રબર (વનસ્પતિશાસ્ત્ર)

January, 2003

રબર (વનસ્પતિશાસ્ત્ર)

પ્રત્યાસ્થ, વાયુરોધક… પદાર્થ અપનારી દ્વિદળી વર્ગમાં આવેલા યુફોબિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Hevea brasiliensis (H. B. K.) Muell. (અં. પેરા રબર ટ્રી, કૂચુક ટ્રી) છે. તે 18 મી.થી 30 મી. કે તેથી વધારે ઊંચાઈ ધરાવતું વિશાળ વૃક્ષ છે. તેના થડનો ઘેરાવો 2.4 મી.થી 3.6 મી. જેટલો હોય છે અને તે સીધું, લીસું, સામાન્ય રીતે ઘણે ઊંચે સુધી અશાખિત હોય છે અને ટોચ ઉપર બહુશાખિત પર્ણમુકુટ (leaf canopy) ધરાવે છે. તેની છાલ ભૂખરી હોય છે અને પર્ણો ત્રિપંજાકાર (trifoliate) સંયુક્ત હોય છે. તેનો પર્ણદંડ 7.5 સેમી.થી 10 સેમી. લાંબો હોય છે. પર્ણિકાઓ અરોમિલ, 10 સેમી.થી 15 સેમી. લાંબી અને 3.75 સેમી.થી 6.25 સેમી. પહોળી, ઉપવલયી-ભાલાકાર (elliptical-lanceolate) અને અણીદાર હોય છે. પુષ્પો એકગૃહી (monoecious), નાનાં, આછા પીળા કે લીલા રંગનાં, મીઠી સુવાસવાળાં હોય છે અને મોટા રોમિલ લઘુપુષ્પગુચ્છ (panicle) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ, પ્રાવર (capsule) પ્રકારનું ત્રિયુક્તસ્ત્રીકેસરી અને ઉપવલયી (elliptical) હોય છે. પ્રત્યેક સ્ત્રીકેસર એક અંડક ધરાવે છે. બીજ ઉપવલયી, 2.5 સેમી.થી 3.75 સેમી. લાંબાં વિવિધ કદવાળાં, ચળકતાં અને કર્બુરિત (mottled) બદામી હોય છે. તે બ્રાઝિલની ઍમેઝોનના ખીણપ્રદેશમાં, વેનેઝુએલા, પેરૂ, ઇક્વેડોર અને કોલંબિયાની સ્થાનિક (indegenous) જાતિ છે. તે આકારવિદ્યાકીય લક્ષણો, આવાસ-પસંદગીઓ (habitat-preferences), ઊંચાઈ-પરિસર (altitudinal range), શુષ્ક ઋતુની સહિષ્ણુતા, રોગ-અવરોધકતા, ક્ષીરરસ-ઉત્પાદન, રબરની ગુણવત્તા અને અન્ય લક્ષણો બાબતે વિપુલ પ્રમાણમાં ભિન્નતાઓ દર્શાવે છે. નૈસર્ગિક સંકરણ સંભવિત છે અને અગ્નિ એશિયાના કૃષ્ટ-પ્રકારો(cultivated types)માં જોવા મળતી વિપુલ અનુકૂલનક્ષમતા (adaptability) મુખ્યત્વે H. guianensis var. lutea જેવી જાતિ સાથે થયેલા ભૂતકાલીન અંતર્ગામી (introgressive) સંકરણને આભારી છે.

અગ્નિ એશિયામાં રબર-ઉદ્યોગ માટે વૃક્ષારોપણના વિકાસ પૂર્વે વ્યાપારિક રબરનો લગભગ બધો જ પુરવઠો વન્ય અમેરિકીય Heveaની જાતિઓ દ્વારા મેળવવામાં આવતો હતો. ઍમેઝોન-દ્રોણી(basin)માં ક્ષીરરસ માટે H. brasiliensis, H. benthamiana Muell. Arg. H. guianensis Ab. Aubl અને H. guianensis var. lutea Ducke & R. E. Schultesનો ઉપયોગ કરવામાં આવતો. આજથી લગભગ ત્રણ સૈકા પહેલાં આ પ્રદેશમાં નૈસર્ગિક રીતે ઊગતાં રબરનાં વૃક્ષોનાં બીજ બ્રિટનમાં લાવવામાં આવ્યાં અને પછી ત્યાંથી ભારત, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, મલેશિયા અને કૉંગો જેવા દેશોમાં તેનાં વિશાળ પાયે વાવેતર હાથ ધરવામાં આવ્યાં. H. brasiliensisનું ક્ષીરરસનું ઊંચું ઉત્પાદન અને રબરની ઊંચી ગુણવત્તાને કારણે તે દુનિયાના બજારમાં નૈસર્ગિક રબરનો મુખ્ય સ્રોત બન્યું છે. H. brasiliensisનું અન્ય જાતિઓ સાથે સંકરણ કરતાં સામાન્યત: રબરની ગુણવત્તા ઊતરતી કક્ષાની બને છે. જોકે તેનું કેટલાક રોગોની અવરોધક જાતિ H. pauciflora Muell. Arg. સાથે અને મરૂદભિદ જાતિ H. nitide Muell. Arg. સાથે સંકરણ કરાવવાથી સુધારણા થઈ શકે છે.

આકૃતિ 1 : રબર(Heavea brasiliensis)ની પુષ્પીય શાખા

અગ્નિ એશિયામાં રબર-વૃક્ષારોપણ 1876માં શરૂ થયું. તે સમયે બ્રાઝિલમાંથી મેળવેલાં 70,000 બીજમાંથી ક્યૂ(kew)માં 1,900 રોપ તૈયાર કરી શ્રીલંકા મોકલવામાં આવ્યા હતા. તે પછીનાં વર્ષો માટે આ રોપા બીજા દેશોમાં રોપા અને બીજનો પુરવઠો પૂરો પાડવા માટેનું કેન્દ્ર બની રહ્યા. સંકરણ અને પસંદગી દ્વારા 1930 સુધીમાં તેના ઘણા પ્રભેદ (strains) વિકસાવવામાં આવ્યા. તે પૈકી કેટલાક ક્યૂમાંથી મેળવેલ મૂળ જાત કરતાં ગુણવત્તાની દૃષ્ટિએ ઘણા ઊંચા હતા.

નૈસર્ગિક રબરનો વિપુલ જથ્થો સમગ્ર વિશ્વને મલેશિયા, સુમાત્રા, જાવા, હિંદી ચીન અને શ્રીલંકા દ્વારા પૂરો પાડવામાં આવે છે. તેના અલ્પ જથ્થાનું ઉત્પાદન ભારત, સારાવાક, બૉર્નિયો, સિયામ (થાઇલૅન્ડ), મ્યાનમાર અને પૂર્વ ગોળાર્ધમાં વિષુવવૃત્તીય આફ્રિકા અને પશ્ચિમ ગોળાર્ધમાં દક્ષિણ અમેરિકાનાં ઉષ્ણકટિબંધીય વર્ષા-જંગલો(rainforest)ના પ્રદેશોમાં થાય છે. એકસરખા ઊંચા તાપમાન, સમગ્ર વર્ષ દરમિયાન સરખી રીતે પડતો ભારે વરસાદ, સારા નિતારવાળી જંગલની ફળદ્રૂપ મૃદા અને સસ્તી મજૂરીની પ્રાપ્યતાના કારણે અગ્નિ એશિયામાં રબર-ઉદ્યોગનો વિકાસ થયો છે.

ભારતમાં તેનું સૌપ્રથમ વાવેતર 1905માં કેરળમાં પેરિયાર અને પૂનુરમાં થયું. હાલમાં કેરળ ભારતમાં રબરનું સૌથી વધારે ઉત્પાદન કરતું રાજ્ય છે. તમિલનાડુ રાજ્યમાં કન્યાકુમારી જિલ્લો અને કર્ણાટકમાં કૂર્ગનો પ્રદેશ રબરનું વાવેતર કરતા મહત્વના પ્રદેશો છે. આંદામાનના ટાપુઓમાં પણ રબરનું વાવેતર થાય છે. આસામ અને પશ્ચિમ બંગાળમાં બહુ જ થોડા એકરોમાં રબર વવાય છે.

