દત્તામિત્રી : પ્રાચીન ભારતનું એક શહેર. તેનું બીજું નામ સૈવીર હતું. મહાભારતમાં દિમિત્રનો ‘દત્તમિત્ર’ તરીકે ઉલ્લેખ છે. અર્જુને સૌવીર રાજાને હરાવ્યો હતો, જે કદાચ સૌરાષ્ટ્ર-કચ્છનો રાજા હશે.

બાક્ષિક(બેક્ટ્રિયા)ના યવન રાજા દિમિત્રે (દિમિત્રિયસે) ભારત પર ભારે આક્રમણ કરીને ગંગાપ્રદેશ, ગંધાર, મથુરા, પંચાલ, સાકેત, પુષ્પપુર, મધ્યમિકા વગેરે જીતી લીધેલાં. દિમિત્રના પિતા સેતુ થિ દિમના નામ પરથી શાકલ (સિયાલકોટ) અને સૈવીરમાં દિમિત્રના નામ પરથી દત્તામિત્રી નગરી સ્થપાઈ. આ રાજાના સત્તારોહણની યાદગીરી તરીકે આ નગરી વસી. ભારતમાં ગ્રીક-યવન-રાજાનું વર્ચસ્ સ્થિર થવા લાગ્યું ત્યારથી ભારતમાં સિક્કાની એક બાજુએ ગ્રીક-યવન-ભાષા અને બીજી બાજુએ પ્રજાની પ્રાકૃત ભાષા લખવાની શરૂઆત થઈ. ભારતીય યવન ઇન્ડોબેક્ટ્રિયન તરીકે ઓળખાવા લાગ્યા હતા. પરંતુ શુંગ સેનાપતિ પુષ્યમિત્રની પ્રબળ સત્તાને લીધે આ યવન સત્તા પંજાબથી નીચે આગળ વધી ન હતી.

વિભૂતી વિ. ભટ્ટ