મુઝફ્ફરાબાદ (જિલ્લો)

October, 2025

મુઝફ્ફરાબાદ (જિલ્લો) : ભારતના જમ્મુ-કાશ્મીર રાજ્યનો ગેરકાયદેસર રીતે પાકિસ્તાન હસ્તક રહેલા પ્રદેશનો જિલ્લો અને જિલ્લામથક.

ભૌગોલિક સ્થાન : તે 34  35´ ઉ. અ. અને 73  47´ પૂ. રે.ની આજુબાજુ આવેલો વિસ્તાર. આ જિલ્લો સમુદ્રસપાટીથી સરેરાશ 737 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. આ પ્રદેશ ઊંચાઈના સંદર્ભમાં ઘણી ભિન્નતા ધરાવે છે. કોહાલા 582 મીટર, મકરા પર્વત 3819 મીટર જ્યારે અન્ય શિખર 4473 મીટરની ઊંચાઈ ધરાવતું ભૂપૃષ્ઠ અહીં જોવા મળે છે.

મુઝફ્ફરાબાદ જિલ્લો

આ જિલ્લાની પશ્ચિમે પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત (Khyber Pakhtunkhwa) અને LOC(Line of Control)ની સીમા સાથે સંકળાયેલા છે. જ્યારે પૂર્વમાં ભારતના જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશનો કુપવારા અને બારામુલ્લા જિલ્લા અને ઉત્તરે પાકિસ્તાન હસ્તક રહેલા પ્રદેશનો નીલમ જિલ્લો આવેલા છે, જે પશ્ચિમ હિમાલયના ભાગ સ્વરૂપે ગણાય છે. તેમજ અગ્નિએ પાકિસ્તાનનો હાતીનબાલા જિલ્લો, દક્ષિણે બાઘ જિલ્લો આવેલા છે.

નીલમ નદી (કિશનગંગા)

ભૂપૃષ્ઠ : આ પ્રદેશનું ભૂપૃષ્ઠ પર્વતીય, ટેકરીઓવાળું, ખીણ અને મેદાની વિસ્તાર ધરાવતું છે જે તેની લાક્ષણિકતા ગણાય છે.  આ જિલ્લો જેલમ (વિતાસ્તા) અને નીલમ (કિશનગંગા) નદીને કિનારે આવેલો છે. આ વિસ્તાર ઉપઉષ્ણકટિબંધીય ખીણો અને હિમાલયના આલ્પાઈન વિભાગમાં આવેલો છે. નદીઓના કાંપ-નિક્ષેપને કારણે આ પ્રદેશનાં ખીણો અને મેદાનો ફળદ્રૂપ છે. જમ્મુ-કાશ્મીરમાં થતા ભૂકંપની અસર આ જિલ્લામાં પણ અનુભવાય છે. અહીં 10 ઊંચાં પર્વતીય શિખરો આવેલાં છે, જેમાં સરવાલી શિખર સૌથી વધુ ઊંચાઈ ધરાવે છે. તેની ઊંચાઈ 6,326 મીટર છે. અન્ય પીર ચીનાસી (366 મીટર) શીશા માલી, ખારી નાકકા ઊંચાં શિખરો છે.

પીર ચીનાસી શિખર (366 મીટર)

આબોહવા  : અહીં ઉનાળો હૂંફાળો, ભેજવાળો અને પ્રમાણમાં ઠંડો અનુભવાય છે, જ્યારે શિયાળો સૂકો રહે છે. સરેરાશ તાપમાન 19  સે. રહે છે. જૂન અને જુલાઈ માસ ગરમ રહે છે. તાપમાન 17  સે. થી 34  સે. રહે છે. શિયાળો ઠંડો અને સૂકો રહે છે. આ ઋતુમાં તાપમાન 3  સે.થી 14  સે. અનુભવાય છે. જ્યારે વર્ષાઋતુનો સમયગાળો જૂનથી સપ્ટેમ્બર ગણાય છે. આ સમયગાળામાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી ભારે વરસાદ અનુભવાય છે. વરસાદની માત્રા 1140થી 1200 મિમી. રહે છે.

