જમ્મુ : કાશ્મીરની શિયાળુ રાજધાની. ભૌ. સ્થાન 32o 44’ ઉ. અ. 74o 52’ પૂ. રે. ચિનાબની ઉપનદી તાવીના કિનારે વસેલું આ નગર કાશ્મીરનું પ્રવેશદ્વાર છે. મંદિરો, મહાલયો, મસ્જિદો ધરાવતું આ નગર એક વિશાળ પહાડી ઉપર (327 મીટર ઊંચાઈ પર) વસેલું છે. આજુબાજુ વળાંક લેતી તાવી નદીના કિનારે સુંદર સરોવરો, બગીચા અને પર્યટનસ્થળો તથા યાત્રાળુઓ માટે શ્રદ્ધાસ્થાન આવેલાં છે. વસ્તીની ર્દષ્ટિએ રાજ્યમાં તે બીજા ક્રમનું નગર છે. વસ્તી 2011 મુજબ 9,51,373 છે.

દંતકથા પ્રમાણે જમ્બુલોચન નામનો રાજવી એક વખત શિકાર માટે નીકળ્યો ત્યારે એક પુલ નજીક વાઘ અને બકરી એકસાથે પાણી પીતાં જોઈને વિસ્મય પામ્યો અને તેણે અહીં આ નગરની સ્થાપના કરી. તાવી નદીના તટે બહુકોટ નામનો કિલ્લો આ રાજવીના સમયનો છે.

દિલ્હીથી આશરે 591 કિમી. દૂર રેલમાર્ગ પર તે આવેલું છે. સમગ્ર ભારત સાથે રેલસેવાથી જોડાયેલું છે. નગરથી 7 કિમી. દૂર વિમાનીમથક આવેલું છે. અહીં જોવાલાયક સ્થળોમાં રઘુનાથ મંદિર, રણવીરેશ્વર મંદિર, કાલિદેવી મંદિર તેમજ ડોગરા ચિત્રશાળા મુખ્ય છે. નિકટનાં પર્યટનસ્થળોમાં વૈષ્ણોદેવી, માનસરોવર, પટનીટૉપ, સણાસર, મંડલેખ આદિ મુખ્ય છે.

રઘુનાથ મંદિરમાં સેંકડો શાલિગ્રામ એકત્રિત કરીને હારબંધ ગોઠવેલા છે. વિવિધ રંગના આરસપહાણમાંથી કંડારાયેલાં મંદિરોની કલાત્મકતા આ સફેદ બરફની ચાદર ધરાવતા પ્રદેશમાં મોહક લાગે છે. અહીંની ચિત્રકલા પણ મનોહર છે. જમ્મુના ડોગરા રાજવીઓ શૈવ ઉપાસક હતા તેની સાબિતી આ મંદિરો પૂરી પાડે છે. ભારતીય ભૂમિસેનામાં ડોગરા રેજિમેન્ટ અહીંના જૂના રાજપૂતોની ગાથા સાકાર કરે છે. અહીંનાં મંદિરોમાં રણવીરેશ્વર તથા કાલિદેવીનું મંદિર વિશેષ દર્શનીય છે.

ડોગરા રાજપૂતોના કલાપ્રેમ અને વારસાની ઝાંખી કરાવતું સ્થળ ડોગરા ચિત્રશાળા છે. પહાડી શૈલીના અવશેષો પણ ભગ્નદશામાં જોવા મળે છે. અહીંની પહાડી ચિત્રશૈલી આગવી વિશિષ્ટતા ધરાવે છે.

વૈષ્ણોદેવી : જ્મ્મુથી આશરે 62 કિમી. દૂર વૈષ્ણોદેવી અથવા વિષ્ણોદેવીનું સુપ્રસિદ્ધ યાત્રાધામ આવેલું છે. ત્યાં હજારો યાત્રિકો દર્શનાર્થે આવે છે. જમ્મુથી કટરા આશરે 50 કિમી. અને ત્યાંથી 12 કિમી. દૂર પગદંડીથી પહાડી પર ચડતાં વૈષ્ણોદેવી પહોંચાય છે. પગપાળા કે ખચ્ચર–ટટ્ટુ દ્વારા પણ અહીં કેટલાક યાત્રિકો પહોંચે છે. ત્રિકૂટ પહાડી પર આવેલી ભગવતી વૈષ્ણોદેવીની ગુફાનું પ્રવેશદ્વાર અત્યંત સાંકડું છે તેથી પ્રવાસીઓને આશરે 3.05 મી. જેટલું અંતર પેટે ઘસડાતાં ચાલીને કાપવું પડે છે. ગુફામાં વૈષ્ણોદેવી, મહાસરસ્વતી અને મહાકાલી તેમજ મહાલક્ષ્મીની મૂર્તિઓ આવેલી છે. આ દેવીઓનાં ચરણોમાંથી બાણગંગા નામનું ઝરણું વહે છે. આસો માસની નવરાત્રિમાં અહીં મોટો મેળો ભરાય છે. સમગ્ર ભારતમાં આ સ્થળ તેની કઠિન યાત્રા માટે જાણીતું છે. હવે અહીં રિક્ષા તેમજ હેલિકૉપ્ટર દ્વારા પણ પહોંચી શકાય છે.

