બિજાપુર (જિલ્લો) : કર્ણાટક રાજ્યના ઉત્તરભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : આ જિલ્લો 15° 50´થી 17° 28´ ઉ. અ. અને 74° 59´થી 76° 28´ પૂ. રે. વચ્ચેનો 17,069 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. વિસ્તારની ર્દષ્ટિએ તે રાજ્યનો સૌથી મોટો જિલ્લો છે. તેની વાયવ્ય અને ઉત્તરમાં મહારાષ્ટ્ર રાજ્યના સાંગલી અને સોલાપુર જિલ્લા, પૂર્વમાં ગુલબર્ગ જિલ્લો, અગ્નિકોણમાં રાયપુર જિલ્લો, દક્ષિણમાં ધારવાડ જિલ્લો તથા પશ્ચિમે બેલગામ જિલ્લો આવેલા છે. આ જિલ્લો બધી બાજુએ ભૂમિભાગથી ઘેરાયેલો છે. 1864માં આ જિલ્લાની રચના થયેલી છે.

ભૂપૃષ્ઠ : આ જિલ્લો દખ્ખણના ઉચ્ચપ્રદેશના સૂકા, લગભગ વર્ષાવિહીન પ્રદેશમાં આવેલો છે. તેનું ભૂપૃષ્ઠ ત્રણ વિભાગોમાં વહેંચાયેલું છે : (1) ઉત્તર પટ્ટો : તે ઇન્દી, સિંદગી તાલુકાઓને તથા બિજાપુર તાલુકાના ઉત્તર ભાગને આવરી લે છે. ઉત્તર તરફનો આ ભાગ વચ્ચે વચ્ચે સાંકડી ખીણોથી ભેદાયેલો નીચો, ગોળાકાર, અસમતળ અને વૃક્ષવિહીન છે. અહીંની જમીનો છીછરી છે. મોટા ભાગની વસ્તી અહીં નદીકાંઠાના ભાગોમાં જ કેન્દ્રિત થયેલી છે. અહીં ગામડાં એકબીજાંથી ઘણાં દૂર આવેલાં છે. (2) મધ્ય પટ્ટો : તે બિજાપુર શહેરની દક્ષિણથી શરૂ થઈ ડોન નદીખીણને આવરી લે છે. અહીં પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલી જાડા પડવાળી કાળી જમીનો આવેલી છે. (3) દક્ષિણ પટ્ટો : આ પટ્ટો કૃષ્ણા નદીના કાંપથી સમૃદ્ધ મેદાનોથી બનેલો છે. ઉજ્જડ ટ્રેપ ખડકપ્રદેશ દ્વારા આ વિભાગ મધ્ય પટ્ટાથી અલગ પડે છે. કૃષ્ણા નદીની આજુબાજુનો મેદાની વિસ્તાર સમૃદ્ધ જમીનોવાળો છે. અહીં પૂર્વ-પશ્ચિમ દિશામાં રેતીખડકોથી બનેલી ટેકરીઓની બે શ્રેણીઓ આવેલી છે. વધુ દક્ષિણે બાદામી તરફ તથા નૈર્ઋત્ય તરફ જતાં ટેકરીઓની સંખ્યા વધતી જાય છે, કાળી જમીનો ઓછી થતી જઈને રાતી જમીનોનું પ્રમાણ વધતું જાય છે. કાળી જમીનોમાં વર્ષમાં માત્ર એક વાર ખરીફ કે રવી પાક લઈ શકાય છે. નદીઓ અને કૂવાઓ દ્વારા સિંચાઈ થાય છે.

બિજાપુર જિલ્લો

જળપરિવાહ : કૃષ્ણા, ભીમા, ઘટપ્રભા, માલપ્રભા અને ડોન અહીંની મુખ્ય નદીઓ છે. ઉત્તર અને દક્ષિણ તરફથી આવતી ભીમા અને ઘટપ્રભા કૃષ્ણાની શાખાનદીઓ છે. જિલ્લો ઘણાં નદી-નાળાંથી છેદાયેલો છે.

