બાઈ હરિરની વાવ : અમદાવાદમાં અસારવા વિસ્તારમાં આવેલી વાવ. અમદાવાદની વાવોમાં તે શિરમોર ગણાય છે. મહમૂદ બેગડા(1459–1511)ના સમયમાં બંધાયેલી આ વાવ સામાન્ય રીતે લોકોમાં ‘દાદા હરિની વાવ’ તરીકે ઓળખાય છે. મહમૂદ બેગડાના અંત:પુરની હરિર નામની બાઈએ તે બંધાવી હતી. લેખમાં વાવ બંધાવ્યાની તારીખ વિ. સં. 1556 પોષ સુદ 13 ને સોમવાર (15 ડિસેમ્બર 1499) આપવામાં આવી છે. આ વાવ બાંધણીની ર્દષ્ટિએ ‘ભદ્રા’ પ્રકારની છે; કારણ કે તેના બે પ્રવેશ છે. મુસ્લિમ અમલદારની દેખરેખ નીચે હિંદુ સ્થપતિએ તેનું બાંધકામ કર્યું છે. વાવની કુલ લંબાઈ 73.61 મી. છે. તેનો મુખ્ય પ્રવેશ-મંડપ પૂર્વમાં આવેલો છે. ઘુંમટ સહિતના આ પ્રવેશમંડપની ઉત્તર અને દક્ષિણ દિશાએ સોપાનશ્રેણીઓની રચના છે. કૂટ એટલે કે મજલાના સ્તંભો સાદા છે. કૂટના પડખેની દીવાલોમાં ગવાક્ષો રચીને તેમાં મસ્જિદોના મહેરાબમાં હોય તેવા ‘ચિરાગ’ અને ફૂલવેલનાં સુશોભનો કંડારેલાં છે. કૂવાનો કઠેડો સૂક્ષ્મ કોતરણીથી અલંકૃત છે.

બાઈ હરિરની વાવ, અમદાવાદ

કૂવાના મુખભાગે આવેલું કક્ષાસન (પથ્થરની પાટલી) પણ સુંદર રીતે કંડારેલું છે. વાવના કૂટોનું પ્રમાણ અને તેમનો આકાર એકસરખાં નથી. કૂવાની ઉત્તર અને દક્ષિણ બાજુએ ચક્રાકાર સીડીઓ આવેલી છે અને તે પાણીની સપાટી સુધી 5 મજલાઓમાં થઈને પસાર થાય છે. દરેક મજલે આ સીડીમાં જવાનો પ્રવેશ કમાનાકાર છે. મુસ્લિમ અધિકારીની દેખરેખ નીચે તે બંધાઈ હોવા છતાં તેમાં હંસ, હાથી, પૂર્ણઘટ જેવાં હિંદુ મંદિરોમાં જોવા મળતાં રૂપાંકનો કંડારેલાં છે.

થૉમસ પરમાર