લ્હોતે, આન્દ્રે (જ. 5 જુલાઈ 1885, બૉર્ડો, ફ્રાન્સ; અ. 24 જાન્યુઆરી 1962, પેરિસ, ફ્રાન્સ) : ફ્રેન્ચ ચિત્રકાર, શિલ્પી, લેખક, કલાવિવેચક અને આધુનિક કલાગુરુ.

મહદંશે સ્વશિક્ષિત લ્હોતેએ ફૉવવાદી (Fauvist) ચિત્રો ચીતરીને કલાજગતમાં પગરણ કર્યાં. પણ તેમની પ્રૌઢી ઘનવાદી ચિત્રોમાં પ્રક્ટી. તેમનું ચિત્ર ‘રગ્બી’ (1917) તેમની કલાનો શ્રેષ્ઠ ઉન્મેષ ગણાય છે. 1922થી 1940 સુધી સતત તેમણે ‘લ નૂવેલે રેવૂ ફ્રાંસ્વા’ સામયિકમાં કલાવિવેચન કર્યું, જેની મોટી પ્રતિષ્ઠા થઈ. 1939માં ‘ત્રૈતે દુ પાઇસાગે’માં નિસર્ગચિત્રણા ઉપર અને 1950માં ‘ત્રૈતે દ લા ફિગુરે’માં માનવઆકૃતિની ચિત્રણા ઉપર તેમણે ભાષ્યો લખ્યાં. 1922 પછી તેમણે કલાશિક્ષણ આપવું પણ શરૂ કરેલું.

અમિતાભ મડિયા