ખેતી-પશુપાલન : જિલ્લાનું અર્થતંત્ર મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે. અહીંના મુખ્ય કૃષિપાકોમાં ઘઉં, બાજરી, જુવાર, તુવેર તથા બેંગાલગ્રામનો સમાવેશ થાય છે. રોકડિયા પાકોમાં કપાસ, મગફળી અને સૂરજમુખીનું વાવેતર કરવામાં આવે છે. ખેતી સિવાય ખેડૂતો વધારાની આવક મેળવવા માટે બળદ, ભેંસો, ઘેટાંબકરાં તથા મરઘાં પાળે છે. ઘેટાં, મરઘાં અને મત્સ્ય-ઉછેરકેન્દ્રો તથા મત્સ્યબજાર વિકસાવાયાં છે. મત્સ્ય-ઉછેરને વધુ મહત્વ અપાય છે. જિલ્લામાં 12 જેટલાં મત્સ્યકેન્દ્રો તથા બિજાપુર, બાગકોટ અને જામખંડીમાં મત્સ્યબજાર આવેલાં છે.

તાલીકોટ નગરમાં પથ્થરના જુદા જુદા માપના પાટડા (slabs) તૈયાર થાય છે; તેની જિલ્લામાં તેમજ જિલ્લા બહાર નિકાસ થાય છે. સૂતર, રેશમ અને કૃત્રિમ રેશમના રેસા, જુવાર, ચોખા, ઘઉં અને જરૂરી ખાદ્ય ચીજો બહારથી મંગાવાય છે.

ઉદ્યોગો : ઍસ્બેસ્ટૉસ અને ચૂનાખડકો સિવાય અન્ય કોઈ આર્થિક ર્દષ્ટિએ મહત્વ ધરાવતાં ખનિજો અહીં મળતાં નથી. બાગલકોટ સિમેન્ટ ફૅક્ટરી અહીંનો એકમાત્ર મુખ્ય ઉદ્યોગ છે. સિમેન્ટ-આધારિત ઇન્ડિયન હ્યુમ પાઇપ કંપની સ્થાપવામાં આવી છે. જિલ્લામાં આશરે 500 જેટલા નાના પાયા પરના સૂચિત એકમો વિકાસ પામેલા છે. કપાસનું જિનિંગ અને પ્રેસિંગ કારખાનું છે. બે સ્પિનિંગ મિલો તથા 44 જેટલા વણાટ-એકમો પણ કાર્ય કરે છે. આ ઉપરાંત સિંગતેલ, ખોળ, બરફ, બીડી, ખીલા, ચિનાઈ માટીનાં વાસણો, ગ્રીઝ, સ્નેહકો, પ્રકાશીય કાચ અને રાસાયણિક સામગ્રીના એકમો પણ આવેલા છે. વળી લોખંડ-પોલાદનું, તાંબાનાં પતરાંનું તેમજ ખાંડનું કારખાનું આવેલાં છે. હાથસાળ-ઉદ્યોગ આ જિલ્લામાં વધુ વિકસેલો છે. સૂતર અને રેશમી દોરા, તેમનું વણાટ અને રંગાટીકામ અહીં પેઢીઓથી ચાલ્યું આવે છે. સાડીઓ અને કબજાના કાપડ(blouse pieces)નું અહીં પુષ્કળ વેચાણ થાય છે.

વેપાર : અહીંથી સુતરાઉ કપડાના ઔષધીય પાટા, સિંગતેલ, તેલીબિયાં, જુવાર, હાથસાળ અને યાંત્રિક સાળની સાડીઓ તથા કબજાનું કાપડ, સિમેન્ટ, ખાંડ વગેરેની જિલ્લા બહાર નિકાસ થાય છે. જિલ્લામાં સડક અને રેલમાર્ગોની સવલત હોવાથી બિજાપુર તેમજ અન્ય મોટાં નગરોમાં ઉપર્યુક્ત માલસામાનનો વેપાર ખૂબ વિકસ્યો છે. બાગલકોટ સિમેન્ટ માટે, ઇન્દીનગર ગોળ માટે, જામખંડી બીડી માટે જાણીતાં છે. તાલીકોટામાં જુદા જુદા માપના કાપેલા પાષાણપાટડાનો નિકાસી વેપાર ચાલે છે. વણાટકામ માટેના કાચા માલ ઉપરાંત જુવાર, ચોખા, ઘઉં જેવાં ખાદ્યાન્ન તથા શેરડી અને કાપડની અહીં આયાત કરવામાં આવે છે.

પરિવહન : જિલ્લામાં સડકમાર્ગો અને રેલમાર્ગોની સગવડો સારી છે. સોલાપુર-ચિત્રદુર્ગનો રાષ્ટ્રીય ધોરી માર્ગ આ જિલ્લામાંથી પસાર થાય છે. અહીં રાજ્યમાર્ગો, જિલ્લામાર્ગો પણ છે. જિલ્લાનાં બધાં જ (19) નગરોમાં સડકમાર્ગોની સગવડ છે. સોલાપુર–ચિત્રદુર્ગનો મીટરગેજ રેલમાર્ગ છે. બિજાપુર અને બાગલકોટ અહીંનાં મુખ્ય રેલમથકો છે, અન્ય નાનાં રેલમથકો પણ છે. જિલ્લાભરમાં ટપાલસેવાની સુવિધા 53 % જેટલી છે. આ જિલ્લાનાં નગરો શોલાપુર, હુબલી, પુણે, કોલ્હાપુર તથા હૈદ્રાબાદ સાથે સડકમાર્ગોથી જોડાયેલાં છે.

પ્રવાસન : આ જિલ્લામાં ઐયાહલી, બાદામી, બાગલકોટ, બાગેવાડી, બિજાપુર, બીગી, ગુલદગુડા, હન્ગુંડ, ઇલકલ, ઇન્દી, જામખંડી, કામતગી, કરૂડ, મહાલિંગપુર, મુદ્દીબિહાલ, મુધોલ, પત્તદકલ, બનહટ્ટી, સિંદગી, તાલીકોટ, તેરદલ જેવાં પ્રવાસ માટેનાં ધાર્મિક-ઐતિહાસિક મથકો છે.

વસ્તી : 1991 મુજબ આ જિલ્લાની વસ્તી 29,27,990 જેટલી છે, તે પૈકી 14,91,019 પુરુષો અને 14,36,971 સ્ત્રીઓ છે, જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 22,39,244 અને 6,88,746 છે. ધર્મવિતરણ મુજબ અહીં હિન્દુઓ : 25,04,941; મુસ્લિમ : 3,91,978; જૈન : 26,080; ખ્રિસ્તી : 2,809; શીખ : 259; બૌદ્ધ : 59; અન્યધર્મી : 373 તથા અનિર્ણીત ધર્મવાળા 1,491 છે. આ જિલ્લામાં શિક્ષિતોની સંખ્યા 13,07,674 છે; તે પૈકી 8,40,868 પુરુષો અને 4,66,806 સ્ત્રીઓ છે, તથા ગ્રામીણ અને શહેરી શિક્ષિતોનું પ્રમાણ અનુક્રમે 9,16,365 અને 3,91,309 છે. આ જિલ્લામાં કન્નડ, હિન્દી, મરાઠી, તેલુગુ અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. આ જિલ્લામાંનાં બધાં જ શહેરો તેમજ મોટા ભાગનાં ગામડાંઓમાં શાળાકીય શિક્ષણના બધા જ તબક્કાઓની સગવડો છે. લગભગ બધાં જ નગરોમાં જુનિયર કૉલેજો છે. 9 નગરોમાં સ્નાતક કક્ષાની કૉલેજો આવેલી છે. બિજાપુર અને બાગલકોટમાં બે પૉલિટૅકનિક છે. બિજાપુરમાં એક સૈનિકશાળા છે. 1996 મુજબ બિજાપુરમાં જુદી જુદી લગભગ બધી જ વિદ્યાશાખાની 47 જેટલી ઉચ્ચ શિક્ષણસંસ્થાઓ છે. જિલ્લાનાં બધાં જ નગરોમાં પૂરતા પ્રમાણમાં અને ગ્રામવિસ્તારોમાં કેટલીક જગાએ તબીબી સેવાઓની સગવડો છે. જિલ્લામાં કુલ 18 નગરો તથા 1,253 (6 વસ્તીવિહીન) ગામડાં છે.

ઇતિહાસ : અહીંના લોકો જિલ્લાના ભવ્ય ભૂતકાળ માટે ગૌરવ અનુભવે છે. કિંવદન્તીઓ, સ્મારકો, પરંપરાઓ તથા ઇતિહાસ-ઉપલબ્ધ માહિતીને આધારે તેની તવારીખ દૂરદૂરના પ્રાગ્-ઐતિહાસિક ભૂતકાળ તરફ દોરી જાય છે. ઐહાલ, બાદામી, બાગલકોટ, ધૂળખેડ, ગાલ્ગલી, કાલાગદી અને મહાકૂટ જેવાં અહીંનાં સ્થળો રામાયણના દંડકારણ્યમાં આવેલાં સ્થળોની યાદ અપાવે છે. ઐહાલના ઇલ્વલ અને બાદામીના વાતાપિ જેવા રાક્ષસોનો અગસ્ત્ય ઋષિએ મહાકૂટ ખાતે નાશ કર્યાની બાબત બિજાપુર સાથે સંબંધ ધરાવે છે. આ જિલ્લાના કેટલાક પ્રદેશોમાં આદિમાનવો વસતા હતા એ બાબત પુરાતત્વીય ખોજસંશોધનોમાંથી જાણવા મળે છે.

