નેલ્લોર (શ્રીપોટ્ટી સિરારમુલુ) (જિલ્લો)

January, 1998

નેલ્લોર (શ્રીપોટ્ટી સિરારમુલુ) (જિલ્લો) : આંધ્રપ્રદેશનાં દક્ષિણ ભાગમાં બંગાળના ઉપસાગર પર આવેલો જિલ્લો અને જિલ્લામથક.

ભૌગોલિક સ્થાન : તે આશરે 13° 35´થી 16° 0´ ઉ. અ. અને 79° 12´થી 80° 15´ પૂ. રે. વચ્ચે આવેલો છે. જિલ્લાનું નામ જિલ્લામથક પરથી પડેલું છે. તેનું ક્ષેત્રફળ 13,076 ચોકિમી. જેટલું છે. તેની ઉત્તરે ગંતુર જિલ્લો, દક્ષિણે ચિત્તુર જિલ્લો તેમજ તમિળનાડુનો ચિંગલીપુટ જિલ્લો, પશ્ચિમે દક્ષિણ તરફ કડાપ્પા જિલ્લો તેમજ વેલીકોન્ડા ટેકરીઓ, પશ્ચિમે ઉત્તર તરફ કુર્નુલ જિલ્લો તેમજ નલ્લામાલાની ટેકરીઓ તથા પૂર્વ તરફ બંગાળનો ઉપસાગર આવેલાં છે. વિસ્તાર અને વસ્તીની દૃષ્ટિએ તે રાજ્યમાં અનુક્રમે દસમા અને સોળમા ક્રમે આવે છે. આ જિલ્લામાં 2011 મુજબ 210 શહેરો અને નગરો તથા 26,613 જેટલાં ગામો છે.

ભૂપૃષ્ઠ : આ જિલ્લામાં ‘વેલીકોન્ડા’ સ્થાનિક નામથી ઓળખાતી પૂર્વઘાટની ટેકરીઓની હારમાળા આવેલી છે. તે વેંકટગિરિની દક્ષિણે વાયવ્ય ખૂણામાંથી કનીગિરિ તાલુકાના ઉત્તર ભાગ સુધી વિસ્તરેલી છે. આ હારમાળા નેલ્લોર, કડાપ્પા અને કુર્નુલ જિલ્લાઓને અલગ પાડતી સરહદ નજીક આવેલી છે. તેનું સર્વોચ્ચ શિખર 938 મીટર ઊંચું છે. કિનારાનું મેદાન સાંકડું પણ ફળદ્રૂપ છે.

નદીઓ : આ જિલ્લાની મુખ્ય નદીઓ પેન્નાર, સ્વર્ણમુખી, કંડલેરુ, પલેરુ, મન્નેરુ, ગુંડલકમ્મા અને મુસી છે. સૌથી વધુ મહત્વની નદી પેન્નાર કર્ણાટક રાજ્યની યેન્નાકેશવ ટેકરીઓમાંથી નીકળીને નેલ્લોર જિલ્લામાં સોમસિલા નજીક વેલીકોન્ડા હારમાળામાં પ્રવેશી, આત્મકુર અને નેલ્લોર તાલુકાઓમાંથી પસાર થઈ, નેલ્લોરથી 29 કિમી. દૂર બંગાળના ઉપસાગરને મળે છે. અહીં તે 112 કિમી. લંબાઈમાં વહે છે. તેને મળતી શાખાનદીઓમાં જલમંગલી, ચિત્રાવતી, પાપઘ્ની, કંડેરુ, સાગીલેરુ અને ચેય્યેરુનો સમાવેશ થાય છે. આ નદી પર નેલ્લોર અને સંગમ ખાતે સિંચાઈ માટે બંધ બાંધવામાં આવેલા છે. આ ઉપરાંત કેટલીક નાની નદીઓ પણ છે.

ભૂસ્તર : જિલ્લાનો મોટો ભાગ પ્રી-કેમ્બ્રિયન યુગના આર્કિયન, ધારવાડ અને કડાપ્પા વયના અતિપ્રાચીન ખડકોથી બનેલો છે. શિસ્ટ, નાઇસ, ક્વાટર્ઝાઇટ મુખ્ય ખડકપ્રકારો છે. આ ઉપરાંત ગ્રૅનાઇટ, પેગ્મેટાઇટ, ડૉલેરાઇટ, ડાયોરાઇટ જેવાં અંતર્ભેદનો પણ છે. ટ્રાયાસિક, ક્રિટેશિયસ અને ટર્શ્યરી કાળના તેમજ અર્વાચીન સમયના (લેટરાઇટ) ખડકો પણ અહીંથી મળે છે, તેમાં શેલ, સ્લેટ અને રેતીખડકો મુખ્ય છે.