H. brasiliensis વિષુવવૃત્ત પ્રદેશના 15° ઉ. અને 10° દ. અક્ષાંશ વચ્ચેના ઉષ્ણકટિબંધીય પટ્ટામાં સારી રીતે થાય છે, જ્યાં આબોહવા ગરમ, ભેજવાળી અને એકસરખી હોય છે અને તાપમાન 23.3° સે.થી 35° સે. રહે છે. તેને વાર્ષિક 175 સેમી.થી 250 સેમી. જેટલા સારી રીતે વિતરિત થયેલા વરસાદની જરૂરિયાત હોય છે. લાંબા સમયનો ભારે વરસાદ કે શુષ્કતા તેને માટે પ્રતિકૂળ હોય છે. મધ્યમસરનાં વરસાદનાં ઝાપટાં અને વારંવારનો સમયાંતરે ઉષ્ણ ચમકીલો સૂર્યપ્રકાશ આદર્શ ગણાય છે. મલેશિયા અને ઇન્ડોનેશિયામાં લગભગ ઉપર્યુક્ત પરિસ્થિતિઓ છે. દક્ષિણ ભારતમાં લાંબી શુષ્ક ઋતુ અને નૈર્ઋત્ય વરસાદવાળા મોટાભાગના પ્રદેશો છે. ત્યાંનું તાપમાન 15° સે.થી 35° સે. જેટલું હોય છે. અને શિયાળા અને ઉનાળાના તાપમાન વચ્ચે મોટો તફાવત રહે છે. મોટાભાગનાં રબર વૃક્ષોનું વાવેતર પશ્ચિમઘાટમાં 300 મી. કે કેટલીક વાર તેથી વધારે ઊંચાઈએ થાય છે. વધારે ઊંચાઈએ થતાં વૃક્ષો પર્ણરોગસંવેદી હોય છે. તેમનું ક્ષીરરસનું ઉત્પાદન ઓછું થાય છે અને તેમની છાલનું પુનર્જનન અલ્પ પ્રમાણમાં થાય છે.

તે ઊંડી, સારા નિતારવાળી, ગોરાડુ મૃદાઓમાં સૌથી સારી રીતે થાય છે. દક્ષિણ ભારતની રબર વૃક્ષારોપણની ભૂમિ લાલ લૅટરાઇટ કે માટીવાળી (clayey) ગોરાડુ હોય છે અને તે કુદરતી ઝાડીઝાંખરાં અથવા શિંબીય (leguminous) આવરણ વડે આવરિત હોય છે. તેથી ભૂક્ષરણ (erosion) પણ થતું નથી. આ મૃદામાં નાઇટ્રોજન પુષ્કળ હોય છે; પરંતુ લોહ અને ઍલ્યુમિનિયમ સિવાયનાં ખનિજદ્રવ્યો અલ્પ હોય છે. તેની pH સહિષ્ણુતા 3.0થી 8.0 સુધીની હોય છે. આલ્કેલાઇન મૃદામાં તેની વૃદ્ધિ કુંઠિત થાય છે.

ભૂમિની સ્થિતિને આધારે વાવેતર માટે સ્વચ્છ કરેલા જંગલમાં રેખા ખેંચી ચિહ્નિત કરવામાં આવે છે. અને વેદિકાઓ (terraces) તૈયાર કરવામાં આવે છે. રસ્તાઓ અને સિંચાઈની સગવડ કરાય છે. રોપણ માટેના ખાડાઓ (75 સેમી.  75 સેમી.  75 સેમી. અથવા 90 સેમી.  90 સેમી.  90 સેમી. કદ) તૈયાર કરી સપાટી ઉપરની મૃદા અને ખાતર વડે આ ખાડાને ભરવામાં આવે છે. પહેલાં પાસે પાસેના ખાડા વચ્ચે 6 મી. 6 મી.નું અંતર રાખવામાં આવતું હતું, જેથી પ્રતિ એકરે 108 જેટલાં વૃક્ષો ઉગાડી શકાય. હાલમાં પ્રતિ એકરે કલિકા-રોપ (bud graft) હોય તો 180 જેટલાં વૃક્ષો અને સમજાતક રોપ (clonal seedling) હોય તો 200થી 300 વૃક્ષોનું રોપણ થઈ શકે છે. પછીથી નિયમિત વ્યાપારિક નિષ્કાસન (tapping) માટે 7 કે 8 વર્ષે નબળા, કુંઠિતકલિકા-રોપો અને ઓછું ઉત્પાદન આપતાં રોપ-વૃક્ષો(seedling-trees)નું પસંદગીમય વિરલન (thinning) કરી પ્રતિ એકરે 150 જેટલાં વૃક્ષો રાખવામાં આવે છે. 15થી 20 વર્ષે ફરીથી અંતિમ વિરલન કરી અંતે 125 જેટલાં વૃક્ષો રખાય છે. રબરનાં વૃક્ષોનું વાડમાં 12 મી.થી 24 મી.ના અંતરે રોપણ કરવાની નવી પદ્ધતિ પણ અપનાવવામાં આવી છે. કૉફી, કેળાં અને ટેપિયોકા જેવા પંક્તિઓમાં રોપેલા પાકની વચ્ચેની જગાઓમાં પણ રબરનાં વૃક્ષો વાવવામાં આવે છે.

આકૃતિ 2 : રબરના વૃક્ષનાં ખૂંટ, કલિકાસર્જન અને રોપનિર્માણ.

રબરના વૃક્ષનું પ્રસર્જન બીજ દ્વારા કે કલિકાસર્જન (budding) દ્વારા થાય છે. ફળ પરિપક્વ થતાં તેનું સ્ફોટન થતાં બીજ કેટલીક વાર મૂળ વૃક્ષથી 21 મી.થી 30 મી. સુધી વિકિરણ પામે છે. બીજ તેમની જીવનક્ષમતા (viability) ઝડપથી ગુમાવતાં હોઈ તેને એકત્રિત કરી તુરત જ વાવવામાં આવે છે. યોગ્ય રીતે સંગ્રહાયેલાં બીજ 7થી 10 દિવસ સુધી જ તેમની જીવનક્ષમતા જાળવી શકે છે. બીજને ખાસ પાત્રમાં કોલસાની ભૂકીમાં કે 15 %થી 20 % ભેજવાળી વહેરની ભૂકીમાં રાખતાં તે 4થી 6 માસ જીવનક્ષમતા જાળવે છે. એકત્રિત કરેલાં બીજ કલિકાસર્જન માટે ખૂંટ (stock) ઉત્પન્ન કરવા માટે વપરાય છે. પસંદ કરેલા સમજાતકની કલિકાઓના વિકાસથી ઉદભવતાં બીજ પણ વવાય છે અને તેનાથી વધારે ઉત્પાદન પ્રાપ્ત થાય છે. રોપાઓ ક્યારીઓમાં કે ટોપલીઓમાં તૈયાર કરવામાં આવે છે. બીજની તાજગી અને અનુકૂળ પારિસ્થિતિક સંજોગોને આધારે તેનું અંકુરણ 1થી 3 અઠવાડિયાંમાં થાય છે. પાણી અને છાયાની પૂરતી કાળજી રાખતાં તરુણ રોપ છ માસમાં 0.9 મી.થી 1.2 મી.ની ઊંચાઈ ધારણ કરે છે. ચોમાસા દરમિયાન તેમનું રોપણ કરવામાં આવે છે.

મલેશિયા અને ઇન્ડોનેશિયામાં કલિકારોપણ અને સમજાતક બીજોનું વાવેતર – એ રબરના વૃક્ષારોપણ માટેની બે મુખ્ય પદ્ધતિઓ છે. ભારતમાં ઉપયોગમાં લેવાતા કેટલાક સમજાતકો આ પ્રમાણે છે. સુમાત્રામાંથી ‘ઍવ્રોસ’ (AV), જાવામાંથી ‘બોજોંગ દતાર’ (B. D.), ‘જીરંજી’ (Tjig) અને ‘જેસિંગ’ (Djs), મલેશિયામાંથી ‘પ્રગ બેસાર’ (P. B.), ‘નવા સમજાતકો 5 અને 6 શ્રેણી’, ‘સબરંગ’, ‘પિલ્મૂર બી’ (Pil. B) અને ‘ગ્લેન્શિયેલ (Gl) અને શ્રીલંકામાંથી ‘હેનરતગોડા’, ‘હિલક્રૉફ્ટ’ અને ‘મિલ્લાકંદે’. હાલમાં મલેશિયા, ઇન્ડોનેશિયા, હિંદી ચીન અને શ્રીલંકામાં લગભગ 1,089 કિગ્રા./એકર/વર્ષ શુષ્ક રબરનું ઉત્પાદન કરી શકે તેવા નવા સમજાતકોનો વિકાસ કરવામાં આવ્યો છે. પસંદગી અને સંકરણ દ્વારા રબર ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયાએ 700 જેટલા નવા સમજાતકોનું નિર્માણ કર્યું છે. વધારે ક્ષીરરસ આપતી જાતની શાખાના જીવંત કોષોનું સંવર્ધન કરીને રોપાઓનું નિર્માણ કરી તેનાં વાવેતરો વિકસાવવામાં આવ્યાં છે.

