વનસ્પતિરોગશાસ્ત્ર

વનસ્પતિ-રોગો સાથે સંકળાયેલું વિજ્ઞાન. વનસ્પતિરોગશાસ્ત્રનું એટલે કે રોગિષ્ઠ છોડનું જ્ઞાન થોડાંક હજાર વર્ષ પુરાણું છે; તેમ છતાં તેના વિશે ચોક્કસ જાણ નથી કે માણસે ક્યારે વ્યાધિજનની અસરકારકતાને ધ્યાનમાં લીધી એવા કોઈ લેખિત પુરાવાઓ મળતા નથી; પરંતુ જીવાશ્મીય (palaeontological) અભ્યાસ એવો પુરાવો આપે છે કે કેટલાક છોડનાં મૂળના અવશેષોમાં ફૂગના સૂક્ષ્મ તાંતણા જોવા મળેલ હતા; જે આશરે 230 લાખ વર્ષ પહેલાંના હોવાનો અંદાજ છે. ધાર્મિક અને સંસ્કૃતિની ઉત્પત્તિનાં પુરાણોના લેખોમાં રોગિષ્ઠ છોડના વર્ણનના ઘણાબધા પુરાવા વાંચવા મળે છે; જેમ કે, પાનનો ઝાળ, ભૂકી-છારો અને પાનના તળછારા રોગનાં વર્ણન જે તે સમયના સંસ્કૃતિના સાહિત્યમાં જોવા મળે છે. રોમન પ્રજાની ઉત્ક્રાંતિ સાથે સંકળાયેલા ધાર્મિક સાહિત્યમાં ઘઉંમાં આવતા ગેરુ રોગનું વર્ણન છે. પાકમાં ખૂબ જ નુકસાન થતાં તેમની જીવનશૈલી ઉપર ખરાબ અસર થતી હતી, તેથી કેટલાક રોગોથી બચવા તેઓ ભગવાનની પૂજા-અર્ચના કરતા હતા અને પાકની ઋતુમાં આવા રોગો ભગવાન કે દેવીના કોપને લીધે આવે છે તેને દૂર કરવા માનતાઓ પણ માનતા હતા. તેઓ તેમના કોપથી બચવા માટે ભેગા મળી ઉત્સવ ઊજવી, દેવી-દેવતાને પ્રસન્ન કરતા હતા. ઇતિહાસમાં ઉદાહરણ રૂપે જોઈએ તો રોમન પ્રજાએ ગેરુને (રસ્ટ) ભગવાનનો કોપ માનીને એનું નામ રસ્ટ ભગવાન કે રૉબિગો પાડ્યું અને એના માટે રૉબિગેલિયા તહેવારની ઉજવણી, ઘઉંનો પાક તૈયાર થવાના સમયે કરતા હતા. જેથી ગેરુના નુકસાનથી તેમનો એ પાક બચી શકે.

વારો, થિયૉફ્રેસ્ટસ, પ્લિની, સીકન્ડસ, કોલુમેલા અને અન્ય વૈજ્ઞાનિકોનાં લખાણોમાં, ગેરુ અને પાનના ઝાળના રોગો વિશેની માહિતી તેમજ તેમને નિયંત્રણ કરવાની રીતોનું વર્ણન ઈ. પૂ. પહેલી સદીમાં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કેટલીક સદીઓના સાહિત્યમાં આવા રોગોનું વર્ણન વાંચવા મળતું નથી; પરંતુ કેટલાક નવા રોગોની ઓળખાણ અને તેમનું વર્ણન શેક્સપિયરના સમયમાં પ્રગટ થયેલ. આમ છતાં જૂની પુરાણી કહેવત કે રોગ ભગવાન મોકલે છે એ માન્યતા સત્તરમી સદી સુધી બદલાઈ ન હતી. તે બતાવે છે કે તેઓ આ સૂક્ષ્મ જીવોથી બિલકુલ અજાણ હતા.