ગોળ ગુંબજ, બિજાપુર

અગાઉના મુંબઈ પ્રાંતના એક ભાગરૂપ આ જિલ્લાને 1956ના નવેમ્બરમાં રાજ્ય પુનર્રચના અન્વયે કર્ણાટક (જૂનું મૈસૂર) રાજ્યમાં ભેળવવામાં આવેલો. બિળગી જે પહેલાં ઉપતાલુકો હતો તેને 1 ઑક્ટોબર 1959ના રોજ તાલુકામાં ફેરવવામાં આવેલો છે. આ રીતે બિજાપુરના પહેલાંના 10 તાલુકામાંથી હવે 11 તાલુકા થયા છે.

બિજાપુરની આદિલશાહી (1489–1686) : બહમની રાજ્યમાંથી સ્વતંત્ર થયેલ આદિલશાહી વંશની રાજ્યસત્તા. બિજાપુરના સૂબેદાર યૂસુફ આદિલખાનથી આદિલશાહી વંશની શરૂઆત થઈ. તેમણે બિજાપુરને રાજધાની બનાવી એક સ્વતંત્ર અને શક્તિશાળી રાજ્યની સ્થાપના કરી. આદિલખાન તુર્કીનો વતની હતો. ત્યાંથી તે ગુલામ તરીકે ભારત આવ્યો હતો. ભારતમાં વિદેશી અમીરોના નેતા મહમૂદ ગાવાને તેણે પોતાનો દત્તકપુત્ર બનાવ્યો. યૂસુફ આદિલખાનના ગુણોથી પ્રભાવિત થઈ સુલતાન મુહમ્મદશાહ બહમનીએ તેને પોતાના અમીરોમાં સ્થાન આપ્યું. સુલતાન મુહમ્મદશાહના મૃત્યુ પછી બહમની સુલતાન સાથેનો નજીકનો સંબંધ સમાપ્ત થયો અને 1489માં તેણે પોતાની સ્વતંત્રતાની ઘોષણા કરી.

સ્વતંત્ર બિજાપુરનું રાજ્ય વિશાળ અને શક્તિશાળી હતું અને બહમની રાજ્યના વિઘટનથી દક્ષિણમાં જે અન્ય મુસલમાન રાજ્યો સ્વતંત્ર થયાં હતાં તે બિજાપુરથી ડરતાં હતાં. બિદરમાં બરીદશાહી વંશના સ્થાપક કાસિમ બરીદની પ્રેરણાથી વિજયનગરના નરસિંહ રાયે બિજાપુર પર આક્રમણ કર્યું; પરંતુ યૂસુફે તેને પરાસ્ત કર્યો. તેને કાસિમ બરીદ સાથે અવારનવાર સંઘર્ષ થતો. યૂસુફે 1502માં શિયા સંપ્રદાયને રાજ્યધર્મ જાહેર કર્યો. તે ધર્માંધ ન હતો; અન્ય ધર્મો તરફ તેની ર્દષ્ટિ સમભાવની હતી. તેણે એક મરાઠા સરદારની પુત્રી સાથે લગ્ન કર્યું હતું, જેના પ્રભાવથી તે ધાર્મિક બાબતોમાં સહિષ્ણુ બન્યો હતો. દક્ષિણનાં સુન્ની રાજ્યોએ તેનો વિરોધ કર્યો અને સંયુક્ત રીતે તેની પર આક્રમણ કરવાની તૈયારી કરવા લાગ્યા. યૂસુફને ભયંકર સ્થિતિનો ખ્યાલ આવતાં તેણે ભાગીને વરાડમાં ઇમાદશાહનું શરણ સ્વીકાર્યું અને તેની સલાહ પ્રમાણે સુન્ની સંપ્રદાયને ફરીથી રાજ્યધર્મ તરીકે જાહેર કર્યો. અહમદનગર અને ગોલકોંડાના સુલતાનો સુન્ની સંઘથી અલગ થઈ જતાં, કાસિમ બરીદ એકલો પડ્યો. યૂસુફે સરળતાથી કાસિમ બરીદને હરાવ્યો અને બિદરને બિજાપુરમાં ભેળવી દીધું.