રબર-વૃક્ષારોપણમાં મૃદાની ફળદ્રૂપતામાં થતા ઘટાડા માટે ભારે વરસાદને કારણે થતું ભૂક્ષરણ (erosion) અને ઊંચા તાપમાનને કારણે થતું મૃદાનું આંશિક અનુર્વરીકરણ (sterilization) તથા ઉપચયન(oxidation)ને કારણે થતો પાંસુક(humus)નો ઘટાડો જવાબદાર છે. તરુણ રોપ ઉપર તેની તીવ્ર અસર થાય છે. ભૂક્ષરણ અને સપાટીએથી વહી જતા પાણીને અટકાવવા ભૂમિસંરક્ષણ-પાકો(cover crops)ને અત્યંત નિકટ ઉગાડવામાં આવે છે. ઉપર્યુક્ત હેતુ સાધવા માટે વિદારી કંદની જાતિ (Pueraria phaseoloides), centrosoma pubescens, ગળી(Indigo fera)ની અને રાનમેથી(Desmodium)ની તેમજ દેશી શણ (Crotolaria) અને સરપંખા(Tephrosia)ની જાતિઓ ઉગાડવામાં આવે છે. શિરીષ (Albizzia) અને Gliricidia કેટલીક વાર છાયા-વૃક્ષો તરીકે વવાય છે. તે લીલી બિછાત (mulch) પૂરી પાડે છે અને મૃદાને સારી વાવણીને યોગ્ય રાખે છે.

સંરક્ષણ-પાક ઘણી વાર રબરના તરુણ રોપની વૃદ્ધિ અટકાવે છે; પરંતુ મોટાં વૃક્ષોને વધારે લાભ મળે છે. ભૂક્ષરણના અવરોધ અને ભૂમિની ઉર્વરતા દ્વારા તરુણ રોપાઓની વિલંબિત (delayed) વૃદ્ધિની ક્ષતિપૂર્તિ (compensation) થાય છે. દક્ષિણ ભારતમાં સંરક્ષણ-પાક તરીકે Pueraria phaseoloidesનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને તેનાં સારાં પરિણામો પ્રાપ્ત થયાં છે. મલેશિયા અને ઇન્ડોનેશિયામાં મોટાં વૃક્ષો માટે સંરક્ષણ-પાક તરીકે Centrosema pubescens ઉગાડવામાં આવે છે.

એમોનિયમ સલ્ફેટ જેવાં નાઇટ્રોજનયુક્ત ખાતરો તેની વૃદ્ધિમાં મદદ કરે છે; તેટલું જ નહિ, પરંતુ oidium દ્વારા થતા પાનના રોગની હાનિકારક અસરોને મંદ પાડે છે. પોટાશ અને ફૉસ્ફેટ સહિતનાં પૂર્ણ ખાતરો, જ્યાં 20થી 30 વર્ષ માટે રબરનું વૃક્ષારોપણ થયું હોય તેવા વિસ્તારોમાં વધારે સારાં પરિણામો આપે છે. ખાતર આપવાથી રબરની વૃદ્ધિ, છાલનું નવીકરણ (renewal) અને ક્ષીરરસના ઉત્પાદનમાં લાભ થાય છે. જોકે જૂનાં વૃક્ષોમાં ક્ષીરરસના ઉત્પાદનમાં તત્કાળ અસર થતી નથી. 150 પરિપક્વ વૃક્ષના સમૂહ ઉપર ખાતર અંગેનાં થયેલાં સંશોધનો અનુસાર મૃદા આશરે 2,495 કિગ્રા. નાઇટ્રોજન, 3,742 કિગ્રા. ફૉસ્ફરિક ઍસિડ અને 3,016 કિગ્રા. પોટાશ ગુમાવે છે. આ રીતે ગુમાવાતાં પોષક તત્વોની પુન:પૂર્તિ (replenishment) કરવા માટે નિયમિતપણે ખાતર આપવાની વ્યવસ્થા થવી જરૂરી છે. સારણી 1માં ખાતરનાં મિશ્રણોનું સૂચિત બંધારણ આપ્યું છે.

પર્ણોમાં શિરાઓ વચ્ચે પીતન (yellowing) થાય તો તે મૅગ્નેશિયમની ન્યૂનતાને કારણે હોય છે. આવી પરિસ્થિતિમાં 100 કિગ્રા. મિશ્રણમાં 10 કિગ્રા. મૅગ્નેશિયમ સલ્ફેટ ઉમેરવામાં આવે છે.

ભારતમાં Phytophthora spp. P palmivora Butler syn. P. meadii McRae રબરનાં વૃક્ષોને ફળનો સડો, વિપત્રણ (defoliation) અને કાળા દોરા(black thread)ના ગંભીર રોગો લાગુ પડે છે. ભારે વરસાદમાં આ રોગો થવાની શક્યતાઓ વધારે હોય છે. ફળનો સડો અને વિપત્રણ આંતરસંબદ્ધ (interrelated) હોય છે અને પહેલાં ફળ ઉપર અસર થાય છે. ફળની સપાટી ઘેરા રંગની બની જાય છે; કોહવાયેલાં ફળો ઘણા સમય સુધી લટકતાં રહે છે અને અંતે ખરી પડે છે. નૈર્ઋત્ય વર્ષાની શરૂઆતથી રોગગ્રસ્ત વૃક્ષોનાં પર્ણો જુલાઈ-ઑગસ્ટમાં ખરવા લાગે છે. તેના પર્ણદંડો કાળા-બદામી બની જાય છે. વર્ષાની શરૂઆત પહેલાં બોર્ડો-મિશ્રણનો છંટકાવ અસરકારક ઉપાય છે. 6 % ક્યુપ્રોસેનાનું ડસ્ટિંગ સંતોષકારક પરિણામો આપે છે. અવરોધક જાતોનો વિકાસ સૌથી અસરકારક નિરાકરણ છે. સમજાતકો બી.ડી. – 10 અને એવી – 255 ફળના સડાની અવરોધક જાતો છે.

કાળો દોરો [કાળી પટ્ટી, કાળી રેખા પ્રવ્રણ (blackline canker), છાલનો સડો, નવીકરણ પામતી છાલનો કોહવારો, એધા(cambium)નો સડો અને પટ્ટિત-પ્રવણ (stripe canker)] Phytophthora દ્વારા થતો બીજો રોગ છે. આ રોગમાં નિષ્કાસન કાપની ઉપર સાંકડી, ઊભી, કાળી રેખાઓ એકબીજીને સમાંતરે શ્રેણીબદ્ધ રીતે ઉદભવે છે. આ રેખાઓ પહોળી બની પરસ્પર જોડાઈ એક સળંગ વ્રણ ઉત્પન્ન કરે છે. કેટલીક વાર આ રેખાઓ અંદરની તરફ કાષ્ઠ સુધી વિસ્તરે છે. ભેજવાળું વાતાવરણ આ રોગના પ્રારંભને ઉત્તેજે છે. પ્રત્યેક નિષ્કાસન પછી તેના કાપને બ્રુનોલિનમ, બ્રુનોલિનમ પ્લૅન્ટેરિયમ, કાબૉલિનિયમ પ્લૅન્ટેરિયમ, એગ્રિસોલ, સોલિગ્નમ કે જોડીલાઇટના 5 % દ્રાવણ વડે રંગવાથી આ રોગનું નિયંત્રણ થાય છે.