સૂક્ષ્મ જીવોની શોધ ઈ. સ. 1676માં ડચ વૈજ્ઞાનિક એન્ટૉન વૉન લ્યુવૉન હૉક દ્વારા થતાં જીવવિજ્ઞાનમાં એક નવા યુગની શરૂઆત થઈ હતી. ફ્રાન્સના વૈજ્ઞાનિક જોસેફે, છોડને આંતરિક અને બાહ્ય રોગ થવાનાં કારણોની માહિતી ઈ. સ. 1705માં આપી હતી. તે સમયમાં વૈજ્ઞાનિકો વચ્ચે એવી અટકળો થતી હતી કે જીવ એ ભગવાનની દેન નથી, એ આપમેળે પેદા થાય છે. આ મુદ્દાએ તે સમયગાળાના વૈજ્ઞાનિકોમાં જીવ વિશેના અભ્યાસની રુચિ પેદા કરી હતી. દુનિયાના અનેક વૈજ્ઞાનિકો સૂક્ષ્મ જીવોનાં ઉત્પત્તિ-અસ્તિત્વ અને અન્ય જીવો પરની તેમની સારી-ખરાબ અસર પુરવાર કરવામાં અખતરા કરતા હતા. ઘણીબધી અટકળોના અંતે ફ્રેન્ચ વૈજ્ઞાનિક લુઈ પાશ્ર્ચરે (1822-1895) જૂની માન્યતાને મરણતોલ ઘા કરનારો સિદ્ધાંત રજૂ કર્યો. 1862માં તેમણે દુનિયાના વૈજ્ઞાનિકોને બતાવ્યું કે આથો અને સેન્દ્રિય ખાતરના કોહવારા માટે સૂક્ષ્મ જીવો જવાબદાર છે. બીજા અનેક અખતરાઓથી એમણે રોગાણુસિદ્ધાંત (germ theory) અને માનવ અને પ્રાણીઓમાં થતા કેટલાક રોગો ચેપી હોય છે એ સાબિત કર્યું અને તેમના ઉપચાર માટેની રસીની શોધ પણ એમણે જ કરી. જીવવિજ્ઞાનમાં સૂક્ષ્મ જીવાણુની આવી અનોખી શોધખોળોને કારણે એક અલગ શાખાનો ઉદભવ થયો, જે આજે વનસ્પતિરોગશાસ્ત્ર તરીકે પ્રચલિત છે. તેમાં જીવસૃદૃષ્ટિના 40 ટકાથી વધારે સૂક્ષ્મ જીવોનો સમાવેશ થાય છે. આ સૂક્ષ્મ જીવો જીવાણુ, ફૂગ, વિષાણુ, માઇક્રોપ્લાઝ્મા, રિકેટ્શિયા અને કૃમિ જાતના હોય છે. પ્રાચીન સમયમાં વનસ્પતિરોગશાસ્ત્રના અભ્યાસનો સમાવેશ વનસ્પતિશાસ્ત્રમાં કરેલો હતો. વનસ્પતિશાસ્ત્રીઓએ પોતાની રુચિ પ્રમાણે અને રોગોથી થતા નુકસાનને ધ્યાનમાં લઈ વનસ્પતિ-રોગશાસ્ત્રના અભ્યાસની શરૂઆત કરેલી હતી. યુરોપમાં અઢારમી સદીમાં સૌપ્રથમ ટીલેટે (1755), ઘઉંના રસ્ટ રોગના જીવનચક્રનો અભ્યાસ કર્યો હતો, ફ્રાન્સના ફોન્ટાના (1767) અને ટૉર્ગિયૉની-(1768)એ, સાબિત કર્યું કે ઘઉંનો ગેરુનો રોગ સૂક્ષ્મ જીવોથી થાય છે. આ સંશોધન બાદ ઘણા બધા રોગો થવાના વ્યાધિજન તરીકે ફૂગ જવાબદાર છે એવું પુરવાર થયું.

આ જ સમયગાળા દરમિયાન દુનિયાના કેટલાક વનસ્પતિ-રોગશાસ્ત્રીઓએ ફૂગનો અભ્યાસ અને તેનું વર્ણન કર્યું, જેમાં ઇટાલીનો માઇકેલી (1679-1737), ફ્રાન્સમાંના પરસુન (1761-1836), લેવિલ (1796-1870) અને તુલાસને બંધુઓ, સ્વીડનમાંનો ફ્રાઇસ (1794-1878), ઇંગ્લૅન્ડમાંનો બર્કલી મુખ્ય છે. ઘઉંનો આંજિયો રોગ ચેપી વલણ ધરાવે છે, એવું પ્રીવૉસ્ટે 1807માં સાબિત કર્યું. ઍન્ટૉન-ડી-બેરીએ (1831-1888) પ્રથમ વખત પદ્ધતિસરનું સંશોધન કરીને એવું સાબિત કર્યું કે વનસ્પતિમાં થતા રોગ માટે મુખ્યત્વે ફૂગ જવાબદાર છે. આ ઉપરાંત તેણે સૌપ્રથમ વાર ફૂગનું જીવનચક્ર અને વનસ્પતિમાં રોગ ફૂગ દ્વારા થાય છે એવું પ્રયોગોથી સાબિત કરી બતાવ્યું, જેથી એને વનસ્પતિરોગશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે.