1510માં પૉર્ટુગીઝોએ ગોવા જીતી લીધું. યૂસુફ આદિલશાહનું તે પ્રિય મથક હતું. યૂસુફે પૉર્ટુગીઝોને પરાજિત કર્યા; પરંતુ તે પછી થોડા સમયમાં યૂસુફનું મૃત્યુ થયું અને પૉર્ટુગીઝોએ ગોવા પર ફરીથી અધિકાર સ્થાપિત કર્યો.

યૂસુફના મૃત્યુ પછી તેનો સગીર પુત્ર ઇસ્માઇલ આદિલખાન સત્તા પર આવ્યો. તેણે વિજયનગર અને અહમદનગર સાથે સફળ યુદ્ધો કર્યાં. વિજયનગર પાસેથી તેણે રાયચુર દોઆબનો પ્રદેશ મેળવ્યો. 1534માં તેનું મૃત્યુ થયું. ત્યારબાદ મલ્લુ આદિલખાન સુલતાન બન્યો, જેને પદભ્રષ્ટ કરીને, અંધ બનાવી દીધો અને નવા શાસક તરીકે ઇબ્રાહીમ આદિલશાહ સત્તા પર આવ્યો. તેણે સુન્ની સંપ્રદાયને રાજ્યધર્મ તરીકે જાહેર કર્યો. વિદેશીઓને રાજકીય સેવાઓથી દૂર કર્યા. વિજયનગરના રાય રામરાજ પાસેથી ગાદી છીનવી લેનાર પરમાલ  પાસેથી ધન મેળવવાની લાલચે ઇબ્રાહીમે તેને સૈન્ય સહિત સહાય કરી છતાં રામરાજ ગાદી પુન: પ્રાપ્ત કરવામાં સફળ થયો.

ઇબ્રાહીમ આદિલશાહે અહમદનગર, બિદર અને ગોલકોંડા સાથે  સફળ યુદ્ધો કર્યાં. પાછળથી તે વિલાસી બન્યો અને 1557માં મૃત્યુ  પામ્યો. તે અત્યંત કઠોર હતો. પોતાને રોગમુક્ત ન કરી શકનાર હકીમોનો તેણે વધ કરાવ્યો હતો.

તેના પછી અલી આદિલશાહ સત્તા પર આવ્યો. તેણે ફરીથી શિયા સંપ્રદાયને રાજ્યધર્મ બનાવ્યો. તેનાથી રાજ્યમાં અસંતોષ ફેલાયો. 1558માં વિજયનગરના રામરાજ સાથે ગઠબંધન કરીને તેણે અહમદનગર પર આક્રમણ કર્યું, પરંતુ આ સમયે હિંદુઓએ એટલા બધા મુસલમાનોનો વધ કર્યો કે ખુદ અલી આદિલશાહ ધ્રૂજી ઊઠ્યો અને તેણે વિજયનગર સાથે ધર્મયુદ્ધનો વિચાર કર્યો. દક્ષિણનાં ચાર મુસ્લિમ રાજ્યો – બિજાપુર, ગોલકોંડા, બિદર અને અહમદનગરે સંઘ રચીને હિંદુ રાજ્ય વિજયનગરની વધતી શક્તિ રોકવા 1565માં તેના પર આક્રમણ કર્યું અને તાલીકોટના યુદ્ધમાં તેને પરાજિત કર્યું. 1580માં અલી આદિલશાહની ત્યક્તા રખૈલે તેનો વધ કર્યો.

1580માં દ્વિતીય ઇબ્રાહીમ આદિલશાહ સત્તા પર આવ્યો. તે સગીર વયનો હોવાથી કિશ્વરખાન રાજ્યકારભાર ચલાવતો. 1619માં બિદર જીતી લેવામાં આવ્યું. સપ્ટેમ્બર, 1627માં ઇબ્રાહીમ આદિલશાહ મૃત્યુ પામ્યો. 1686માં મુઘલ શહેનશાહ ઔરંગઝેબે આ પ્રદેશને પોતાની સત્તામાં સમાવી લીધો.

બિજાપુર (શહેર) : કર્ણાટક રાજ્યના ઉત્તર ભાગમાં આવેલું શહેર. બિજાપુર જિલ્લાનું વડું વહીવટી મથક. મધ્યકાલીન ભારતનાં ઇસ્લામી સ્થાપત્યો ધરાવતું વિખ્યાત પ્રવાસમથક. ભૌગોલિક સ્થાન : 16° 50´ ઉ. અ. અને 75° 42´ પૂ. રે. આ શહેર સૂકીભઠ્ઠ ધરતી પર વસેલું છે. જૂના વખતમાં તે વિજયપુર, વિદ્યાપુર કે મોહમદપુરા નામોથી ઓળખાતું હતું.