Phytophthoraની એક જાતિ દ્વારા અગ્રારંભક્ષય(die back)નો રોગ અસામાન્ય પર્ણપતન પછી થાય છે. તરુણ રોપાઓને આ રોગ Gloeosporium અને Phyllostictaની જાતિઓ દ્વારા થાય છે. Botryodiplodia elastica Petch અને B. theobromae Pat. દ્વારા પણ આ રોગ થઈ શકે છે. આ રોગનું નિયંત્રણ રોગગ્રસ્ત ભાગની નીચે 30 સેમી. સુધીનો ભાગ કાપી લેતાં થાય છે. Oidium hevea દ્વારા ભૂકી છારો (powdery mildew) થાય છે. બોર્ડો-મિશ્રણ કે સલ્ફર પાઉડરના છંટકાવ દ્વારા રોગ અટકાવી શકાય છે.

ગુલાબી રોગ Pellicularia salmonicolor (Berk. & Br.) Dastur syn. Corticium salmonicolor Berk. & Br. દ્વારા થાય છે, જેમાં રબરના વૃક્ષની છાલ ઉપર ગુલાબી રંગના પોપડા થાય છે. રોગની શરૂઆતમાં બોર્ડો-મિશ્રણનો છંટકાવ કરવાથી કે ફાયલોમેક 90 દ્વારા રંગવાથી રોગનું નિયંત્રણ થાય છે. મોટાં વૃક્ષોમાં રોગગ્રસ્ત ભાગો કાપી લઈ વ્રણ ઉપર ડામર લગાડવામાં આવે છે. તેને કાર્બોલિનિયમ મિશ્રણ કે ઍસ્ફાલ્ટ-કેરોસીન મિશ્રણ પણ લગાડી શકાય.

Ceratostomella fimbricata દ્વારા તુરતમાં નિષ્કાસન કરેલ છાલની ખુલ્લી થયેલી મૃદુ પેશીઓને ફૂગનો સડો (mouldy rot) લાગુ પડે છે. તેનાથી ઘેરા રંગના નાના સમૂહો ઉત્પન્ન થાય છે અને તેઓ જોડાઈ જઈને નિષ્કાસનકાપની ઉપર લગભગ 2.5 સેમી. ઊંચે અને તેને સમાંતરે મૃત પેશીના અનિયમિત પટ્ટાઓ બનાવે છે. અસરગ્રસ્ત છાલ 3થી 4 માસમાં કોહવાઈ જાય છે. રોગિષ્ઠ વૃક્ષોનું એક માસ સુધી નિષ્કાસન કરવું જોઈએ નહિ. બર્મા પેસ્ટ કે ઇઝાલ વિરચન (preparation) દ્વારા રંગવાની અને નિષ્કાસન-છરીઓ અને ક્ષીરરસ એકત્રિત કરતી ડોલોને ચેપરહિત બનાવવાની ભલામણ કરવામાં આવે છે. અતિશય નિષ્કાસનને કારણે બદામી અધોવાહી (bast) નામનો દેહધાર્મિક (physiological) રોગ થાય છે.

અન્ય રોગોમાં બદામી મૂળનો સડો (Fomes lamaoensis), રાતો સડો (Sphaerostilbe repens), પાનનાં ટપકાં (Colletotrichum heveae), સફેદ પોચો સડો (Polystictus personii) અને ધારનો કોહવારો (spaerella heveae) જેવા રોગોનો સમાવેશ થાય છે. આ રોગો ગંભીર નથી.

રબરના વૃક્ષની શાખાઓ ઉપર Lornthusની પરોપજીવી જાતિઓ પણ થાય છે. તેમનો નિકાલ કરી રોગિષ્ઠ શાખાઓનું કૃંતન કરવામાં આવે છે. ડીઝલના તેલમાં 2 % 2, 4, 5 T(ટ્રાઇક્લૉરોફિનૉક્સી એસેટિક ઍસિડ)નો છંટકાવ કરવાથી સારાં પરિણામો પ્રાપ્ત થયાં છે.

રબરના વૃક્ષ ઉપર કોઈ ગંભીર જીવાત થતી નથી, છતાં આંબાનું થડ કોરતો ભમરો (Batocera rubus L.), છાલનો ભમરો (Xyleborus biporus) અને શલ્ક-કીટકો (Aspidiotus cyanophylli અને Saissetia nigra) કેટલીક વાર નુકસાન પહોંચાડે છે. ઘોડાઓ, ઢોર, બકરાં, વાંદરાં, જંગલી ભુંડ, હરણ, શાહુડી, કાળિયાર, ઉંદર, ખિસકોલી અને કૃન્તકો (rodents) રબરના વૃક્ષનાં થડ, શાખાઓ અને છાલને નુકસાન કરે છે. જંગલી હાથીઓ પણ આ વૃક્ષ માટે આપત્તિરૂપ હોય છે. ઊધઈ વૃક્ષના વિકાસના બધા જ તબક્કાઓમાં ગંભીર નુકસાન પહોંચાડે છે. ઇન્ડોનેશિયામાં મહાકાય ગોકળગાયો તરુણ રોપાઓ માટે જોખમી જીવાત ગણાય છે.

રબરના વૃક્ષમાંથી નિષ્કર્ષણ દ્વારા ક્ષીરરસ મેળવવામાં આવે છે. મુખ્ય થડની છાલમાં આ માટે તીક્ષ્ણ કાપ મૂકવામાં આવે છે, જેથી ક્ષીરવાહિનીઓ (latex vessels) ખુલ્લી થાય છે. ક્ષીરવાહિનીઓ સમકેન્દ્રિત નલિકાઓ-સ્વરૂપે ગોઠવાયેલી હોય છે. ક્ષીરવાહિનીઓને છેદ મૂકતાં પહેલાં ક્ષીરરસ ઝડપથી બહાર આવે છે; પછી તે ધીમેથી નીકળે છે અને અંતે કાપની સપાટી ઉપર ગંઠાઈ જાય છે. પ્રત્યેક કાપ પછી વૃક્ષને તેની ઉંમર, આબોહવા અને વૃક્ષની સ્થિતિને આધારે જુદા જુદા સમય માટે આરામ આપવામાં આવે છે. વૃક્ષનું ફરીથી નિષ્કર્ષણ કરવા માટે જૂના કાપની સપાટીએથી ગંઠાયેલો ક્ષીરરસ કે ‘દાટો’ દૂર કરવામાં આવે છે અને દાટાની પહોળાઈ જેટલી છાલની પાતળી પટ્ટી કાપવામાં આવે છે. પ્રથમ નિષ્કાસન દરમિયાન ઘટ્ટ ક્ષીરરસનો થોડોક જ જથ્થો સ્રવે છે. પ્રત્યેક ક્રમિક નિષ્કર્ષણે ક્ષીરરસનો પ્રવાહ વધે છે અને ઘટ્ટતા ઘટે છે. સામાન્યત: કાપ થડની ફરતે લગભગ અર્ધો મૂકવામાં આવે છે, છતાં કેટલીક વાર આ કાપ સમગ્ર થડની ફરતે પણ આપવામાં આવે છે. કાપના પ્રકાર અને વિસ્તારને આધારે નિષ્કર્ષણની પદ્ધતિઓને ‘અર્ધકુંતલ પદ્ધતિ’ (half spiral system), ‘પૂર્ણ કુંતલ પદ્ધતિ’ (full spiral system), ‘V’ – કાપ-પદ્ધતિ અને ‘હેરિંગ અસ્થિ પદ્ધતિ’ કહે છે.

આકૃતિ 3 : રબરના વૃક્ષમાંથી ક્ષીરરસનું નિષ્કર્ષણ.

નિષ્કર્ષણની શરૂઆત વૃક્ષ 7થી 8 વર્ષનું હોય ત્યારે કરવામાં આવે છે. મલેશિયા અને ઇન્ડોનેશિયામાં વૃક્ષની 5થી 6 વર્ષની ઉંમરે તે શરૂ કરાય છે. પ્રત્યેક વર્ષે ક્ષીરરસનું ઉત્પાદન વધે છે. લગભગ 20 વર્ષે તે મહત્તમ ઉત્પાદન આપે છે. યોગ્ય પ્રબંધ હેઠળ 40થી 50 કે તેથી વધારે વર્ષો સુધી ક્ષીરરસનું ઉત્પાદન જાળવી શકાય છે.

