મનસૂર (સત્તરમી સદી) : પશુ-પંખીઓના મુઘલકાલીન ભારતીય ચિત્રકાર. તેઓ જહાંગીરના ખાસ પ્રીતિપાત્ર હતા. જહાંગીરે તેમને ‘નાદિર-ઉલ-અસ્ર’ (વિશ્વનું વિસ્મય) ખિતાબ આપીને નવાજ્યા હતા.

મનસૂરે પંશુપંખીઓનાં ચિત્રો પ્રાકૃતિક ઇતિહાસવિદના ર્દષ્ટિકોણથી આલેખ્યાં છે. તેમાં જે તે પશુપંખીની શરીરરચનાનું યથાર્થ અને હૂબહૂ આલેખન અવશ્ય જોવા મળે છે; પરંતુ વૈયક્તિક અભિવ્યક્તિ અને પશુ-પંખીના વિશિષ્ટ જુસ્સાની તેમાં ઊણપ વરતાય છે. આશ્રયદાતા જહાંગીરના આદેશ અનુસાર જ મનસૂર પશુપંખીની પસંદગી કરતા. આફ્રિકાથી લવાયેલ ઝીબ્રા, યુરોપથી લવાયેલ ટર્કી પંખી, કાશ્મીરની પર્વતીય બકરી જેવાં અવનવાં અને દિલ્હીની આસપાસ જોવા ન મળતાં દુર્લભ પશુ-પંખીઓના ચિત્રાંકન માટે જહાંગીર મનસૂરને આદેશ આપતા હતા.

અમિતાભ મડિયા