નાયર, કુન્હીરામન (. 1861; . 1904) : મલયાળમના પ્રથમ નિબંધકાર તથા વાર્તાકાર. એમણે ‘કેસરી’ તખલ્લુસ નિબંધલેખન માટે રાખ્યું હતું. એ સમકાલીન પત્રપત્રિકાઓ ‘વિદ્યાવિનોદિની’, ‘કેરળ’, ‘સંચારી’, ‘મિતવાદી’માં નિયમિત રીતે નિબંધ લખતા. એમની વાર્તા ‘વાસનાવિકૃતિ’ મલયાળમ સાહિત્યની પ્રથમ વાર્તા ગણાય છે. એમાં કામવાસનાથી પીડાતા માનવીનું માનસ ચિત્રાત્મક રીતે નિરૂપાયું છે. એમની બીજી સાહિત્યસેવા અનુવાદક તરીકે હતી. એમણે કાલિદાસનાં તથા ભવભૂતિનાં નાટકોનો તથા ‘મેઘદૂત’નો મલયાળમમાં સમશ્લોકી અનુવાદ કર્યો છે. એમણે શેક્સપિયરનાં નાટકો ‘મરચંટ ઑવ્ વેનિસ’, ‘ઑથેલો’ તથા ‘હૅમ્લેટ’નો મુક્ત અનુવાદ કર્યો છે. એમણે એમનાં ભાવગીતો દ્વારા ‘લિરિક’ પ્રકારનાં કાવ્યોથી મલયાળમમાં અર્વાચીન કવિતાનો આરંભ કર્યો. એમનાથી જ મલયાળમ સાહિત્યમાં અર્વાચીન યુગની શરૂઆત થઈ.

ચન્દ્રકાન્ત મહેતા