ભારતમાં પ્રતિ એકરે સામાન્ય રબરનાં વૃક્ષો દ્વારા લગભગ 135 કિગ્રા. જેટલા ક્ષીરરસનું ઉત્પાદન થાય છે. મલેશિયામાં તે જ પ્રકારનાં વૃક્ષો દ્વારા 204 કિગ્રા. જેટલા ક્ષીરરસનું ઉત્પાદન મેળવવામાં આવે છે. ભારતમાં રબરનાં વૃક્ષોની સુધારણાને કારણે મહત્તમ 317 કિગ્રા.થી 362 કિગ્રા. જેટલું; જ્યારે મલેશિયા, જાવા અને સુમાત્રામાં 680 કિગ્રા.થી 906 કિગ્રા./એકર ઉત્પાદન મેળવવામાં આવે છે. ભારતમાં પ્રતિવર્ષ 120થી 140 જેટલાં અને મલેશિયામાં 160 જેટલાં નિષ્કાસનો કરવામાં આવે છે.

નિષ્કર્ષણ-કાપની નીચે છાલને ઉત્પાદન-ઉત્તેજકોના મિશ્રણની ચિકિત્સા આપવાથી રબરનું ઉત્પાદન વધારી શકાય છે. આ માટે વનસ્પતિ-અંત:સ્રાવો અને અંત:સ્રાવના ગુણધર્મો ધરાવતા કેટલાક અપતૃણનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે; દા. ત., સ્ટિમ્યુલૅક્સ અને યુરેકા તથા 2, 4 ડાઇક્લૉરોફિનૉક્સી એસેટિક ઍસિડ(2, 4-D)ના n-બ્યૂટાઇલ એસ્ટરના સોડિયમના ક્ષારનું તાડના તેલમાં 1 %થી 2 %નું દ્રાવણ ક્ષીરરસનું ઉત્પાદન વધારવામાં અસરકારક છે. છાલના નવીનીકરણ માટે ઇન્ડૉલ–3 એસેટિક ઍસિડ, ઇન્ડોલ-બ્યૂટિરિક ઍસિડ અને લેનોલિનનો ઉપયોગ થાય છે. ઇન્ડોલ–3 એસેટિક ઍસિડ ઉચ્ચ સાંદ્રતાએ અને ઇન્ડોલ બ્યૂટિરિક ઍસિડ નીચી સાંદ્રતાએ વધારે અસરકારક છે. લેનોલિન આપ્યા પછી પ્રથમ માસમાં છાલનું 17 % વધારે નવીકરણ સિદ્ધ થાય છે. કાપના સમતલમાં કૉપરસલ્ફેટનું અંત:ક્ષેપણ કરતાં ક્ષીરરસનું ઉત્પાદન વધે છે, પરંતુ આ ચિકિત્સા કેટલીક અનિચ્છનીય અસરો ઉત્પન્ન કરતી હોવાથી તેની ભલામણ કરવામાં આવતી નથી. કેટલીક જગાએ 2, 4, 5–Tનો ઉપયોગ કરવામાં આવે છે.

તાજો ક્ષીરરસ સામાન્યત: દૂધિયા સફેદ રંગનો કે કેટલીક વાર ઋતુ અને સ્થાનિક પરિસ્થિતિને આધારે ભૂખરો, પીળો કે સહેજ ગુલાબી હોય છે. તેનું વિ. ગુ. 0.970થી 0.980, 28° સે. તાપમાને સ્નિગ્ધતા 8.0 અને 30° સે. તાપમાને પૃષ્ઠતણાવ 40.5 ડાઇન/સેમી. હોય છે. વૃક્ષમાંથી નીકળતા ક્ષીરરસનો pH 7 હોય છે એટલે કે તટસ્થ હોય છે; પરંતુ પછીથી ઉત્સેચકીય અને બૅક્ટેરિયલ પ્રક્રિયાને કારણે ઍસિડિક બને છે. તાજો ક્ષીરરસ ઋણ વીજભાર (–0.035 વૉલ્ટ) ધરાવે છે.

રબરની જમાવટ ઍસિડ, તટસ્થ ક્ષારો અને આલ્કોહૉલ અને એસિટોન જેવા જલ-મિશ્રણક્ષમ (water miscible) કાર્બનિક દ્રાવકો દ્વારા થાય છે.

નિષ્કર્ષણથી મેળવેલ ક્ષીરરસ રબરના કણોના કલિલીય નિલંબન સ્વરૂપમાં હોય છે. રબરના કણોના વ્યાસ 0.03 માઇક્રૉનથી 3.0 માઇક્રૉન હોય છે. તે ગોળાકારથી માંડી નાસપતી આકારના હોય છે. ક્ષીરરસમાં 25 %થી 40 % રબર હાઇડ્રોકાર્બન હોય છે. દસ વર્ષના રબરના વૃક્ષના ક્ષીરરસનું રાસાયણિક બંધારણ આ પ્રમાણે હોય છે : પાણી 60 %, રબર હાઇડ્રોકાર્બન 35.62 %, ઍસિટોન-દ્રાવ્ય દ્રવ્ય 1.65 %, પ્રોટીન 2.03 % અને ભસ્મ 0.70 %. પર્ણદંડના શુષ્ક ક્ષીરરસનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : રબર 78.7 %, ભસ્મ 1.2 %, પ્રોટીન 13.0 % અને ઍસિટોન-દ્રાવ્ય દ્રવ્ય 7.1. સખત છાલના ક્ષીરરસમાં મૃદુ છાલની તુલનામાં રબરનું પ્રમાણ વધારે અને નાઇટ્રોજનયુક્ત સંયોજનો, ઍસિટોન-દ્રાવ્ય દ્રવ્ય અને ભસ્મનું પ્રમાણ ઓછું હોય છે. રબર સિવાયના ઘટકોમાં પ્રોટીન, રાળ, શર્કરાઓ, ગ્લાયકોસાઇડ, ટૅનિન, આલ્કેલૉઇડ અને ખનિજ-ક્ષારો હોય છે. ક્ષીરરસનાં નાઇટ્રોજનયુક્ત સંયોજનોમાં ગ્લુટેલિન, ગ્લૉબ્યુલિન અને ઍબ્યુમિન જેવાં ઓછામાં ઓછાં ત્રણ પ્રકારનાં પ્રોટીનો; ગ્લાઇસીન અને અન્ય મૉનોએમિનો અને ડાઇએમિનો ઍસિડો અને ઍમાઇડો હોય છે. ઍસિટોન-દ્રાવ્ય દ્રવ્ય ફૅટી ઍસિડો, લિપિડ અને ફાઇટોસ્ટેરોલનું જટિલ મિશ્રણ હોય છે. રાળ તાજા ક્ષીરરસમાં વ્યસરિત (dispersed) કણો-સ્વરૂપે થાય છે. તે પૈકીના કેટલાક કણો રબર સાથે ચોંટેલા રહી હાઇડ્રોકાર્બનના વાતાવરણીય ઉપચયન(oxidation)થી રક્ષણ આપે છે. ફૉસ્ફેટિડો(0.1 % – 0.2 %)માં લૅસિથિન અને ફૉસ્ફેટિડ ઍસિડોના કૅલ્શિયમ અને પોટૅશિયમના ક્ષારો સરખા પ્રમાણમાં હોય છે. સેલ્યુલોસ અને સ્ટાર્ચમાંથી ઉદભવતી શર્કરાઓ અને ગ્લાયકોસાઇડો રબરના જૈવ સંશ્લેષણ દરમિયાન ઉદભવતાં મધ્યસ્થી સંયોજનો છે. ડૅમ્બોનિટોલ, બોર્નેસિટોલ, મેટેઝિટોલ, ડૅમ્બોઝ અને ક્વિબ્રેકિટોલ (0.5 %થી 2.0 %) ઓળખી શકાયાં છે.

તાજા ક્ષીરરસમાં ઑક્સિડેઝ, પેરૉક્સિડેઝ, કૅટેલેઝ, ટાયરોસિનેઝ અને ઍસ્ટેરેઝ હોય છે. ભસ્મ (0.3 %થી 0.7 %)માં P2O5 36.1 % – 37.3 %, K2O 35.6 % – 40.7 %, MgO 4.4 % – 5.1 %, CaO 4.9 % – 5.0 %, Na2O 4.4 % – 6.2 %, Fe2O3 1.5 % – 1.7 %, Al2O3 0.5 % – 0.6 %, SiO2 2.1 % – 2.5 %, Cl 1.5 % –2.8 % અને SO3 1.6 % – 1.9 % હોય છે.

