પરીખ, મનુભાઈ જેઠાલાલ
June, 2025
પરીખ, મનુભાઈ જેઠાલાલ (જ. 1 જાન્યુઆરી, 1944, બાંધણી, જિલ્લો ખેડા, ગુજરાત; અ. 9 મે, 2020, અમદાવાદ) : અતિ આધુનિક ચિત્રાંકનોને વરેલા, વૈભવી ઘાટા-ઘેરા રંગોમાં મહાલતા, માનીતા કલાગુરુ.
વિદ્યાર્થીવિશ્વમાં સદૈવ વંદ્ય રહેલા કલાક્ષેત્રના ગરવા ગુરુ મનુભાઈ પરીખે વતન બાંધણી ગામે પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. દાદા અમૃતલાલ અને પિતા જેઠાલાલના સાહિત્ય અને કલા પ્રત્યેના પ્રેમના કારણે પરિવારના આ ત્રીજા સુપુત્રે કલાજગતમાં કાઠું કાઢ્યું. બંને અગ્રજ બંધુઓ – નટુભાઈ અને જયંતભાઈની જેમ તેમણે પણ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કળા આરાધના કરી હતી. ડિપ્લોમા ઇન પેઇન્ટિંગ વિભાગમાં તેમને ગુરુશ્રી પ્રો. કે. જી. સુબ્રમણ્યમ્, બેન્દ્રેસાહેબ અને અમદાવાદમાં ગુરુશ્રી રસિકભાઈ પરીખના જ્ઞાનનો લાભ અને લહાવો – બંને સાંપડ્યાં. મનુભાઈને સયાજીરાવ ડાયમન્ડ જ્યુબિલી ટ્રસ્ટ શિષ્યવૃત્તિ અને ભારત સરકાર તરફથી નૅશનલ સ્કૉલરશિપ કારકિર્દીનાં આરંભનાં વર્ષોમાં જ મળવાને કારણે ચિત્રકલાના અધ્યયનમાં અને અધ્યાપનમાં તેમને અસાધારણ કીર્તિ પ્રાપ્ત થઈ. વિદ્યાર્થી અવસ્થામાં જ તેમને કલાકાર શ્રેણીમાં પારિતોષિક મળ્યું એ ખૂબ મોટી ઉપલબ્ધિ કહેવાય. શ્વેતશ્યામ ચિત્રથી શરૂ થયેલી એ યાત્રા આગળ ઉપર લાભદાયી પુરવાર થઈ. એમનો એ ચિત્રવારસો ત્રીજી પેઢી સુધી લંબાયો. સહધર્મચારિણી વિદ્યાબહેને ચિત્રની કોઈ તાલીમ ન લીધી હોવા છતાં સ્વયં સ્ફૂર્ત તાજગીથી એમણે ચિત્રવિદ્યાનો પ્રસાર-પ્રચાર કરી શિષ્યોને ન્યાલ કરી દીધા.
મનુભાઈ એવા ચિત્રશિક્ષક હતા કે જેમણે શિષ્યોના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. એમની પદ્ધતિ ગુરુ-શિષ્ય પરંપરાને મળતી આવતી. ચિત્રકળાનો સહજ વારસો વહેંચતા આ અદના આદમી ચાણક્યનું વાક્ય ટાંકતા…‘શિક્ષક કભી સાધારણ નહિ હોતા’. તેમના કલાજીવનનું સૂત્ર હતું ‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય…’. પોતી શિક્ષક તરીકેની આ સફરને કારણે મનુભાઈએ ચિત્રશિક્ષણમાં પોતાની જાતને ઓતપ્રોત કરી અને પોતે સમાંતરે ચિત્રો કરતા હોવા છતાં ચિત્રક્ષેત્રે સીમિત પ્રદાન કર્યું, પરંતુ તેમણે સમાજને જે આપ્યું એની શાખ પણ ઊંચેરી હતી. મનુભાઈને પ્રાકૃતિક સૌંદર્ય તેમજ શિલ્પસ્થાપત્યો અને ખાસ કરીને પ્રાચીન કળાત્મક કિલ્લાઓનું સદાય આકર્ષણ રહેતું. રાજપૂત પેઇન્ટિંગની સમૃદ્ધ પશ્ચાદભૂમિકાથી પ્રેરાઈ તેમણે કૅન્વાસ પર ઘાટા-ઘેરા તૈલ રંગોમાં