વનસ્પતિરોગશાસ્ત્રનો વિકાસ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં મુખ્યત્વે જર્મનીમાં થયો હતો. આ સમયગાળા દરમિયાન કુહન (1825-1910), ઑસ્કાર બ્રેફેલ્ડ (1839-1925), હારટીજ (1839-1901), ફ્રૅન્ક (1839-1900) અને ક્લૅબ્સ (1857-1918), રશિયામાં વોરૉનીન (1838-1903), અમેરિકાનો બરીલ (1839-1916), ઇટાલીમાં સવાસ્ટીનો (1853-1910); ઇંગ્લૅન્ડમાં માર્શલ વર્ડ (1861-1906) જેવા વૈજ્ઞાનિકો મુખ્ય છે. ઈ. સ. 1882માં સૌપ્રથમ ફ્રાન્સમાં મિલારડેટે બૉર્ડો મિશ્રણના છંટકાવથી દ્રાક્ષના તળછારાના રોગનું નિયંત્રણ કર્યું; જે પાછળથી ઘણા રોગોના નિયંત્રણમાં ઉપયોગી થયેલ. વોરૉનીન (1866) કઠોળ વર્ગના છોડના મૂળગંડિકાના જીવાણુને વ્યાધિજન (pathogen) તરીકે જવાબદાર માનતા હતા, જે સમય જતાં ખોટું પુરવાર થયેલ છે. બરીલ (1887), વેકર (1883) અને ઇરવિન એફ. સ્મિથે (1890) જીવાણુજન્ય વનસ્પતિ-રોગોનું કામ શરૂ કર્યું હતું. આજે જીવાણુને પાકોનો મુખ્ય શત્રુ ગણવામાં આવે છે. અગિયારમી સદીમાં યુરોપમાં ટ્યૂલિપ બ્રેકિંગ, 1770માં બટાટાના પાનનો કોકળવાનો રોગ, જાવામાં શેરડીનો શેરેહ રોગ, અને હોલૅન્ડમાં તંબાકુનો ચટપટા(mosaic)નો રોગ જેવા વિષાણુજન્ય રોગો જોવા મળ્યા હતા. હોલૅન્ડના મેયરે (1885) પહેલી વખત રોગગ્રસ્ત છોડના વિષાણુને તંદુરસ્ત છોડમાં દાખલ કરી, રોગ પેદા કર્યો હતો. રશિયામાં ઇવાનવેશ્કી(1898)એ તંબાકુના ચટાપટા રોગના વ્યાધિજનને અતિસૂક્ષ્મ ગાળણપત્ર(ultra filter)માંથી પસાર કરી ચટાપટાના રોગના વિષાણુનો આ ગુણધર્મ સાબિત કર્યો હતો. હોલૅન્ડનાં બેઇજનેરીન્કે (1897) ગળાયેલા પ્રવાહીને ઝેરી ચેપી પ્રવાહી (કોન્ટેજિયમ વિવમ્ ફ્લ્યુઇડમ્) નામ આપ્યું જેનો અર્થ ઝેરી જીવંત ચેપી પ્રવાહી થાય છે. પહેલો વનસ્પતિ-પરોપજીવી કૃમિ 1594માં શોધાયો હતો, જેને મકાઈનો કોકલ રોગ કહેવામાં આવે છે. નીઘમે (1743) પણ ઘઉંનો કોકલ રોગ વર્ણવ્યો હતો. હુહને (1857) ટીસલમાં Anguina dipsaci  વનસ્પતિનો પરોપજીવી કૃમિ શોધ્યો હતો. સ્કેકટે (1885) સુગરબીટમાં કૃમિના રોગનું અવલોકન કર્યું હતું. સ્કિમડ્ટે (1871) આ કૃમિનું Heterodera Schachtii નામ આપ્યું.

બર્કલી (1885), કોર્નુ (1879), દ મૅન (1876), ઓર્લે (1881), હોલસ્ટેઇન (1898), ટોમ ગુડે (1922), ફિલિપ્જેવ (1934), એટકિન્સન (1899) અને નીલ (1899) વગેરે કૃમિશાસ્ત્રીઓએ વનસ્પતિ-કૃમિશાસ્ત્રના વિકાસમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. અમેરિકામાં કોબ, ટેઇલર, ક્રિસ્ટી, ચિટ્વુડ અને બીજા અનેક વૈજ્ઞાનિકોએ ન આંકી શકાય એટલું જ્ઞાન વનસ્પતિ-કૃમિશાસ્ત્રને લગતું પૂરું પાડ્યું છે. આજે વનસ્પતિ-કૃમિશાસ્ત્ર વનસ્પતિરોગશાસ્ત્રની એક શાખા બની ગઈ છે.

