નિઘંટુ : મૂળમાં વૈદિક શબ્દોનો કોશ-ગ્રંથ. એને નિઘંટુ કહેવાનું કારણ એ છે કે વૈદિક મંત્રોના ગૂઢાર્થ એમાં પ્રગટ કરવામાં આવ્યા છે. આમ વૈદિક શબ્દોનો આ કોશમાંથી પાઠ કરાતો હોવાથી પણ એને ‘નિઘંટુ’ કહે છે. વેદાર્થ જ્ઞાન માટે નિઘંટુમાં સમાવિષ્ટ શબ્દો જ સ્વીકૃત ગણાય છે. નિઘંટુમાં પાંચ અધ્યાય છે. પ્રથમ ત્રણ અધ્યાયમાં એકાર્થક (અર્થાત્ એક એક શબ્દના અનેક પર્યાય) અને ચોથા અધ્યાયમાં અનેકાર્થ અને વિવિધ અર્થ ધરાવતા શબ્દો (અર્થાત્ એક એક શબ્દના અનેક અર્થ) આપેલા છે. જ્યારે પાંચમા અધ્યાયમાં દેવતાવાચક શબ્દો ખાસ સંગ્રહાયા છે. યાસ્કાચાર્યનો નિરુક્ત ગ્રંથ નિઘંટુ પર જ રચાયેલો છે. સમય જતાં નિઘંટુ શબ્દ આયુર્વેદના શબ્દકોશ માટે પણ પ્રયોજાવા લાગે છે.

પ્રવીણચંદ્ર પરીખ