આ જિલ્લામાં જૈવ વિવિધતા વધુ રહેલી છે. ખાસ કરીને વૃક્ષોમાં બ્લૂ પાઈના, કૈલ, ચીર પાઈના, દેવદાર, સિલ્વર ફર, વૉલનટ વધુ જોવા મળે છે. આ સિવાય ઔષધિ અને સૌંદર્યપ્રસાધન માટેની વનસ્પતિ ઉપલબ્ધ છે. મોટે ભાગે અહીં પ્રાણીસંપત્તિમાં વન્ય પ્રાણીઓમાં હિમવિસ્તારમાં વસતા દીપડા, ચિત્તા, કથ્થઈ રીંછ, શિંગડાંવાળાં બકરાં (ibex), મસ્ક હરણ જોવા મળે છે. સ્થાનિક અને યાયાવર પક્ષીઓ તેમજ સરીસૃપ પણ છે.

અર્થતંત્ર : આ પ્રદેશના અર્થતંત્રનો આધાર ખેતી, પશુપાલન અને જંગલપેદાશો પર અવલંબિત છે. થોડા ઘણા પ્રમાણમાં અહીં કુટિર ઉદ્યોગ પણ જોવા મળે છે. અહીંના ખેતીકીય પાકોમાં મકાઈ, ઘઉં, બાજરી, ડાંગર, જુવાર, કઠોળ જ્યારે ફળોમાં સફરજન, જામફળ અને અખરોટ મુખ્ય છે. પશુપાલનની પ્રવૃત્તિ ખેતી સાથે સંકળાયેલી છે. મુખ્યત્વે ઘેટાં-બકરાંનું પ્રમાણ વિશેષ છે. પ્રવાસનઉદ્યોગને પ્રાધાન્ય મળતું થયું છે.

પરિવહન : આ જિલ્લામાં સરકારી બસ, રિક્ષા, ટૅક્સી જોવા મળે છે. અહીં મુઝફ્ફરાબાદ–મીરપુર અને મુઝફ્ફરાબાદ–માનશેરાને સાંકળતા ધોરી માર્ગો આવેલા છે. મુઝફ્ફરાબાદ અને ભારતના શ્રીનગર શહેરને સાંકળતો ધોરી માર્ગ છે, પરંતુ ભારત સરકાર સીમા ઓળંગવાની પરવાનગી આપે તો જ નાગરિકો ઉપયોગ કરી શકે. આ જિલ્લામાં મર્યાદિત રેલમાર્ગ જોવા મળે છે.

વસ્તી : આ જિલ્લાનો વિસ્તાર 1,642 ચો.કિમી. છે. જ્યારે વસ્તી (2025 મુજબ) આશરે 7,71,000 છે. વસ્તી ઘનતા 396/ ચો.કિમી. છે. સેક્સ રેશિયો દર 1005 પુરુષોએ 1000 મહિલાઓ છે. સાક્ષરતાનું પ્રમાણ 74% છે. મુસ્લિમ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મના લોકો વસતા નથી. મુખ્ય ભાષા ઉર્દૂ છે. આ સિવાય પહારી, ગોજરી અને કાશ્મીરી ભાષા બોલાય છે. જિલ્લાને બે તાલુકામાં વિભાજિત કરેલ છે. જે મુઝફ્ફરાબાદ અને પટ્ટીકા તાલુકા છે. આ જિલ્લામાં પ્રાથમિક શાળાઓનું પ્રમાણ 72% જ્યારે માધ્યમિક શાળાઓનું પ્રમાણ 28% છે. કૉલેજોનું પ્રમાણ નહીંવત્ છે. અહીં છોકરીઓને વધુ શિક્ષણ આપવામાં આવતું નથી.

