રોડાનાં મંદિર : સાબરકાંઠા જિલ્લાના રોડા ગામે આવેલાં મંદિરોનો સમૂહ. રોડા(તા. હિંમતનગર, જિ. સાબરકાંઠા)માં મૈત્રક કાલનાં સાત મંદિરોનો સમૂહ આવેલો છે. એમાંના મંદિર નં. 4ની હાલ જગતી જ મોજૂદ રહી છે.

આ મંદિરો પૈકી મંદિર નં. 7 સિવાયનાં બધાં મંદિર કદમાં નાનાં છે. એ ચોરસ કે લંબચોરસ ગર્ભગૃહ અને એવા ઘાટની શૃંગારચોકી કે અર્ધમંડપ ધરાવે છે. તલદર્શનમાં એની દીવાલો ભદ્ર તથા પ્રતિરથના નિર્ગમોથી અંકિત છે, પરંતુ મંદિર નં. 2ની દીવાલોમાં કોઈ નિર્ગમ નથી. મંદિર નં. 2નું શિખર ફાંસાકાર છે, જ્યારે બાકીનાં બધાં મંદિરોનાં શિખર એકાંડી રેખાન્વિત શિખર ધરાવે છે. એ સોલંકી કાળના આરંભની વચગાળાની અવસ્થા દર્શાવે છે.

રોડાનાં મંદિરો પૈકીનાં કેટલાંક મંદિરો

મંદિર નં. 1 પૂર્વાભિમુખ છે, જંઘાના ગવાક્ષોમાં આવેલાં શૈવ શિલ્પો પરથી આ મંદિર શિવાલય હોવાનું સૂચિત થાય છે. કુંડ પાસે આવેલું મંદિર નં. 5 એનાં દીવાલોમાંનાં શિલ્પો પરથી વિષ્ણુમંદિર હોવાનું જણાય છે. મંદિર નં. 6 સૂર્યમંદિર હોવાનું એમાંનાં શિલ્પો પરથી સ્પષ્ટ થાય છે. મંદિર નં. 7 પણ પૂર્વાભિમુખ છે. એ સ્પષ્ટત: શિવમંદિર છે.

તલદર્શનની દૃષ્ટિએ મંદિર નં. 1, 4 અને 6 ત્રિરથ પ્રકારનાં છે; જ્યારે મંદિર નં. 3, 5 અને 7 પંચરથ પ્રકારનાં છે. મંદિર નં. 2 એકરથ પ્રકારનું છે. મંદિર નં. 7નો ગૂઢમંડપ વિશાળ છે. એની આગળ આવેલી શૃંગારચોકી નાશ પામી છે.

આમાંનાં કોઈ મંદિરોમાં અભિલેખ નથી, પરંતુ તેમના સ્થાપત્ય-સ્વરૂપ પરથી આ મંદિરોનું નિર્માણ આઠમી સદીના પૂર્વાર્ધમાં થયું લાગે છે.

લાડચી માતાના કુંડ તરીકે ઓળખાતા કુંડના ચાર ખૂણે આવેલાં ચાર નાનાં મંદિર સ્થાપત્ય-સ્વરૂપમાં મંદિર નં. 3 અને 5 સાથે સામ્ય ધરાવે છે.

આ મંદિર-સમૂહની શૃંગાર ચોકીઓ પરનાં ફાંસના પ્રકારનું છાવણ ખાસ નોંધપાત્ર છે. આ છાવણોની આગળ આવેલી રથિકાઓમાંનાં શૂરસેન મૂર્તિ શિલ્પોથી અલંકૃત છે. આ મંદિરોનાં શિખરો પરની જાલક-ભાત સૂત્રાપાડા, પાછતર અને ધ્ર્ર્રાલણવેલનાં મંદિરોનાં શિખરોની જાલક-ભાત કરતાં વધુ વિકસિત છે. આ તમામ મંદિરોની દીવાલો એના પર આવેલા સુશોભિત ગવાક્ષો સિવાય સાદી છે. આ મંદિરોનાં ગર્ભગૃહોની દ્વારશાખાઓનાં વૈવિધ્ય અને કોતરકામની ઉત્કૃષ્ટતા પ્રશંસાપાત્ર છે. એમાં મંદિર નં. 3ની દ્વારશાખા અતિરમણીય છે. પંચશાખ પ્રકારની આ દ્વારશાખામાં શિવ, ઉમા-મહેશ્વર, અર્ધનારીશ્વર, વિષ્ણુ અને લક્ષ્મી-નારાયણનાં શિલ્પ દર્શનીય છે. ઉત્તરાંગની ગવાક્ષ-પંક્તિમાં બ્રહ્મા, કુબેર, વિષ્ણુ, શિવ અને ગણેશનાં શિલ્પ નોંધપાત્ર છે. પ્રાય: આ મંદિર હરિ-હરનું છે. આ મંદિરોના સ્તંભ ચોરસ (રુચક) ઘાટના છે.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી