જમીનમાર્ગી પરિવહન : વાણિજ્યમાં પરિવહનના ત્રણ પ્રકારોમાંનો એક. પરિવહનનું કાર્ય વસ્તુ કે વ્યક્તિની ભૌતિક હેરફેર કરવાનું છે. વસ્તુની જરૂરિયાત વધુ હોય તે સ્થળે તેની હેરફેર કરવાથી તેની સ્થળઉપયોગિતા વધે છે. આ હેરફેરનું કાર્ય સમયસર, કરકસરપૂર્વક અને સલામતીપૂર્વક કરવાનું હોય છે.

આજે સમગ્ર વિશ્વ એક બજાર બની ગયું છે. જુદાં જુદાં સ્થળો વચ્ચેના અંતરની મર્યાદા ઓછી થઈ ગઈ છે. આથી વિવિધ પ્રદેશો વચ્ચે ભાવોની સપાટી સરખી થવાનું વલણ ઊભું થયું છે. પ્રજાનું જીવનધોરણ સુધારવા, પરિવહન એક અગત્યનું પરિબળ બની રહ્યું છે.

જમીનમાર્ગી વાહનવ્યવહારના 3 મુખ્ય પ્રકારો છે :

(1) માર્ગપરિવહન : એ વાહનવ્યવહારનું ખૂબ પ્રાચીન સ્વરૂપ છે. રેલવેની શોધ થઈ ત્યાં સુધી તો જમીનમાર્ગનું એકમાત્ર સ્વરૂપ હતું. વર્તમાન સમયમાં પણ સૌથી વધુ ઉપયોગમાં લેવાતું આ સ્વરૂપ છે. તેની લાક્ષણિકતાઓ : (1) માર્ગની યોજના, સ્વરૂપ અને દિશા અંગે ઘણા વિકલ્પો રહે છે. જરૂરિયાત મુજબ પસંદગી થઈ શકે છે; (2) આ માર્ગે વાહનવ્યવહાર જરૂરિયાત મુજબ ગોઠવી શકાય છે; (3) માર્ગ પર ઉપયોગમાં લેવાતાં વાહનો અંગે પસંદગીની ઘણી તકો રહે છે; ખર્ચ અને ગતિની ર્દષ્ટિએ આ પસંદગી શક્ય બને છે; (4) અન્ય પ્રકારની સરખામણીમાં માર્ગ માટે વધારાની સગવડોની જરૂર નથી. રેલવે માટે સ્ટેશન, સ્ટીમર માટે માલ ઉતારવા માટેનો ધક્કો કે વિમાન માટે ઉતરાણપટ્ટી જેવી સગવડો જરૂરી નથી. આથી ખર્ચ ઘણો ઓછો આવે છે; (5) એક જ માર્ગ ઉપર ઘણાં વાહનો જઈ શકે છે; (6) ઓછી મૂડી સાથે ધંધો કરી શકાય છે; અને (7) આથી તે વધુ સ્પર્ધાત્મક પ્રકાર છે અને ઇજારાશાહીનું જોખમ આ પ્રકારમાં ઓછું રહે છે.

ભારતમાં માર્ગપરિવહન : આઝાદી મળ્યા પછી દેશમાં રસ્તાઓના બાંધકામમાં ગણનાપાત્ર વિકાસ થયો છે. વિશ્વમાં સૌથી વધુ માર્ગોની શૃંખલા ભારતમાં ગણાય છે.

ભારતમાં રસ્તાનો વિકાસ

1951 2005–2006
માર્ગોની લંબાઈ 4 લાખ કિમી 62.72 લાખ કિમી.
યાત્રીપરિવહન 23 અબજ 4252 અબજ
માલસામાન પરિવહન 6 અબજ ટન કિમી. 660 અબજ કિમી.
વાહનોની સંખ્યા 3 લાખ 09 કરોડ

                    (સંદર્ભ : ઇન્ડિયા 2010)

ઈ. સ. 2003–04માં વિવિધ માર્ગોની માહિતી નીચે પ્રસ્તુત કરવામાં આવી છે :

કિ.મી.માં
1.  રાષ્ટ્રીય ધોરી માર્ગો 70,534
2.  રાજ્ય ધોરી માર્ગો 1,28,000
3.  જિલ્લા માર્ગો 47,00,000
4.  ગ્રામ્ય માર્ગો 26,50,000
કુલ  62,71,934

                        (સંદર્ભ : India 2010)

દેશના કુલ માર્ગોમાં ફક્ત 2 ટકા જેટલો હિસ્સો ધરાવતા રાષ્ટ્રીય ધોરી માર્ગો દેશમાં પરિવહન કરાતા આશરે 40 ટકા માલસામાનનું હેરફેર કરે છે. તેને સરળ બનાવવા માટે કેન્દ્રસરકારે દેશનાં મુખ્ય શહેરો દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કૉલકાતા વચ્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાના ચાર, છ અને આઠ લાઇનો ધરાવતા ધોરી માર્ગો બાંધવાનું આયોજન કર્યું છે. તેના માટે આશરે રૂ. 82,000 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્ય-સરકારે બંદરો તેમજ ઔદ્યોગિક વસાહતો અને વિશાળ ઉદ્યોગોને રસ્તાઓની શૃંખલા દ્વારા જોડવાનું આયોજન કર્યું છે, જેથી માલસામાનનું પરિવહન વધુ ગતિશીલ અને સરળ બની રહે.

ભારતમાં માર્ગપરિવહન : આઝાદી મળ્યા પછી દેશમાં રસ્તાઓના બાંધકામમાં ગણનાપાત્ર વિકાસ થયો છે. વિશ્વમાં સૌથી વધુ માર્ગોની શૃંખલા ભારતમાં ગણાય છે.

સરકારે કેટલાક રાષ્ટ્રીય ધોરી માર્ગો બાંધવા માટે જાહેર ખાનગી ક્ષેત્રની ભાગીદારી(Poblic-Private Paterhinva)નો અભિગમ અપનાવ્યો છે. તે યોજના હેઠળ ખાનગી કંપની રસ્તો બાંધીને નિશ્ચિત સમયાવધિમાં તેના ઉપયોગ માટે (Build-operat-hocunler-Bop) ભાડું ઉઘરાવી યોજના હેઠળ સમય જુદો થયેલો સરકારને પરત સોંપશે. આ યોજના હેઠળ અનેક રસ્તાઓ તેમ જ પુલોનું બાંધકામ પણ કરવામાં આવ્યું છે.

પંચવર્ષીય યોજનામાં રસ્તાના બાંધકામ માટે આશરે રૂ. 62,000 કરોડ ફાળવવામાં આવ્યા છે.

ગુજરાત રાજ્યમાં વિવિધ માર્ગોની માહિતી

નીચેની સારણીમાં પ્રસ્તુત કરવામાં આવી છે :

1990 2007–08 (કિમી.માં)
1. રાષ્ટ્રીય ધોરી માર્ગો 1572 3244
2. રાજ્ય ધોરી માર્ગો 16430 18447
3. મુખ્ય જિલ્લા માર્ગો 21931 20564
4. અન્ય જિલ્લા માર્ગો 10022 10352
5. ગ્રામ્ય માર્ગો 15610 21505
કુલ  65565 74112

સંદર્ભ : ocio-economic Review (2010–11)

રેલમાર્ગો : પ્રથમ સ્વયં સંચાલિત વરાળ એન્જિનની શોધ ઈ. સ. 1925માં ઇંગ્લૅન્ડમાં થઈ હતી. વિશ્વનો પ્રથમ નિયમિન રેલમાર્ગ લિવરપુલ-માન્ચેસ્ટર વચ્ચે ઈ. સ. 1830માં શરૂ થયો હતો. ત્યારબાદ વિશ્વભરના આશરે 136 દેશોમાં રેલમાર્ગોની કુલ લંબાઈ 13.71 લાખ કિલોમીટર અંદાજવામાં આવે છે. તેમાં અમેરિકાનો ક્રમ પ્રથમ અને ભારતનો ક્રમ 5મો છે. રેલમાર્ગોની પહોળાઈ અનુસાર બ્રોડ ગેજ, મીટર ગેજ અને નૅરો ગેજ વિભાગ પાડવામાં આવે છે.