જમીનો : આ જિલ્લામાં લાલ, કાળી, રેતાળ અને કાંપની – એમ ચાર પ્રકારની જમીનો જોવા મળે છે. મોટાભાગના તાલુકાઓમાં લેટરાઇટજન્ય લાલ રંગની ઓછી ફળદ્રૂપ જમીનો આવેલી છે. ટેકરીઓના સીધા ઢોળાવો પરની અને તળેટીમાં આવેલી જમીનો ઘસારાનો ભોગ બનેલી છે.

આબોહવા : આ જિલ્લો ઉષ્ણ કટિબંધમાં તેમજ દરિયા નજીક આવેલો હોવાથી ગરમ પણ સમધાત પ્રકારની હૂંફાળી–ભેજવાળી આબોહવા ધરાવે છે. મે માસનું સરેરાશ ગુરુતમ તાપમાન 40°થી 42° સે. રહે છે, જ્યારે સરેરાશ લઘુતમ તાપમાન 27.7° સે. જેટલું રહે છે. ડિસેમ્બર-જાન્યુઆરીનાં સરેરાશ લઘુતમ અને ગુરુતમ તાપમાન અનુક્રમે 20.2° સે. અને 18.7° તથા 28.7° અને 29.6° સે. જેટલાં રહે છે. અહીં ફેબ્રુઆરી માસ ખુશનુમા રહે છે. નૈર્ઋત્યના તથા ઈશાની મોસમી પવનો મેથી નવેમ્બર સુધીના ગાળામાં સરેરાશ વાર્ષિક 397 મિમી. જેટલો વરસાદ આપે છે.

વનસ્પતિ : જિલ્લાના કુલ વિસ્તારના માત્ર 12.5 % જેટલા ભાગમાં જંગલો આવેલાં છે. ડુંગરાળ પ્રદેશમાં મિશ્ર પ્રકારનાં પર્ણપાતી જંગલો છે. મેદાની ભાગમાં સતત લીલાં, કાંટાળાં વૃક્ષો જોવા મળે છે. દરિયાકિનારે ચેર, તાડ, નાળિયેરી જેવાં વૃક્ષો તેમજ અન્યત્ર સાગ, નીલગિરિ, વાંસ, ચંદન, કેસ્યુરિના, બાવળ જેવાં વૃક્ષો જોવા મળે છે. ટેકરીઓના આછા ઢોળાવો પરનાં જંગલો જમીનનું ધોવાણ અટકાવવામાં મદદરૂપ બની રહે છે.

પ્રાણીજીવન : પૂર્વઘાટની ટેકરીઓનાં જંગલોમાં રીંછ, દીપડો, ચીતળ અને સાબર રહે છે. કડાપ્પાનાં જંગલોમાંથી વાઘ જેવાં વન્ય પ્રાણીઓ ક્યારેક આવે છે. મેદાની પ્રદેશનાં જંગલોમાં રીંછ, સસલાં અને શાહુડી જોવા મળે છે. પુલીકટ સરોવર પર સ્થળાંતર કરીને આવતાં પક્ષીઓ જોવા મળે છે. સુરખાબ, પૅલિકન, કાજિયું, વિવિધ પ્રકારના બગલા, કબૂતર, તેતર, મોર, કાગડો, કલકલિયો વગેરે અહીંનાં મુખ્ય પક્ષીઓ છે. પાળેલાં પશુઓ પૈકી મુખ્યત્વે ગાય-ભેંસ, ઘેટાં-બકરાં અને ભુંડ વિશેષ પ્રમાણમાં છે.

ખેતી અને પશુપાલન : અહીં ચોમાસાની ઋતુમાં તેમજ શિયાળામાં એમ બે વખત ડાંગરનો પાક લેવાય છે. આ સિવાય, જુવાર, બાજરો, રાગી, અડદ, એરંડા, મગફળી, તમાકુ અને નાગરવેલનાં પાન પણ મુખ્ય પાકો તરીકે ઉગાડાય છે. 87.7 જમીનમાં ખાદ્ય પાકો અને 12.3 % જમીનમાં અન્ય રોકડિયા પાકોની ખેતી થાય છે. જિલ્લાના 70 % લોકો ખેતીમાં રોકાયેલા છે. સિંચાઈ માટે પેન્નાર નદી પર બાંધેલા બંધોની નહેરો, તળાવો અને કૂવાઓનાં પાણીનો ઉપયોગ થાય છે. નાગાર્જુનસાગર બંધનું પાણી પણ હવે મળવા લાગ્યું છે. સિંચાઈની સગવડ મળવાથી પડતર રહેતી જમીનનો પણ ઉપયોગ થાય છે.

10 % જમીન ચરિયાણના ઉપયોગમાં લેવાય છે. તેથી પશુપાલન અને ડેરી-ઉદ્યોગ ખેતીનો સહાયક ઉદ્યોગ બની રહ્યો છે. ઊન અને માંસ માટે ઘેટાં-બકરાં અને ડુક્કરનો ઉછેર કરવામાં આવે છે. મરઘા-ઉછેર માટે આ જિલ્લો રાજ્યમાં પ્રથમ ક્રમે આવે છે.