આકૃતિ 4 : રબરના વૃક્ષના ક્ષીરરસનું ગાળણ

તાજો ક્ષીરરસ ઉત્સેચકીય અને બૅક્ટેરિયલ પ્રક્રિયા માટે સંવેદી હોવાથી ઍસિડનું નિર્માણ અને જમાવટ થતી અટકાવવા તેમાં પરિરક્ષકો અને જીવાણુનાશકો ઉમેરવામાં આવે છે. એમોનિયા, ફૉર્માલ્ડિહાઇડ, સોડિયમ હાઇડ્રૉક્સાઇડ, સાબુ અને પૅન્ટાક્લૉરોફિનૉલ જેવાં જીવાણુનાશકોનો પરિરક્ષકો તરીકે ઉપયોગ થાય છે.

આપંક(sludge)રહિત સ્થાયીકૃત તાજા ક્ષીરરસને ‘સામાન્ય ક્ષીરરસ’ (normal latex) કહે છે, જેમાં 30 %થી 40 % જેટલા ઘન પદાર્થો હોય છે. ક્ષીરરસને સાંદ્ર બનાવવા તેનું બાષ્પીભવન, મલાઈકરણ (creaming) કે અપકેન્દ્રણ (centrifugation) કરવામાં આવે છે. વીજ-નિતારણ (electrodecantation) ક્ષીરરસને સાંદ્ર બનાવવાની આધુનિક પદ્ધતિ છે.

આ પદ્ધતિમાં બે ઇલેક્ટ્રોડની વચ્ચે ક્ષીરરસ રાખવામાં આવે છે અને તેની વચ્ચે અર્ધપારગમ્યપટલો (semipermeable membranes) મૂકવામાં આવે છે, જ્યારે વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવતાં ઋણ વીજભારિત રબરના કણો ધનધ્રુવ તરફ પ્રસરણ પામે છે. પટલો તેમના માર્ગને અવરોધે છે, જેથી તેમનું સંચયન થાય છે. વિદ્યુતપ્રવાહને ઊલટો કરતાં કણો પટલો પરથી પાછા ફેંકાઈ સપાટી તરફ આવે છે. આવો સાંદ્ર ક્ષીરરસ યાંત્રિક અને રાસાયણિક સ્થાયિત્વ વધારે ધરાવે છે.

આકૃતિ 5 : રબરના વૃક્ષમાંથી પ્રાપ્ત કરેલ ક્ષીરરસમાંથી રોલર દ્વારા પટ-રબરનું દાબન.

Heveaના ક્ષીરરસમાંથી વ્યાપારિક રબર-જમાવટ લોટણ (rolling) અને શુષ્કન (drying) દ્વારા મેળવવામાં આવે છે. ધૂમિત-પટ રબર (smoked sheet rubber) અને ક્રેપ-રબર કાચા રબરનાં બે જાણીતાં સ્વરૂપો છે. અગ્નિ એશિયામાં સામાન્યત: ધૂમિતપટ રબર બનાવવામાં આવે છે. તે માટે ક્ષીરરસને પાણી દ્વારા મંદ (15 %) બનાવાય છે. ત્યારપછી ચાળણી દ્વારા ગાળી મોટી અશુદ્ધિઓ દૂર કરી રબરની જમાવટ માટે એસેટિક ઍસિડ અથવા ફૉર્મિક ઍસિડ ઉમેરવામાં આવે છે. લગભગ 100 કિગ્રા. ક્ષીરરસની જમાવટ માટે 0.5 કિગ્રા. એસેટિક ઍસિડ કે 0.25 કિગ્રા. ફૉર્મિક ઍસિડ જરૂરી હોય છે. ઍસિડમુક્ત ક્ષીરરસ ઊભી તકતીઓવાળા ઍલ્યુમિનિયમના વાસણમાં કે ટાંકીમાં એક રાત્રી માટે રાખવામાં આવે છે. તકતીઓની વચ્ચે ક્ષીરરસ જામે છે અને સપાટી ઉપર મૃદુ, સફેદ, શિથિલ પટ્ટ (slab) તરીકે તરે છે. જ્યારે પટ્ટ ર્દઢ બને ત્યારે તકતીઓ દૂર કરી પટ્ટ બહાર કાઢવામાં આવે છે અને પાણીમાં ધોવામાં આવે છે.

ધોયેલા પટ્ટને લીસાં રોલર વચ્ચેથી પસાર કરવામાં આવે છે, જેથી પાણી બહાર નીકળી જાય છે અને લગભગ 0.32 સેમી. જાડાઈવાળો ચપટો પટ્ટ (slab) બને છે. હવે આ પટ્ટને ચિહ્નાંકન (marking) રોલમાંથી પસાર કરવામાં આવે છે; જેથી રબર પાંસળીદાર (ribbed) બને છે. આવા રબરનું શુષ્કન ઝડપથી થાય છે. પાંસળીદાર પટ્ટ(પાણી 20 %)ને થાંભલાઓ કે ઘોડાઓ (racks) ઉપર થોડાક કલાક માટે સૂકવવામાં આવે છે અને પછી ધુમાડા-ઘરમાં (40° સે.થી 50° સે. તાપમાને) 4 દિવસ માટે રાખવામાં આવે છે; જેથી શુષ્કન ઝડપી થાય છે અને ફૂગની વૃદ્ધિને અવરોધી શકાય છે. આ શુષ્ક નીપજ એકઠી કરી તેનું સંકલન (packing) કરવામાં આવે છે. આ ધૂમિત-પટ અપારદર્શક બદામી રંગનો સ્થિતિસ્થાપક અને ટકાઉ હોય છે અને તેને બજારમાં મોકલવામાં આવે છે.

ક્રેપ-રબર બનાવવા માટે ક્ષીરરસની જમાવટ માટે સોડિયમ બાઇસલ્ફાઇટ(0.5 %)નો ઉપયોગ કરવામાં આવે છે, જેથી શુષ્કન વખતે કાચું રબર ઘેરા રંગનું ન બનતાં આછા સફેદ રંગનું બને છે. મર્કેપ્ટાનનો પણ સ્કંદ-પ્રક્રિયક(coagulating agent) તરીકે ઉપયોગ કરાય છે. સ્કંદ(coagulum)ના લાંબા ટુકડા કરી નિચોવવામાં આવે છે. ત્યારબાદ કાતરીને જુદાં જુદાં ગિયરવાળાં વલયિત (corrugated) રોલરોમાંથી પસાર કરવામાં આવે છે. અંતે તેમાંથી ખરબચડી સપાટી ધરાવતા પટ મળે છે, જેમને એક અઠવાડિયા સુધી હવાઉજાસવાળા શુષ્કન-ઓરડામાં ઘોડા ઉપર લટકાવી સૂકવવામાં આવે છે. શુષ્કન ઝડપથી કરવા ગરમી પણ આપવામાં આવે છે.

પગરખાં માટે ઉપયોગમાં લેવાતા ક્રેપ-રબરમાં જમાવટની પ્રક્રિયા બે પગથિયાંમાં કરવામાં આવે છે. પહેલાં ક્ષીરરસમાં જમાવટ માટે થોડોક જ ઍસિડ ઉમેરવામાં આવે છે, જેથી સ્કંદમાંથી પીળા રંગનું દ્રવ્ય અલગ થાય છે. ત્યારપછી બાકી રહેલા ક્ષીરરસમાં સોડિયમ બાઇસલ્ફાઇટ અને ઍસિડ મિશ્ર કરવામાં આવે છે; જેથી દ્વિતીય સ્કંદ પ્રાપ્ત થાય છે. તેના ઉપર પ્રક્રિયા કરી પગરખાં માટેનું આછા રંગનું કે લગભગ સફેદ ક્રેપ-રબર બનાવવામાં આવે છે.

કાચા અને વલ્કનિત (vulcanised) રબરના કેટલાક ગુણધર્મો સારણી 2માં આપવામાં આવ્યા છે.

રબર-હાઇડ્રોકાર્બનને કૂચુક (caoutchouc) પણ કહે છે. તે રંગહીન, ગંધરહિત, પારદર્શક અને સ્થિતિસ્થાપક હોય છે. તે આઇસોપ્રીન એકમોની 1:4 બંધ વડે જોડાયેલી લાંબી શૃંખલાઓનો બનેલો હોય છે. રબરના અણુમાં આઇસોપ્રીનના 5,000 જેટલા એકમો હોય છે. તેનો અણુભાર 3–5 લાખ જેટલો અને સરેરાશ લંબાઈ 20,000 Å હોય છે. રબરના આઇસોપ્રીન એકમો સમપક્ષ (cis) સ્વરૂપ ધરાવે છે.

