પાઠક, હીરાબહેન રામનારાયણ (. 12 એપ્રિલ 1916, મુંબઈ; . 15 સપ્ટેમ્બર 1995, મુંબઈ) : ગુજરાતી લેખિકા અને વિવેચક. હીરાબહેન ‘પાઠક’ થયાં એ પહેલાં હીરા કલ્યાણરાય મહેતા હતાં. 1945માં તેમણે રામનારાયણ વિ. પાઠક સાથે લગ્ન કર્યું. તેઓ પાઠકસાહેબનાં વિદ્યાર્થિની હતાં. પાઠકસાહેબના આ દ્વિતીય લગ્ને ઘણી ચકચાર જગાવેલી.

પ્રાથમિક શિક્ષણ તેમણે મુંબઈની રાષ્ટ્રીય શાળામાં લીધું. માધ્યમિક શિક્ષણ ચંદારામજી સ્કૂલ અને ન્યૂ ઈરા સ્કૂલમાં લીધું. કર્વે યુનિવર્સિટીમાંથી 1936માં જી. એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી. 1938માં તેમણે પાઠકસાહેબના માર્ગદર્શન હેઠળ ‘આપણું વિવેચનસાહિત્ય’ વિશે નિબંધ લખ્યો. તે ગ્રંથસ્વરૂપે 1939માં પ્રગટ થયો. 1938માં તેઓે એસ. એન. ડી. ટી. યુનિવર્સિટીમાં અધ્યાપિકા તરીકે જોડાયાં. 1938થી 1972 સુધી તેમણે આ સ્થાને કામ કર્યું. તે પછી સ્વૈચ્છિક રાજીનામું આપી છૂટાં થયાં. 1955માં પાઠકસાહેબનું અવસાન થયું. એક દસકો તેમનું દામ્પત્ય રહ્યું. 1995માં ગુજરાત સાહિત્ય અકાદમીએ મૂર્ધન્ય સાહિત્યકાર તરીકે તેમનું સન્માન કર્યું.

હીરાબહેન રામનારાયણ પાઠક

હીરાબહેન સંવેદનશીલ સર્જક-વિવેચક-આસ્વાદક હતાં. પાઠકસાહેબ અને એમના અક્ષરદેહ પ્રત્યે અપાર ભક્તિ ધરાવનાર હીરાબહેનનું જીવન એક સમર્પિત જીવન હતું. તેમણે સદવતને લખેલા બાર વિરહ-કાવ્ય-પત્રોના સંચય ‘પરલોકે પત્ર’(1970)માં વિરહનો ભાવ સઘન રીતે ઘૂંટાયો છે. કરુણપ્રશસ્તિનાં તત્વો પણ એમાં છે. ખાસ કરીને મુક્ત વનવેલી છંદનો અને એક પત્રમાં કટાવની ચાલનો તેમણે કરેલો ઉપયોગ નોંધપાત્ર છે. હીરાબહેનને વિવેચનમાં પણ રસ હતો. ‘આપણું વિવેચન-સાહિત્ય’ પછી તેમણે ‘કાવ્યભાવન’ (1968) સંગ્રહ આપ્યો. એમાં કાવ્ય-ચર્ચા અને કવિઓ વિશેના લેખો છે. ‘વિદ્રુતિ’(1974)માં ગુજરાતી કવિતા, વાર્તા અને નવલકથા વિશે અભ્યાસનિબંધો સંગૃહીત થયા છે.

‘પરિબોધના’(1980)માં સિદ્ધાંતચર્ચા અને પેટલીકર આદિ લેખકોની કૃતિઓ વિશેના લેખો છે. ‘ગવાક્ષદીપ’(1979)માં સંસ્કૃત શ્ર્લોકો કે પંક્તિઓનું રસદર્શન કે ભાષ્ય આપતાં લખાણો છે. શામળની ‘ચંદ્ર-ચંદ્રાવતીની’ વાર્તા(1968)નું શાસ્ત્રીય સંપાદન કરી તેમની સંશોધક તરીકેની શક્તિનો સંતર્પક પરિચય કરાવ્યો છે. ‘સાહિત્ય-આસ્વાદ’ (1973), ‘કાવ્યસંચય’ (અન્ય સાથે, 1981) વગેરે એમનાં સંપાદનો છે. 1971માં ગુજરાતીના અધ્યાપક સંઘના બાવીસમા સંમેલનમાં પ્રમુખસ્થાનેથી આપેલા ‘મોટિફ’ વિશેના વ્યાખ્યાનમાં તેમની અભ્યાસનિષ્ઠા જોવા મળે છે. ગુજરાતી સાહિત્ય પરિષદના વિદ્યાનગર અધિવેશનમાં તેઓે વિવેચનવિભાગનાં પ્રમુખ હતાં. ગુજરાત સાહિત્ય સભાએ 1974નો રણજિતરામ સુવર્ણચંદ્રક આપી તેમનું બહુમાન કર્યું હતું. તેમને ‘પરલોકે પત્ર’ કાવ્યસંગ્રહ માટે 1968-72નો નર્મદ સાહિત્ય ચંદ્રક મળ્યો હતો. 1970-71માં ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પણ તેમને પ્રાપ્ત થયેલું. પાઠકસાહેબના ગ્રંથોના પ્રકાશનમાં તેમણે સક્રિય રસ લીધો અને અભ્યાસ-લેખો સહિત એ ગ્રંથો સંપાદિત કરી આપ્યા. ગુજરાત સાહિત્ય અકાદમીએ આ સંપાદિત ગ્રંથો પ્રગટ કર્યા છે. છેલ્લો ‘રા. વિ. પાઠક પરિશીલનગ્રંથ’ તેઓ જોઈ ન શક્યાં.

રમણલાલ જોશી