જિનીવા સમજૂતી (Geneva Conventions)

January, 2012

જિનીવા સમજૂતી (Geneva Conventions) : યુદ્ધ દરમિયાન માંદા તથા ઈજા પામેલા સૈનિકોને રાહત આપવા તથા તેમની સાથે માનવીય વ્યવહાર કરવા અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે સધાયેલી સમજૂતી. મૉનિયર તથા ડૉક્ટર હેન્રી ડૂનાં નામના 2 સ્વિસ નાગરિકોના પ્રયાસોના પરિણામે 26 ઑક્ટોબર 1863ના રોજ જિનીવા ખાતે મળેલી 14 રાષ્ટ્રોની પરિષદમાં આ સમજૂતી સધાયેલી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ યુદ્ધ દરમિયાન ઘવાયેલા તથા બીમાર પડેલા સૈનિકોની યાતના અને વેદના ઘટાડવા આંતરરાષ્ટ્રીય સ્તરે શિષ્ટાચારના કેટલાક નિયમોને સ્વીકૃતિ આપવાનો હતો. જૂન 1859ની ફ્રાંસ અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની સૉલ્ફારિનો ખાતેની લડાઈ દરમિયાન કમકમાટી ઉપજાવે તેવાં ભીષણ ર્દશ્યો જોઈને ડૉક્ટર હેન્રીનું હૃદય દ્રવી ઊઠ્યું હતું. મૉનિયરની મદદથી તેમણે એક સંગઠન ઊભું કરી ઍમ્બુલન્સ વાહનો તથા ઘવાયેલા સૈનિકોની સારવારનાં સ્થળો પરસ્પર હુમલાથી મુક્ત રાખવામાં આવે તે માટે ઝુંબેશ શરૂ કરી હતી. 22 ઑગસ્ટ 1864ના રોજ યોજાયેલ 12 રાષ્ટ્રોના સંમેલનમાં થયેલી સમજૂતી જિનીવા સમજૂતી તરીકે ઓળખાય છે. નેધરલૅન્ડના હેગ નગરમાં 1899 તથા 1907માં યોજાયેલી 2 પરિષદો હેગની શાંતિ પરિષદો તરીકે જાણીતી થઈ હતી. પ્રથમ પરિષદમાં યુદ્ધ અંગેની આચારસંહિતા નિર્ધારિત કરવામાં આવી હતી, જ્યારે બીજી પરિષદમાં 2 રચનાત્મક પગલાં લેવામાં આવ્યાં હતાં : (1) આંતરરાષ્ટ્રીય વિવાદોનો શાંતિપૂર્ણ નિકાલ થાય તે માટેની સમજૂતી અંગે પુનર્વિચારણા; (2) કરારગત દેવાની વસૂલાત માટે બળપ્રયોગ કરવા પર મુકાયેલી મર્યાદાનું પાલન કરવા સારુ નવી સમજૂતી.

જિનીવા સમજૂતીની મુખ્ય કલમો નીચે મુજબ છે : (1) યુદ્ધસમયમાં ક્ષેત્રીય તથા મુખ્ય હૉસ્પિટલોની અને બીમાર તથા ઘવાયેલા સૈનિકોની હેરફેર કરતાં ઍમ્બુલન્સ વાહનોની તે કાર્યવાહી દરમિયાન નિષ્પક્ષતા સંપૂર્ણપણે માન્ય રાખવી જોઈએ. (2) જાહેર સુખાકારી માટેના કર્મચારીઓ સહિતનાં તમામ તબીબી કર્મચારીગણ ને સ્વયંસેવકો, પરિચારિકાઓ તથા ઈજાગ્રસ્તોને મદદ કરતા દેશના નાગરિકો અને યુદ્ધક્ષેત્રના તથા હૉસ્પિટલમાંના ઈજાગ્રસ્તોને દુશ્મન લેખવા જોઈએ નહિ અને તેમને તેમનાં અંગત સાધનો તથા ઍમ્બુલન્સ વાહનો લાવવા-લઈ જવાની છૂટ આપવી જોઈએ. (3) બીમાર તથા ઘવાયેલા સૈનિકોનાં આશ્રયસ્થાનોને સૈનિકોના મુકામ ગણવા જોઈએ નહિ. (4) સાજા થઈ ગયેલા સૈનિકોને પોતપોતાના સ્વદેશ પાછા મોકલી આપવા જોઈએ. (5) બીમાર અને ઘવાયેલા સૈનિકોને તથા શરણાર્થી શિબિરવાસીઓની સારવાર તથા આશ્રય માટેની હૉસ્પિટલો તથા સ્થળો પર તેમજ ઍમ્બુલન્સ વાહનો પર પોતાના દેશનો ધ્વજ તથા સફેદ પશ્ચાદભૂમાં લાલ રંગનો ક્રૉસ દર્શાવેલો હોવો જોઈએ. તબીબી કર્મચારીગણે એ જ ડિઝાઇનની બાંયપટ્ટી (arm band) પહેરવી જોઈએ. (6) આ કરાર હેઠળ રક્ષણ પામેલી બીમાર કે ઘવાયેલી વ્યક્તિઓ, મકાનો તથા સાધનસામગ્રી અંગે વળતો હુમલો કરવામાં આવશે નહિ. (7) તબીબી સારવાર માટેનાં વિમાનો યુદ્ધમાં સંડોવાયેલાં રાષ્ટ્રોએ ચોક્કસ સમજૂતી કર્યા મુજબની ઊંચાઈએ, સમયે તથા માર્ગ પર ઊડી રહ્યાં હોય તો તેના પર હુમલો કરવામાં આવશે નહિ. (8) લશ્કરી હૉસ્પિટલ કે જહાજો વગેરે પર હુમલો કરવામાં આવશે નહિ, તેમને બાનમાં લેવાશે નહિ, શરત એ કે તેમણે પોતાનાં નામ તથા પોતાની ઓળખાણ અંગે યુદ્ધમાં સંડોવાયેલ પક્ષોને વહાણોની સેવા લીધાના 10 દિવસ અગાઉ જાણ કરી હોવી જોઈએ.

શત્રુપક્ષ દ્વારા પકડાયેલા સૈનિકોએ પોતાનું નામ, જન્મતારીખ, સર્વિસ નંબર તથા હોદ્દા અંગે જ જાણ કરવાની હોય છે. યુદ્ધકેદીઓ સાથે માનવતાભર્યું વર્તન કરવાનું હોય છે. તેમના માટે ભોજન, કપડાં  તથા રહેઠાણની વ્યવસ્થા તેમને બંદી બનાવનાર દેશે કરવાની હોય છે. અધિકારીઓ સિવાયના યુદ્ધકેદીઓ પાસેથી, બંદી બનાવનાર પક્ષ યુદ્ધ સાથે સીધી રીતે સંકળાયેલું ન હોય તેવું કામ પણ લઈ શકે અને આવા કામના બદલામાં તેમને વળતર પણ ચૂકવવાનું રહે.

જિનીવા સમજૂતી પર સહી કરનારા દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. આમ, 1864માં થયેલી પ્રથમ સમજૂતી પછી 1906, 1929, 1949 અને 1977નાં વર્ષો દરમિયાન એમાં બીજી કેટલીક નવી જોગવાઈઓ ઉમેરવામાં આવી હતી.

હસમુખ માણેકલાલ પટેલ

અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે