નોધા ગૌતમ : ઋગ્વેદના મંત્રદ્રષ્ટા કવિઓમાંના એક ઋષિ. ઋગ્વેદનાં કુલ દસ મંડળમાંથી ફક્ત પહેલા મંડળમાં તેમણે મનથી જોયેલાં સૂક્તો રહેલાં છે. નોધા નામના ઋષિ ઋગ્વેદના આઠમા મંડળના 88મા સૂક્તના અને નવમા મંડળના 93મા સૂક્તના મંત્રદ્રષ્ટા છે, પરંતુ તે ઋષિ આ નોધા ગૌતમ ઋષિથી તદ્દન અલગ છે. નોધા ગૌતમ ઋષિએ ઋગ્વેદના પહેલા મંડળના સૂક્ત 58થી 64 સુધીનાં સાત સૂક્તોનું દર્શન કર્યું છે. આ સાત સૂક્તોમાં તેમણે અગ્નિ વગેરે દેવોની સ્તુતિ સુંદર રીતે કરી છે. નોધા ગૌતમ ઋષિ વિશ્વામિત્રના વંશમાં જન્મેલા ઋષિ છે.

પ્ર. ઉ. શાસ્ત્રી