જેજ્જટ (આશરે ઈ. સ.ની છઠ્ઠી સદી) : આયુર્વેદના મુખ્ય ગ્રંથ ચરકસંહિતાના એક ખ્યાતનામ ટીકાકાર અને મહર્ષિ વાગ્ભટ્ટ(આયુર્વેદના મુખ્ય ગ્રંથ ‘અષ્ટાંગહૃદય’ના લેખક)ના શિષ્ય. તેમના સહાધ્યાયી ઇન્દુ હતા, જેમણે ‘અષ્ટાંગસંગ્રહ’ પર ‘શશિલેખા’ નામની ટીકા લખી હતી. જેજ્જટનો સમય ઈ.સ.ની છઠ્ઠી સદીમાં અથવા પાંચમી સદીના અંતમાં હોય તેમ ઇતિહાસકારો માને છે.

જેજ્જટે ચરકસંહિતા પર ‘નિરંતર પદ’ નામની ટીકા લખી હતી, જે ચિકિત્સાસ્થાનથી આરંભી સિદ્ધિસ્થાન પર્યંત પણ વચ્ચે વચ્ચે ઘણી ત્રુટિત અવસ્થામાં પ્રાપ્ત થયેલ છે.

જેજ્જટે આયુર્વેદના ત્રીજા સર્જરી ગ્રંથ ‘સુશ્રુત’ની પણ ટીકા લખી હતી. જેજ્જટ સુશ્રુતના ટીકાકારોમાં સૌથી જૂના છે; પરંતુ તેમણે લખેલ સુશ્રુત પરની ટીકા હાલ મળતી નથી. ‘સુશ્રુત’ના અન્ય પ્રસિદ્ધ ટીકાકાર ડલ્હનાચાર્યે પોતે જેજ્જટની ટીકા જોઈને પોતાની ટીકા લખી છે, એમ નોંધ્યું છે. જેજ્જટ પોતે સિંધ પ્રાંતના વતની હોવાનું ઇતિહાસકાર દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રીએ ‘આયુર્વેદનો ઇતિહાસ’ ગ્રંથમાં નોંધ્યું છે.

બળદેવપ્રસાદ પનારા