માનસરોવર : માનસરોવર જમ્મુથી પૂર્વમાં આશરે 80 કિમી. દૂર તથા સૂરીઓન સરોવર લગભગ 24 કિમી. દૂર આવેલું છે. દંતકથાઓ પ્રમાણે વીરબાહુએ માનસરોવરના તળિયે તીર માર્યું હતું જે સૂરીઓન સરોવરમાં પહોંચ્યું હતું. પાણીના ધસમસતા પ્રવાહને કારણે આ સ્થળો પ્રકૃતિપ્રેમીઓને વિશેષ આકર્ષે છે. જમ્મુથી અહીં પહોંચવા માટે નિયમિત બસ-સેવા મળી રહે છે.

પટનીટૉપ તથા સણાસર : પટનીટૉપ જમ્મુથી આશરે 112 કિમી. દૂર આવેલું છે, જે સાગરસપાટીથી આશરે 2,000 મી.ની ઊંચાઈ પર છે. બરફાચ્છાદિત પહાડીઓ, ખળખળ વહેતાં ઝરણાં તેમજ ચિનારનાં વૃક્ષોથી ઘેરાયેલું આ સ્થળ શિયાળામાં તેની આગવી નૈસર્ગિક રમણીયતા માટે જાણીતું છે. પટનીટૉપથી આશરે 19 કિમી. દૂર રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલું આ સ્થળ ચાના વિશાળ કપ જેવો આકાર ધરાવે છે. આ સ્થળેથી આગળ મહાદેવ નામનું જાણીતું સ્થળ છે, જ્યાં ત્રિશૂલ અને ભીમની ગદાની પૂજા-અર્ચના થાય છે. આ ઉપરાંત અહીં નજીકમાં શિવકોડી મહાદેવનું સ્થાન પણ આવેલું છે.

અખનૂર : આ પ્રસિદ્ધ શહેર જમ્મુથી વાયવ્ય દિશામાં આવેલું છે. મુઘલયુગમાં તેની ભવ્યતા માટે જાણીતું હતું. અહીંનો પ્રાચીન કિલ્લો તેમજ જહાંગીરની મજાર જોવાલાયક છે. વ્યૂહાત્મક ર્દષ્ટિએ આ સ્થળ અગત્યનું છે.

જમ્મુ નજીક કુડ અને બટોટ નામનાં બે ગિરિમથકો જોવાલાયક છે. જમ્મુ-શ્રીનગર માર્ગ પર 2500 મી. લાંબી જવાહર ટનેલ (પહાડી ભૂગર્ભમાર્ગ) તૈયાર થતાં પ્રવાસીઓને આ બંને ગિરિમથકોએ પહોંચવામાં સુવિધા પ્રાપ્ત થઈ છે. અહીંના કેટલાક પર્વતીય ઢોળાવો પર શિયાળુ રમતો યોજાય છે.

નિવાસ માટે ઉત્તમ સુવિધા ધરાવતા આ નગરમાં જમ્મુ યુનિવર્સિટી (1969) અને મહાવિદ્યાલયો આવેલાં છે. ડોગરી, કાશ્મીરી અને લડાખુ ભાષા બોલતી પ્રજા વસે છે. ગાલીચા-ઉદ્યોગ માટે તે જાણીતું છે. શેતરંજી, હસ્તકલાકારીગરીની વસ્તુઓ તથા શાલ, ધાતુપાત્રો, અખરોટના કાષ્ઠમાંથી બનાવેલું નાજુક ફર્નિચર, ચાંદીમાં જડેલી રત્નમાલાઓ વગેરે માટે આ નગર જાણીતું છે.

ઇતિહાસ : ઇતિહાસવિદો માને છે કે ઈ. સ. પૂર્વે 14મી સદીમાં રાજા જમ્બુલોચને અહીં નગરની સ્થાપના કરી હતી; જે તે પછીથી તે જમ્બુનગર તરીકે ઓળખાતું થયું હતું; પરંતુ આજે તે ‘જમ્મુ’ તરીકે ઓળખાય છે. તાવી નદીના કિનારા નજીક જમ્બુલોચનના ભાઈ રાજા બહુલોચને કિલ્લાની સ્થાપના કરેલી.

આ સ્થળે મૌર્ય, કુષાણ અને ગુપ્ત વંશના સમયગાળાના અવશેષો જોવા મળે છે. ઈ. સ. 480માં અહીં હેપ્થેલાઇટ શાસકનું વર્ચસ્વ વધેલું. 670થી 11મી સદીની શરૂઆત સુધીમાં ગઝનવીઓએ આવીને આ સ્થળનો ધ્વંસ કરેલો.

તૈમૂર લોકોએ પણ અહીં વસાહત ઊભી કરી હતી. ત્યારબાદ મુઘલો અને શીખોએ પણ અહીં પ્રભુત્વ સ્થાપ્યું હતું. તે પછીથી બ્રિટિશરોએ પોતાનું શાસન જમાવેલું.

ભારત-પાકિસ્તાનના ભાગલા દરમિયાન થયેલા કાશ્મીરયુદ્ધ (1947)ને કારણે જમ્મુનો કેટલોક ભાગ તે પછી ભારત હસ્તક રહ્યો. ત્યારબાદ તે જમ્મુ-કાશ્મીર રાજ્યના ભાગ તરીકે રહ્યું છે.

મહેશ મ. ત્રિવેદી

નીતિન કોઠારી