ખાણઉદ્યોગ : આ જિલ્લાના રાપુર, ગુડુર અને આત્મકુર તાલુકાઓમાં અબરખનો ખાણઉદ્યોગ મોટા પાયા પર વિકસ્યો છે. અબરખના ખાણઉદ્યોગમાં અહીંની કંપનીઓ કાર્યરત છે. સ્લેટ અને સારી કક્ષાનું હેમેટાઇટ (લોહખનિજ) પણ અહીંથી ખોદી કાઢવામાં આવે છે, હેમેટાઇટની જાપાન ખાતે નિકાસ થાય છે. પુલિકટ સરોવરના ખુલ્લા પટમાંથી ચૂનાયુક્ત છીપો (lime shells) મળે છે. ઉદયગિરિ તાલુકામાંથી બેરાઇટ અને ચૂનાખડકો મળે છે. ચિનાઈ માટી છૂટાછવાયા પડ રૂપે અબરખની ખાણોમાંથી આડપેદાશ તરીકે મળે છે. તાંબાનાં ખનિજો, કાયનાઇટ અને કિરણોત્સારી તત્વધારક ખનિજો પ્રમાણમાં ઓછાં હોવાથી તેમનું ખનનકાર્ય કરવામાં આવતું નથી.

અન્ય ઉદ્યોગો : સુલુરપેટ ખાતે સુતરાઉ કાપડની મિલ અને ગુડુર ખાતે સિરૅમિક ઉદ્યોગ શરૂ કરાયો છે. વિવિધ પ્રકારની ચીજવસ્તુઓના  લઘુઉદ્યોગ એકમો છે. સાડી, ધોતિયાં અને લુંગી હાથસાળ-ઉદ્યોગ પર તૈયાર થાય છે. રંગાટીકામ, ચર્મઉદ્યોગ અને કાષ્ઠકલાકારીગરીના ગૃહઉદ્યોગો પણ છે. ઉદ્યોગોમાં કામ કરતા માણસો માટે નેલ્લોર ખાતે ઔદ્યોગિક વસાહત પણ છે.

પરિવહન : રેણીગુંટા–ગુડુર, વિજયવાડા–ગુંટકલ અને કૉલકાતા–ચેન્નાઈ રેલમાર્ગો આ જિલ્લામાં થઈને પસાર થાય છે.  કૉલકાતા–ચેન્નાઈ જતો ‘ગ્રેટ નૉર્ધન ટ્રન્ક રોડ’ આ જિલ્લામાંથી પસાર થાય છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 5 નેલ્લોર જિલ્લામાંથી પસાર થાય છે. ગંતુર–કુર્નુલ માર્ગ પણ મહત્ત્વનો છે. જાહેર બાંધકામ ખાતા હસ્તક  અને રાજ્ય જિલ્લા પરિષદ હસ્તક રસ્તા આવેલા છે. આ પૈકીના 448 કિમી.ના ધોરી માર્ગ છે.

વસ્તી : આ જિલ્લાની વસ્તી 2011માં 29,66,082 જેટલી હતી. નેલ્લોર, ગુડુર, કોવુર, કંડકૂર, વકટગિરિ, કવલી, સુલુરપેટ વગેરે શહેરો અને  ગામડાં છે. 91 % લોકવસ્તી તેલુગુ ભાષા બોલે છે. અગાઉના હૈદરાબાદ રાજ્યમાં રાજભાષા ઉર્દૂ હતી એટલે અહીં ઉર્દૂભાષી મુસલમાનોની સંખ્યા પણ વિશેષ છે. કેટલાક લોકો તમિળ, કન્નડ અને હિન્દીનો પણ ઉપયોગ કરે છે.

શિક્ષણ : અગાઉ રાજ્યમાં ચાલતી સંસ્કૃત પાઠશાળાઓની સંખ્યા 7 જેટલી હતી, તેમાં આ જિલ્લાનો પણ સમાવેશ થાય છે. 1920 પછી અહીં વિવિધ વિદ્યાશાખાઓની કૉલેજો, માધ્યમિક શિક્ષકો માટેનું  અધ્યાપનમંદિર અને  પ્રાથમિક-શિક્ષકો માટેનાં અધ્યાપનમંદિરો હતાં. ટૅકનિકલ શિક્ષણ આપતી વિવિધ કક્ષાની સંસ્થાઓ હતી, તે પૈકી  પૉલિટૅકનિક,  સિરૅમિકશાળા, આઇ.ટી.આઇ. અને અન્ય ટૅકનિકલ તેમજ પ્રી-વૉકેશનલ કેન્દ્ર હતાં. માધ્યમિક શાળાઓ, પ્રાથમિક શાળાઓ અને બુનિયાદી શાળાઓ પણ હતી. 1961થી 6થી 11 વર્ષની વયનાં બાળકો માટે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કરાયું હતું.

શિવપ્રસાદ રાજગોર