રાણી અબ્બક્કા : ભારતનાં મહાન મહિલાસ્વાધીનતાસેનાની, કુશળ પ્રશાસનિક અને નીડર યોદ્ધા.

ચૌટા કુળની રાજધાની મૂડબિદ્રીમાં અત્યંત પ્રસિદ્ધ એવું હજાર સ્તંભનું મંદિર અહીં આવેલું છે. અનેક જૈન મંદિરો પણ અહીં આવેલાં છે. અનેક જૈન મંદિરમાં હિંદુ દેવી-દેવતાઓની પ્રતિમાઓ છે. રાણી જૈન હોવા છતાં તે પોતાના નામની પાછળ મહાદેવી વિશેષણ લખાવતાં. રાણીએ ‘મૂડબિદ્રી’માં ભગવાન શંકરનું એક મોટું મંદિર પણ બનાવડાવ્યું હતું.

આ મૂડબિદ્રી જેવું જ મોટું શહેર ઉલ્લાસ, જે રાજ્યની ઉપરાજધાની હતી. ઉલ્લાસ સમુદ્રકિનારે વસેલું શહેર હતું. વેપાર-ધંધાનું મૂળ કેન્દ્ર. આ વેપાર-ધંધાને કારણે અને મૅંગ્લોર શહેરની નજીક હોવાથી ઉલ્લાસ એટલે કે રાણી અબ્બક્કાનું રાજ્ય સમૃદ્ધ અને સંપન્ન થયું હતું.

આ અરસામાં રાણી સાસરું છોડી પિયર જતાં રહ્યાં હોવાથી ગુસ્સે થયેલા પતિએ પોર્ટુગીઝોને મદદનો હાથ લંબાવ્યો. પોર્ટુગીઝો ભારતમાં 1497માં પ્રવેશ્યા તે પહેલાં તે ભારતના વૈભવની જ ફક્ત વાતો જ સાંભળી રહ્યા હતા.

1525માં પોર્ટુગીઝોએ મૅંગ્લોર પર આક્રમણ કર્યું અને મૅંગ્લોર બંદરનો નાશ કર્યો. ત્યાં પોતાની સત્તા સ્થાપીને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર-પ્રસાર કરવાની શરૂઆત કરી. 1546માં તેમણે ઉલ્લાસ પર પહેલી વાર આક્રમણ કર્યું. માત્ર 21 વર્ષની ઉંમરની રાણી અબ્બક્કાએ તેમને હરાવ્યા.

રાણીના પતિને પોર્ટુગીઝોએ લાલચ આપીને તેના દ્વારા રાણી અબ્બક્કાને બોલાવીને વિશ્વાસઘાત કર્યો અને રાણીની અટક કરી, પણ રાણી જેલમાંથી ભાગી જવાનો પ્રયત્ન કરતાં હતાં ત્યારે જ 1570માં તેઓ માર્યાં ગયાં.

રાણીના જન્મને 500 વર્ષ પૂરાં થાય છે. નાના તુલુ રાજ્યનાં રાણી અબ્બક્કા આજે પણ અસ્તિત્વમાં છે. વિશાળ સાગરસામ્રાજ્ય ધરાવતા પોર્ટુગીઝો સામે લડનારાં સાહસી રાણી આજે પણ ત્યાંની લોકકથાઓ, લોકગીતોમાં વણાયેલાં છે. ત્યાંના જનમાનસના મનમાં તે ઊંડે સુધી સચવાયેલાં છે.

કનુભાઈ શાહ