મહાબળેશ્વર : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું ગિરિમથક તથા વિહારધામ.
ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : તે 17 92´ ઉ. અ. અને 73 65´ પૂ. રે. પર સ્થિત છે. સતારા જિલ્લાના વાયવ્ય ભાગમાં પશ્ચિમ ઘાટની સહ્યાદ્રિ હારમાળાની ટેકરીઓ પર 1,353 મીટરની ઊંચાઈ પર આવેલું છે. તે ઊંચાઈએ આવેલી ટેકરીઓના તીવ્ર ઢોળાવો પર આવેલું હોવાથી કોંકણના મેદાનોનું રમણીય દૃશ્ય જોવાનો આનંદ મળે છે.
આ સ્થળ મહાબળેશ્વરના ઉચ્ચપ્રદેશ પર આવેલું છે. આ ઉચ્ચપ્રદેશનો વિસ્તાર 150 ચો.કિમી. જેટલો છે. આ શિખરની ચોતરફ ખીણપ્રદેશ આવેલાં છે. આ વિસ્તારનું સૌથી વધુ ઊંચાઈ ધરાવતું શિખર ‘Wilson Sunrise Point’ છે. જે 1,439 મીટર ઊંચું છે. મહાબળેશ્વર સાથે ત્રણ ગામ સંકળાયેલા છે, જે માલકોલમ પેથ, જૂનું કશેત્રા (Kshetra) અને શિડોંલા ગામનો કેટલોક ભાગ. મહાબળેશ્વરની ટેકરીઓમાં કૃષ્ણા નદીનું ઉદગમસ્થાન રહેલું છે. તેની શાખા નદીઓમાં કોયના, વેન્ના (વેણી) અને ગાયત્રી છે. કૃષ્ણા નદી મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાંથી વહીને અંતે બંગાળના ઉપસાગરને મળે છે. જ્યારે ચોથી અને પાંચમી નદી જેનું નામ સાવિત્રી અને ગાયત્રી છે જે મહાબળેશ્વર ખાતેથી ઉદગમ પામીને પશ્ચિમે ‘—’ થઈને અંતે અરબસાગરને મળે છે.
આબોહવા : અહીંની આબોહવા ઉષ્ણકટિબંધીય વર્ષાઋતુ અને ભેજવાળી ઉપોષ્ણકટિબંધીય એવી મિશ્ર પ્રકારની અનુભવાય છે. વર્ષાઋતુના સમયગાળામાં ભારે વરસાદ અનભવાય છે. જુલાઈ માસમાં 10 કે 12 દિવસમાં જ 100થી 200 મિમી. જેટલો વરસાદ પડે છે. આમ વર્ષ દરમિયાન લગભગ દરરોજ 4થી 8 મિમી. વરસાદ પડતો રહે છે. 2019ના ઑગસ્ટની 7મી તારીખે 330 મિમી. જેટલો વરસાદ પડ્યો હતો જે આજદિન સધીનો મહત્તમ વરસાદ નોંધાયેલો છે. તે દિવસે અહીં ભૂસ્ખલન પણ વધ નોંધાયા હતા. મહાબળેશ્વરે મહારાષ્ટ્રનું ‘ચેરાપુંજી’ ગણાય છે. 2018ના વર્ષમાં અહીં આવેલા ‘વીન્ના સરોવર’ ખાતે તીવ્ર ઠંડીને કારણે તાપમાન 0 સે. કરતાં વધુ નીચું ગયું હતું આથી સરોવરનું પાણી બરફમાં રૂપાંતર પામ્યું હતું.
વનસ્પતિ : આ ક્ષેત્રમાં દક્ષિણ ઉષ્ણકટિબંધીય સૂકી પાનખર પ્રકારની વૈવિધ્યસભય વનસ્પતિ જોવા મળે છે. ટેકરીઓ કે પહાડોમાં કેટલાક ઘાસના મેદાનો અને ઓછા વિકસિત વૃક્ષો તેમજ ઝાડી ઉગેલી હોય છે. અહીં મગનોલિયા, સિંકોના, વૈટલ વગેરે જેવાં વૃક્ષો આવેલા છે. ઔષધિ છોડ પણ રહેલાં છે. વન્ય પ્રાણી સંપતિમાં વાઘ, દીપડો, હરણ, ચિત્તલ, નીલગાય વગેરે રહેલાં છે. 227 પ્રકારના રંગબેરંગી પતંગિયા પણ અધિક જોવા મળે છે.
ખેતી : અહીં સ્થાનિક જરૂરિયાત માટે ડાંગર, ઘઉંની ખેતી થાય છે પરંતુ મહદઅંશે અહીં સ્ટ્રોબેરી અને મલબેરીના અનેક બગીચા આવેલા છે. ભારતના કુલ ઉત્પાદનના 85 જેટલું સ્ટ્રોબેરીનું ઉત્પાદન અહીં મેળવાય છે. દર વર્ષે આશરે 30,000 મે. ટન જેટલં સ્ટ્રોબેરીનું ઉત્પાદન થતું રહે છે. અહીં જૈવખેતીને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કૃષિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દર વર્ષે અહીં ‘એગ્રો ટૂરિઝમ’ માટે આવે છે.