આશરે ત્રીજીથી તેરમી સદી સુધી તે યાદવવંશી હિન્દુ રાજાઓની રાજધાની રહ્યું હતું. 1294માં તે બહમનીનું પ્રાંતીય પાટનગર બનેલું. 1489માં આદિલશાહે અહીં સલ્તનત સ્થાપી હતી. આ આદિલશાહી સલ્તનતનો વિસ્તાર તેણે પશ્ચિમ તરફ છેક ગોવા સુધી વિસ્તારેલો. ગોવાને દરિયાકાંઠે તે નૌકાસૈન્ય પણ રાખતો. અહીં આશરે 200 વર્ષ સુધી આદિલશાહી શાસન રહ્યા બાદ, 1686માં મુઘલ શહેનશાહ ઔરંગઝેબે અહીંના તત્કાલીન સુલ્તાનને હરાવ્યો. આમ આ આદિલશાહી સલ્તનતનો અંત આવ્યો, પરંતુ બે સદીના તેમના શાસન દરમિયાન આદિલશાહી સુલતાનોએ જે અદભુત બગીચાઓ, ઇમારતો, મહેલો, કિલ્લાઓ, મિનારા, મસ્જિદો તથા મકબરા બંધાવ્યાં તે ટર્કિશ ભાતની આછી અસર દર્શાવતી દક્ષિણ ભારતીય શૈલીના સ્થાપત્યની ર્દષ્ટિએ બેનમૂન ગણાય છે. આ શહેરમાં નહિ નહિ તો 50 જેટલી મસ્જિદો, 20 જેટલા મકબરા તથા ઘણા મહેલો આવેલાં છે. મુસ્લિમ શાસકોનાં ઘણાં સ્મારકો હજી આજે પણ જળવાયેલાં મળે છે.

શહેરને ફરતી કિલ્લેબંધી છે. બિજાપુરનો આ કિલ્લો 10 કિમી. જેટલી લંબાઈમાં વિસ્તરેલો છે, તેને ફરતી 12થી 15 મીટર પહોળી સળંગ ખાઈ પણ છે. તેની દીવાલો સ્થાનભેદે 9થી 15 મીટરની ઊંચાઈવાળી અને 6 મીટરની જાડાઈવાળી છે. કિલ્લાને 106 બુરજ અને 5 દરવાજા છે. દરવાજાઓને 15 સેમી. જાડાં કમાડ છે. એ કમાડ બનાવવામાં વપરાયેલા ખીલાનાં દળદાર ટોપકાં ઉપરાંત એમાં 30 સેમી. લાંબા, અણિયાળા, ભાલા જેવા ખીલા પણ રક્ષણાર્થે જડવામાં આવેલા જોવા મળે છે. ત્રણ બુરજવાળા સૌથી બહારના દરવાજે આર્ક કિલ્લા નામનો નગરદુર્ગ છે. તેમાં અગાઉના વખતમાં મહેલો અને બગીચા હતા, આજે તે ખંડિયેરો છે. સરજી બુરજ 1658માં બાંધેલો, ત્યાં મલિક-ઇ-મેદાન નામની 55 ટન વજન દરાવતી કાંસાની મોટી તોપ મૂકેલી છે; લૅન્ડા કસબ પર આવી જ બીજી એક તોપ છે, તે બિજાપુરમાંની મોટામાં મોટી તોપ ગણાય છે, તેની લંબાઈ 6.6 મીટર અને મુખાગ્ર ભાગનો વ્યાસ 1.3 મીટર છે. ત્રીજો અર્ધગોળાકાર મિનારાવાળો ફરાંજી બુરજ છે, ત્યાં તોપો રાખવાની ઘણી પીઠિકાઓ છે. અહીંનાં ભારતવિખ્યાત સ્થાપત્યોને કારણે બિજાપુર ‘દક્ષિણ ભારતનું આગ્રા’ કહેવાય છે. દુઆર્ત બાર્બોસા વર્ધેમ જેવા મુસાફરોએ તેને ‘ડેક્કન ક્વીન’ તરીકે નવાજેલું છે.

