુખ્ય છે. ‘પરણ્યાં છતાં કુંવારા’ નવલકથાએ પણ વિક્રયનો રેકૉર્ડ નોંધાવ્યો છે. ‘બુદ્ધુ, ત્રાહિમામ્ અને ચાલો મોજ કરીએ’ કથાઓ પણ એટલી જ જાણીતી છે. ‘વાતનું વતેસર’, ‘જગુ-ભગુની જોડી’ જેવી કથાઓ તેની શૈલીને કારણે અને ખડખડાટ હાસ્ય રજૂઆતોને કારણે જાણીતી છે. ‘શું બૈરી મળી છે’, ‘હું અને મારી શ્રીમતી’, ‘શ્રીમતીની ડાયરી’ જેવી નવલિકાઓ દ્વારા પ્રાસાદિક શૈલીમાં સહજતાથી અને નિર્દંશ હાસ્યથી કેવું પરિણામ મેળવી શકાય તે દામુભાઈએ પ્રતિપાદિત કર્યું છે.

અલ્પશિક્ષિત અને જીવનભર કલમજીવી રહેનાર શ્રી દામુભાઈ રાજકોટના દીવાનપરામાં ‘ધોળકિયા ભુવન’માં રહેતા હતા. બે પુત્રીઓ અને પુત્ર શ્રી સુરેશ સાંગાણીનો પરિવાર ધરાવતા શ્રી દામુ સાંગાણી ગુજરાતી હાસ્ય નવલકથા અને નાટ્યક્ષેત્રે એક ઝળહળતું નામ છે. એ પહેલાં સુપુત્ર સુરેશ સાંગાણી મુંબઈનાં ઉત્તમ નાટકો રાજકોટમાં લાવીને અને સેટ, ડિઝાઇન, પ્રકાશ યોજના દ્વારા પરિવારને આર્થિક મદદ કરતા થઈ ગયા હતા.

શૈલેશ ટેવાણી