સ્ટ્રોબેરીના બગીચા
પરિવહન અને પ્રવાસન : મહાબળેશ્વરની નજીકનું રેલવેસ્ટેશન સતારા છે. જે આશરે 60 કિમી. દૂર છે. આ સિવાય મોટું રેલવેસ્ટેશન પુણે છે. જે આશરે 120 કિમી. દૂર છે જ્યારે સાંગલી રેલવેસ્ટેશન 170 કિમી. દૂર છે. કોંકણ રેલમાર્ગ ઉપર આવેલું ‘દીવાન ખાવતી’ રેલવેસ્ટેશન થઈને મહાબળેશ્વર પહોંચી શકાય. હવાઈ માર્ગે પહોંચવા માટે પુણે આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનો ઉપયોગ કરી શકાય જે 120 કિમી. દૂર છે. રસ્તા માર્ગે જવા માટે પુણે અને મુંબઈથી મહારાષ્ટ્રની માર્ગ-પરિવહનની બસો તેમજ ટૅક્સી અને લકઝરીઓ પણ ઉપલબ્ધ છે.

નીડલ હોલ પૉઇન્ટ
મહાબળેશ્વરની ચોતરફ અનેક ગિરિમથક, ખીણો, ધોધ, જંગલ આવેલ છે. જોવા માટે જાણીતાં સ્થળોમાં આર્થર સાઇટ પૉઇન્ટ, વિન્ડો પૉઇન્ટ, એલ્ફિસ્ટન પૉઇન્ટ, ઈકો પૉઇન્ટ, નીડલ હોલ પૉઇન્ટ, વિલ્સન પૉઇન્ટ, મુંબઈ પૉઇન્ટ જેવાં અનેક પૉઇન્ટ આવેલાં છે. જ્યાંથી સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ શકાય છે. જળધોધમાં લીંગમાલા જળધોધ, ચીનામનસ જળધોધ, ધોરી જળધોધ વગેરે આવેલા છે. બ્રહ્મર્ષિ ગુફાનું મહત્વ વધુ છે. બ્રિટિશરોએ નિર્માણ કરેલું ‘વેન્ના સરોવર’ કે જ્યાં પ્રવાસીઓ બોટિંગનો આનંદ મેળવે છે. આ સિવાય સ્ટ્રોબેરીનું મહત્વ દર્શાવતો મેપ્રો ગાર્ડન પણ વધુ જાણીતો છે. લીંગમાલા જળધોધ પાસે મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર કે જ્યાંથી કૃષ્ણા, કોયના, વેન્ના, સાવિત્રી અને ગાયત્રી નદીનાં મૂળ રહેલાં છે. આ સિવાય ઐતિહાસિક પ્રતાપગઢ કિલ્લો આવેલો છે, જેનું નિર્માણ છત્રપતિ શિવાજીએ કર્યું હતું. આ સ્થળે શિવાજી મહારાજ અને અફઝલખાન વચ્ચે સંઘર્ષ થયો હતો.

ઐતિહાસિક પ્રતાપગઢ કિલ્લો

વેન્ના સરોવર
વસ્તી : અહીંની વસ્તી (2011 મુજબ) 12,737 હતી જેમાં પુરુષો 55 અને મહિલાઓ 45 હતી. સાક્ષરતાનું પ્રમાણ 78 હતું. અહીં શિક્ષણ મરાઠી ભાષામાં અપાય છે. સરકારી કામકાજ માટે અંગ્રેજી ભાષા ઉપયોગી બને છે.
ઇતિહાસ : આશરે 13મી સદીમાં યાદવો દ્વારા અહીં એક નાનું મંદિર બાંધ્યું હતું. જ્યાં કૃષ્ણા નદીનું ઉદગમ સ્થાન રહેલું છે. બીજાપુરના સુલતાન આદિલશાહે પ્રભુત્વ સ્થાપ્યું હતું. 1656માં મરાઠા સામ્રાજ્યના રાજા શિવાજીએ આ વિસ્તાર જીતી લીધો હતો. શિવાજી મહારાજે મહાબળેશ્વર પાસે પ્રતાપગઢનું નિર્માણ કર્યું હતું. ત્યારબાદ અંગ્રેજ લોકો આ વિસ્તારને ખૂંદી વળેલા. તેમણે 1828માં નગરની રચના કરી. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના તત્કાલીન ગવર્નર માલ્કમના નામ પરથી ‘માલ્કમપેઠ’ તરીકે ઓળખાતું હતું. આ વિસ્તારમાં અંગ્રેજોએ યુરોપીય પ્રકારના ફળો અને શાકભાજીનું વાવેતર કરાવીને આ વિસ્તાર જાણીતો કર્યો હતો.
ગિરિશભાઈ પંડ્યા
નીતિન કોઠારી