ટોમોનાગા, શિન-ઇચિરો (જ. 31 માર્ચ 1906, ક્યોટો, જાપાન; અ. 8 જુલાઈ 1979, ટોકિયો) : ફાઇનમેન અને શ્વિંગર સાથે, 1965નું ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર જાપાની ભૌતિકશાસ્ત્રી. તેમને આ પુરસ્કાર ‘ક્વૉન્ટમ ઇલેક્ટ્રૉડાયનેમિક્સ’ના સિદ્ધાંતને સાપેક્ષવાદના વિશિષ્ટ સિદ્ધાંત સાથે સુસંગત બનાવવા, તેમાં સૂચવેલા ફેરફારો માટે આપવામાં આવ્યો હતો.

શિન-ઇચિરો ટોમોનાગા

ક્યોટોની યુનિવર્સિટીમાંથી 1929માં સ્નાતક થઈ 1939માં પીએચ.ડી. થયા. પાછળથી ‘ટોકિયો યુનિવર્સિટી ઑવ્ એજ્યુકેશન’ તરીકે ઓળખાયેલી બ્રુનિકા યુનિવર્સિટીમાં 1941માં પ્રાધ્યાપક બન્યા અને તે જ વર્ષે ‘ક્વૉન્ટમ ઇલેક્ટ્રૉડાયનેમિક્સ’ની સમસ્યા ઉપર સંશોધનકાર્ય કર્યું.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પશ્ચિમના વિજ્ઞાનીઓ સાથેનો તેમનો સંપર્ક તૂટી ગયો, પરંતુ 1943માં તેમણે તેમનું સંશોધનકાર્ય પૂરું કરીને તેને પ્રસિદ્ધ કર્યું. તેમના આ સંશોધનકાર્યની જાણ તો પશ્ચિમના વિજ્ઞાનીઓને યુદ્ધ પૂરું થયા પછી જ થઈ. લગભગ આ જ અરસામાં ફાઇમાન અને શ્વિંગરે પણ વ્યક્તિગત રીતે તેમનાં સંશોધનોનાં પરિણામો પ્રસિદ્ધ  કર્યાં તે ઉપરથી એવું ફલિત થયું કે વાસ્તવમાં તો પ્રત્યેક વિજ્ઞાનીએ, ત્રણ જુદી જુદી રીતે, એક જ લક્ષ્ય હાંસલ કરીને, જૂના સિદ્ધાંતમાં મૂળભૂત (drastic) ફેરફાર કર્યા સિવાય, વિસંગતતાઓનો ઉકેલ મેળવ્યો હતો.

1956થી 1962 સુધી ટોમાગો, ‘ટોકિયો યુનિવર્સિટી ઑવ્ એજ્યુકેશન’ના પ્રમુખસ્થાને રહ્યા હતા. ત્યાર પછી બીજા જ વર્ષે તે ‘જાપાન સાયન્સ કાઉન્સિલ’ના અધ્યક્ષ બન્યા. અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ અનુવાદિત થયેલું તેમનું સૌથી અગત્યનું પુસ્તક ‘ક્વૉન્ટમ યંત્રશાસ્ત્ર’ (1962) છે.

એરચ મા. બલસારા