મહેતા, નીતિન શાંતિલાલ (જ. 12 એપ્રિલ 1944, જૂનાગઢ) : કવિ, વિવેચક, સંપાદક. મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. (1968). અને એમ.એ. (1971) થઈને મણિબેન નાણાવટી કૉલેજ, મુંબઈમાં (1973–1984) અને પછી મ. સ. યુનિવર્સિટી વડોદરા(1984–1991)માં ગુજરાતીના અધ્યાપક. હાલ (1991થી) મુંબઈ યુનિવર્સિટી, મુંબઈમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ. આ દરમિયાન 1968–70માં ‘યા-હોમ’ના સંપાદક મંડળમાં, 1972–73 ‘ગ્રંથ’માં તથા 1991–93માં ‘પ્રત્યક્ષ’ના એક સંપાદક તરીકે કામગીરી. એમણે ‘પંડિતયુગનું પુનર્મૂલ્યાંકન’ (1987) એ પરિસંવાદ-ગ્રંથનું સંપાદન કર્યું છે.

નીતિન મહેતા પ્રધાનપણે તો, આધુનિકતાની સંપ્રજ્ઞતા સાથે સર્જન-પ્રવૃત્ત એક નોંધપાત્ર કવિ છે. એમના કાવ્ય-સંગ્રહ ‘નિર્વાણ’(1988)માં અને એ પછી સામયિકોમાં પ્રગટ થયે જતી એમની કાવ્યરચનાઓમાં આ સંવેદના અને સમજનો એક શક્તિમંત અવાજ સંભળાય છે.

આધુનિક સાહિત્યના અભ્યાસી તરીકેની એમની સજ્જતા 1982માં સુરેશ જોષીના માર્ગદર્શનમાં તૈયાર કરેલા પીએચ.ડી.પ્રબંધ  ‘1956 પછીની ગુજરાતી કવિતાની કાવ્યબાની’માં દેખાયેલી. એ પ્રબંધ ‘કાવ્યબાની’ (2001) નામે પ્રકાશિત થયો છે. એ ઉપરાંત એમના સિદ્ધાંત-વિચાર અને પ્રત્યક્ષ વિવેચનના લેખો સામયિકોમાં પ્રગટ થતા રહે છે. સાહિત્ય-અધ્યાપનની એમની સૂઝ અને નિસબત મુંબઈ યુનિવર્સિટીમાં એમના દ્વારા યોજાયેલા કેટલાક મહત્વના પરિસંવાદોમાં પ્રતિફલિત થયાં છે.

રમણ સોની