મોદી, પ્રતાપરાય મોહનલાલ

February, 2002

મોદી, પ્રતાપરાય મોહનલાલ (જ. 9 ફેબ્રુઆરી 1896, ભાવનગર; અ. 11 ઑગસ્ટ 1986) : સંસ્કૃતના પ્રખર વિદ્વાન, વિવેચક અને અનુવાદક. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. મૅટ્રિકમાં ભાવનગર રાજ્યની તમામ શાળાઓમાં પ્રથમ સ્થાને આવ્યા અને શ્રી જશવંતસિંહજી સ્કૉલરશિપ પ્રાપ્ત કરી. અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી બી.એ.ની ડિગ્રી તથા દક્ષિણા ફેલોશિપ મેળવી. 1926માં કાશીની બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી એમ. એ. થયા. 1928માં જર્મનીની કિલ યુનિવર્સિટીમાંથી ડૉ. શ્રૉડરના માર્ગદર્શન હેઠળ ‘અક્ષર – અ ફરગૉટન ચૅપ્ટર ઇન ઇન્ડિયન હિસ્ટરી ઑવ્ ફિલૉસૉફી’ના શોધપ્રબંધથી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તે શોધ-પ્રબંધ ઉત્તમ ગણાયેલો. 1926થી 1953 સુધી ભાવનગરની શામળદાસ કૉલેજમાં સંસ્કૃતના અધ્યાપક. ત્યારબાદ જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં સંસ્કૃતના પ્રાધ્યાપક બન્યા અને પછી આચાર્ય તરીકે કામગીરી કરી નિવૃત્ત થયા. 1961થી તેમણે એમ. એસ. યુનિવર્સિટી, વડોદરા ખાતે માનાર્હ અધ્યાપક તરીકે કામગીરી કરી.

કૉલેજકાળથી તેમની વિદ્વત્તા જાણીતી હતી. તેમણે 13થી વધુ ગ્રંથો અને 53 જેટલા સંશોધન-લેખો આપ્યા છે. તેમાં (1) ‘હિંદુ ધર્મનાં મૂળ તત્વો’ (બાળોપયોગી અને શાળોપયોગી) (1940); (2) ચરિત્રકૃતિ ‘રામાનુજાચાર્ય’ (1941); (3) ‘એ ક્રિટિક ઑવ્ ધ બ્રહ્મસૂત્ર’ ભાગ 1-2; (4) ‘શ્રી મધુસૂદન શાસ્ત્રીનું સિદ્ધાંતબિંદુ’ (અંગ્રેજી અનુવાદ); (5) ‘શ્રીમદ્ ભગવદગીતા – એક અભિનવ ર્દષ્ટિબિંદુ’; (6) ‘ધ ભગવદગીતા – એ ફ્રૅશ અપ્રોચ’; (7) ‘શ્રીમદ્ ભગવદગીતા – એક સરળ ભાષાંતર’; (8) ‘શુદ્ધાદ્વૈત લેક્ચર્સ’ અને (9) ‘શ્રીમદ્ અણુભાષ્ય’ (અંગ્રેજી ભાષાંતર) – એ લેખો-ગ્રંથો મુખ્ય છે.

તેમને અનેક પારિતોષિકો મળેલાં. તેમાં (1) સુજ્ઞ શ્રી ગોકુળજી ઝાલા વેદાંત પ્રાઇઝ, (2) શેઠ ટોડરમલ શુદ્ધાદ્વૈત વેદાંત પ્રાઇઝ મુખ્ય છે. તેમની કૃતિ ‘શ્રીમદ્ ભગવદગીતા – એક અભિનવ ર્દષ્ટિબિંદુ’ માટે તેમને ગુજરાત યુનિવર્સિટી તરફથી ડૉ. કે. જી. નાયક સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. ઑરિયેન્ટલ કૉન્ફરન્સની અનેક બેઠકોમાં તેમણે ભાગ લીધો હતો. 1967માં ભારત સરકાર તરફથી ‘પ્રેસિડન્ટ ઍવૉર્ડ’થી વિભૂષિત થનારા તેઓ ગુજરાતના સંસ્કૃતના પ્રાધ્યાપકોમાં પ્રથમ હતા. ડૉ. રાધાકૃષ્ણન્, ડૉ. ઝીયરમૅન, ડૉ. સુબ્રીંગ, પ્રો. હરમાન માસેલી, ડૉ. લક્ષ્મણ સ્વરૂપ, મહામહોપાધ્યાય પી. વી. કાણે, પ્રો. દાસગુપ્તા જેવા લબ્ધપ્રતિષ્ઠ વિદ્વાનોએ તેમની વિદ્વત્તાની કદર કરી છે.

1928માં લાહોર ખાતે ભરાયેલ પાંચમી ઑલ ઇન્ડિયા ઑરિયેન્ટલ કૉન્ફરન્સમાં તેમનો ‘બાદરાયણ ઍન્ડ ગૌડપાદ’ નામક સંશોધનલેખ સ્વીકારાયેલો અને ગૌડપાદનો પૂર્વપક્ષ બાદરાયણનું બ્રહ્મસૂત્ર હોવાનું મંતવ્ય પ્રતિપાદિત કરેલું; જે તેમની પ્રખર બુદ્ધિપ્રતિભાનું દ્યોતક છે. આમ તેમણે આજીવન સંસ્કૃત ભાષા અને સાહિત્યની નિ:સ્વાર્થપણે સેવા બજાવી હતી.

બાલકૃષ્ણ મો. ધ્રુવ