વૈદ્ય, અનુરાધા શશીકાન્ત (શ્રીમતી)

February, 2005

વૈદ્ય, અનુરાધા શશીકાન્ત (શ્રીમતી) (. 9 જુલાઈ 1944, લાતુર, મહારાષ્ટ્ર) : મરાઠી નવલકથાકાર અને વાર્તાકાર. તેમણે 1964માં મરાઠાવાડ યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી મેળવી. પછી તેઓ મરાઠાવાડ સાહિત્ય પરિષદ અને મહિલા મંડળ, ઔરંગાબાદ સાથે સક્રિયપણે સંકળાયેલાં છે.

તેમણે મરાઠીમાં 15 ગ્રંથો આપ્યા છે. ‘ઉત્તર રાત્ર’ (1985), ‘બાકી ક્ષેમ’ (1991), ‘જોગ્વા’ (1991), ‘મનુષ્યહાટ’ (1992) અને ‘ગુંફન’ (1994) તેમના જાણીતા વાર્તાસંગ્રહો છે. ‘અજુની ખુલા હા’ (1991) હાસ્યકથા છે. તેમની બે નવલકથાઓ ‘મધ્યમ’ અને ‘સુમી અને સોનિયા’(1993)માં બીજી બાળકો માટેની છે.

તેમના સાહિત્યવિષયક પ્રદાન બદલ તેમને 1992માં થિયેટર અકાદમી, પુણે ઍવૉર્ડ; પી. કે. અત્રે ઍવૉર્ડ તથા 1993માં એનસીઈઆરટી ચિલ્ડ્રન્સ બુક ઍવૉર્ડ અને એન. એસ. ફડકે સાહિત્ય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે.

બળદેવભાઈ કનીજિયા