પ્રાચીન સમયથી વનસ્પતિને થતા રોગોને લીધે માનવ-જાતિને ઘણી ખરાબ અસરો થઈ છે, જે માનવીના વિકાસમાં અવરોધક હતી. યુરોપમાં (1830-1840) બટાટામાં આવતા પાછોતરા ઝાળના તીવ્ર સ્વરૂપને લીધે અને ત્યારબાદ આયર્લૅન્ડમાં (1845) બટાટાનો દુષ્કાળ પડવાથી દસ લાખ માણસો મરી ગયા હતા. વળી આ રોગને કારણે ઘણા બધા લોકોએ યુરોપમાંથી બીજા દેશો તેમજ ઉત્તર અમેરિકામાં સ્થળાંતર કર્યું હતું, અઢારમી સદીમાં રાય(Rye)માં આવતા મધિયા રોગને કારણે હજારોની સંખ્યામાં યુરોપમાં માણસો માર્યા ગયા હતા. ભારતના ઉત્તર-પૂર્વ ભાગમાં ડાંગરના બદામી ટપકાના રોગને લીધે ઘણા પ્રમાણમાં અનાજનું નુકસાન જોવા મળેલું, જેને લીધે 1943માં બંગાળમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને 1 લાખ માણસો ભૂખમરાથી માર્યા ગયા હતા. તેથી દેશને ઘણું આર્થિક નુકસાન થયું હતું અને રાજકીય કટોકટી સર્જાઈ હતી. આ પરિસ્થિતિ બીજા વિશ્વયુદ્ધના કારણે સર્જાઈ હતી.

આ સિવાય ઘણાબધા રોગોના ભયંકર નુકસાનને કારણે દુનિયામાં ઘણાબધા પાકો એ જગ્યાએથી લુપ્ત થઈ ગયા હતા. ઉદાહરણ રૂપે 1880માં શ્રીલંકામાં કૉફીમાં આવતા ગેરુ રોગને કારણે ત્યાં કૉફીનું વાવેતર બિલકુલ બંધ કરી દેવામાં આવ્યું હતું. ઑસ્ટ્રેલિયાના કેટલાક વિસ્તારમાં કેળાંમાંના પનામા વિલ્ટ (સુકારો) રોગને લીધે તેનો પાક લેવાનું બંધ કરવામાં આવ્યું હતું. મેક્સિકોની સિગાટોકો ખીણમાં કેળાંના પાનનાં ટપકાંનો રોગ આવવાથી ઘણુંબધું નુકસાન થયું હતું અને ત્યાં પણ કેળાંનું વાવેતર બંધ કરવામાં આવ્યું હતું. ટ્રીસ્ટેઝા વિષાણુને લીધે નારંગી કુળનાં ફળો પર નભતી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ આર્જેન્ટીના, બ્રાઝિલ અને બીજા લૅટિન અમેરિકન દેશોમાં બંધ થઈ હતી.

આધુનિક જરૂરિયાતો : મનુષ્યજાતની પ્રગતિ મોટેભાગે વિજ્ઞાનની પ્રગતિ ઉપર નભેલી છે. વૈજ્ઞાનિક શોધોથી ઘણા ફાયદાઓ મનુષ્યને થાય છે અને આ બધું માણસને સરળ રીતે જીવન જીવવામાં મદદરૂપ થાય છે. સૂક્ષ્મ જીવો વિશેના મનુષ્યના જ્ઞાનમાં ઉત્તરોત્તર પ્રગતિ થતાં તે ઘણીબધી રીતે મદદરૂપ થયું છે. તેમાં સૂક્ષ્મ જીવો દ્વારા ઉત્પન્ન થતાં પ્રતિજૈવિક (antibiotic) ઔષધોની શોધ આધુનિક સમયની માનવજાતિને ઉપકારક નીવડી છે. આ ઔષધો માનવજાતિને ઘણા બધા ભયંકર રોગોથી બચાવે છે. છેલ્લા ત્રણ દશકા દરમિયાન મૃત્યુદર ખાસ કરીને બાળકોનો – ઓછો થયો છે અને દીર્ઘાયુષ્યનો દર વધી રહ્યો છે. વસ્તી-વિસ્ફોટમાં પણ આ સૂક્ષ્મ જીવોએ થોડોઘણો ભાગ ભજવ્યો છે, જે દુનિયાના વિકાસ પામતા દેશો માટે ચિંતાનો વિષય છે. આ બાબતને ધ્યાનમાં લેતાં માણસે શક્ય હોય એટલા ઉપાયોથી કૃષિનાં ઉત્પાદનો વધારવાં જોઈએ. કૃષિ-ઊપજને, વ્યાધિજનને લીધે થતાં નુકસાનની માહિતી જાણ્યા બાદ, એ નુકસાન ઓછું કરવાના ઉપાયો હાથ ધરવા જરૂરી છે. માટે સૌપ્રથમ તો વ્યાધિજન વિશેની સમજણ તેમજ તેઓ દ્વારા થતા રોગ અને યજમાન વ્યાધિજન વચ્ચેનો સંબંધ જાણી તે માટેનાં સરળ નિયંત્રણનાં પગલાં લેવાં આવશ્યક છે.