ઇબ્રાહીમ-બીજાનો રોજો, બિજાપુર

બિજાપુર તેનાં ભવ્ય સ્થાપત્યો પૈકી વિશેષે કરીને તો ગોળ ગુંબજ તથા ઇબ્રાહીમના રોજા માટે વિશ્વવિખ્યાત બનેલું છે. ગોળ ગુંબજ તેની વિશિષ્ટ પ્રકારની સ્થાપત્યકલા માટે જાણીતો બન્યો છે. દુનિયાભરમાં તે બીજે ક્રમે આવતો સૌથી મોટો ગુંબજ છે, તેનો વ્યાસ 38 મીટરનો છે. (પ્રથમ ક્રમે આવતો 42–43 મીટર વ્યાસવાળો સેન્ટ પીટરનો ગુંબજ રોમના વૅટિકન સિટીમાં આવેલો છે, ત્રીજા ક્રમે આવતો 33 મીટરના વ્યાસવાળો સેન્ટ પૉલનો ગુંબજ લંડનમાં આવેલો છે.) બિજાપુરના ગોળ ગુંબજની નીચે તરફની ઇમારત સમચોરસ આકારની છે, તેની ચારે બાજુ, ઉપરથી ગોળાકાર કમાનોવાળાં પ્રવેશદ્વારો છે. આ ઇમારતની દીવાલો 3 મીટરની જાડાઈવાળી છે એટલું જ નહિ, એક પણ થાંભલાના આધાર વિના તે તેના તળભાગથી 33 મીટરની ઊંચાઈવાળા ગુંબજના મથાળા સુધી બાંધવામાં આવેલી છે. દીવાલોના ખૂણાઓ પર ચાર અષ્ટકોણીય મિનારા જોડેલા છે. દીવાલો પરની માત્ર ચાર ઊંચી અણીદાર કમાનો પર આખો ગુંબજ આધારિત છે. ગુંબજનો અંદર તરફનો બધો જ ભાગ સળંગ પોલાણવાળો છે. આ આખીય ઇમારત વાસ્તવમાં તો સુલતાન મહમ્મદ આદિલશાહનો મકબરો છે. 1656માં તેના મૃત્યુ બાદ 1659માં તે બાંધવામાં આવેલો છે. બિજાપુરનાં બધાં જ સ્થાપત્યોમાં તે અનન્ય હોઈ વધુ ખ્યાતિ પામ્યો છે અને આજુબાજુના વિસ્તારમાં ઘણે દૂરથી તે નજરે પડે છે.

આ ગુંબજ આટલો બધો પ્રખ્યાત થવાનું સૌથી મહત્વનું કારણ તેની અજાયબીભરી રચનામાં સમાયેલું છે. આ ગુંબજ હેઠળ ગમે ત્યાં ઊભા રહીને અન્યના કાનમાં કરેલો અત્યંત ધીમો ગણગણાટ કે આંગળાંના ટચાકા કે દીવાસળી ઘસવાનો અવાજ પણ દસ-બાર વખત ફરીફરીને થોડા મોટા અવાજે પ્રતિધ્વનિત થયા કરે છે. આ પ્રકારના રચનાત્મક સ્થાપત્ય પરથી ભારતના પ્રાચીન સ્થપતિઓ તથા બાંધકામ-નિષ્ણાતોની સિદ્ધિઓ તેમજ કૌશલ્યનો અંદાજ આવે છે. ઉદભવતા જતા પડઘાઓની મોજ ખરેખર માણવી હોય તો ખૂબ વહેલી સવારે ત્યાં પહોંચી જવું જોઈએ, કારણ કે ત્યાં સવારથી જ પ્રવાસીઓનો ધસારો પડઘા સાંભળવા માટે શરૂ થઈ જાય છે. આ ઇમારત નવ માળની છે, નવમા માળે ગોળ ગુંબજ છે. ગુંબજ સુધી પહોંચવા માટે 45 સેમી. ઊંચાઈવાળું એક, એવાં 108 પગથિયાં ચડવાં પડે છે. થાકી જવાતું હોવા છતાં ગુંબજમાં પહોંચી ગયા પછી જે અવર્ણનીય આનંદની અનુભૂતિ થાય છે તેમાં થાક વીસરી જવાય છે.

ગુંબજ ઉપરાંત અન્ય ઘણી પ્રાચીન ઇમારતો; જેવી કે મસ્જિદો, મકબરા, મહેલો વગેરે તેમની અપ્રતિમ કલાકારીગરીથી પ્રવાસીઓને સ્તબ્ધ કરી મૂકે છે. તે પૈકી કેટલીક ઇમારતો ખંડિયેર હાલતમાં છે, તો કેટલીક આશ્ચર્યજનક રીતે એવી ને એવી અકબંધ પણ છે.