તેજસ્વિતા આણી, શુદ્ધ રંગોમાં મીઠા, સાંગીતિક ગુણવત્તા ધરાવતાં ધરખમ ચિત્રો તૈયાર કર્યાં હતાં. ચમકતા, મજબૂત, મુખ્ય લાલ, લીલા, પીળા, કેસરી, ભૂરા, જામલી આદિમાં રમતા આ કલાકાર લીલોતરીના રંગમાં પણ વૈવિધ્ય આણતા. ચિત્રોમાં નાજુકડાં વૃક્ષો સુંદર મરોડદાર ઘટા જેવાં ઝૂમતાં, ગતિસભર ભાસતાં. તેમણે ઘર, કિલ્લા, તંબુ, પર્વત ટેકરીઓને પણ વહાલ કરી કૅન્વાસ પર નિરૂપેલાં. મિતભાષી મનુભાઈના રંગો અચૂક બોલતા. આંતરજગતમાં મહાલનારા આ કલાકર્મી પ્રસિદ્ધિ મોહમાયાની છાયાથી દૂર રહ્યા. કલા-પ્રદર્શન ઓછાં – કલાદર્શન વધુ ! કલાનિદર્શન અનેક અને કલાદિગ્દર્શન અમાપ ! આ ક્ષેત્રે અને આ વિષયમાં આનંદતા મનુભાઈ જેટલા ઊંડા ગયા એટલા ઊંચા ઊઠ્યા. સૌએ તેમનાં ઓવારણાં લીધાં. એમની કલામાં લાસ્ય અનુભવાતું જોઈ રસિકો હરખાતા. તેથી જ તો એ સંતુષ્ટ આત્માનું ઊર્ધ્વગમન થયું. ચિત્રો માંહ્યલા પ્રકાશ-ઉજાસના રંગો – પીળો , કેસરી અને લાલમાં એમનું સ્મિત સમાયેલું છે.
1972માં મુંબઈની જહાંગીર આર્ટ ગૅલરીમાં યોજાયેલા તેમના પ્રથમ ચિત્રપ્રદર્શને તેમનો કલાપથ ઉજાળ્યો. ત્યારબાદ વણથંભી વણઝારમાં નવી દિલ્હીની અને ગુજરાતની લલિતકલા અકાદમીએ એમની કલાનો લાભ લીધો. મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, મુંબઈ, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન, ઇન્ડિયન રેલવેએ મનુભાઈનાં ચિત્રોને પોંખ્યાં. ઉજ્જૈનના કાલિદાસ સમારોહ અને ચંડીગઢનાં કલાકેન્દ્રોએ પણ આ અવનવી કલાનો લાભ લીધો જેમાં ઘાટા રંગોનું બાહુલ્ય અને ભૌમિતિક આકારો સાથે લાસ્ય-લાલિત્યસભર અંકનો જોવા મળ્યાં. દિલ્હીના ગાંધી દર્શન મ્યુરલે એક નવી ભાત ઊભી કરી. આવા કલાકારને સન્માન તો મળે જ ને ! ગુજરત રાજ્યનો ‘ગૌરવ પુરસ્કાર’ મનુભાઈને સાત વાર શોધતો આવેલો. દિલ્હી રેલવે બોર્ડે સન્માન બક્ષ્યું. રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામના હસ્તે શ્રેષ્ઠ ચિત્રશિક્ષકનો ઍવૉર્ડ તેમના નામે છે. ઉદયપુર, મધ્યપ્રદેશ અને મુંબઈ આર્ટ સોસાયટીએ પણ તેમની નોંધ લઈ પારિતોષિકો એનાયત કર્યાં.
તેમના કલાસંગ્રહો મુંબઈ ઍર ઇન્ડિયા ખાતે છે. દિલ્હી, વડોદરા, અમેરિકા, જર્મની, કૅનેડા, ઇંગ્લૅન્ડના ‘આર્ડન્ટ લવર્સ’ના ખિતાબો તેમના ખાતે છે. ‘ક્રાય’ નામની સંસ્થાએ, ગુજરાત સરકારે અને ગુજરાતના પ્રસિદ્ધ ‘કુમાર’ સામયિકે તેમનાં ચિત્રો પ્રકાશિત કર્યાં છે.
દેશ-પરદેશની કલાપ્રવૃત્તિઓમાં હિસ્સેદાર આ બંધુ ત્રિપુટી એક સાથે કલાશિખર કેડીએ સંચર્યા અને વિવિધ ક્ષેત્રોમાં ઝળક્યા.
સુધા ભટ્ટ