મસૂરી (Mussoorie) : ઉત્તરાખંડ રાજ્યના દહેરાદૂન જિલ્લામાં આવેલું ગિરિમથક.
ભૌગોલિક સ્થાન : તે 30° 45´ ઉ.અ. અને 78° 08´ પૂ.રે. પર સ્થિત છે. તે સમુદ્રસપાટીથી આશરે 2005 મીટરની ઊંચાઈએ આવેલું છે. અહીંનું સર્વોચ્ચ શિખર Lal Tibba છે જે 2,275 મીટર ઊંચાઈ ધરાવે છે. દહેરાદૂનથી ઉત્તર તરફ 35 કિમી.ના અંતરે મસૂરી હારમાળા ઘોડાનાળ આકારની તળેટી-ટેકરીઓ પર વસેલું છે. આ મસૂરી હારમાળાનો ‘ગઢવાલ હિમાલય’ હારમાળામાં સમાવેશ થાય છે. હિમાલયના ઈશાન ભાગમાં આવેલ હિમાચ્છાદિત હારમાળા, દક્ષિણે દૂન ખીણ અને શિવાલિક હારમાળા આવેલી છે. આ ગિરિમથકની નજીકનું શહેર લેન્ડોર છે.
આબોહવા : આ ગિરિમથકની આબોહવા ઉપોષ્ણ કટિબંધ પર્વતીય પ્રકારની કહી શકાય. ઉનાળો પ્રમાણમાં હૂંફાળો અને ભેજવાળો હોય છે. જુલાઈ અને ઑગસ્ટ માસ દરમિયાન વરસાદ આશરે 660 મિમી. જેટલો પડે છે. ચોમાસાના એંધાણનો સમયગાળો એપ્રિલથી મે માસ ગણાય છે તે સમયે વાતાવરણ સૂકું, હૂંફાળું અને આકાશ વાદળવિહીન હોય છે. જ્યારે ભારે વરસાદ મધ્ય જૂનના સમયગાળામાં પડે છે. ચોમાસા પછીની ઋતુના સમયગાળામાં આકાશ સ્વચ્છ અને સૂકું થઈ જાય છે તેમજ ઠંડીનો અનુભવ પણ થાય છે. શિયાળાની ઋતુ દરમિયાન થોડો ઘણો વરસાદ પડે છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન હિમવર્ષા અનુભવાય છે. વૈશ્વિક તાપમાન, જંગલવિચ્છેદન, બાંધકામની પ્રવૃત્તિ વધી જવાને કારણે હિમવર્ષાના દિવસોનું પ્રમાણ ઘટતું જાય છે. ઑક્ટોબર અને ફેબ્રુઆરી માસ દરમિયાન ભાગ્યે જ ‘winter line’નો અનુભવ થાય છે. [winter line એટલે સૂર્યાસ્ત સમયે ક્ષિતિજે વૈવિધ્ય રંગસભર અવકાશ જોવા મળે છે.] આવી પરિસ્થિતિ મસૂરી અને સ્વિસ આલ્પ્સમાં જોવા મળે છે.

