જ્ઞાનસિંગ ‘શાતિર’ (જ. 1936, ડુડિયાણા કલાં, જિ. હોશિયારપુર, પંજાબ) : જાણીતા પંજાબી નવલકથાકાર અને કવિ. તેમને તેમની ઉર્દૂ નવલકથા ‘જ્ઞાનસિંગ શાતિર’ માટે 1997ના વર્ષનો સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો  છે.

જ્ઞાનસિંગ ‘શાતિર’

તેઓ મિકૅનિકલ ઇજનેર છે અને તેમણે વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)માં ફાર્માસ્યુટિકલ ઇજનેર તરીકે 3 વર્ષ સુધી કામગીરી સંભાળી હતી. 1960માં તેમણે લેખનકાર્યનો પ્રારંભ કર્યો. તેમનો એક કાવ્યસંગ્રહ ‘ચાંદ ઔર રોટી’ તથા કેટલીક નવલકથાઓ પ્રગટ થયાં છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘જ્ઞાનસિંગ શાતિર’ આત્મકથાત્મક નવલકથા છે. તેમાં જીવનની કઠોર વાસ્તવિકતાનું ચિત્રાંકન કરાયું છે. ભાષાની અલંકારયુક્ત સુંદરતા અને સહજતા, સ્પષ્ટવક્તૃત્વ અને નિર્ભીક કથનને કારણે આ કૃતિ ઉર્દૂમાં લખાયેલ ભારતીય કથાસાહિત્યમાં અનોખું સ્થાન ધરાવે છે.

બળદેવભાઈ કનીજિયા