શૂર્પારક : પરશુરામે પશ્ચિમ કિનારે સ્થાપેલ નગર, જે વેપારનું કેન્દ્ર બન્યું. પરશુરામ તે દ્વારા ઉત્તરમાંના આર્યો પાસેના વેપારને દક્ષિણમાં દ્રવિડો તરફ વાળવા માગતા હતા. મહાભારતમાંનો એક શ્લોક સૂચવે છે કે શૂર્પારક અગાઉ જમદગ્નિ દ્વારા વસાવવામાં આવ્યું હતું. ઈ.સ. 70 અને 80 વચ્ચેના સમયગાળામાં લખાયેલ ‘ધ પેરિપ્લસ ઑવ્ ધી ઇરિથ્રિયન સી’માં જણાવ્યું છે કે સુપ્પારા, હાલના થાણા જિલ્લામાં આવેલ સોપારા, તે જ પ્રાચીન શૂર્પારક. તે અપરાંત દેશનું પાટનગર હતું. મહાભારતમાં જણાવ્યા પ્રમાણે પાંડવોએ કરેલ અશ્વમેધ યજ્ઞ વખતે સહદેવે કરેલા દિગ્વિજયમાં આ દેશનું નામ છે.

બૌદ્ધ ધર્મના ગ્રંથોમાં કહ્યું છે કે પોતાના એક પૂર્વ જન્મમાં ગૌતમ બોધિસત્વ પોતે સોપારામાં જન્મ્યો હતો. જૈન ગ્રંથોમાં પણ ઘણે ઠેકાણે એનો નિર્દેશ કરવામાં આવ્યો છે.

ઈશ્વરલાલ ઓઝા