સૂર્યાસ્ત સમયે ક્ષિતિજે વૈવિધ્ય રંગસભર અવકાશ
અર્થતંત્ર : અહીં ખેતીની પ્રવૃત્તિ સ્થાનિક જરૂરિયાત પૂરતી થાય છે. ખરીફ અને રવિ પાકમાં મુખ્યત્વે મકાઈ, જહૉંન્ગોરા (તૃણ ધાન્ય), શેરડીની ખેતી થાય છે. અહીં બાગાયતી ખેતીને વધુ પ્રોત્સાહન અપાયું છે. જેમાં ફળો અને શાકભાજી છે. ફળોમાં જામફળ, દ્રાક્ષ, લીચી, આલુ, સફરજન વગેરે જોવા મળે છે. ખેતી સાથે પશુપાલનપ્રવૃત્તિ પણ જોવા મળે છે. અહીંના સ્થાનિક લોકોની આવકનો મુખ્ય આધાર પ્રવાસીઓ છે. મોટે ભાગે અહીં દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના પ્રવાસીઓનું પ્રમાણ અધિક છે. પ્રવાસીઓને લક્ષમાં રાખીને અહીં અનેક નાના ગૃહઉદ્યોગો ઊભા થયા છે. અહીંની રાજ્ય સરકારે હોટેલ્સ, રેસ્ટોરન્ટ, શૉપિંગ સેન્ટરોનું નિર્માણ કરવામાં વધુ રસ દાખવ્યો છે. પ્રવાસીઓની માગણીને લક્ષમાં રાખીને ગિરિમથક પર 400 મીટર લાંબા રજ્જુમાર્ગની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ સિવાય પુરુકુલ ગૉંવ, દહેરાદૂન અને મસૂરી વચ્ચે રજ્જુમાર્ગનું નિર્માણ થઈ રહ્યું છે.
પરિવહન, વસ્તી અને પ્રવાસન : આ ગિરિમથક ભારતનાં મુખ્ય શહેરો સાથે સડકમાર્ગથી જોડાયેલ છે. મસૂરીનું સૌથી નજીકનું હવાઈમથક દહેરાદૂન ખાતે આવેલું ‘Jolly Grant’ છે, જે દહેરાદૂન શહેરથી 60 કિમી. દૂર આવેલું છે. નજીકનું રેલવેસ્ટેશન પણ દહેરાદૂન છે. મસૂરી અને દિલ્હી વચ્ચેનું અંતર આશરે 300 કિમી. છે.
આ ગિરિમથકની વસ્તી 2025 મુજબ આશરે 43,000 છે. નગરપાલિકા ધરાવતા શહેરમાં 30,118 પુરુષો અને 12,800 મહિલા વસવાટ કરે છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 812 મહિલા જ્યારે સાક્ષરતાનું પ્રમાણ 89 % છે. ભારતીય પ્રશાસન સંબંધી સેવાર્થે પ્રશિક્ષણ આપવા માટે લાલબહાદુર શાસ્ત્રી અકાદમીની ભારતની મોટી સંસ્થા અહીં આવેલી છે. કૉન્વેન્ટ ઑફ જસીસ અને મેરી, વેવરલી, સેંટ જ્યૉર્જ કૉલેજ, વુડસ્ટૉક શાળા, ઑક ગ્રોવે શાળા, ગુરુ નાનક પાંચમા કેન્ટેનરી શાળા, વિન્સેન્ટ હીલ શાળા, પુસ્તકાલયો, મસૂરી ઇન્ટરનેશનલ સ્કૂલ વગેરે છે.
પ્રવાસીઓને આકર્ષણ કરે તેવાં જોવાલાયક સ્થળોમાં સહસ્રધારા, જ્હારીપની ધોધ, મૉસી ધોધ, ભટ્ટ ધોધ, કૅમ્પટી ધોધ, કેમલ્સ બેક, કુલરી, ચક્રાતા છે. આ સિવાય ભદરાજ મંદિર, ધનાઉલ્ટી ગિરિમથક, લાલ ટીબ્બા, ગુન ટેકરી, મીસ્ટ સરોવર, મસૂરી સરોવર, સેંટ જ્યૉર્જ હાઉસ, પ્રાચીન નાગદેવતા મંદિર, જ્વાલજી મંદિર, વનચેતના કેન્દ્ર, બેંગોગ વન્ય અભયારણ્ય, સ્થાપત્યની દૃષ્ટિએ મહત્ત્વ ધરાવતો ‘માલ રોડ’, બાલા હિસાર મ્યુઝિયમ વગેરે આવેલાં છે. IAS એકૅડેમી સેન્ટર, આરોગ્ય ધામ, દેવદાર વૃક્ષોથી ઘેરાયેલી ‘Happy Valley’નું આકર્ષણ વધુ છે. અહીં ગંધકયુક્ત પાટીણીના ઝરા આવેલા છે. 1850ની સાલથી અહીં બિટરનું ઉત્પાદન થાય છે. લેન્ડૂર શહેર, જેનો સમાવેશ ‘બૃહદ મસૂરી’ તરીકે થાય છે. અહીં કૅન્ટોનમેન્ટ વિસ્તાર આવેલો છે.

કૅમ્પટી ધોધ

ભદરાજ મંદિર

હેપ્પી વેલી
ઇતિહાસ : મસૂરી કે જે ‘The Queen of the Hills’ તરીકે ઓળખાય છે તેમજ યમનોત્રી અને ગંગોત્રીનાં ધાર્મિક સ્થળોએ જવા માટેનું ‘મસૂરી’ પ્રવેશદ્વાર ગણાય છે. 1803માં ઉમરસિંઘ થાપાએ ગહરવાલ અને દેહરા ઉપર પ્રભુત્વ મેળવ્યું હતું તે સમયગાળામાં ‘મસૂરી’ની ઓળખ ઊભી થઈ. 1814ની 1લી નવેમ્બરે ગોરખા અને બ્રિટિશરો વચ્ચે યુદ્ધ થયું હતું. કૅપ્ટન ફ્રેડરિક યંગે 1825માં મસૂરીને ‘રિસોર્ટ’ તરીકે ઓળખ આપી. 1832માં જ્યૉર્જ એવરેસ્ટે ‘Trigonometric Survey’ કરીને તેની ઊંચાઈ શોધી હતી. 1901માં હરદ્વાર-દહેરાદૂન માર્ગ થવાથી આ સ્થળ હવા ખાવાના સ્થળ તરીકે વિકસતું ગયું. 1920થી 1940 સુધી નહેરુ કુટુંબ અહીં ‘Savoy Hotel’નું નિર્માણ કરીને અવારનવાર તેની મુલાકાત લેતું હતું. 1959માં 14મા દલાઈ લામા પણ આ સ્થળે લાંબા સમય સુધી રોકાયા હતા.
ગિરીશભાઈ પંડ્યા
નીતિન કોઠારી