વાતજૈવવિજ્ઞાન : વાયુવાહિત (air borne) સજીવો અને જૈવિક ઉદભવવાળા વાયુવાહિત કણો સાથે સંકળાયેલું વિજ્ઞાન. આ કણોનું વહન હવાના પ્રવાહ દ્વારા પરોક્ષ રીતે થાય છે. સામાન્ય રીતે હવામાં રહેલાં પરાગરજ અને બીજાણુઓ વાયુવાહિત જૈવિક કણો છે; જ્યારે નાના કીટકો વાયુવાહિત સજીવો છે. મોટા કીટકો અને પક્ષીઓ વાયુવાહિત સજીવો નથી. 2002માં લીલ અને અન્ય નાના જલવાહિત (water borne) સજીવો વાદળાંમાં વસવાટ ધરાવતા શોધાયા છે. મોટું વાદળ તેના કદ જેટલું છીછરા તળાવમાં પાણી હોય તેટલું પાણી ધરાવે છે.

વાતજૈવવિજ્ઞાનનો ચિકિત્સા-વિજ્ઞાનમાં ખૂબ મહત્વનો ફાળો છે. ઘણા બૅક્ટેરિયા અને વાયરસનું વહન પવન દ્વારા થાય છે. વળી, યુદ્ધમાં પણ જૈવિક પ્રક્રિયકોને હવામાં છોડવામાં આવે છે, તેથી આ ક્ષેત્ર ઘણું મહત્વ ધરાવે છે અને ખૂબ પ્રયુક્ત (applied) છે.

વાતજૈવવિજ્ઞાનનાં સંશોધનો પરાગરજ અને બીજાણુઓની પ્રત્યૂર્જતા (allergy) સાથે ગાઢ રીતે સંકળાયેલાં છે. આ પ્રકારનું સંશોધન-ક્ષેત્ર વ્યક્તિને પરાગરજની પ્રત્યૂર્જતાથી કેવી રીતે રક્ષણ આપી શકાય તેની સાથે સંબંધિત છે. પરાગરજ અને પ્રદૂષણની આંતરક્રિયા પરનાં સંશોધનો પણ વાતજૈવવિજ્ઞાનનું ક્ષેત્ર છે.

પરાગરજના વિકાસ અને તેના પરિક્ષેપણ (dispersal) વિશેના અભ્યાસ દ્વારા કોઈ એક વનસ્પતિજાતિની પરાગરજ હવામાં ક્યારે અને કેટલા જથ્થામાં ઠલવાય છે તે જાણી શકાય છે. પરાગરજ અને બીજાણુઓના વાતાવરણમાંના વહન અને વિસ્તરણ(spread)ના અભ્યાસ દ્વારા પરાગરજ અને બીજાણુઓનું ક્યાં નિક્ષેપણ (deposition) થાય છે, તેની માહિતી ઉપલબ્ધ થાય છે. અંતમાં, પ્રત્યૂર્જક વ્યક્તિઓમાં કયાં પ્રત્યૂર્જક-જનિક (allergenic) ચિહ્નો ઉદભવે છે, તેના અભ્યાસ દ્વારા માનવશરીર અને મૂળભૂત રીતે નિરુપદ્રવી પરાગરજ અને બીજાણુઓ વડે થતી પ્રતિક્રિયાની અસર હળવી કરવાના પ્રયાસો થઈ શકે.

વાતજૈવવિજ્ઞાનનું ક્ષેત્ર ઘણું વિશાળ છે. વાતજૈવવિજ્ઞાનના ક્ષેત્રને ઘણી વાર વાતાવરણીય (atmospheric) ‘સૂક્ષ્મજીવવિજ્ઞાન’ ગણવામાં આવે છે. તે જીવવિજ્ઞાન, ઇજનેરી વિદ્યા (engineering), મોસમવિજ્ઞાન (meteorology), ભૌતિકવિજ્ઞાન અને ચિકિત્સાવિજ્ઞાન સાથે સંકળાયેલું છે. હાલમાં સમગ્ર વિશ્વમાં વાતજૈવવિજ્ઞાન સંબંધી સંશોધનોમાં સેંકડો વૈજ્ઞાનિકો પ્રવૃત્ત છે. પરાગરજવિદ્યાકીય (palynological) પ્રયોગશાળા અને અન્ય પ્રયોગશાળાઓ જુદા જુદા વિસ્તારોમાં વિવિધ વાતજૈવવિજ્ઞાનને લગતી સંખ્યાબંધ સંશોધન-પરિયોજનાઓ(research project)માં સક્રિય છે.

બળદેવભાઈ પટેલ