પ્રવાસન : આ જિલ્લામાં પ્રવાસન ઉદ્યોગની શક્યતાઓ વધુ છે. ઐતિહાસિક સ્થળો, કુદરતી સૌંદર્યનાં સ્થળો તેમજ સાહસિક પ્રવૃત્તિઓને આકર્ષે તેવાં કેન્દ્રો આવેલાં છે. જેમાં મહત્ત્વનાં કાળો કિલ્લો, લાલ કિલ્લો, પીર ચીનાસી, નીલમ નદી, ધાની જળધોધ, કાશ્મીરી ધોધ, મચીઆરા (Machiara) રાષ્ટ્રીય ઉદ્યાન આ સિવાય પર્વાતારોહણ, નૌકાવહન વગેરે છે.

મુઝફ્ફરાબાદ (શહેર) : મુઝફ્ફરાબાદ જિલ્લાનું જિલ્લામથક અને પાકિસ્તાન હસ્તક કાશ્મીરનું પાટનગર. તે આશરે 34  21´ ઉ. અ. અને 73  28´ પૂ. રે. પર સ્થિત છે. તેનો વિસ્તાર 304.2 ચો. કિમી. છે. વસ્તી આશરે 8,37,000 (2025 મુજબ) છે. આ શહેર સમુદ્ર સપાટીથી 737 મીટર ઊંચાઈએ આવેલ છે. તે જેલમ (વિતાસ્તા) અને નીલમ- (કિશનગંગા)ના કિનારે વસ્યું છે.

મુઝફ્ફરાબાદ શહેર

આ શહેર પર્વતો અને ટેકરીઓથી ઘેરાયેલું છે. આ પર્વતીય વિસ્તાર નીલમ (કિશનગંગા) અને જેલમ (વિતાસ્તા) નદીઓથી કોતરાયેલો છે. આ વિસ્તાર સક્રિય ભૂકંપગ્રસ્ત વિભાગમાં આવેલો છે. અહીંની આબોહવા ઉપઉષ્ણકટિબંધીય પ્રકારની કહી શકાય. ઉનાળો ભેજવાળો અને હૂંફાળો રહે છે. તાપમાન 30  સે. રહે છે. શિયાળઓ ઠંડો અનુભવાય છે. તાપમાન 18  સે. થી –15  સે. જેટલું રહે છે. કેટલીક વાર હિમવર્ષા પણ થતી રહે છે. જૂન અને જુલાઈ માસ ગરમ જ્યારે ડિસેમ્બર અને જાન્યુઆરી માસ સૌથી ઠંડા રહે છે. જુલાઈ માસમાં વરસાદ આશરે 176 મિમી. જેટલો પડે છે. મે અને જૂન માસમાં આકાશ સ્વચ્છ રહેતું હોવાથી સૂર્યનાં દર્શન આ સમયગાળામાં થઈ શકે છે.

આ શહેર જિલ્લામથક હોવાથી ખેત-પેદાશોનું મુખ્ય વાણિજ્ય કેન્દ્ર છે. ઘઉં, ડાંગર, મકાઈ, ફળો અને શાકભાજીનું મુખ્ય વ્યાપારી મથક છે. ખેતીને લગતાં યંત્રો બનાવવાના એકમો આવેલા છે. ડેરી પેદાશોનું મહત્ત્વનું વેચાણકેન્દ્ર છે. કુટિર ઉદ્યોગને કારણે હસ્તકલાની વિવિધ બનાવટો જેવી કે ગરમ વસ્ત્રો, લાકડા ઉપરનું કોતરણીકામ, હાથગૂંથણની વિવિધ બનાવટોનું મથક છે. પ્રવાસીઓની જરૂરિયાતો જેવી કે આવાસ હોટેલ, રેસ્ટોરન્ટ, ચિકિત્સાલયો અહીં આવેલાં છે.

