જલોદરારિ રસ : જળોદર રોગમાં વિરેચન (જુલાબ) માટે વપરાતું આયુર્વેદિક ઔષધ. લીંડીપીપર, કાળાં મરી, તામ્રભસ્મ, હળદર 1-1 ભાગ અને શુદ્ધ જમાલગોટા (નેપાળાનાં બીજ) 3 ભાગના સૂક્ષ્મ ચૂર્ણને થોરના દૂધમાં ખરલ કરીને બે રતીના માપની ગોળીઓ બનાવી સૂકવી તૈયાર કરવામાં આવે છે. વિરેચન થઈ જાય પછી દર્દીને સાંજે ખાટું દહીં અને ભાત ખવરાવવાથી ઝાડા બંધ થઈ જાય છે. આ ખૂબ તીવ્ર રેચક દવા છે. તેથી તે વૈદ્યના માર્ગદર્શનથી લેવાનું સૂચવવામાં આવે છે.

મધુકાન્ત ભગવાનજી પંડ્યા