મુંગેર (મોંઘીર) : બિહાર રાજ્યના મધ્ય ભાગમાં આવેલો જિલ્લો. જૂનું નામ મોંઘીર. ભૌગોલિક સ્થાન : તે 25° 19´ ઉ. અ. અને 86° 54´ પૂ. રે.ની આજુબાજુનો 1419 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બેગુસરાઈ અને ખગારિયા જિલ્લા, ઈશાનમાં ખગારિયા જિલ્લો, પૂર્વમાં ભાગલપુર અને બાંકા જિલ્લા, દક્ષિણે બાંકા અને જામુઈ જિલ્લા તથા પશ્ચિમે નવાડા અને નાલંદા જિલ્લા તથા વાયવ્યમાં બક્તિયારપુર જિલ્લો આવેલા છે. મૂળ ભાગલપુર જિલ્લામાંથી 1812માં તે અલગ પાડવામાં આવેલો છે. આ જિલ્લાનું નામ તેની ઉત્તરમાં આવેલા જિલ્લામથક મુંગેર પરથી અપાયેલું છે.

મુંગેર (મોંઘીર) જિલ્લો

ભૂપૃષ્ઠજળપરિવાહ : સમગ્ર રાજ્યના સંદર્ભમાં જોતાં આ જિલ્લો દક્ષિણ બિહારનાં મેદાનોનો ઉત્તર ભાગ બની રહેલો છે, જોકે જિલ્લાના દક્ષિણ ભાગમાં છૂટાં છૂટાં શિખરો રચતી નીચી ટેકરીઓ આવેલી છે. તે દક્ષિણ તરફથી શરૂ થઈ ક્રમે ક્રમે મુંગેર સુધી પહોંચે છે. ભૂસ્તરીય ર્દષ્ટિએ આ વિભાગ વિંધ્ય ખડકરચનાનું ઘસારાનાં પરિબળોથી છૂટું પડી ગયેલું વિસ્તરણ છે. જમાલપુરથી જામુઈ સુધી વિસ્તરેલી ખડગપુરની ટેકરીઓ પ્રમાણમાં વધુ ઊંચી છે.

આબોહવા–વનસ્પતિ–પ્રાણીસંપત્તિ :  અહીંની આબોહવા ભેજવાળી ઉપઉષ્ણકટિબંધીય પ્રકારની કહી શકાય. ઉનાળામાં અસહ્ય ગરમી અને ભેજનું પ્રમાણ વધુ રહેતું હોવાથી ઉકળાટ વધુ અનુભવાય છે. શિયાળો ઠંડો અને સૂકો રહે છે. માર્ચથી જૂન માસ દરમિયાન સરેરાશ તાપમાન 32સે. રહે છે. વર્ષાઋતુ જુલાઈથી સપ્ટેમ્બર માસના ગાળામાં અનુભવાય છે. આ ગાળામાં ભેજનું પ્રમાણ વધુ રહે છે. તાપમાન 30સે. રહેતું હોય છે. શિયાળાની ઋતુ નવેમ્બરથી ફેબ્રુઆરી માસ સુધીની રહે છે. તાપમાન સરેરાશ 21સે.થી 25સે. હોય છે. વર્ષાઋતુના સમયગાળામાં વરસાદ 1000થી 1200 મિમી. જેટલો પડતો હોય છે.

આ જિલ્લો પ્રમાણમાં સમતળભૂમિ ધરાવે છે. ભેજવાળી ઉપઉષ્ણકટિબંધીય પ્રકારની આબોહવાથી મોટે ભાગે અહીં સાલ, સીસમ, સાદડ અને સ્થાનિક વૃક્ષો જોવા મળે છે. જ્યાં ટેકરીઓ આવેલી છે ત્યાં અભયારણ્યો આવેલાં છે. આ જિલ્લામાં વાઘ, દીપડા, સ્લોથ રીંછ, જંગલી ભૂંડ, સાબર, હરણ, ચિત્તલ, નીલગાય જોવા મળે છે. સરીસૃપો અને વિવિધ પક્ષીઓનું પ્રમાણ અધિક છે. ખડગપુર સરોવર અને કાલીદાહ અને રામેશ્વર કુંડ પાસે મગરોનું પ્રમાણ અધિક છે.

