શુક્લ, રામપ્રસાદ મોહનલાલ (. 22 જૂન 1907, ચૂડા; . 14 એપ્રિલ 1996, અમદાવાદ) : કવિ અને વિવેચક. મૂળ નામ રતિલાલ. એમનું વતન વઢવાણ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ જામખંભાળિયામાં અને ઉચ્ચ શિક્ષણ અમદાવાદની ગુજરાત કૉલેજમાં. સંસ્કૃત મુખ્ય વિષય સાથે બી.એ. (1928) થયા પછી ઘણા લાંબા સમયગાળા પછી ઈ. સ. 1944માં ગુજરાતી મુખ્ય વિષય સાથે એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી હતી. ઈડર રાજ્યમાં શિક્ષક અને પછી નિરીક્ષક તરીકે. એમ.એ. થયા પછી આરંભમાં સી. એન. વિદ્યાલયમાં શિક્ષક તરીકે અને પછી અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે સત્તરેક વર્ષ રહ્યા પછી ખંભાત અને પછી અમદાવાદની મહિલા કૉલેજમાં આચાર્ય તરીકે પણ લાંબા સમય સુધી સેવા આપેલી. સાહિત્ય ઉપરાંત પુરાતત્વ, વિજ્ઞાન, ભૂગોળ, ખગોળ, અધ્યાત્મ જેવા વિવિધ વિષયોના અધ્યયનમાં તેઓ રત રહેતા હતા.

‘બિન્દુ’ એમનાં 60 સૉનેટનો પ્રથમ કાવ્યસંગ્રહ (1943) બચુભાઈ રાવતની માવજત પામીને પ્રગટ થયો હતો. સૉનેટના સાહિત્યપ્રકાર ઉપર એમની વિશિષ્ટ હથોટી હતી. એમાં ‘વિનાશ અને વિકાસ’નાં 25 સૉનેટનો પ્રભાવક ગુચ્છ વિનાશ દ્વારા વિકાસના નિયતિક્રમને આલેખે છે. વિશ્વયુદ્ધની ભીષણતા પછીની પ્રફુલ્લતાની શ્રદ્ધા વ્યક્ત કરતી કવિની આંતરસૂઝનું એ અનન્ય નિરૂપણ કરે છે. એમાં પ્રકૃતિથી ચિંતક-વિચારક આ કવિનું ભાવજગત સુપેરે ઝિલાયું છે. સંસ્કૃત વૃત્તોનો કર્ણરસાયન બનતો લયહિલ્લોળ, સહજતાથી સિદ્ધ થતી સબળ પ્રાસયોજના, ભાવને પુષ્ટ કરતા તાજગીસભર અલંકારો, સૉનેટના સાહિત્યપ્રકારમાં અપેક્ષિત ઉત્કર્ષબિન્દુઓ-વળાંકો વગેરે રાસાયણિક સંયોગથી એમનાં સૉનેટને કલાત્મકતા અર્પે છે.

ગાંધીયુગના આ એક પ્રમુખ કવિ (ઉમાશંકર અને સુન્દરમના પરમમિત્ર, જેમને વિશે ઉમાશંકરે ‘ત્રિઉર’ નામનું સુખ્યાત કાવ્ય લખેલું) ‘બિન્દુ’ના પ્રકાશન પછી છેક ઈ. સ. 1993માં, એમની 83 વર્ષની વયે ‘સમય નજરાયો’ નામનો કાવ્યસંગ્રહ પ્રગટ કરે છે. એમાં ‘બિન્દુ’નાં સૉનેટોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત સાહિત્ય અકાદમીનું એને પ્રથમ પારિતોષિક પણ પ્રાપ્ત થયું. ચોથા દાયકાથી નવમા દાયકા સુધીના કવિતાપ્રવાહનાં વિવિધ સ્થિત્યંતરોનો એમાં સુરેખ આલેખ જોવા મળે છે. એમાં પણ ‘સ્મૃતિ’ અને ‘સંસૃતિ’ નામક સૉનેટના બે ઉત્તમ કાવ્યગુચ્છો છે. પ્રથમ ગુચ્છમાં એક કલ્પિત યુગલની વિરહવેદૃષ્ટિત પ્રણયની પળો સહજ સંવાદોમાં છંદના લયહિલ્લોળ અને મનોરમ પ્રાસરચનાથી આકર્ષી રહે છે. બીજા ‘સંસૃતિ’ ગુચ્છમાં દામ્પત્યભાવનાં સ્ફુરણો સમયને અવલંબ્યા છતાં સમયાતીત છે એવી વિભાવનાને નિરૂપે છે. એમાં સાબરકાંઠાની ઈડર પ્રદેશની પ્રકૃતિના સૌન્દર્યના મનોહર પરિવેશનાં ચિત્રણો આસ્વાદ્ય બન્યાં છે. આ ઉપરાંત આ સંગ્રહમાં ગઝલો, ગીત, ભજન, ગરબી, રાસ, મુક્તક, દુહા અને કેટલીક દીર્ઘરચનાઓ પણ છે. નિરંજન ભગતે એમની કવિતાને યોગ્ય રીતે જ ‘બુદ્ધિપૂત ઊર્મિની કવિતા’ કહી છે. કવિની કવિતાની શૈલી ઘટ્ટ વણાટવાળી છે. શિખરિણી અને હરિણીનો છંદોલય એમનાં સૉનેટોમાં પ્રફુલ્લી ઊઠ્યો છે; ગીતોમાં લોકલયની વિવિધ લીલાઓ એમાં સહજતાથી ઝિલાઈ છે.