ભારતમાં વનસ્પતિરોગશાસ્ત્રનો થયેલ વિકાસ : ભારતમાં કૃષિશાસ્ત્રની શરૂઆત માનવજીવનની શરૂઆત સાથે જ થઈ છે. આ દેશનું વાતાવરણ દરેક વિસ્તારમાં જુદું જુદું છે. જમીન, આબોહવા અને લીલોતરી વિસ્તાર જુદાં તરી આવે છે. વાતાવરણની આવી જુદી જુદી પરિસ્થિતિનો ફાયદો લઈને ઘણાબધા ટૂંકા ગાળાના અને બહુવર્ષાયુ પાકો દેશમાં લઈ શકાય છે. ભારતની 40 % કરતાં વધારે આવક કૃષિમાંથી મળે છે અને તેમાંથી 73 % લોકોને રોજીરોટી મળે છે. ભારતની 327 લાખ હેક્ટરમાંથી 42 % જમીન ઉપર પાકનું ઉત્પાદન લઈ શકાય છે. 165 લાખ હેક્ટર વાવેતર વિસ્તારમાંથી ફક્ત 40 % વિસ્તાર માટે દક્ષિણ-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વીય ચોમાસામાં તૈયાર થતા ચોમાસુ પવનો પર આધાર રાખવો પડે છે. દેશના આખા વર્ષમાં જુદા જુદા વિસ્તારોમાં પડતા વરસાદનું પ્રમાણ 10 સેમી.થી ઓછું અને 700 સેમી.થી વધારે છે. આવી દુષ્કર પરિસ્થિતિને લીધે ઘણીબધી આપત્તિઓ અને વિપત્તિઓમાં ભારતીય કૃષિશાસ્ત્રનો વિકાસ કરવો મુશ્કેલ હતો. તેમાં વળી પાકોમાં આવતા રોગોથી મુશ્કેલી વધી જતી હતી. વનસ્પતિરોગશાસ્ત્ર ભારતમાં વિકસિત દેશોની સરખામણીએ ખરેખર તો નવું છે. ભારતમાં પૂર્વજો છોડ/પાકના રોગોની અસરથી અજાણ હતા. પ્રાચીન વેદો અને સંસ્કૃતિના સાહિત્યમાં રોગોનું વર્ણન અને તેનાથી થતા નુકસાનની અને એથી પ્રાચીન સંસ્કૃતિના વિકાસમાં થતા અવરોધની વિગતો જોવા મળે છે. રોમન અને ગ્રીક સાહિત્યમાં મશરૂમ જેવી ફૂગનો ભગવાનના પ્રસાદમાં, રાજા-મહારાજાના ખોરાક તરીકે ઉપયોગ થતો હોય એવાં વર્ણન છે તેની સાથે ઝેરી મશરૂમનો ઉપયોગ કરી, રાણીઓ દ્વારા ખોરાકમાં ભેળવી રાજાને મારી નાખ્યાના ઉલ્લેખો પણ મળે છે. જો ભારતના પ્રાચીન આલેખોનો અભ્યાસ કરવામાં આવે તો તેમાં ઘણાં બધાં તત્કાલીન પાકના રોગોની છુપાયેલી હકીકત બહાર આવે.

વૈજ્ઞાનિક ઢબે ફૂગનો અભ્યાસ ભારતમાં ઓગણીસમી સદીની શરૂઆતમાં થયો હતો. હુકરે 1849થી 1859માં ભેગી કરેલી ફૂગો વિશેનું વર્ણન ઇંગ્લૅન્ડના બર્કલીએ આપ્યું હતું. ભારતમાં હિમાલયના વિસ્તારોમાં જોવા મળતી ફૂગો તેમજ તેનાથી થતા જુદા જુદા પાકના રોગોની માહિતીનો અભ્યાસ ભારતીય વિજ્ઞાનની મદદથી ઇંગ્લૅન્ડના ઘણા વૈજ્ઞાનિકોએ કરેલ છે.