ખેતી–પશુપાલન : ડાંગર, ઘઉં અને તેલીબિયાં અહીંના મુખ્ય કૃષિપાકો છે. આઝાદી પૂર્વે અહીંનું ખડગપુર જળાશય ખેતી માટે એકમાત્ર સિંચાઈનો સ્રોત ગણાતું હતું. આઝાદી પછી અહીં નાનીમોટી સિંચાઈ-યોજનાઓ અમલમાં આવી છે. કૂવા અને નળકૂપ (બોર) કરવામાં આવ્યા હોવાથી પંપો દ્વારા સિંચાઈની સગવડ અપાય છે. જિલ્લામાં ગાયો, બળદ, આખલા, ભેંસો, ઘેટાંબકરાં અને ડુક્કરો જેવાં પશુઓનું પાલન કરવામાં આવે છે. અહીં પશુઓ કદમાં નાનાં અને પ્રમાણમાં નિમ્ન કક્ષાનાં હોય છે. ઉત્તર તરફ ગંગાનાં મેદાનો નજીક તથા દક્ષિણ તરફ જંગલો નજીક ઘાસ થતું હોવાથી પશુઓ માટે ચરિયાણ-ક્ષેત્રો આવેલાં છે. જિલ્લામાં પશુ-દવાખાનાં, પશુ-ચિકિત્સાલયો અને કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રોની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે. ગંગા અને તેની સહાયક નદીઓમાં તેમજ પૂરનાં પાણીવાળા કેટલાક પંકવિસ્તારોમાં મત્સ્ય-ઉછેર કરવામાં આવે છે.

ઉદ્યોગો : જિલ્લામાં લોખંડનાં વાસણો અને સીસમના લાકડામાંથી બનાવાતા રાચરચીલા જેવા જૂના ઉદ્યોગો હજી ચાલે છે. આ ઉપરાંત પથ્થરોનું ખાણકાર્ય અને રેલએંજિનો બનાવવાના ઉદ્યોગો પણ વિકસ્યા છે. જમાલપુર ખાતેની રેલએંજિન વર્કશૉપ ભારતની એક અગત્યની વર્કશૉપ ગણાય છે. મુંગેર ખાતે વિકસેલો સિગારેટ-ઉદ્યોગ પણ એટલું જ મહત્વ ધરાવે છે. વળી અહીં રાણીગંજ ટાઇલ્સ ફૅક્ટરી, દારૂ ગાળવાની ભઠ્ઠી તેમજ સિરામિક પૉટરી-ઉદ્યોગો પણ છે. વળી અહીં જૂનો ગણાતો આયર્ન ઍન્ડ સ્ટીલ વર્કસનો તથા નવાબ મીર કાસિમ અલીખાનના વખતથી ચાલ્યો આવતો બંદૂકો બનાવવાનો ઉદ્યોગ પણ ચાલે છે. બીડીઓ, ટોપલીઓ, માટીનાં પાત્રો અને હુક્કાની નળીઓ બનાવવાના નાના પાયા પરના એકમો પણ ચાલે છે.

વેપાર : જિલ્લામાં ઍલ્યુમિનિયમ, ઘરેણાં અને સિગારેટનું ઉત્પાદન થાય છે. જમાલપુર નજીકના ધારહરામાંથી ખોદી કઢાતા સ્લેટ-પથ્થરો, ચોખા અને સિગારેટની નિકાસ થાય છે; જ્યારે ખાદ્યાન્ન, કેરોસીન, કોલસો, લોહ-પોલાદની પેદાશો, મીઠું, ખાંડ, સિમેન્ટ, કપાસ, ઊની કાપડ અને મસાલાની આયાત કરવામાં આવે છે. મુંગેર, ખડગપુર, જમાલપુર અને બરિયારપુર અહીંનાં મુખ્ય વેપારી મથકો છે. ત્યાંથી રેલ, સડક અને નદીમાર્ગે વેપાર ચાલે છે. મુંગેર, સિમરિયા અને ગોગરી ગંગાતટે આવેલાં જળમાર્ગ-વ્યવહારનાં મથકો છે.

પરિવહન : મુંગેર (મોંઘીર) નગર સડક અને જળમાર્ગના જંક્શન પર આવેલું હોવાથી આ વિસ્તાર માટે તે અગાઉના વખતથી મોકાનું સ્થળ ગણાતું રહ્યું છે. આઝાદી પૂર્વે મુંગેરને બાદ કરતાં જિલ્લામાં પાકા રસ્તા ન હતા. આજે દક્ષિણ ભાગના રસ્તા ઉત્તર ભાગની તુલનાએ જૂના અને પહોળા છે. જિલ્લાનો માર્ગ-વાહનવ્યવહાર પટણા, ગિરિદિહ, દેવગઢ અને ભાગલપુર સાથે સારા પ્રમાણમાં ચાલે છે. વળી ગંગા નદી પર હાથીદાહ ખાતે રાજેન્દ્ર પુલ બંધાયા પછી તેમજ આસામ તરફ જતો 27 નંબરનો રાષ્ટ્રીય ધોરી માર્ગ તૈયાર થયા પછી જિલ્લાના ઉત્તર ભાગનો વિકાસ થયો છે. જિલ્લામાં રેલમાર્ગો પણ વિકસ્યા છે. પૂર્વીય રેલવિભાગના માર્ગો દક્ષિણ મુંગેરને તથા ઈશાની રેલવિભાગના માર્ગો ઉત્તર મુંગેરને સાંકળી લે છે. ઉત્તર અને દક્ષિણ ભાગોમાં જળવ્યવહારની સુવિધા સારી છે. મુંગેર અને જમાલપુર વચ્ચે સાફિયાબાદ ખાતે નાના કદનાં હવાઈ જહાજો માટેનું એક ઉતરાણ-મથક પણ આવેલું છે.