‘કુમાર’ માસિકમાં પાંચેક દાયકા પહેલાં પ્રગટ થયેલી નદીઓની પદયાત્રાના એમના લેખો ઈ. સ. 1993માં ‘સરિતાઓના સાન્નિધ્યમાં’ શીર્ષકથી ગ્રંથસ્થ થયા છે. એમાં સાબરમતી, હાથમતી, બનાસ તેમજ સૌરાષ્ટ્રની ડેમી અને ઊંડ જેવી નદીઓનાં તથા સરિત્સંગમોની શોભાનાં વર્ણનો આસ્વાદ્ય બન્યાં છે. પાણીનાં વહેણોનાં પલટાતાં વિવિધ રૂપો મનોરમ અલંકારો અને આકર્ષક અભિવ્યક્તિ-છટાઓથી ચિત્રાત્મક બન્યાં છે. એમાં વર્ણવાયેલી સાહસકથા પણ ઉત્કટ વાર્તારસનો તેમજ ગદ્યવૈભવનો આહ્લાદક પરિચય કરાવે છે. એમાં ભૌગોલિક માહિતી અને ઇતિહાસદૃષ્ટિનાં નવાં અર્થઘટનો છે અને એમાંની પુરાતત્ત્વીય સામગ્રી તાજેતરમાં મોજણી કરતા સંશોધકોને પ્રેરક બની છે.

કવિ અને પ્રવાસવર્ણનના લેખક ઉપરાંત તેઓ વિદ્વાન વિવેચક તરીકે પણ પ્રતિષ્ઠા પામ્યા છે. ‘પ્રસ્થાન’માં પ્રગટ થયેલા એમના ‘વિવેચન-સહૃદયતાની કેળવણી’ વગેરે લેખો વાંચીને બ. ક. ઠાકોર પણ પ્રસન્ન થયા હતા. એમના ‘સમૂળી ક્રાંતિ’, ‘વસંતવિલાસ’, ‘ન્હાનાલાલનાં ઊર્મિકાવ્યો’ જેવા અનેક અભ્યાસલેખો હજી ગ્રંથસ્થ થવાના બાકી છે. સંસ્કૃત સાહિત્યના ‘મૃચ્છકટિક’, ‘સંસ્કૃત નાટ્ય-સાહિત્ય’, ‘વેદાન્ત વિચારધારા’ જેવા કેટલાક મનનીય લેખો હજી સામયિકોમાં દટાયેલા છે. ગુજરાત સાહિત્ય સભા તરફથી પ્રગટ થતી વાર્ષિક ગ્રંથસમીક્ષાઓ (ઈ. સ. 1947 તેમજ ઈ. સ. 1948ની) પણ એમની મર્મજ્ઞ વિવેચનાનો પરિચય કરાવે છે. અન્યની સાથે ‘આપણું સાહિત્ય’ નામે ગુજરાતી સાહિત્યના ઇતિહાસલેખનનું પણ એક પુસ્તક એમણે પ્રગટ કરેલું. એમની સાહિત્યસેવા માટે ગુજરાત સાહિત્ય સભાએ એમને ‘ધનજી કાનજી સુવર્ણચન્દ્રક’ (મરણોત્તર) અર્પણ કરેલો.

ચિમનલાલ ત્રિવેદી