રબરને સલ્ફર સાથે ગરમ કરવાથી તેના ગુણધર્મોમાં મોટા ફેરફારો થાય છે. આ ચિકિત્સાને વલ્કનીકરણ (vulcanisation) કહે છે, જેણે રબર-ઉદ્યોગમાં ક્રાંતિ આણી છે. વલ્કનીકરણને કારણે દ્વિબંધ (duble bond) પાસે શૃંખલાઓ વચ્ચે આડા બંધ રચાય છે, જેથી સળંગ આણ્વીય જાળ બને છે.

શુષ્ક રબરમાંથી વીજરોધક (insulation) પટ્ટીઓ, પગરખાંનાં તળિયાં, આસંજકો (adhesives) અને વિલેખકો (erasers) બનાવાય છે. ઔદ્યોગિક ઉપયોગ માટે બનાવાતો રબરનો સામાન વલ્કનીકૃત (vulcanised) હોય છે.

વલ્કનીકરણ માટે ધૂમિતપટ-રબર કે ક્રેપ-રબરને કાતરી, સુઘટ્ય બનાવી અને વલ્કનીકરણ પ્રક્રિયકો, ત્વરકો (accelerators), પ્રતિઉપચાયકો (antioxidants), પ્રબલકો (reinforcing agents), પૂરકો (fillers) અને અન્ય સંઘટકો (ingredients) તેમાં મિશ્ર કરી 113°–130° સુધી દબાણ હેઠળ ગરમ કરવામાં આવે છે. નેફ્થા દ્રાવણમાંથી બનાવેલ રબરમાંથી પાતળી વસ્તુઓ, પાતળી ચાદરો બનાવવા માટે શીત-શોધનની પ્રક્રિયા ઉપયોગમાં લેવાય છે, જેમાં કાર્બન ડાઇસલ્ફાઇડમાં ઓગાળેલા સલ્ફર મૉનોક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે.

હાર્ડ રબર, વલ્કેનાઇટ કે એબોનાઇટ વધારે સલ્ફરવાળું (સામાન્યત: 32 %) રબર છે. એબોનાઇટ સામાન્ય તાપમાને સખત રહે છે. તેને 60°-એ ગરમ કરતાં નરમ બને છે અને 100°-એ પૂરતું નમ્ય (flexible) બને છે. તે સારા વીજરોધક ગુણધર્મો ધરાવે છે અને રાસાયણિક-ક્ષારણ (chemical corrosion) અવરોધક છે. એબોનાઇટ પાઉડર અને ચાદરના સ્વરૂપમાં તે પ્રાપ્ય છે.

રબર વિવિધ ઉદ્યોગો, જાહેર સેવાઓ અને ઘરગથ્થુ અસંખ્ય હેતુઓ માટે વપરાય છે. રબરમાંથી સીધી કે આડકતરી રીતે લગભગ 50,000 જેટલી જુદી જુદી નીપજો બને છે. વાહનો અને સાઇકલોનાં ટાયરો અને ટ્યૂબો માટે રબરનો કુલ વપરાશનો 75 % જેટલો ઉપયોગ થાય છે. 6 % જેટલો ઉપયોગ પગરખાં માટે અને 4 % જેટલો તાર અને કેબલના વીજરોધન માટે થાય છે. વળી કંપનો અને પ્રઘાતો શોષવા માટે મોટર-આરોપણ(mounting)માં અને રંગ-ઉદ્યોગમાં વાઇસરો અને વાયુરોધી વલયો (gaskets), રમતગમતનાં તેમજ વાતિલ (pneumatic) સાધનો, સંચારણ (transmission) અને વાહક (conveyor) પટ્ટાઓ, ઉદ્યાનની નળીઓ, આગ હોલવવા માટેની અને પેટ્રોલની નળીઓ, ઘર અને હૉસ્પિટલનો સામાન [જેવો કે, રબરવાળું કાપડ – ચાદર, ગરમ પાણી અને બરફની કોથળીઓ, શલ્ય-વૈદ્ય(surgeon)નાં હાથનાં મોજાં, રમકડાં, વિલેખકો, રબરની પટ્ટીઓ અને આસંજકો, નાહવા માટેની ટોપીઓ, રોગનિરોધકો (prophylatics)] વગેરે બનાવવામાં તેનો ઉપયોગ થાય છે. એબોનાઇટનો ઉપયોગ ઇલેક્ટ્રિક, રેડિયો-ઇજનેરી અને રાસાયણિક ઉદ્યોગમાં રક્ષણાત્મક હરોળ માટે થાય છે. તેનો ઉપયોગ બૅટરીની પેટીઓ, પીપ, ટેલિફોન, કાંસકા અને દાંતનાં ચોકઠાં બનાવવામાં પણ થાય છે.

નવસાધ્ય (reclaimed) રબર વાહનોનાં કાઢી નાખેલાં ટાયરો, ટ્યૂબ, રબરની અન્ય નીપજો અને રબરના કચરામાંથી બનાવાય છે. આ રબર અશુદ્ધ રબર સાથે સામ્ય દર્શાવે છે. તેની વિવિધ સંઘટકોની સાથે સંયોજાવાની પ્રક્રિયામાં પણ સરખાપણું હોય છે. જોકે વિવિધ પ્રકારની ચિકિત્સાઓ માટેની અનુક્રિયા(response)માં તફાવત હોય છે. તે કાચા રબર કરતાં સસ્તું હોય છે અને પ્રક્રિયા કરવામાં વધારે સહેલું હોય છે. આ નવસાધ્ય રબર દ્વારા અથવા તેમાં કાચાં રબર મિશ્ર કરી તે દ્વારા પગરખાંનાં તળિયાં, એડીઓ, રબરનો યાંત્રિક સામાન, ટાયરો, આસંજકો, ચાદરો, બૅટરી માટેનાં પાત્રો, ટ્યૂબો અને દંડ બનાવવામાં આવે છે.

અવલ્કનિત (unvalcanised) રબરમાંથી સંયોજન (addition), પ્રતિસ્થાપન (substitution) અને ચક્રીકરણ(cyclisation)ની પ્રક્રિયાઓ દ્વારા રબર-વ્યુત્પન્નો બનાવવામાં આવે છે. રબર સાથે કાર્બન ટેટ્રાક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી એલોપ્રિન, ટોર્નેસિટ અને પાર્લોન જેવાં વ્યાપારીક ક્લૉરિનેટેડ રબર (ક્લોરિન 65 %થી 66 %) બનાવવામાં આવે છે. તે રાસાયણિક પ્રક્રિયાનાં અવરોધક હોય છે અને ક્ષારણ-અવરોધક રંગો અને લાખ(lacquer)માં વપરાય છે. પ્લિયોફિલ્મ (ક્લોરિન 30 %થી 35 %) રબર હાઇડ્રૉક્લોરાઇડ છે અને 6 % રબર-સિમેંટમાં શુષ્ક હાઇડ્રોજન-ક્લોરાઇડ પસાર કરવાથી પ્રાપ્ત થાય છે. તેનો ઉપયોગ કાપડ અને કાગળ-ઉદ્યોગમાં અને ખાદ્યસામગ્રીનું સંકુલન (packing) કરવામાં થાય છે. તે પારદર્શક, નમ્ય તથા પાણીની વરાળ માટે અપારગમ્ય હોય છે અને ઉચ્ચ વિદારણ-અવરોધ (tear-resistance) ધરાવે છે. ચક્રીકૃત (cyclised) રબર બનાવવા રબરની સાથે સ્ટૅનિક ક્લોરાઇડ, ક્લોરોસ્ટૅનિક ઍસિડ, સલ્ફ્યુરિક ઍસિડ, ઑર્ગેનિક સલ્ફોનાઇલ ક્લોરાઇડ કે અન્ય પ્રક્રિયકોની માવજત આપવામાં આવે છે. તેનો ઉપયોગ આસંજકો, રસાયણ-અવરોધી રંગોના સુઘટ્ય આધાર માટે અને પગરખાંનાં તળિયાં બનાવવામાં થાય છે. તે ઉષ્મા-સુઘટ્ય (thermoplastic) હોય છે અને રબર અને ગુટા-પર્ચાના વચગાળાના ગુણધર્મો ધરાવે છે.