વસ્તી : આ જિલ્લાની વસ્તી (2025 મુજબ) આશરે 3,88,369 છે. તે પૈકી આશરે 2 લાખ પુરુષો અને મહિલાઓ 1,88,000 છે. સાક્ષરતાનું પ્રમાણ 76.87% છે. સેક્સરેશિયો દર 1000 પુરુષોએ 879 મહિલાઓ છે. પછાત જાતિ અને આદિવાસી જાતિનું પ્રમાણ અનુક્રમે 13.44% અને 1.56% છે. મુખ્ય ભાષા હિન્દી 61.76% બોલાય છે. આ સિવાય ખડી હિન્દી ભાષા 31% પણ બોલાય છે. આ સિવાય ઉર્દૂ 6.1%, સંતાલી 0.93% અને અન્ય ભાષા 0.65% બોલાય છે. સ્થાનિક ભાષા અંગિકા અને મૈથિલી છે. ધર્મની દૃષ્ટિએ 91.55% હિન્દુઓ, મુસ્લિમો 8.07% છે. અન્ય ધર્મના લોકોની ટકાવારી 0.77% છે. આ  જિલ્લામાં ગરીબાઈનું પ્રમાણ અધિક છે. 2006માં કેન્દ્રસરકાર તરફથી જે પછાત જિલ્લાઓ જાહેર કર્યા હતા તેમાં આ જિલ્લાનો સમાવેશ કરાયો છે. આથી આ જિલ્લાને ‘Backward Regions Grant Fund Programme’ અન્વયે રાહત મળે છે. જિલ્લાનાં બધાં જ શહેરોમાં પ્રાથમિક, માધ્યમિક, શિક્ષણની વ્યવસ્થા છે. જિલ્લામાં ઉચ્ચશિક્ષણ માટે જુદાં જુદાં સ્થળોએ સરકારી અને ખાનગી કૉલેજો આવેલી છે. મુંગેર, ખડગપુર, જમાલપુર અને બરિયારપુર ખાતે તબીબી સેવાની પૂરતી સગવડો છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 9 તાલુકામાં અને 3 ઉપવિભાગોમાં વિભાજિત કરાયા છે. નગરોની સંખ્યા 8 છે.

ચંડિકા મંદિર

જોવાલાયક સ્થળો : ચંડિકા મંદિર, યોગા શાળા, મુંગેરનો કિલ્લો, પીર શાહ નફાહ મસ્જિદ, કસ્તાહરાની ઘાટ (Kastaharani Ghaat) જાણીતાં છે. આ સિવાય મુંગેર, દેવગઢ, કાલીપહાડ, ખડગશાહી, રામપુર, સંગ્રામપુર, સીતાકુંડ, શૃંગીરૂપ સ્થળો જાણીતાં છે. જિલ્લામાં જુદાં જુદાં સ્થળોએ કાર્તિકી પૂર્ણિમા, વસંતપંચમી, માઘી પૂર્ણિમા, ઝૂલા, દશેરા અને દિવાળીના તહેવારોમાં મેળાઓ ભરાય છે. પ્રકૃતિપ્રેમીઓ માટે ‘ભીમબંધ વન્યજીવ અભયારણ્ય’ જોવાલાયક છે. તે આશરે 682 ચો.કિમી. વિસ્તારમાં વિસ્તરેલું છે.

યોગા શાળા

મુંગેર (મોંઘીર) શહેર : બિહાર રાજ્યના મુંગેર જિલ્લાનું વડું વહીવટી મથક તથા શહેર.