ભારતનો પ્રથમ નિયમિત રેલમાર્ગ છત્રપતિ શિવાજી ટર્મિનસ (જૂનું બીટી) અને થાણે વચ્ચે ઈ. સ. 1853માં બાંધવામાં આવ્યો હતો. ભારતના રેલમાર્ગોની કુલ લંબાઈ 63,300 કિમી. અંદાજવામાં આવે છે. તે વર્ષમાં આશરે 786 કરોડથી વધુ મુસાફરોએ અંદાજે 83,000 કિમીનો પ્રવાસ કરાવે છે. જે અંદાજે રૂ. 22,000 કરોડ કરાવી આપે છે.

રેલવેના 2 લાખથી વધુ વૅગનો આશરે 60 કરોડ ટન માલસામાનનું પરિવહન કરે છે. તેમાંથી તેને અંદાજે 31,000 કરોડની આવક થાય છે.

ઈ. સ. 2009માં આશરે 3200 કિમી બ્રોડ ગેજ, 1400 કિમી મીટર ગેજ અને 800 કિમી નૅરો ગેજ મળીને રેલમાર્ગોની કુલ લંબાઈ 5400 કિમી અંદાજવામાં આવી હતી.

ભારતમાં રાષ્ટ્રીય ધોરી માર્ગ, રાજ્ય ધોરી માર્ગ અને ગ્રામીણ માર્ગ – એમ 3 પ્રકારના માર્ગો છે.

રાષ્ટ્રીય ધોરી માર્ગની કુલ લંબાઈ 32,000 કિમી. છે, જે દેશના કુલ માર્ગોની લંબાઈના ફક્ત 2 % છે; છતાં કુલ હેરફેરના ત્રીજા ભાગનું પરિવહન રાષ્ટ્રીય ધોરી માર્ગ દ્વારા થાય છે. રાષ્ટ્રીય ધોરી માર્ગનો વિકાસ મધ્યસ્થ સરકારની જવાબદારી ગણાય છે. રાજ્ય સરકાર રાજ્ય ધોરી માર્ગ વ્યવસ્થા નિભાવે છે. ન્યૂનતમ જરૂરિયાત કાર્યક્રમ (Minimum Needs Programme), ગ્રામીણ ભૂમિવિહીન રોજગાર બાંયધરી કાર્યક્રમ (Rural Landless Employment Guarantee Programme), રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર કાર્યક્રમ (National Rural Employment Programme) તથા સિંચાઈક્ષેત્ર વિકાસ (Command Area Development) વગેરે જેવી યોજનાઓ હેઠળ ગ્રામીણ માર્ગો બાંધવા અને જાળવવાની કામગીરી હાથ ધરાય છે.

એક હેવાલ પ્રમાણે, ભારતના માર્ગો પર ફરતાં વાહનો ઉપરનો વેરો દુનિયામાં કદાચ સૌથી વધારે છે. મધ્યસ્થ તથા રાજ્ય સરકારો વાહનો ઉપર વેરા નાખે છે.

નળપ્રણાલી : ખનિજ તેલ અને અન્ય પ્રવાહી પેટ્રોલિયમ પેદાશો, કુદરતી ગૅસ, કોલગૅસ તથા પ્રવાહી કોલસો વગેરેની હેરફેર માટે નળપ્રણાલી એક મહત્વનું સાધન છે. ઉત્પાદનના સ્થળેથી અને બંદરો પરથી કારખાના સુધી ખૂબ જ કરકસરપૂર્વક અને સરળતાથી એકધારું વહન કરવાનું તથા તે ચાલુ રાખવાનું નળપ્રણાલી દ્વારા શક્ય બને છે. સૌરાષ્ટ્રના સલાયા અને કંડલા બંદરેથી કોયલી રિફાઇનરીને સાંકળતી નળપ્રણાલી તેનું ઉદાહરણ છે. એક વાર નળપ્રણાલી નાખવાનો ખર્ચ કર્યા પછી પાછળથી તેની જાળવણીનો ખર્ચ ખૂબ મર્યાદિત હોવાથી લાંબા ગાળે નળપ્રણાલીનો ઉપયોગ એકંદરે ખૂબ કરકસરભર્યો બને છે.

પિનાકીન ર. શેઠ

જિગીશ દેરાસરી