ભારતીભૂષણ : ગુજરાતી સાહિત્યનું ત્રૈમાસિક. 1887માં બાળાશંકર કંથારિયાએ તે શરૂ કરેલું. 1895 સુધીમાં તેના અઢાર અંક પ્રગટ થયા હતા. બાળાશંકરની ગઝલો અને ઊર્મિકાવ્યો ‘ભારતીભૂષણ’માં જ પ્રગટ થયેલાં. આ સામયિકમાં ધર્મ, ઇતિહાસ, રાજકારણ વગેરે વિષયો ઉપર લખાતા લેખો પણ છે. અનુવાદો પણ તેમાં પ્રગટ થતા. ‘મૃચ્છકટિક’નો કાન્તે કરેલો અનુવાદ ‘ભારતીભૂષણ’માં છપાયેલો. કાન્તની કવિતા અને અન્ય લેખો પણ તેમાં છપાયેલાં. કેશવ હ. ધ્રુવના ‘અમરુશતક’નું અવલોકન અને હાફિઝ વિશેના લેખો પણ ‘ભારતીભૂષણ’માં પ્રસિદ્ધ થયેલાં.

નલિની દેસાઈ