વેણુગોપન નાયર, એસ. વી.

February, 2005

વેણુગોપન નાયર, એસ. વી. (. 18 એપ્રિલ 1945, કરોડે, જિ. તિરુવનંતપુરમ્, કેરળ) : મલયાલી સાહિત્યકાર. તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી મલયાળમમાં એમ.એ., એમ.ફિલ., પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી છે. તેમણે એમ. જી. કૉલેજ, તિરુવનંતપુરમમાં રીડર તરીકે અધ્યાપનકાર્ય કર્યું. તેઓ કેરળ સાહિત્ય અકાદમીની કારોબારીના સભ્ય પણ રહ્યા હતા.

તેમણે અત્યાર સુધીમાં 10 ગ્રંથો આપ્યા છે. ‘ગર્ભશ્રીમાન’ (1976); ‘મ્રિતિથલમ્’ (1979); ‘આદિસેશન’ (1983); ‘રેખાઈલ્લતા ઓરાલ’ (1984); ‘ઓટ્ટપ્પાલમ્’ (1990) – એ તેમના નોંધપાત્ર વાર્તાસંગ્રહો છે. તેમણે અંગ્રેજી કૃતિઓને મલયાળમમાં અનૂદિત કરી છે.

તેમને 1984માં ઇડેસ્સરી ઍવૉર્ડ અને 1990માં કેરળ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયા હતા.

બળદેવભાઈ કનીજિયા