તે 25 37 ´ ઉ. અ. અને 86 47´ પૂ. રે. પર ગંગા નદીને કાંઠે વસેલું છે. તેનો વિસ્તાર 89 ચો.કિમી. અને સમુદ્રસપાટીથી આશરે 43 મીટરની ઊંચાઈએ છે. આ શહેર સમતળ મેદાની પ્રદેશ ઉપર વસેલું છે. ગંગા નદીથી જળપ્રવાહ પ્રણાલિકા સમચતુષ્કોણાકારે જોવા મળે છે. ખડગપુર ડુંગરાળ હારમાળા અને ગંગાનાં મેદાનો એકબીજાને સમાંતર રહેલાં છે. જે આ પ્રદેશની લાક્ષણિકતા કહી શકાય.

કષ્ટહરણી ઘાટ, ગંગા નદી, મુંગેર શહેર

અહીંની આબોહવા ભેજવાળી ઉપઉષ્ણકટિબંધીય પ્રકારની છે. ઉનાળામાં ગરમી અને શિયાળામાં તીવ્ર ઠંડીનો અહેસાસ થાય છે. ઉનાળાનું સરેરાશ તાપમાન 40 સે. જ્યારે શિયાળાનું સરેરાશ તાપમાન 9 સે. રહે છે. વર્ષાઋતુ દરમિયાન વરસાદ આશરે 400થી 500 મિમી. જેટલો પડે છે.

શસ્ત્રો બનાવવાની ફેક્ટરી

આ શહેર જિલ્લાનું મુખ્ય વ્યાપારી મથક છે. ગ્રામ્યવિસ્તારની ખેત-પેદાશોનું મુખ્ય વેચાણ અને ખરીદ કેન્દ્ર છે. ડાંગર, ઘઉં, શેરડી, તેલીબિયાં જેવી ખેતીકીય પેદાશોનો વેપાર અધિક થાય છે. આ શહેર અને જમાલપુર શહેરમાં મહત્ત્વના ઔદ્યોગિક એકમો ઊભા થયા છે. ખાદ્યાન્ન, યંત્રો, ખાંડ, સિમેન્ટ, ડેરી વગેરેના એકમો આવેલા છે. મુંગેર ખાતે ITC–Indian Tobaco Company, યુદ્ધને લગતા શસ્ત્રો અને સાધનો બનાવવાની ફૅક્ટરીઓ આવેલી છે. કુટિરઉદ્યોગની વિવિધ ચીજવસ્તુઓનું મુખ્ય મથક છે – ખાસ કરીને સીસમ પરની કલાકારીગરી પણ વખણાય છે. એશિયાનું સૌથી જૂનું અને મોટું ભારતીય રેલવેનું વિશાળ કારખાનું આવેલું છે.

એશિયાનું સૌથી જૂનું અને મોટું ભારતીય રેલવેનું વિશાળ કારખાનું

આ શહેર ખાતે બે રેલવે જંકશન આવેલાં છે જે જમાલપુર જંકશન અને મુંગેર રેલવે જંકશન. મુંગેર ગંગા બ્રિજ જે રેલ-કમ-રોડ તરીકે જાણીતો છે. આ પ્રકારના બ્રિજમાં તેનો ક્રમ ત્રીજો આવે છે. આ બંને જંકશનેથી બિહારનાં મોટા ભાગનાં શહેરો રેલમાર્ગથી સંકળાયેલાં છે. ઉત્તર ભારત, મધ્ય ભારત અને દક્ષિણ ભારતનાં મુખ્ય શહેરોનાં રેલજંકશનો સાથે મુંગેર અને જમાલપુર જંકશન સંકળાયેલાં છે. મુંગેર શહેર રાષ્ટ્રીય ધોરી માર્ગ, રાજ્ય ધોરી માર્ગ અને જિલ્લા માર્ગોથી સંકળાયેલ છે. મુંગેર શહેરમાંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 333 B, 333 A, 31 અને 333 પસાર થાય છે. ગંગા નદીમાં ‘ફેરી સેવા’ પણ ઉપલબ્ધ છે. તદુપરાંત BSRTC, રાજ્યની બસોની સગવડ ઉપલબ્ધ છે. અહીં સિટીબસ, ટૅક્સી, ઑટોરિક્ષા, ઈ-રિક્ષાની સગવડ છે. મુંગેરનું હવાઈ મથક સફાયાબાદ જે 5 કિમી. દૂર આવેલું છે. આ શહેરને આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાનો લાભ મળ્યો નથી. આ શહેરની નજીક પટનાનું જયપ્રકાશ નારાયણ હવાઈ મથક આવેલું છે. જે આશરે 180 કિમી. દૂર છે. જ્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક કૉલકાતા ખાતે આવેલું છે. જે આશરે 480 કિમી. દૂર છે.

