માધવરાવ પહેલો (જ. 16 ફેબ્રુઆરી 1745; અ. 18 નવેમ્બર 1772) : મરાઠા શાસકોમાં ઉત્તમ વહીવટકર્તા, સમર્થ સેનાપતિ અને મહાન પેશ્વા. પેશ્વા બાલાજી બાજીરાવ અને ગોપિકાબાઈના ત્રણ પુત્રોમાંનો વચલો પુત્ર. રાજવંશી કુટુંબોને અનુરૂપ શિક્ષણ અને તાલીમ તેને પ્રાપ્ત થયાં હતાં. નાની ઉંમરથી રાજનીતિ અને રાજકારણની બાબતોમાં રસ લેવાનું તેણે શરૂ કર્યું હતું. આઠ વર્ષની વયે રમાબાઈ (મિરજના રામચંદ્ર બલ્લાજી જોશીની પુત્રી) સાથે તેનું લગ્ન થયું હતું. માધવરાવને કોઈ સંતાન નહોતું અને તેથી તેણે પોતાના અનુગામી પેશ્વા તરીકે નાના ભાઈ નારાયણરાવને પસંદ કર્યો હતો. માતા ગોપિકાબાઈએ માધવરાવને પેશ્વાપદનાં પ્રારંભનાં બે વર્ષો દરમિયાન રાજકારભાર અને નીતિ-નિર્ણયોના સંબંધમાં માર્ગદર્શન આપ્યું હતું.

પેશ્વા બાલાજી બાજીરાવ(નાનાસાહેબ)નું 23મી જૂન, 1761ના રોજ પુણે ખાતે અવસાન થતાં, માત્ર 16 વર્ષની વયે તેના બીજા પુત્ર માધવરાવને છત્રપતિ રામરાજાએ ‘પેશ્વા’ નિયુક્ત કર્યો. જોકે પેશ્વા માધવરાવને કાકા રઘુનાથરાવની દેખરેખ નીચે વહીવટ કરવાનું સૂચવ્યું હતું, જે તદ્દન નિર્લજ્જ, નિર્બળ, અસ્થિર અને કામી હતો. તેની પાસેથી માર્ગદર્શન મેળવવા કરતાં તેનાથી ચેતતા રહેવાની પેશ્વાને જરૂર હતી. માધવરાવની પેશ્વા તરીકેની કારકિર્દીની શરૂઆતથી જ તેણે પોતાના કાકા રાઘોબા સાથે અવારનવાર સંઘર્ષમાં ઊતરવું પડ્યું હતું.

માધવરાવની પેશ્વા તરીકેની કારકિર્દી દરમિયાન 1761માં નિઝામઅલી સાથેના પુણે પાસેના યુદ્ધમાં નિઝામઅલીનો પરાજય થયો; હૈદરઅલી સાથેના યુદ્ધમાં હૈદરનો પરાજય થયો. પોતાના આંતરિક દુશ્મન એવા જાનોજી ભોંસલેને પણ માધવરાવે પરાજિત કર્યો. રામચંદ્ર ગણેશ અને વિસાજી કૃષ્ણાજીની મદદથી માધવરાવે ઉત્તરમાં મરાઠી સત્તાને પુન: સ્થાપિત કરવામાં સફળતા મેળવી. પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓએ જે કાંઈ ગુમાવ્યું હતું તે મહાદજી શિંદેની વીરતા અને કુનેહથી મરાઠાઓને પુન:પ્રાપ્ત થયું.

પેશ્વા માધવરાવ તેના ઉત્તર અને દક્ષિણ ભારતના વિજયો ઉપરાંત વહીવટકર્તા તરીકે પણ જાણીતો છે. તેણે અનેક વહીવટી સુધારાઓ કર્યા હતા. સરકારી અધિકારીઓ ભ્રષ્ટાચાર અને લાંચરુશવતની બદીથી દૂર રહે તેવાં કડક ફરમાનો બહાર પાડ્યાં. ભારરૂપ કરવેરાઓ નાબૂદ કરી તેનું માળખું સરળ બનાવ્યું. વહીવટી તંત્રમાં નિષ્કલંક, પ્રામાણિક તથા કાર્યદક્ષ અધિકારીઓ અને કર્મચારીઓની નિયુક્તિ કરી. વળી વહીવટી તંત્રની જેમ ન્યાયતંત્રમાં સુધારા કરી તેને વ્યવસ્થિત અને કાર્યક્ષમ બનાવ્યું. રામશાસ્ત્રીની ન્યાયાધીશ તરીકે નિમણૂક કરી, ન્યાયતંત્રને નિષ્પક્ષ અને કડક બનાવ્યું.

પેશ્વા માધવરાવમાં પ્રામાણિકતા, ન્યાયપ્રિયતા, સ્વતંત્ર વિવેકબુદ્ધિ, ઉમદા ચારિત્ર્ય, હૃદયની વિશાળતા, ઊંડી સમજશક્તિ અને ઝડપી નિર્ણયશક્તિ જેવા અનેક ગુણો જોઈ શકાય છે. શાસિત પ્રજાનું વધુમાં વધુ કલ્યાણ કેમ થાય તે જોવાની તેને તમન્ના હતી. પેશ્વા તરીકેની 11 વર્ષની રાજકીય અને લશ્કરી કારકિર્દી દરમિયાન નીડરતા અને નિષ્પક્ષતાથી ફરજો અને જવાબદારીઓ તેણે અદા કરી હતી. મરાઠી સમાજ પર પાણીપતના યુદ્ધે જે પરાજયનું અને પાયમાલીનું કલંક લગાડ્યું હતું તેને તેણે ધોઈ નાંખ્યું. તેણે મરાઠી સત્તાને વિકાસની પરાકાષ્ઠાએ પહોંચાડી દીધી; તેથી જ તેનું કસમયનું મૃત્યુ મરાઠા સામ્રાજ્ય માટે પાણીપતના યુદ્ધ કરતાં પણ વધારે વજ્રાઘાત સમાન બની ગયું.

સતત આંતરિક સંઘર્ષો અને અવિરત યુદ્ધોમાં તેમજ ક્ષયરોગને કારણે પેશ્વા માધવરાવની તબિયત 27 વર્ષની વયે બગડી. મૃત્યુ પહેલાં હૈદરની શરણાગતિ તથા ઉત્તરની સફળ કામગીરીના સુખદ સમાચાર તેણે સાંભળ્યા હતા. માતા ગોપિકાબાઈને બધી સુવિધા આપવાની તથા દાનપુણ્ય ચાલુ રાખવાની છેલ્લી ઇચ્છા સાથે તે ચિરનિદ્રામાં પોઢી ગયો. તેની પાછળ તેની પત્ની રમાબાઈ સતી થઈ હતી.

મીનળ શેલત