જૈવ નિયંત્રણ (biological control) : જમીન પર ઊગી નીકળતું નકામું ઘાસ, વનસ્પતિમાં રોગનું પ્રસારણ કરતાં કીટકો, સૂત્રકૃમિ (nematoda) અને વનસ્પતિમાં રોગ માટે કારણભૂત જંતુઓ તથા જીવાતોના નાશ માટે અન્ય સજીવો અથવા તેમની નીપજ દ્વારા અપનાવવામાં આવતી નિયંત્રણપદ્ધતિ. રાસાયણિક નિયંત્રણની સરખામણીમાં આ પદ્ધતિ વધુ અસરકારક અને ઓછી હાનિકર્તા નીવડે છે; ઘણી વાર ખર્ચમાં પણ પોસાય તેવી હોય છે. તેમાં અવક્ષેપિત રસાયણથી નુકસાન થવાનો ભય રહેતો નથી. દાખલા તરીકે : (1) રોગકારક ફૂગના નાશ માટે જમીનમાં ફૂગવિરોધી પ્રતિજૈવક ઉત્પન્ન કરતા સ્ટ્રૅપ્ટોમાયસિસ પ્રજાતિના જીવાણુ ઉમેરવામાં આવે છે; (2) પાકને નુકસાન કરતા કીટકોના નાશ માટે બેસિલસ થુરેન્જિયન્સિસ જીવાણુનો ઉપયોગ કરવામાં આવે છે; (3) પાણીમાં ઊગી નીકળતી જળકુંભી (હાયાસિન્થ) વનસ્પતિના નાશ માટે સરકોસ્પોરા નામની ફૂગના બીજાણુનું સંવર્ધન વપરાય છે અને (4) વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા આલ્કેલૉઇડ અને આડપેદાશોનો ઉપયોગ સૂત્રકૃમિ, કીટકો તેમજ રોગકારક ફૂગના નાશ માટે થાય છે.

પ્રમોદ રતિલાલ શાહ