ઝૂલતા મિનારા, અમદાવાદ

January, 2014

ઝૂલતા મિનારા, અમદાવાદ : એકને હલાવવાથી બીજા મિનારામાં પણ કંપન થાય એવા અમદાવાદની મસ્જિદોના મિનારા. આવા મિનારા ઈ. સ. 1445માં બનેલી રાજપુર વિસ્તારની બીબીની મસ્જિદમાં તથા ઈ. સ. 1510માં બનેલ સીદી બશીરની મસ્જિદમાં છે. અહમદશાહ બીજાએ પોતાની માતા મખ્દુમ-એ-જહાનની યાદમાં ભૌમિતિક આકારોની ભાતના તળ-દર્શનવાળી બનાવેલી, ગોમતીપુરમાં 4598.7 ચોમી. વિસ્તારમાં પ્રસરેલી બીબીની મસ્જિદના ત્રણ કમાનદ્વારવાળા મુખ્ય મુખ ભાગ પર વચ્ચેની કમાનની બંને તરફ એક એક એમ બે મિનાર આવેલા છે. તેમાંથી એક વીજળી પડવાથી ખંડિત થયો હોવાથી છતની ઊંચાઈ જેટલો જ હયાત છે. એક લોકવાયકા પ્રમાણે અંગ્રેજોએ ઝૂલતા મિનારાનું તકનીકી રહસ્ય જાણવા આ ખંડિત થયેલો મિનાર તોડાવ્યો હતો. અમદાવાદની મોટાભાગની મસ્જિદોમાં જેમ મિનારમાં સર્પાકાર નિસરણી નીચેથી જ શરૂ થાય છે તેમ આ મિનારમાં નથી. મિનાર પર પહોંચવા માટે મસ્જિદની છત સુધી દીવાલની જાડાઈમાં બનાવાયેલ નિસરણીનો ઉપયોગ જરૂરી બને છે અને ત્યારબાદ સર્પાકાર નિસરણીથી ઉપર ચઢાય છે. આ મસ્જિદના પાંચ સુંદર મહેરાબમાં હિંદુ સ્થાપત્યની ભાત ધ્યાનાકર્ષક છે. તે ઉપરાંત મસ્જિદની ઉત્તર દિશામાં પ્રવેશમંડપ છે જેના પરના ઘૂમટની કોતરણી ઉલ્લેખનીય છે.

ઝૂલતા મિનારા, અમદાવાદ

અહમદશાહના વિશ્વાસુ ગુલામ સીદી બશીર દ્વારા સારંગપુર દરવાજા બહાર બનાવવામાં આવેલ તેના જ નામની મસ્જિદ હાલમાં હયાત નથી અને ત્યાં નવી મસ્જિદ બનાવાઈ છે. જોકે જૂની મસ્જિદના મુખ્ય પ્રવેશદ્વારની બંને તરફના મિનારા તથા તેને જોડતો પુલ હયાત છે. ત્રણ માળના 21.34 મી. ઊંચા આ મિનારામાં દરેક માળે ફરતા ઝરૂખા છે.

આ મિનારા મિયાં ખાન ચિસ્તીની મસ્જિદ જેવા આકર્ષક છે. આવા એક મિનારાને ઉપરના ઝરૂખે ઊભા રહી હાથથી ધક્કા આપી કંપન પેદા કરી શકાય છે અને તેમ કરવાથી બીજા ઝરૂખામાં પણ કંપન ઉદભવે છે. વિવિધ નિષ્ણાતોએ આ કંપન માટેનાં વિવિધ કારણોની છણાવટ કરી છે; જેમાં પ્રમાણમાં પોચા તથા સ્થિતિસ્થાપક પથ્થરોથી બનાવવામાં આવતો પાયો, મિનાર વચ્ચે આવેલ સર્પાકાર નિસરણીથી ઉત્પન્ન થતી સ્પ્રિંગ જેવી અસર, મિનારની ઊંચાઈ તથા તેના તળ-આધારનો ગુણોત્તર, બંને મિનારાને જોડતા પુલની બાંધણી તથા બાંધકામમાં પથ્થરના સ્થિતિસ્થાપક સાંધા બનાવવાની વિશિષ્ટ રીતનો સમાવેશ થાય છે. એમ કહેવાય છે કે અમદાવાદની જુમ્મા-મસ્જિદમાં પણ આવા ઝૂલતા મિનારા હતા. 1819ના ધરતીકંપમાં આ મિનારા પડી ગયા હતા. અમદાવાદની મુલાકાતે આવતા પર્યટકોને આકર્ષવા માટે આ મિનારાનો જીર્ણોદ્ધાર કરવાનો નિર્ણય વર્ષ 2012માં રાજ્ય સરકારે લીધો છે.

હેમંત વાળા