1558થી 1580 દરમિયાન અલી આદિલશાહ પહેલાએ જામી મસ્જિદ બંધાવેલી. આ ઇમારત 137 મીટર લાંબી અને 68 મીટર પહોળી વિશાળ લંબચોરસ આકારની, ફૂલેલા ગુંબજો તથા ભવ્ય મિનારાઓવાળી છે. ઊંચી પીઠિકા (platform) પર બાંધેલો ‘ઇબ્રાહીમ રોજો’ ઇબ્રાહીમ આદિલશાહ બીજાનો મકબરો છે. તેની સાથે  મસ્જિદ પણ છે. આ રોજો દક્ષિણ ભારતીય શૈલીથી બાંધેલો છે, તેના પરનાં શણગાર અને ભાત અવર્ણનીય છે. ખવાઈ ગયેલું પ્રવેશદ્વાર ધરાવતો મહેતર મહેલ એ વાસ્તવમાં મહેલ નથી પણ નકશીકામવાળું શણગારેલું પ્રવેશદ્વાર છે. તેની સ્થાપત્યશૈલી ઇબ્રાહીમ રોજાને મળતી આવે છે. શહેરની પશ્ચિમે આશરે 6 કિમી.ને અંતરે નૌ(નવ)રસપુરનાં ખંડિયેર આવેલાં છે, તે ઇબ્રાહીમ આદિલશાહ બીજાએ બાંધેલા નવા શહેરના ભગ્નાવશેષો છે. અહીં નૌરસ અથવા સંગીત મહેલ નામની અત્યંત આકર્ષક ઐતિહાસિક ઇમારત પણ છે. આ ઉપરાંત ઐતિહાસિક મહત્વ ધરાવતાં સુંદર કોતરણીવાળાં શિલ્પો, ચિત્રો, હસ્તપ્રતો, હથિયારો વગેરે પણ ગોળ ગુંબજ નજીક આવેલા અહીંના પુરાતત્વીય સંગ્રહસ્થાનમાં પ્રદર્શિત કરાયેલાં છે.

બિજાપુરનાં અન્ય જાણીતાં સ્થાપત્યોમાં આદિલશાહના પિતાનો મકબરો, અલી આદિલશાહનો અધૂરો મકબરો, આનંદ મહલ, અસર-ઇ-શરીફ મહલ (જેમાં મહમ્મદ પયગંબર સાહેબની દાઢીનો વાળ રાખેલો હોવાની માન્યતા છે), ભવ્ય કમાનોવાળો ગગન મહલ, અગાઉ જેમાંથી આખું નગર જોઈ શકાતું હતું તે સાત માળની સાતમંજિલ વગેરે જેવી ઇમારતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જૈન મંદિરમાંથી ફેરવેલી ‘ઓલ્ડ મોસ્ક’, બે માળનો ગડીઓવાળો ગુંબજ, મક્કાની પ્રતિકૃતિ દર્શાવતી ઇમારત વગેરે અહીંનાં અન્ય આકર્ષણો છે.

આ શહેરમાં જિનિંગ મિલ, તેલીબિયાં પીલવાનાં કારખાનાં, સાબુ, રસાયણો અને રંગોના કેટલાક એકમો આવેલા છે. કર્ણાટક યુનિવર્સિટી-સંલગ્ન વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાનની કૉલેજો પણ છે. બિજાપુર બ્રૉડગેજ તેમજ મીટરગેજ ધરાવતું રેલમથક છે, તે સોલાપુર–ગદગ રેલમાર્ગ પર આવેલું છે. બ્રૉડગેજ રેલમાર્ગથી તે હૈદ્રાબાદ, પુણે તથા મુંબઈ સાથે જોડાયેલું છે, તથા સડકમાર્ગે હૈદ્રાબાદ અને બૅંગાલુરુ સાથે સંકળાયેલું છે. બેળગાવ એ બિજાપુર માટેનું નજીકનું હવાઈ મથક છે. 1991 મુજબ બિજાપુર નગરની વસ્તી 1,93,038 જેટલી છે. મુઘલ શહેનશાહ ઔરંગઝેબે અહીંની કેટલીક ઇમારતોને નુકસાન પહોંચાડેલું છે. અહીં સારા બાગબગીચાઓ પણ વિકસાવવામાં આવેલા છે. વર્ષોથી આ શહેર ભારતભરના તેમજ પરદેશી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે.

મીનળ શેલત

ગિરીશભાઈ પંડ્યા