ભારતમાં વનસ્પતિરોગશાસ્ત્રના સૌપ્રથમ કામની શરૂઆત કીર્તિકરે 1885માં કરી હતી. તેમણે 1885માં વનસ્પતિમાં ફૂગથી થતા રોગનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ વનસ્પતિ-રોગશાસ્ત્રનો સુવ્યવસ્થિત અભ્યાસ ભારતમાં ઈ. જે. બટલરે ઈ. સ. 1901થી શરૂ કર્યો હતો. ઈ. જે. બટલર સારા ફૂગશાસ્ત્રી અને વનસ્પતિ-રોગશાસ્ત્રી હતા. 1918માં એમણે લખેલી પુસ્તિકા ‘ફૂગ અને વનસ્પતિના રોગો’(Fungi and Diseases in Plants)માં એમણે કરેલી શોધખોળોના વર્ણનથી વનસ્પતિરોગશાસ્ત્રનો ભારતમાં સારો એવો વિકાસ થયો હતો. તેમણે ઘણાબધા ભારતીય વૈજ્ઞાનિકોને આ વિષયમાં શિક્ષણ અને તાલીમ આપી પારંગત કર્યા હતા, જેઓ ત્યારબાદ ભારતીય વનસ્પતિરોગશાસ્ત્ર વિષયના મુખ્ય કાર્યકર્તાઓ બન્યા હતા. ખ્યાતનામ ફૂગશાસ્ત્રી મેકરે, ગેલોવે અને પેડવીકે પોતાના અનુભવ અને વિચારો મુજબ ભારતમાં ફૂગનો અભ્યાસ કર્યો હતો. સદાશિવન, દસ્તૂર આર. એચ., મુંડકર બી. બી., વાસુદેવ આર. એસ. અને ચોના બી. એલ. જેવા કેટલાંક ભારતીય ફૂગશાસ્ત્રીઓ ફૂગ પરના સંશોધનથી ભારતમાં વનસ્પતિ-રોગશાસ્ત્રમાં ઘણી બધી ક્રાંતિ લાવી શક્યા હતા. ભારતમાં કુલકર્ણી, ઉપાલ બી. એન., થૉમસ, મહેતા, થિન્ડ કે. એસ., દાસગુપ્તા, કપૂર જે. એન. અને પટેલ પી. એન. જેવા કેટલાક વૈજ્ઞાનિકોનાં સંશોધન-કાર્યોએ આ વિજ્ઞાનના વિકાસમાં મહત્વનો ફાળો ભજવ્યો હતો. કેટલીક ભૂલી ન શકાય એવી શોધો પણ ભારતમાં ટંડન આર. એન., સક્સેના, સિંહા આર. સી., પદ્મનાભમ્ પ્રસાદ આર., બીલગ્રામી કે. એસ. અને બીજા વિજ્ઞાનીઓએ કરી છે. બૅક્ટેરિયાથી થતા વનસ્પતિ-રોગોની શોધનું કામ સૌપ્રથમ કામથ અને રંગાસ્વામી દ્વારા શરૂ થયું હતું. વિષાણુથી થતા રોગોનું સૌપ્રથમ કામકાજ રાયચૌધરીએ શરૂ કર્યું હતું. જીવરસાયણ-વનસ્પતિ-રોગવિદ્યાનું કામ સદાશિવન્ અને ટંડન દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, જ્યારે મહાદેવને મૉલિક્યુલરની રોગવેદ-શાળા બનાવી હતી.

રોગથી થતું નુકસાન :

વનસ્પતિ/પાકોમાં 30,000થી વધુ રોગો નોંધાયા છે. તેમાં 5,000થી વધુ તો ભારતમાં જ જોવા મળે છે. ઈ. સ. 1980ના એક અંદાજ મુજબ અમેરિકામાં દર વર્ષે પાકના રોગોને લીધે ચાર મિલિયન ડૉલરનું નુકસાન થાય છે; જ્યારે ભારતમાં આ રોગને લીધે પાકમાં કેટલું નુકસાન થાય છે તેનો કોઈ ચોક્કસ આંકડો કે માહિતી નથી; પરંતુ એ આંકડો અમેરિકામાં થતા નુકસાન કરતાં 10 ગણો વધારે હોય એવું માનવામાં આવે છે. ભારતમાં ઉગાડવામાં આવતા દરેક મહત્વના પાકમાં એક રોગ ચોક્કસપણે જોવા મળે છે. અને અમુક વખત તો કેટલાક પાકોમાં એકથી વધારે રોગોનું એકસાથે નુકસાન જોવા મળે છે. ઉદાહરણ રૂપે જોઈએ તો જુવારમાં મહત્વના 20 રોગો જોવા મળે છે. એક અંદાજ મુજબ એવું કહેવાય છે કે બીજજન્ય રોગોના નુકસાનને લીધે, ભારતવર્ષનું વાર્ષિક ધાન્યપાકોમાં નુકસાન પોણાભાગનું હોય છે. એકલા જુવારમાં આવતા દાણાના અંગારિયાથી 3.25 લાખ ટન દાણાનું વાર્ષિક નુકસાન થાય છે. એ જ રીતે ઘઉંમાં આવતા અંગારિયાથી એક લાખ ટન દાણા અને ઘઉંના ગેરુના રોગથી વાર્ષિક 6 કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. કેટલાક બીજા એવા પાકના રોગો ભારતભરમાં ખૂબ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે, જેમ કે ડાંગરમાં આવતો પાનનો ઝાળ અને કરમોડી, કેળામાં આવતો બંચીટોપ, કપાસમાં જોવા મળતો કાળિયો, શાકભાજીમાં થતા વિષાણુના રોગો, બટાટામાં થતો પાનનો ઝાળ અને બંગડીના રોગો ઘણુંબધું નુકસાન કરે છે.