આ શહેરની વસ્તી (2025 મુજબ) આશરે 3,10,000 છે. વસ્તીની દૃષ્ટિએ તે બિહારના 11મા ક્રમે આવે છે. સેક્સરેશિયો દર આશરે 1000 પુરુષોએ 883 મહિલાઓ છે. જ્યારે સાક્ષરતાનો દર 81.83% છે. અહીંની સરકારી ભાષા હિન્દી છે. આ સિવાય ઉર્દૂ, હિન્દી, અંગ્રેજી, અંગિકા અને મૈથિલી છે. અહીં સરકાર હસ્તકની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ખાનગી શાળાઓ પણ આવેલી છે. કાયદા વિભાગની, એન્જિનિયરિંગ, વનસ્પતિશાસ્ત્ર, સાયન્સ, આર્ટ્સ, કૉમર્સ કૉલેજો પણ આવેલી છે. મોટા ભાગની કૉલેજો મુંગેર યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે.

મુંગેરનો કિલ્લો

આ શહેરમાં જોવાલાયક સ્થળોમાં 222 એકરમાં પથરાયેલો મુંગેરનો કિલ્લો, મુંગેર મ્યુઝિયમ, ચંડીસ્થાન તરીકે ઓળખાતું ચંડીકામંદિર અથવા કાલીમંદિર, કષ્ટહરણી ઘાટ ખાતે આવેલું વિષ્ણુનું મંદિર તેની સાથે બીજાં છ મંદિરોનું જૂથ પણ છે. આ સિવાય સીતા ગરમ પાણીના કુંડ, ઋષિ ગરમ પાણીના કુંડ, જયપ્રકાશ ઉદ્યાન, ગંગા નદીનો ડૉલ્ફિન ઇકોપાર્ક આવેલાં છે. મુંગેર ખાતે ગંગા નદી ઉત્તરવાહિની બનતી હોવાથી શ્રદ્ધાળુ યાત્રિકો માટે ગંગાસ્નાનનું ઘણું મહત્ત્વ અંકાય છે.

ગરમ પાણીના કુંડ

ઇતિહાસની તવારીખને આધારે એમ માનવામાં આવે છે કે રામાયણ કાળમાં રામ અને સીતા આ સ્થળે રોકાયાં હતાં. પ્રાચીન સમયનાં ઘણાં અવશિષ્ટ સ્મારકો અહીં જોવા મળે છે. તે પૈકીનું ‘કર્ણ ચોરા’ સ્થાનક વિશેષ ઉલ્લેખનીય છે. એવું માનવામાં આવે છે કે આ નગર ગુપ્ત વંશના ચોથી સદીના રાજવીઓના સમયગાળા દરમિયાન સ્થપાયેલું.

અહીંના કિલ્લામાં 1497માં મૃત્યુ પામેલા મુસ્લિમ સંત શાહ મુશ્ક નાફાની કબર આવેલી છે. 1763માં બંગાળના નવાબ મીર કાસિમ અલીખાને મુંગેરને રાજધાનીનું સ્થળ બનાવેલું. તેણે શસ્ત્રાગાર અને મહેલો પણ બંધાવેલા. અહીં 1864માં નગરપાલિકાની રચના કરવામાં આવેલી.

અંગ્રેજોના શાસન કાળ દરમિયાન આ સ્થળ મોંઘીર નામથી ઓળખાતું હતું. આઝાદી પછી આ નામ બદલીને મુંગેર કરવામાં આવ્યું છે. આ નામ વિશે ઘણા તર્કવિતર્કો થતા રહ્યા છે.  મહાભારતમાં તેને માટે મુદાગિરિ અથવા મોદાગિરિ નામનો ઉલ્લેખ મળે છે. જાણીતા બૌદ્ધ સાધુ મૌદગલ્ય પરથી મૌદગલ્યગિરિ તરીકે તે જાણીતું હતું. પરંપરા એવું પણ કહે છે કે સતી અહલ્યાના દાદા મુગદલઋષિના નામ પરથી એ પ્રમાણેનું નામ આવ્યું હોય.

ભારત સ્વતંત્ર થયા પછી રાજ્યમાં જિલ્લાની પુનર્રચનાને કારણે મુંગેર જિલ્લામાંથી તત્કાલીન ઉપવિભાગ બેનુસરાઈને 1972માં જિલ્લા તરીકે અલગ  કર્યો છે. તે પછી ખગારિયા, ઉપવિભાગ હતો તેને પણ જિલ્લો બનાવાયો છે. અંતે તેમાંથી લખીસરાઈ, શેખપુરા અને જામુઈ જિલ્લાઓ પણ જુદા પાડ્યા છે.

ગિરીશભાઈ પંડ્યા

નીતિન કોઠારી