દેવર્ધ્ધિગણિ ક્ષમાશ્રમણ

March, 2016

દેવર્ધ્ધિગણિ ક્ષમાશ્રમણ (ઈ. સ.ની પાંચમી સદીનો ઉત્તરાર્ધ) : વિદ્વાન જૈન સાધુ. તેઓ આર્યમહાગિરિની શિષ્યપરંપરામાં ઉત્પન્ન થયા હતા. ‘કલ્પસૂત્રસ્થવિરાવલી’ મુજબ તેઓ આર્ય શાંડિલ્યના શિષ્ય હતા. ઈ. સ. 454 કે 467માં દેવર્ધ્ધિએ ‘કલ્પસૂત્ર’નું લેખન સમાપ્ત કર્યું અને એ જ વર્ષમાં આનંદપુરમાં પુત્રમરણથી શોકાતુર રાજા ધ્રુવસેનની ચિત્તશાંતિ માટે સભા સમક્ષ ‘કલ્પસૂત્ર’નું વાચન કર્યું. સૌરાષ્ટ્રમાં વલભીમાં પરંપરા અનુસાર ઈ. સ. 453માં દેવર્ધ્ધિની અધ્યક્ષતામાં જૈન મુનિઓના વિશાળ સંમેલનમાં જૈન આગમોના અંગ, ઉપાંગ વગેરે ગ્રંથોને સંકલિત કર્યા. દેવર્ધ્ધિ માથુર સંઘના યુગપ્રધાન હતા અને આ સંમેલનમાં સર્વસંમતિથી માથુરી વાચનાને પ્રધાન સ્થાન આપવામાં આવ્યું.

નગીનભાઈ જીવણલાલ શાહ