રોગ શું છે ? : સ્ટૉકમૅન અને હારર(1957)ના મત મુજબ જે પરોપજૈવિક (દા. ત., વાઇરસ, બૅક્ટેરિયા, ફૂગ) અને અપરોપજૈવિક (દા.ત., પાણી, તાપમાન, પોષકતત્વની ઊણપ) પરિબળોને લીધે વનસ્પતિની દેહધાર્મિક ક્રિયામાં અસમતુલા ઊભી થતાં તેની દેહધાર્મિક પ્રક્રિયા તેમજ વૃદ્ધિમાં વિક્ષેપ થાય અને પરિણામે તેનાં ઉત્પાદન, ગુણવત્તા અને જથ્થામાં ઘટાડો થાય તેને રોગ કહેવાય છે.

રોગપિરામિડ : રોગ ઉત્પન્ન થવામાં મુખ્યત્વે ત્રણ પરિબળોનો ત્રિકોણ રચાય છે. તેના પાયા સજીવ યજમાન અને પરોપજીવી વ્યાધિજન્ય એક જ વાતાવરણ હેઠળ વૃદ્ધિ પામે છે. આ વાતાવરણની સાનુકૂળ પરિસ્થિતિમાં નબળા યજમાન/વનસ્પતિને સહેલાઈથી રોગિષ્ઠ બનાવે છે. આ સાનુકૂળ વાતાવરણ લાંબો સમય વ્યાધિજનને મળતાં યજમાન/વનસ્પતિનું મૃત્યુ થાય છે. જ્યારે પ્રતિકૂળ વાતાવરણમાં આથી વિરુદ્ધ અસર જોવા મળે છે. એ રીતે રોગની તીવ્રતા નુકસાનનો આધાર કેટલા સમય માટે વાતાવરણ કેવા પ્રકારનું મળે તેના પર અવલંબે છે.

રોગ માટેનાં કારણો : રોગ પેદા કરતાં કારણો બે પ્રકારનાં હોય છે : પરોપજૈવિક અને અપરોપજૈવિક. અપરોપજૈવિક કારણોમાં તત્વોની ઊણપ, જમીનમાં વધુ પ્રમાણમાં અયોગ્ય તત્વો, પ્રકાશ, પાણી, હવા, તાપમાન વગેરેનો સમાવેશ થાય છે. રોગ ઉત્પન્ન કરતા સૂક્ષ્મજીવને વ્યાધિજન કહે છે. રોગ માટેનાં કારણોને મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચી શકાય :

(1) વ્યાધિજન : આ વ્યાધિજનોમાં વિષાણુ, માઇકોપ્લાઝ્મા, અમીબા, જીવાણુ, ફૂગ, લીલ અને કૃમિનો સમાવેશ થાય છે.

(2) નિર્જીવ : આ પ્રકારમાં તત્વની ઊણપ અથવા વધુ પડતાં તત્વ, પાકસંરક્ષણના ઉપયોગમાં આવતાં રસાયણોનો વધુ ઉપયોગ અને પ્રતિકૂળ પ્રકાશ, પાણી, હવાનો સમાવેશ થાય છે.

રોગનું વર્ગીકરણ :

સ્થાનિક રોગો : જે રોગનાં લક્ષણો મુખ્યત્વે છોડના કોઈક એક જ ભાગ પર જોવા મળે છે તે.

સર્વદેહી રોગો : આ પ્રકારના રોગોમાં વ્યાધિજન છોડના બધા ભાગોમાં પહોંચી જાય છે અને તે છોડના જીવનચક્ર દરમિયાન જોવા મળે છે.

1. જમીનજન્ય રોગો : વ્યાધિજન જમીનમાં રહી, ઊગતા બીજ/છોડ પર આક્રમણ કરી બીજને સડો કરે છે. ધરુની વૃદ્ધિ અટકાવી દે છે. તેનાથી ધરુનો ઝાળ, મૂળનો કોહવારો, સુકારો અને મૂળના કેટલાક અન્ય રોગો થાય છે. આવા રોગો ફેલાવનાર વ્યાધિજન જમીનમાં રહે છે. અથવા બીજ કે બીજની અંદર કે પાકના ઘટકોમાં રહે છે. આ જમીનજન્ય વ્યાધિજનો છોડના મૂળના અથવા જમીનના ભાગને નુકસાન કરે છે.

2. હવાથી થતા રોગો : કેટલાક વ્યાધિજન હવા દ્વારા ફેલાઈ પ્રાથમિક ચેપ તેમજ દવિતીય ચેપ લગાડે છે. ગેરુ અને છારા જેવી ફૂગો યજમાન ઉપર વિવિધ અવસ્થાના બીજાણુઓ પેદા કરી, પવન મારફત ફેલાઈ રોગ કરે છે.

3. બીજજન્ય રોગ : કેટલાક વ્યાધિજન છુપાયેલા તાંતણા સ્વરૂપે બીજ, કંદ, કટકા અથવા કેટલાક રોપી શકાય એવા છોડની કલમોમાં છુપાયેલા રહે છે; જે છોડમાં રોગ ફેલાવે છે. ઘણીબધી આંજિયો ફેલાવતી બીજ-ફૂગો, આ વર્ગમાં આવે છે.