આ શહેર પાકિસ્તાન હસ્તક કાશ્મીર ક્ષેત્રનું પાટનગર છે તેમજ જિલ્લામથક છે. પરિણામે પાકા રસ્તા અને કાચા રસ્તા આવેલા છે. આ શહેરથી દરરોજ એબોટાબાદ, ઇસ્લામાબાદ, શ્રીનગર તેમજ અન્ય શહેરો સાથે પાકા રસ્તાથી સંકળાયેલું છે. અહીં પાકિસ્તાનની JKSRTC જમ્મુ-કાશ્મીર રોડ ટ્રાન્સપૉર્ટ કૉર્પોરેશનની બસોની સુવિધા છે. આ સિવાય ખાનગી બસો, ટૅક્સી અને રિક્ષાઓની સગવડ છે. ઇસ્લામાબાદ-મુઝફ્ફરાબાદ રેલમાર્ગનું જંકશન છે.

વસ્તી : આ શહેરમાં શહેરીકરણ વધુ ઝડપથી થતું રહ્યું છે. આ શહેરીકરણ કોઈ પણ આયોજન વગર થતું રહેતું હોવાથી વિવિધ સમસ્યાઓ ઊભી થવા લાગી છે. જેમ કે પર્યાવરણ, ટ્રાફિક, આવાસ વગેરે. આ શહેર રેલમાર્ગ, ધોરી માર્ગ અને હવાઈ મથકનું મુખ્ય મથક છે. આ શહેરમાં મુસ્લિમધર્મીઓ સિવાય અન્ય કોઈ ધર્મના લોકો વસતા નથી. સરકારી ભાષા ઉર્દૂ છે. જ્યારે બોલાતી ભાષામાં પહારી-પોથવારી, ગોજરી, કાશ્મીરી અને હિન્દકો છે.

ધાની જળધોધ

આ શહેરમાં જોવાલાયક સ્થળોમાં પીર ચિતાસ્ત, નીલમ નદી, કાશ્મીરી અબશાર, કોહાલા પુલ, ધાની જળધોધ, નીલમ-જેલમ પાવરસ્ટેશન, લાલ કિલ્લો, કાયદા-એ-આઝમ ટુરિસ્ટ લૉજ, બ્લૅક ફૉર્ટ, નીલમ સ્ટેડિયમ, માશીરા રાષ્ટ્રીય ઉદ્યાન વગેરે.

કોહાલા પુલ

માશીરા રાષ્ટ્રીય ઉદ્યાન

આ શહેરની સ્થાપના 1646માં સુલતાન મુઝફ્ફર ખાને કરી હતી. તેણે રેડફૉર્ટ પણ બનાવડાવ્યો હતો. 1827 સુધી રાજા ઝબરદસ્તખાને કારોબાર ચલાવ્યો હતો. આ રાજા જે મુઝફ્ફરખાનના વારસદાર હતા. ત્યારબાદ શીખ સામ્રાજ્ય સ્થપાયું. 1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા પડતાં આ પ્રદેશ રણભૂમિ બન્યો હતો. 22 ઑક્ટોબર, 1947ના રોજ પાકિસ્તાનીઓએ પશ્તુન આદિવાસીઓનો સહકાર મળતાં આ પ્રદેશ ઉપર પાકિસ્તાનની હકૂમત આવી. આજે પણ ભારતે આ વિસ્તાર ઉપર પોતાનો હક્ક ઊભો રાખ્યો છે.

2005માં કાશ્મીરમાં થયેલા ભૂકંપનું ભૂકંપકેન્દ્ર મુઝફ્ફરાબાદ નજીક હતું. તે સમયે આ શહેરના 50% જેટલાં મકાનો ધરાશયી થઈ ગયાં હતાં. આ ઘટનામાં મૃત્યુઆંક એક લાખ અંદાજાયો હતો. ત્યાંની સરકારે સત્તાવાર આંકડો 87,350 જાહેર કર્યો હતો. અહીં પાકિસ્તાન દ્વારા સંચાલિત અનેક આતંકવાદી કેન્દ્રો આવેલાં છે.

નીતિન કોઠારી