નૈસર્ગિક રબરના વાસ્તવિક પ્રતિસ્થાપીઓ(substitutes)નું ઉત્પાદન થતું નથી. યુ. એસ. અને અગાઉના યુ.એસ.એસ.આર.ના દેશોમાં નૈસર્ગિક રબર કરતાં કૃત્રિમ (synthetic) રબરનો વધારે ઉપયોગ થાય છે. કૃત્રિમ રબર નૈસર્ગિક રબર કરતાં સામર્થ્ય, આસંજન અને તેલ, ઉપચાયી (oxidising) પ્રક્રિયકો, પ્રકાશ અને ઉષ્માના અવરોધ બાબતે લાભદાયી હોવા છતાં તે નૈસર્ગિક રબરના સ્થિતિસ્થાપકતા અને નીચા તાપમાને નમ્યતા જેવા આવશ્યક ગુણધર્મો ધરાવતું નથી. કેટલાંક ક્ષેત્રોમાં માત્ર રબરનો ઉપયોગ થાય છે.

જીઆર-એસ, સામાન્ય વપરાશ માટેનું કૃત્રિમ રબર છે અને તે બ્યૂટેડિયેન-સ્ટાયરિન સહ-બહુઘટક (copolymer) છે અને ભંજન(cracking) અને અપઘર્ષણ (abrasion) અવરોધક છે. તેનો કેટલાંક ટાયર-ટ્રેડ (tyre treads), યાંત્રિક સામગ્રી અને તારના વીજરોધન માટે ઉપયોગ થાય છે. અન્ય વ્યાપારિક સંશ્લેષિત રબરો આ પ્રમાણે છે : (1) જીઆર–એ અથવા બુના–એન (બ્યુટેડિયેન અને એક્રિલોનાઇટ્રાઇલનો સહ-બહુઘટક)નો ઉપયોગ તેલ-અવરોધ માટે થાય છે. (2) જીઆર-આઇ અથવા બ્યૂટાઇલ રબર (આઇસોબ્યૂટિલિન અને આઇસોપ્રીનનો સહ-બહુઘટક) વાયુઓની નીચી પારગમ્યતા અને રસાયણો માટે ઉચ્ચ અવરોધ માટે જાણીતું છે. તેનો નળીઓ બનાવવામાં ઉપયોગ થાય છે; (3) જીઆર. એમ. અથવા નિયોપ્રીન (ક્લૉરોપ્રીનનો બહુઘટક) તેલ, રસાયણો અને જ્યોત માટે અવરોધક હોય છે. પ્રકાશ અને કાલપ્રભાવ (ageing) સામે તે ટકાઉ હોય છે. તેનો ઉપયોગ ઘૂંટણ સુધીનાં મોજાં, વાયુરોધી વલયો, પટ્ટાઓ, બીબાંના ઉપયોગથી બનાવાતી કે લેપિત (coated) સામગ્રીઓ અને આસંજકો બનાવવામાં થાય છે. (4) થાયૉકોલ કાર્બનિક ડાઇક્લોરાઇડ અને સોડિયમ પૉલિસલ્ફાઇડની પ્રક્રિયા દ્વારા બને છે. તે તેલ અને દ્રાવકોનો અવરોધ કરે છે અને બીબાંઓમાંથી બનતી નીપજો અને તારના વીજરોધનમાં ઉપયોગી છે. (5) સિલિકોન રબર (સિલિકોન ઉપર આધારિત) ઉષ્મારોધી, ચોંટે નહિ તેવું, સપાટીના સારા ગુણધર્મો, નમ્યતાની જાળવણી, તાપમાનના મોટા તફાવતે (–73° સે. થી 260° સે.) પ્રતિસ્થિતિત્વ (resilence) અને તનન-સામર્થ્ય ધરાવે છે. તે જેટ એન્જિનના ઘટકો, વાયુયાનની નળીઓ, વાયુરોધી વલય, સીલ, પટલો, વાલ્વ વગેરે બનાવવામાં ઉપયોગી છે.

બીજા વિશ્વયુદ્ધ પહેલાં કૃત્રિમ રબરનો ઉપયોગ મુખ્યત્વે જર્મની અને અગાઉના સોવિયેત યુનિયન પૂરતો મર્યાદિત હતો. અગ્નિ એશિયામાં જાપાનના વ્યવસાય પછી યુ.એસ., કૅનેડા, અગાઉના યુ.એસ.એસ.આર.ના દેશોમાં અને યુરોપીય દેશોમાં કૃત્રિમ રબરના ઉત્પાદનનો ઝડપી વિકાસ થયો છે.

દુનિયાભરમાં નૈસર્ગિક રબરનું કુલ ઉત્પાદન 1900માં 45,000 ટન હતું જે વધીને 1955માં 19,13,000 ટન થયું હતું. રબર ઉત્પન્ન કરતા મુખ્ય દેશોમાં ઇન્ડોનેશિયા (38 %), મલેશિયા (33 %), થાઇલૅન્ડ (7 %), શ્રીલંકા (5.0 %) અને હિંદી ચીન(5 %)નો સમાવેશ થાય છે. ભારતનો રબરના ઉત્પાદનમાં નવમો ક્રમ આવે છે અને તે કુલ ઉત્પાદનના 1.2 % જેટલો જ હિસ્સો આપે છે. ભારતમાં લગભગ 91 % રબરનું ઉત્પાદન કેરળમાં, 7 % ચેન્નઈ અને 2 % મૈસૂરમાં થાય છે.

રબરનાં બીજ દેખાવે એરંડીનાં બીજ જેવાં હોય છે; પરંતુ તેમનું વજન અને કદ વધારે હોય છે. બીજનું વજન 2 ગ્રા. થી 4 ગ્રા. જેટલું હોય છે અને મીંજ (kernel) બીજના 50 %થી 60 % જેટલું હોય છે. મીંજની સુવાસ સૂકા મેવા જેવી હોય છે. મીંજનું રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 8.5 %, અશુદ્ધ પ્રોટીન 17.63 %, ઈથર-નિષ્કર્ષ 48.50 %, કુલ કાર્બોદિત 22.89 %, ભસ્મ 2.48 %, કૅલ્શિયમ 0.12 % અને ફૉસ્ફરસ 0.43 %. બીજમાં નીલત્વ-જનનિક (cyanogenetic) ગ્લુકોસાઇડ, લિનેમેરિન કે ફેસિયોલ્યુનેટિન (એસિટોન – સાયનોહાઇડ્રિન – β –ગ્લુકોસાઇડ, C10 H17 O6 N.H2O) અને લાઇનેઝ નામનો વિશિષ્ટ ઉત્સેચક હોય છે, જે તેનું ગ્લુકોઝ અને એસિટોન  – સાયનોહાઇડ્રિનમાં જલીકરણ કરે છે. તેનું પાયસ (emulsion) દ્વારા જલાપઘટન કરતાં તે ગ્લુકોઝ, એસિટોન અને હાઇડ્રૉસાયનિક ઍસિડ ઉત્પન્ન કરે છે. બીજમાં સક્રિય લાઇપેઝ હોય છે.

મીંજ 40 %થી 50 % જેટલું અર્ધશુષ્કન તેલ ધરાવે છે. તાજું તેલ આછા પીળા રંગનું હોય છે, પરંતુ સંપીડન (expression) અને દ્રાવક-નિષ્કર્ષણ (solvent extraction) દ્વારા મેળવેલું વ્યાપારિક તેલ ઘેરા રંગનું હોય છે. વ્યાપારિક તેલમાં મુક્ત ફૅટી ઍસિડો હોય છે. તેલનો ઉપયોગ સાબુ બનાવવામાં અને રંગ અને વાર્નિશમાં અળસીના તેલના આંશિક-પ્રતિસ્થાપક (partial substitute) તરીકે થાય છે. તે માખી અને જૂ સામે અસરકારક હોય છે.

તેનો ખોળ ખાતર તરીકે અથવા ઢોરોને ખાવા માટે ઉપયોગી છે. તે અળસીના ખોળ જેવી ગુણવત્તા ધરાવે છે અને દૂધના ઉત્પાદન માટે ઉપયોગી છે. તે સ્વાદિષ્ટ (palatable) અને મધ્યમ (medium) પ્રોટીન-સાંદ્ર (protein concentrate) છે.

મૃગેન્દ્ર વૈષ્ણવ

બળદેવભાઈ પટેલ