લક્ષણ-આધારિત રોગનું વર્ગીકરણ : (1) ગેરુ, (2) અંગારિયો/આંજિયો, (3) મીલ્ડ્યુ, (4) મોલનો કોહવારો, (5) ઝાળ, (6) પાનનાં ટપકાં, (7) સુકારો, (8) કૅન્ક્રર અને (9) ફળનો કોહવારો.

છોડના પ્રકારો મુજબ રોગનું વર્ગીકરણ : ધાન્ય પાકોના રોગો, શાકભાજીના રોગો, ફળ પાકોના રોગો, જંગલી ઝાડના રોગો, ફૂલના રોગો.

નુકસાનનો વિસ્તાર અને માત્રા પ્રમાણે રોગનું વર્ગીકરણ :

(1) મર્યાદિત ક્ષેત્રીય (endemic) રોગો : અમુક વનસ્પતિઓમાં જે રોગો સામાન્ય પ્રમાણથી માંડી અતિશય પ્રમાણમાં વર્ષોવર્ષ નાના વિસ્તારમાં સતત ચાલુ રહે તો તેને મર્યાદિત ક્ષેત્રીય રોગો કહે છે.

(2) મહામારી (epidemic) અથવા અધિવાનસ્પતિક (epiphytotic) રોગો : ઘણા વિશાળ પ્રદેશમાં એકાએક ફાટી નીકળતા રોગોને મહામારીના અથવા અધિવાનસ્પતિક રોગો કહે છે. આ રોગો સામયિક (periodical) હોય છે, એટલે કે તેઓ નિશ્ચિત સમયે કે ઋતુમાં થાય છે.

(3) કદાચનિક અથવા છૂટાછવાયા (sporadic) રોગો : તે મહામારીના રોગ સાથે સામ્ય ધરાવે છે, છતાં તેનો ઉદભવ અનિયમિત સમયાંતરે અને વધારે નાના વિસ્તારોમાં થાય છે. આ રોગો પોષિતા વનસ્પતિની પુષ્કળ વસ્તી પૈકી બહુ ઓછી વનસ્પતિઓને લાગુ પડે છે : બાકીની વનસ્પતિઓને અસર થતી નથી.

4. સર્વવ્યાપી (pandemic) રોગો : આવા રોગો મોટેભાગે ખૂબ જ વિસ્તારમાં આવે છે અને તેનું પ્રમાણ આખા વિસ્તારમાં એટલે કે દરેક વિસ્તારમાં જોવા મળે છે; દા.ત., 1840માં બટાટામાં જોવા મળેલો પાછોતરો ઝાળ. વનસ્પતિના રોગોના ઉદભવ પર આધારિત વિજ્ઞાનને મહામારીવિજ્ઞાન (epidemiology) કહે છે જેમાં રોગોની વ્યાપ્તિ અને પોષિતા વનસ્પતિ, વ્યાધિજન અને પર્યાવરણની આંતરક્રિયાનો અભ્યાસ થાય છે. રોગ ચેપી (infectious) અથવા સંસર્ગજ (contagious) હોઈ શકે. સંચારણક્ષમ (transmissable) વ્યાધિજન દ્વારા ધીમેથી પ્રસરતા રોગોને ચેપી રોગ કહે છે. ઝડપથી પ્રસરતા રોગને સંસર્ગજ રોગ કહે છે.

(I) ચેપી વનસ્પતિ રોગો (Infectious plant diseases) :

  • ફૂગ દ્વારા થતા રોગો
  • બૅક્ટેરિયા દ્વારા થતા રોગો
  • માઇકોપ્લાઝમા અને અણુઓથી થતા રોગો
  • વિષાણુ અને વાઇરોઇડથી થતા રોગો
  • કૃમિથી થતા રોગો
  • જીવાતથી થતા રોગો
  • અમીબાથી થતા રોગો
  • પરોપજીવી છોડથી થતા રોગો

(II) બિનચેપી રોગો (Non-infectious disease) રોગનું વર્ગીકરણ તેમના સ્વભાવ મુજબ :

  • ઓછા અથવા વધુ પડતા તાપમાનથી થતા રોગો
  • ઓછા અથવા વધારે પડતા જમીનમાંના ભેજથી થતા રોગો
  • ઓછા અથવા વધારે પ્રકાશથી થતા રોગો
  • ઑક્સિજન વગર થતા રોગો
  • હવાના પ્રદૂષણથી થતા રોગો
  • તત્વની ઊણપને લીધે થતા રોગો
  • જમીનની એસિડિક અથવા બેઝિક પરિસ્થિતિને લીધે થતા રોગો
  • જંતુનાશકોની અસરને લીધે થતા રોગો

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