ધાઈનામ : અસમિયા ગીતપ્રકાર. બાળકોને જુદાં જુદાં પ્રલોભનો આપીને, સુંદર શબ્દચિત્રો રજૂ કરીને સુવડાવી દેવા માટેનાં હાલરડાં. એ ગીતોમાં બાળકની પ્રશંસા હોય છે. ચાંદામામાની, પરીઓની વાતો હોય છે અને એ ચિત્રો દ્વારા બાળકને સ્વપ્નદેશમાં લઈ જવાની તરકીબ હોય છે. આ ગીતપ્રકાર પ્રાચીન સમયથી પ્રચલિત છે. આધુનિક કાળમાં પણ ગામડાંઓમાં ધાઈનામ ગાઈને બાળકોને પોઢાડવામાં આવે છે.

ચન્દ્રકાન્ત મહેતા